વસન્તોત્સવ (પ્ર. આ. 1905) : ગુજરાતી કવિ ન્હાનાલાલ દલપતરામ (1877-1964)નું આશરે 2000 પંક્તિઓમાં લખાયેલું કથાકાવ્ય. તેમાં વસન્તના મ્હોરતા પ્રભાતે પ્રથમ મોરલી સાથે એક યુવક નામે રમણનો પ્રવેશ થાય છે અને એ જ સમયે સખીવૃન્દ સાથે એક યુવતી નામે સુભગા પણ ત્યાં આવી પહોંચે છે. રમણ એક હીંચકા પર હીંચતો હોય છે ત્યાં લતામંડપમાં સુભગા તેની સખી વિલસુ સાથે તેને મળે છે. આ પૂર્વે બાલ્યાવસ્થા, કિશોર-કૌમાર્યાવસ્થા અને હવે યુવાવસ્થા દરમિયાન રમણ, સુભગા, સૌભાગ્ય અને વિલસુ સહુ સાથે કાળ વિતાવે છે. આ કાળનિર્ગમન દરમિયાન રમણ-સુભગા અને સૌભાગ્ય-વિલસુ વચ્ચે સ્નેહ પાંગરે છે. કથામાં ભૂતકાલીન સંપર્કદૃશ્યોના અછડતા ઉલ્લેખો સાથે વર્તમાનમાં યુવાનીના ઉંબરે પગ મૂકી ચૂકેલાં એ બે પ્રેમીયુગલોની પ્રણયવાતો અને પ્રણયચેષ્ટાઓ દ્વારા કવિએ તેમનામાં ઉદ્ભવેલા સ્નેહને દૃઢાવ્યો છે. આ બે યુગલોનાં અરસપરસનાં આકર્ષણમાં વાસંતી પ્રકૃતિએ ઉદ્દીપનનો ભાગ ભજવ્યો છે. એમનો સ્નેહ સાત્ત્વિકતાપ્રધાન છે અને અમીટ રહેવા સર્જાયેલો છે.

સખીઓ સાથેના સંવાદમાંથી અને આ બે યુગલોની અરસપરસની ગોષ્ઠિમાંથી એમનો સ્નેહપરાગ સુગંધ ફેલાવે છે અને સમગ્ર કાવ્યને એ પ્રફુલ્લિત અને પરિમલિત કરે છે. કાવ્યમાં આ બે યુગલો વચ્ચેના સ્નેહને વિકસતો દર્શાવવાને બદલે લગભગ વિકસિત રૂપે જ નિરૂપાયો છે. કાવ્યનો આરંભ ‘ગુલછડી સમોવડી / એક બાલિકા હતી’ – એ બે પંક્તિઓમાંના ભૂતકાળથી થાય છે, અને અંત ‘રસ, જ્ઞાન, આનન્દ, / પ્રેમ, પૂજા, પ્રભુતાનાં / સુધાકિરણવન્તી ચન્દ્રિકામાં – જગત ન્હાવા લાગ્યું.’  એમ વર્તમાનકાળમાં આવે છે. આ કાલભેદ અહીંનાં બંને પ્રણયી યુગલોની ભૂતકાળથી શરૂ કરીને વર્તમાનકાળની સ્નેહયાત્રાનો સૂચક બની રહે છે. આમ, સમગ્ર કથામાં પ્રેમના વિકસનના નિરૂપણ કરતાં કવિએ પ્રેમના પ્રકાશનના નિરૂપણ પર પોતાનું લક્ષ કેન્દ્રિત કર્યું છે. મયૂર, બપૈયો, કોકિલ વગેરે પંખીઓના મધુર ધ્વનિ, વિવિધ ઋતુજન્ય પુષ્પોનો પમરતો પરાગ, વસન્ત, વર્ષા, શરદ આદિ ઋતુઓનાં પ્રેમોદ્દીપક વર્ણનો આ પ્રેમકથાનાં પાત્રોના હૃદયભાવને વિવશ કરે છે અને વિવૃદ્ધ કરે છે.

