વાસ્તુસાર : વાસ્તુશાસ્ત્રને લગતો પ્રાકૃત ગ્રંથ. પ્રાકૃતમાં જેને શાસ્ત્રીય ગ્રંથ કહીએ એવા અનેક ગ્રંથો રચાયા છે. તેમાં આ વાસ્તુસારનો પણ સમાવેશ થાય છે. પૂર્વશાસ્ત્રોનો અભ્યાસ કરીને સંવત 1372(ઈ. સ. 1316)માં ઠક્કુર ફેરૂએ ‘વાસ્તુસાર’ની રચના કરી. તેમાં ગૃહવાસ્તુપ્રકરણમાં 158 ગાથાઓ છે, જેમાં ભૂમિપરીક્ષા, ભૂમિસાધના, ભૂમિલક્ષણ, માસફળ, પાયો નાખવાનું લગ્ન, ગૃહપ્રવેશલગ્ન અને સૂર્ય આદિ ગ્રહોનું વર્ણન આપ્યું છે. બિમ્બપરીક્ષા-પ્રકરણની 54 ગાથાઓ છે અને પ્રાસાદ-પ્રકરણનું વર્ણન 68 ગાથાઓમાં કર્યું છે.

વિ. સં. 2002(ઈ. સ. 1946)માં આ ગ્રંથને ચન્દનસાગર જ્ઞાનભંડાર, વેજલપુર તરફથી પ્રકાશિત કરેલો છે.

જયન્ત પ્રે. ઠાકર