લમેત્ર જ્યૉર્જ (જ. 1894, બેલ્જિયમ; અ. 1966, બેલ્જિયમ) : વિશ્વની ઉત્પત્તિનો સિદ્ધાંત એટલે કે મહાવિસ્ફોટ(big-bang)ની ઘટનાનું સૂચન કરનાર ખ્યાતનામ બેલ્જિયન બ્રહ્માંડવિદ (cosmologist). યુ.એસ.ના ખગોળવિદ એડ્વિન હબલે દર્શાવ્યું કે વિશ્વ હરદમ વિસ્તરતું જાય છે, પણ લમેત્રે જણાવ્યું કે વિશ્વની ઉત્પત્તિ મહાવિસ્ફોટથી થઈ અને ત્યારબાદ તેનું નિરંતર વિસ્તરણ ચાલુ રહ્યું છે. મહાવિસ્ફોટનો સિદ્ધાંત હવે વ્યાપક રીતે સ્વીકૃત બનતો જાય છે.

રશિયન ગણિતજ્ઞ ઍલેક્ઝાંડર ફ્રીડમાને આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સમીકરણના ઉકેલ વડે બ્રહ્માંડકીય (વૈશ્ર્વિક  cosmological) પરિરૂપોનો સમૂહ આપ્યો. લમેત્ર અને ફ્રીડમાનનાં સંશોધનાત્મક પરિણામો લગભગ એકસરખાં, પણ બંનેએ સ્વતંત્ર રીતે લગભગ 1925ની આસપાસ મેળવ્યાં. આ સમયે લમેત્ર ફ્રીડમાનના સંશોધનકાર્યથી તદ્દન અજ્ઞાત હતા. આ સાથે લમેત્રે ગાણિતિક સૂત્રોનો વાસ્તવિક વિશ્વ સાથે સુમેળ સાધવાનો પ્રયાસ કર્યો. તેમના આ પરિણામ પ્રત્યે કેટલાય સમય સુધી કોઈએ ધ્યાન આપ્યું નહિ; જે એક દુ:ખદ બાબત ગણાઈ. પછી તેમણે પોતાનાં સંશોધનાત્મક પરિણામો બેલ્જિયમના ઓછા જાણીતા સામાન્ય સામયિકમાં પ્રગટ કરવાનું પસંદ કર્યું. તે પછી સારા એવા સમય સુધી તેમણે તેમના વિચારોને જરૂરી વેગ આપ્યો નહિ.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) દરમિયાન લમેત્રનું કામ અને કારકિર્દી ખોરંભે પડ્યાં. હબલની બાબતે પણ આમ જ બન્યું હતું, પણ લમેત્ર ઉપર યુદ્ધની ઝાઝી અસર થઈ હતી. લમેત્રે લૂવાં(Louvain)ની કૅથલિક યુનિવર્સિટીમાં રહીને ઇજનેરીનો અભ્યાસ શરૂ કર્યો, પણ 1914ના ઑગસ્ટમાં જ્યારે જર્મન લશ્કરે બેલ્જિયમ ઉપર ચડાઈ કરી ત્યારે તે સ્વૈચ્છિક રીતે લશ્કરમાં જોડાયા અને તે પોતે લડનારાઓની અગ્ર-હરોળમાં રહ્યા હતા. પરિણામે ‘Croix de Guerre avec palmes’ સંમાનથી તેમને નવાજવામાં આવ્યા હતા. 1919માં પોતે પોતાનો અભ્યાસ ફરીથી ચાલુ કર્યો. આ સમયે તે ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના સઘન અભ્યાસ તરફ વળ્યા. 192૦માં ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. ત્યારપછી તે પાદરીઓને શિક્ષણ આપી તૈયાર કરતી શાળા(seminary)માં જોડાયા અને 1923માં તેમને પાદરી તરીકેની દીક્ષા આપવામાં આવી. પણ તેમણે નોખા દેવળના પાદરી તરીકેનો હોદ્દો ધારણ કર્યો નહિ અને પાદરી તરીકેની કોઈ પ્રવૃત્તિ કરી નહિ;  કારણ કે તેમને વૈજ્ઞાનિક સંશોધનમાં વધારે રસ હતો. 1936માં તેઓ પૉન્ટિફિકલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝના સભ્ય બન્યા. 196૦માં તેઓ આ સંસ્થાના પ્રમુખ બન્યા અને પોતાના અવસાન સુધી તેમણે આ સંસ્થાને સેવા આપી. સેમિનરી છોડ્યા બાદ તેઓ એક વર્ષ કેમ્બ્રિજમાં રહ્યા અને આર્થર એડિંગ્ટન સાથે સંશોધનકાર્ય કર્યું. તે પછી તે યુ.એસ. ગયા અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં શૅપ્લી સાથે કાર્ય કર્યું. ત્યાંથી ખગોળવિદ્યામાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તે પછી તેમણે ફિલફર અને હબલની મુલાકાત તેમની જ વેધશાળાઓમાં લીધી. લમેત્રને ખાસ કરીને સાપેક્ષતાના સિદ્ધાંતને વાસ્તવિક વિશ્વના વર્ણન પરત્વે પ્રયોજવામાં વધુ રસ હતો. તે સમયે અભિરક્ત વિસ્થાપન (redshift) અને અવકાશીય પદાર્થોના અંતરના માપનનું મહત્વ વધારે હતું. હબલે જ્યારે ઍન્ડ્રૉમિડા નિહારિકામાં સીફીઇડ (Cepheid) ઉપરના સંશોધનલેખનું વાચન કર્યું ત્યારે લમેત્રે ત્યાં હાજરી આપી હતી.

