વાંસ : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળનું વનીય વૃક્ષ. તેનાં વૈજ્ઞાનિક નામ જાતિના નામને આધારે જુદાં જુદાં છે : (1) Bambusa arundinacea willd (2n=72); (2) B. bambos Druce – આ બંને વાંસની સામાન્ય જાતિઓ છે; અને (3) Dendrocalamus strictus Nees (2n=38)ને નર વાંસ, કીટી કે રાક્ષસી વાંસ કહે છે. Dracaena draw L.ને વિલાયતી વાંસ કે ડ્રેગૉન ટ્રી કહે છે. તે લિલિયેસી કુળની જાતિ છે. જ્યારે ડ્રેગૉન ટ્રી એટલે કે વિલાયતી વાંસનું વૈજ્ઞાનિક નામ ડ્રેસીના ડ્ર્યૂ (એલ) [Dracaena drew (L)] છે. વિલાયતી વાંસ લિલિયેસી કુળની વનસ્પતિ છે અને રંગસૂત્રોની સંખ્યા 38 છે.

વાંસ 40 મી.થી 100 મી. ઊંચું સંધિમય પ્રકાંડ ધરાવે છે. તેના પર કાંટા હોય છે. તેના અસંખ્ય પ્રકાંડ ઝુંડમાં ઊગે છે. તેની બે ગાંઠો વચ્ચે 35 સેમી.થી 45 સેમી.નું અંતર હોય છે. તેની નીચેની ગાંઠો પરથી મૂળ ફૂટે છે. પ્રકાંડનો રંગ નારંગી-પીળો હોય છે અને તેના પર વાળ જેવા તંતુઓ જોવા મળે છે. પર્ણો પાતળાં 20 સેમી. લાંબાં, સાદાં એકાંતરિક અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. તેની કિનારી પર રોમ જોવા મળે છે. વાંસમાં 70 અથવા 72 રંગસૂત્રો હોય છે.

હવામાન : વાંસની ખેતી ઉપોષ્ણ-કટિબંધીય (subtropical) પ્રદેશથી લઈને ઉષ્ણકટિબંધીય (tropical) પ્રદેશમાં, ખૂબ શુષ્ક હવામાનથી ભેજવાળાં જંગલોમાં, તળેટીથી લઈને 1,000 મી.ની ઊંચાઈએ થાય છે. તે આશરે 18° સે.થી 29° સે. તાપમાને અને 4.3 pHથી 7.3 pH ધરાવતી મધ્યમથી ફળદ્રૂપ જમીનમાં કે જ્યાં પાણીની પૂરતી સગવડ હોય ત્યાં સારી રીતે થાય છે. વાંસની ખેતી ભારત, ચીન અને પાકિસ્તાનમાં ખૂબ જ સારી થાય છે.

જમીન અને વાવણી : વાંસની ખેતી સામાન્ય રીતે બધા જ પ્રકારની જમીનમાં કે જ્યાં તાપમાન ઉનાળામાં 15° સે.થી નીચે જતું નથી ત્યાં થાય છે. આમ છતાં સામાન્ય અમ્લીય, ગોરાડુ જમીનમાં તેની સારી વૃદ્ધિ થાય છે. જો જમીન ભારે કાળી હોય તો સેન્દ્રિય ખાતર ઉમેરી ભરભરી બનાવવામાં આવે છે. વાંસનો ઉગાવો સારો મળે અને વૃદ્ધિ સારી થાય તે માટે વાંસને ઘાસપાત-છાદન (mulching) કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. ઘાસપાત-છાદન માટે ખાતર ઉપરાંત ઘાસ-જૈવ-ખાતર (compost), કડબ અને ખોળ પણ વપરાય છે; પરંતુ તેમાં અપતૃણ(weed)-બીજની મુશ્કેલીઓ વધે છે. જ્યાં ખૂબ ઊંચી વાંસની જાતોની વાવણી કરવામાં આવતી હોય ત્યાં વાંસ ઢળી ન જાય અને સીધા વૃદ્ધિ પામે તે માટે તેમને ઝુંડમાં બાંધવા જરૂરી છે. વાંસની વાવણી વર્ષ દરમિયાન કોઈ પણ સમયે કરી શકાય છે. ઠંડા પ્રદેશોમાં શિયાળાની શરૂઆતમાં વાવણી કરવા માટે જરૂરી ઊંચાઈની વૃદ્ધિ પામેલ છોડ મુખ્ય ખેતરમાં રોપી દેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વાંસની વાવણી ચોમાસાના થોડા સમય પહેલાં કરવામાં આવે છે.