સમગ્ર કથામાં સ્નેહલગ્નની સુગંધ મહોરી રહે છે, પણ દેહલગ્નની દોરી સંધાતી દેખાતી નથી. જોકે આ કોઈ સફળ અને સાચાં પ્રેમીઓની નિષ્ફળ અને કાચી પ્રેમકથા નથી, બલકે દેહલગ્નના મહિમાથી મૂઠી ઊંચેરી આત્મિક સ્નેહલગ્નની ભાવનાકથા છે. હા, લગભગ કાવ્યાન્તે રમણના બાહુપાશમાં લપેટાઈ ગયેલી સુભગાના દૃશ્ય પછી પંક્તિઓ આવે છે : ‘પ્રિયે ! દશબાર દિવસમાં / બાબુ – આવશે : / ત્હમારાં ને વિલસુબ્હેનનાં પ્રભુમન્દિરે.-’ અહીં બાબુ એટલે કે પુરોહિતના આગમનની આગાહી દ્વારા વિધિવત્ દૈહિક લગ્નનું સૂચન અવશ્ય છે, પરન્તુ કાવ્યમાં ક્યાંય રમણ-સુભગ કે સૌભાગ્ય-વિલસુનાં દૈહિક લગ્નની પાર્થિવ ક્રિયા નિરૂપાઈ નથી.

જીવનમાં દેહલગ્ન અને સ્નેહલગ્નની ભાવનાત્મક મીમાંસાનો ન્હાનાલાલનો ઉઘાડ આમાં સ્પષ્ટતયા જોઈ શકાય છે. પોતાની 21 વર્ષની ઉંમરે શરૂ કરેલું અને પૂરું કરેલું આ કાવ્ય પ્રથમ 1899માં ‘જ્ઞાનસુધા’ સામયિકમાં પ્રકટ થયું ત્યારે અનેક સાહિત્યરસિકો અને સાહિત્યવિવેચકોનું ધ્યાન તેણે ખેંચ્યું હતું. છંદોવિધાનનું પ્રભુત્વ તો ન્હાનાલાલને ગળથૂથીમાં મળ્યું હતું, પરંતુ ત્યારે મિલ્ટનના ‘પૅરેડાઇસ લૉસ્ટ’ના ‘બ્લૅન્ક વર્સ’ની ધાટીનું પદ્યસ્વરૂપ શોધવા તેઓ મથી રહ્યા હતા. એમનો સમૃદ્ધ ભાષાવૈભવ અને સમુત્કટ કલ્પનોડ્ડયનો માટે નિશ્ચિત છંદોવિધાન એમને પોતાની અભિવ્યક્તિમાં અંતરાયરૂપ લાગતું હતું. એમણે નોંધ પણ કરી, ‘કાવ્યદેહનું કલેવરવિધાન મીટર નહિ, રિધમ છે  છંદ નહિ, ડોલન છે’. એમની સમજ અને શોધની પ્રથમ પરિણતિ તે ‘વસંતોત્સવ’ કથાકાવ્યની શૈલીરીતિ. ડોલનપ્રધાન શૈલીના તેમના ચૈતસિક તીવ્ર ખેંચાણે એમને છંદોમુક્તિ તરફ વાળ્યા. એમણે આ કાવ્યમાં ખપમાં લીધેલી અભિવ્યક્તિની રીતિને એક પ્રકારની ડોલનપ્રધાન ગણી ‘ડોલનશૈલી’ નામાભિધાન કર્યું, જેને તત્કાલીન સાહિત્યકારો-સાક્ષરોએ ‘રાગબદ્ધ’ કે પછી ‘સાન્દોલ ગદ્ય’ કહ્યું અને ખબરદાર જેવાએ તેને ‘અપદ્યાગદ્ય’ કહ્યું. એ ‘અપદ્ય’ છે; પણ એને ‘અગદ્ય’ કહી શકાશે નહિ, કારણ કે વિશેષ પ્રકારનું કે પ્રયુક્તિનું એ ગદ્ય જ છે. આમ, ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ‘વસન્તોત્સવ’ એની રચનાશૈલીને કારણે સીમાચિહનરૂપ કૃતિ છે અને પારિભાષિક અર્થમાં એ ‘ગદ્યકાવ્ય’નો પૂર્વાવતાર છે. એમાં, અલબત્ત, માત્રામેળના પંક્તિખંડો કે દેશીઓ અવશ્ય આવે છે.

