લિન્ડા બી. બક (જ. 29 જાન્યુઆરી 1947, સીએટલ) : 2004ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન વિજ્ઞાની. તેમણે પીએચ.ડી.ની પદવી 1980માં પ્રતિરક્ષાવિજ્ઞાન(immunology)માં યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસ સાઉથ-વેસ્ટર્ન મેડિકલ સેન્ટરમાંથી પ્રાપ્ત કરી. ઍક્સલ અને બક સાથે 1980ના દસકામાં કોલંબિયા યુનિવર્સિટીમાં કાર્ય કર્યું; જ્યાં ઍક્સલ પ્રાધ્યાપક હતા અને બક તેમના પોસ્ટ-ડૉક્ટરલ વિદ્યાર્થિની હતાં. બક હૉવર્ડ હ્યુઝીસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં વિવિધ પદ ઉપર રહ્યાં. તેમણે 1984થી 2002 સુધી હૉવર્ડ મેડિકલ સ્કૂલમાં સેવા આપી અને ત્યાર પછી તે ફ્રૅડ હચિન્સન કૅન્સર ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયાં.

બક અને ઍક્સલે 1991માં સીમાચિહનરૂપ સંશોધનપત્ર સંયુક્તપણે પ્રકાશિત કર્યું. તેમણે ઉંદરો પર પ્રાયોગિક સંશોધનો કરી કાઢેલાં તારણો આ પ્રમાણે છે : ઉંદરમાં લગભગ 1000 જેટલા ઘ્રાણગ્રાહીઓ (olfactory receptors) હોય છે. તેઓ વિશિષ્ટ પ્રકારનાં પ્રોટીનો છે; જે હવામાં તરતા ગંધકારી (odorant) અણુઓને પારખે છે અને સંકેતો(signals)નું નિર્માણ કરે છે. આ સંકેતોનું મગજ દ્વારા અર્થઘટન થાય છે અને ગંધની સંવેદના અનુભવાય છે. 1000 જેટલાં જનીનોનો સમૂહ ઘ્રાણગ્રાહીઓનું સંશ્લેષણ કરે છે. પ્રત્યેક ઘ્રાણગ્રાહી કોષ એક જ ઘ્રાણગ્રાહી જનીનને અભિવ્યક્ત કરે છે અને કેટલાક સંબંધિત ગંધયુક્ત પદાર્થો સાથે જ પ્રતિક્રિયા કરે છે. પ્રત્યેક ગ્રાહી કોષ (receptor cell) એક જ પ્રકારના ઘ્રાણગ્રાહીઓ ધરાવે છે, જે નિશ્ચિત પ્રકારની ગંધને પારખે છે. એક જ પ્રકારની ગંધ પારખતા ઘ્રાણગ્રાહી કોષો મગજના ચોક્કસ વિસ્તારમાં પરસ્પર જોડાયેલા હોય છે. મોટા ભાગની ગંધ કેટલાક પ્રકારના ગંધકારી અણુઓની બનેલી હોય છે. મગજ કેટલાક ગંધગ્રાહીઓની માહિતીનું સંયોજન વિશિષ્ટ ભાતમાં કરે છે, તેથી કોઈ ચોક્કસ ગંધની લાગણી થાય છે.

બી. બક લિન્ડા

ગંધ અંગેની સંવેદના વાસ્તવમાં ઉંદર, મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાં સમાન હોય છે. મનુષ્યમાં માત્ર 350 પ્રકારના કાર્યશીલ ઘ્રાણગ્રાહીઓ હોય છે; જે ઉંદર કરતાં લગભગ 2 જેટલા છે. મનુષ્યમાં ઘ્રાણગ્રાહીઓનું સંકેતન કરતાં જનીનો કુલ માનવજનીનોના માત્ર 3 % જેટલાં જ છે. ઉત્ક્રાંતિ દરમિયાન, અન્ય સંવેદનાઓ કરતાં ગંધની સંવેદના મનુષ્યના અસ્તિત્વ માટે ઓછી મહત્વની બનવાને કારણે કેટલાંક ઘ્રાણગ્રાહી જનીનો કાળક્રમે લુપ્ત થયાં છે. જોકે અન્ય પ્રાણીઓમાં ગંધની સંવેદના તેમના અસ્તિત્વ માટે વધારે મહત્વની પુરવાર થઈ હતી.

રિચાર્ડ ઍક્સલ અને લિન્ડા બકને 2004માં સંયુક્તપણે ઉપર્યુક્ત સંશોધનો માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

તેમનાં સંશોધનો માનવ ફેરોમોન(pheromone)ના સંભવિત અસ્તિત્વ વિશે વૈજ્ઞાનિક રસ ઉત્પન્ન કર્યો છે. ફેરોમોન એવો ગંધકારી અણુ છે; જે જાતીય પ્રવૃત્તિ અને અન્ય કેટલીક વર્તણૂકોને ગતિમાન કરે છે.

બળદેવભાઈ પટેલ