વાંસ (વનસ્પતિ)

વાંસનું વાવેતર બીજ, કટકાથી દાબ (layering) ફૂટ કે કલમથી કરવામાં આવે છે. વાંસનાં બીજ 0.6 સેમી. ઊંડાઈએ 2.5 સેમી.ના અંતરે બે હાર વચ્ચે 7.5 સેમી.થી 10.00 સેમી.નું અંતર રહે તેમ ધરુવાડિયા(nursery)માં વાવવામાં આવે છે. બીજ એક અઠવાડિયામાં ઊગી જઈને છોડ ઝડપથી વધે છે. છોડની ઊંચાઈ 15 સેમી.થી 20 સેમી.ની થાય એટલે તેને અલગ થેલી કે કૂંડામાં ફેરરોપણી કરવાની રહે છે. વાંસના છોડની ઊંચાઈ 1.0 મી. જેટલી થાય ત્યારે મુખ્ય ખેતરમાં ફેરરોપણી કરવાની રહે છે.

વાંસનાં મૂળ ટૂંકાં અને જમીનના ઉપરના ભાગમાં હોવાથી જો વધુ પડતો પવન લાગે તો છોડ મૂળ સહિત ઊખડી જવાની સંભાવના વધુ રહે છે. આવી જગ્યાએ વાંસની ઝુંડમાં ઊગતી જાતોની વાવણી કરવાથી તે પવન સામે ટકી રહે છે. વાંસની મુખ્ય ખેતરમાં ફેરરોપણી 6 મી.થી 8 મી.ના અંતરે જમીનની ફળદ્રૂપતા પ્રમાણે કરવામાં આવે છે. ફેરરોપણી કરતી વખતે મૂળનો પીળો ભાગ જમીનમાં અને લીલો ભાગ બહાર રહે તેમ છોડ રોપવામાં આવે છે.

પિયત : વાંસના ખેતરમાં નવી ફૂટોની સારી વૃદ્ધિ થાય તે માટે યોગ્ય સમયાંતરે અઠવાડિયામાં બે વાર સામાન્ય હવામાનમાં પિયત આપવામાં આવે છે; જ્યારે ઉનાળામાં પવનભર્યા દિવસો દરમિયાન રોજ પિયત આપવું પડે છે. વાંસની વૃદ્ધિ યોગ્ય ઊંચાઈએ પહોંચી ગયા પછી તેને પાણીની જરૂરિયાત ઓછી રહે છે. છતાં જરૂરિયાત મુજબ પાણી આપવાથી વાંસની યોગ્ય ઊંચાઈની વૃદ્ધિ મેળવી શકાય છે. વાંસના ખેતરમાં 15 સેમી.થી 20 સેમી.ની ઊંડાઈ સુધી અને છોડના 2.0 મી. વ્યાસમાં પિયત આપવામાં આવે છે.

વાંસમાંથી બનેલી કેટલીક ગૃહોપયોગી વસ્તુઓ

જેમ વાંસની ઊંચાઈ અને બાજુમાં ફૂટ વધતી જાય તેમ બાજુની જમીન પર ઘાસપાત-છાદન કરતા રહી તેને પણ ખાતર અને પાણી મળતાં રહે તેમ આયોજન કરવામાં આવે તો 7 વર્ષ બાદ વાંસની પૂરતી વૃદ્ધિ થઈ જાય છે. આવા સમયે જેટલા વાંસની કાપણી કરીએ તેટલી જ નવી ફૂટ મળી રહે છે. વાંસની વૃદ્ધિ સાથે તેની સાફસફાઈ અને છાંટણી કરતાં રહેવું પડે  નહિ તો વાંસ અને ફૂટો કાપવામાં મુશ્કેલીઓ પડે છે.