એમાંનાં શબ્દવ્યુત્ક્રમો, તિર્યક્ વાક્યગુચ્છો, વક્તૃત્વછટાની તરકીબો, વિશિષ્ટ શબ્દભાર અને વાક્યભાર – આ બધું ‘વસંતોત્સવ’ના શૈલીસ્વરૂપને આગવું વ્યક્તિત્વ બક્ષે છે. ન્હાનાલાલે એને ડોલનશૈલી કહી તેમાં ‘શૈલી’ શબ્દની એમની સભાનતા છંદોમુક્ત વિશિષ્ટ અભિવ્યક્તિની રીતિની સમ્યક્ પરિચાયક છે. આ કાવ્યની લગભગ 2,000 પંક્તિઓમાં ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, અર્થાન્તરન્યાસ, વર્ણસગાઈ, યમક, અન્ત્યાનુપ્રાસ આદિ અર્થાલંકારો અને શબ્દાલંકારોનું પ્રમાણ નહિ નહિ તોય 35 ટકા જેટલું થવા જાય છે. આથી આ કાવ્યમાંનું અલંકારપ્રાચુર્ય, વાગાડંબર, અત્યુક્તિભર્યાં પ્રાકૃતિક વર્ણનો આદિથી કાવ્યનો કથાપ્રવાહ કુંઠિત થાય છે. કથાકાવ્ય લખનાર પાસે જે વસ્તુલક્ષી સર્જકપ્રતિભા જોઈએ તેમાં ન્હાનાલાલ ઊણા ઊતરે છે તે સર્વવિદિત સત્ય આ કથાને આદર્શ કથાકાવ્ય બનતું રોકે છે. એમાં ન્હાનાલાલનાં ભવ્ય કલ્પનોડ્ડયનો અને ભાવનાત્મક વિચારતરંગો તેના આકર્ષણનું કેન્દ્ર બને છે. તો એમાં વચ્ચે ગૂંથાયેલાં છ ગીતો પણ નોંધપાત્ર છે.

મૂળ તો ઍલ્ફ્રિડ ટેનિસનના લગભગ 1,000 લીટીના કથાકાવ્ય ‘ઇનૉક આર્ડન’નો આદર્શ આ કૃતિની રચનાસંઘટના માટે એમની પાસે રહેલો છે, અને મિલ્ટનના ‘બ્લૅન્ક વર્સ’ની રીતિ આ કાવ્યની અભિવ્યક્તિ માટે આકર્ષણરૂપ રહેલી છે. પરંતુ આ બંને ન્હાનાલાલની સર્જકપ્રતિભા સમક્ષના આદર્શો નિષ્ફળ નીવડ્યા છે. ‘ઇનૉક આર્ડન’નાં ત્રણ પાત્રો – ઇનૉક, ફિલિપ અને એની – બાળવયનાં પ્રેમીઓ છે અને જે પ્રણયત્રિકોણ રચાય છે તેનો અંત અવસાદમૂલક આવે છે; જ્યારે અહીં ‘વસંતોત્સવ’માં પ્રણયત્રિકોણ નહિ; બલકે તેને સ્થાને બે પ્રેમીયુગલો છે અને દેહલગ્ન નહિ, પણ સ્નેહલગ્નની ભૂમિકાએ એનો અંત આનન્દમૂલક છે. ‘પૅરેડાઇસ લૉસ્ટ’ના ‘બ્લૅન્ક વર્સ’(પ્રાસમુક્ત પદ્ય)ને સ્થાને આ કાવ્યમાં પદ્યમુક્તિનો માતબર પ્રયત્ન થયો છે. આમ, ‘વસંતોત્સવ’ કાવ્યના કથાવસ્તુની બાબતે અને તેની અભિવ્યક્તિના માધ્યમની બાબતે ન્હાનાલાલ ઊફરા ચાલ્યા હોવા છતાં પણ એમની તેજસ્વી સર્જકપ્રતિભાને કારણે ‘વસંતોત્સવ’ દ્વારા ગુજરાતી કવિતાસાહિત્યમાં એક નવું પરિમાણ ઉમેરી શક્યા છે. ‘વસંતધર્મી’ આ કવિએ કાવ્યના શીર્ષક માટે જે સામાસિક શબ્દ પસંદ કર્યો છે તેમાં મનુષ્ય જીવનમાં આત્માનો વિશુદ્ધ સ્નેહ અને એવા સ્નેહીઓનું મિલન એ જીવનનો ‘વસંતોત્સવ’ છે એમ પ્રતીત કરાવ્યું છે.

ધીરુ પરીખ