રોગ અને જીવાત : વાંસના પાકમાં અયોગ્ય વ્યવસ્થાપન, ખોટી કાપણી અને મોડી કાપણીને કારણે રોગ અને જીવાત ઉદભવે છે. સામાન્ય રીતે વાંસનો પાક રોગજીવાત સામે સારી પ્રતિકારકતા ધરાવે છે. નવી ફૂટો અને વૃદ્ધિ પામતા છોડમાં કોહવારો (rot) ફ્યુઝેરિયમ મૉનિલિફોરમ અને ઇક્વિયેટી દ્વારા, બ્લાઝર રોગ સારોક્લાડિયમ ઓરાઇઝા અને લીટલ લીફ રોગ માઇક્રોપ્લાઝ્મા નામના જીવાણુથી થાય છે. વાંસ પર પાન કોરી ખાનાર અને ચૂસિયા પ્રકારની જીવાત જોવા મળે છે.

કાપણી અને ઉત્પાદન : વાંસની કાપણી જરૂરિયાત મુજબ કરવામાં આવે છે. ખોરાક માટેની ફૂટો જ્યારે 30 સેમી.થી 75 સેમી. ઊંચી થાય ત્યારે કરવામાં આવે છે. જ્યારે છોડના અન્ય ભાગો; જેમ કે, પાન, ડાળીઓ અને થડની કાપણી જરૂરિયાત મુજબ કરવામાં આવે છે. વાંસનું અંદાજે ઉત્પાદન 10 મેટ્રિક ટન / હેક્ટર પ્રતિવર્ષ મળે છે.

વાંસની વૃદ્ધિ શરૂઆતમાં 30 સેમી. પ્રતિદિનથી ધીમી શરૂઆત થઈને 75 સેમી. પ્રતિદિન જેટલી જોવા મળે છે. ટ્રિનિદાદમાં બામ્બુસા વલ્ગારિસ જાતમાં 10 મેટ્રિક ટન ચોખ્ખા શુષ્ક સેલ્યુલોઝનું ઉત્પાદન પ્રતિહેક્ટર પ્રતિવર્ષ ત્રણ વર્ષના અંતરે કાપણી કરતાં મળે છે.

સારણી 1 : વાંસનાં શુષ્ક બીજ, પ્રકાંડ અને કૂંપળનું એક રાસાયણિક વિશ્લેષણ

અનુ. ઘટકતત્વો બીજ સૂકું પ્રકાંડ કૂંપળ
(ઓવનડ્રાય) (ઓવનડ્રાય)
શુષ્ક વજનના મિગ્રા.માં
પ્રમાણમાં ટકાવારી
1. રાખ 1.20 3.30 700
2. સિલિકા 1.80
3. દ્રાવ્ય ક્ષારો 6.00
4. લિગ્નિન 30.10
5. સેલ્યુલોઝ 57.60
6. હેમિસેલ્યુલોઝ
7. પેન્ટોઝિન્સ 19.00
8. પ્રોટીન 11.80 2300
9. ચરબી 0.60 200
10. કાર્બોદિત પદાર્થ 75.40 6600
11. રેસા 1.70 500
12. કૅલ્શિયમ 0.33
13. ફૉસ્ફરસ 0.41
14. લોહ 0.4
15. પ્રજીવકો (vitamins)
બીટા કૅરોટિન 2.00
થાયેમિન 0.15
નાયેસિન 0.60
એસ્કૉર્બિક ઍસિડ 4.00
રાઇબોફ્લેવિન 0.70
16. HCN 0.03 %

ઉપયોગ : વાંસની કુમળી ફૂટો (2.54 સેમી. વ્યાસ અને 37.5 સેમી. લાંબી) ભારત અને ચીનમાં ખોરાક તરીકે વપરાય છે. આ ફૂટ સ્વાદમાં તૂરી હોવા છતાં બે વખત પાણીમાં બાફીને તેમાં મીઠું અને માખણ ભેળવતાં એક સ્વાદિષ્ટ શાકભાજી પૂરી પાડે છે. વાંસની ફૂટો અથાણા તરીકે અને કઢી બનાવવામાં પણ વપરાય છે. વાંસનું લાકડું ઘરવખરીનાં ફર્નિચરમાં, ખોખાના પૅકિંગમાં, સ્ત્રીઓનાં ઘરેણાંમાં તેમજ બાંધકામની કામગીરીમાં વપરાય છે. વાંસનો વણાટ-ઉદ્યોગ દોરડાં બનાવવા અને વાસણ બનાવવા માટે થાય છે. પાનનો ઘાસચારા તરીકે અને થડનો ઉપયોગ કાગળ-ઉદ્યોગમાં થાય છે. તેનાં મૂળમાંથી મેળવેલ તેલનો ઉપયોગ ખાસ કરીને પેટ, યકૃત, બરોળ અને જઠરની ગાંઠ માટે થાય છે. વાંસમાંથી ઝરતો સિલિસિયસ સ્રાવ શ્વાસરોગ, શરદી અને ડાયાબીટિસના દરદમાં ઉપયોગી છે. એકલા અમેરિકામાં વાંસની આયાત 6 કરોડ ડૉલર પ્રતિ વર્ષ થાય છે.

વાંસમાં જે પાણી વળે છે તેમાંથી વંશલોચન (વાંસકપૂર) થાય છે. આયુર્વેદ અનુસાર નક્કર વાંસ ખાટો, તૂરો, કડવો, શીતલ, સારક, સ્વાદુ, બસ્તિશોધક, છેદન અને ભેદક છે. તેનો કફ, પિત્ત, રક્તદોષ, કોઢ, સોજો, વ્રણ, મૂત્રકૃચ્છ્ર, પ્રમેહ, અર્શ અને દાહમાં ઉપયોગ કરવામાં આવે છે. પોલા વાંસ દીપન, રુચિકારક, પાચક અને હૃદ્ય છે અને અર્જીણ, શૂળ તથા ગુલ્મનો નાશ કરે છે. બાકીના ગુણો નક્કર વાંસના જેવા હોય છે. કુમળા વાંસ અને કંદ તીખા, કડવા, ખાટા, તૂરા, લઘુ, શીતલ અને રુચિકર હોય છે અને પિત્ત, રક્તદોષ, દાહ, મૂત્રકૃચ્છ્ર તથા ત્રિદોષનો નાશ કરે છે. વાંસનાં બીજ તૂરાં, મધુર, રૂક્ષ, પૌદૃષ્ટિક, વીર્યકર તથા બલકર હોય છે. તેઓ કફ, પિત્ત અને પ્રમેહનો નાશ કરે છે. વંશલોચન રૂક્ષ, તૂરું, મધુર, શીત, રક્તશુદ્ધિકર, શુભાવહ, ગ્રાહક, ધાતુવર્ધક, વૃષ્ય તથા બલકર છે. તેનો કાસ, શ્વાસ, ક્ષય, રક્તપિત્ત, અરુચિ, કોઢ, જ્વર, કમળો, પાંડુરોગ, દાહ, તૃષા, વ્રણ અને મૂત્રકૃચ્છ્રમાં ઉપયોગ થાય છે. તે વાયુ અને પિત્તનો નાશ કરે છે.

હરસમાં વાંસનાં પાનના ક્વાથમાં દરદીને અવગાહન કરાવવામાં આવે છે. વાંસની જડ દૂધમાં વાટીને પાવાથી કૂતરાનું ઝેર ઊતરી જાય છે. આંખના દુખાવામાં વાંસના મૂળની રસક્રિયા મધમાં ઘસીને આંખમાં આંજવામાં આવે છે. વાંસનાં પાન આર્તવ રોગ મટાડે છે.

વાંસનો ઉપયોગ મૂત્રાઘાતમાં, શરીરમાં પારો રહે તો તેમાં, રક્તજન્યદાહ અને બહુમૂત્રરોગ પર, બાળકની ઉધરસમાં તેમજ દમમાં કરવામાં આવે છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ, સુરેશભાઈ યશરાજભાઈ પટેલ, ભાલચંદ્ર હાથી