લમેત્ર સંશોધન માટે બેલ્જિયમની બહાર ગયા ત્યારે તે ગાણિતિક ભૌતિકશાસ્ત્રી હતા અને પરદેશથી પરત થયા બાદ તે પૂરતા અનુભવ સાથે બ્રહ્માંડવિદ (cosmologist) તરીકે વતનમાં આવ્યા. ત્યારબાદ તેઓ 1927માં લૂવાંમાં ખગોળવિદ્યાના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. આ વર્ષે તેમણે વિસ્તરતા વિશ્વ ઉપર પ્રશિષ્ટ (classical) સંશોધનલેખ પ્રગટ કર્યો.

લમેત્ર અને ફ્રીડમાને લગભગ એક જ કામ કર્યું, પણ જુદા અભિગમ સાથે. ફ્રીડમાન વ્યાપક સાપેક્ષતાનાં સૂત્રોનો ઉપયોગ કરીને વિશ્વનો તાગ મેળવવા પ્રયત્ન કરતા હતા ત્યારે લમેત્ર ખગોળવિદ તરીકે વાસ્તવિક વિશ્વનું વર્ણન કરવામાં મગ્ન હતા. ફ્રીડમાનના સંશોધનલેખમાં ‘તારાવિશ્વ’ (galaxy) શબ્દનો ઉલ્લેખ થયો નથી, જ્યારે લમેત્રના લેખમાં થયો છે. લમેત્રે વિસ્તરતા વિશ્વની વાત કરી, જેમાં અવકાશ બહારની તરફ ખેંચાય છે, પરિણામે સમય પસાર થતાં તારાવિશ્વો દૂર દૂર જાય છે; તેથી દૂર જતાં તારાવિશ્વોના પ્રકાશમાં અભિરક્ત વિસ્થાપન પેદા થાય છે.

1927ના સંશોધનલેખમાં લમેત્રે અભિરક્ત વિસ્થાપન અને અંતર વચ્ચે સંબંધ સ્થાપિત કર્યો. તેમાં આવતા સપ્રમાણતાના અચળાંકનું મૂલ્ય પણ મેળવ્યું. આ મૂલ્ય 625 કિલોમીટર/સેકન્ડ/મેગા પારસેક જેટલું છે. જે ગૅલેક્સી 1 mpc દૂર હોય તે 625 કિલોમીટર / સેકન્ડની ઝડપે દૂર જતી હોય છે. જે ગૅલેક્સી 2 mpc દૂર હોય તે 1,25૦ કિમી./સે.ની ઝડપે દૂર જાય છે. આ અચળ સંખ્યા ક્યાંથી અને કેવી રીતે આવી તેની કોઈ સ્પષ્ટતા લમેત્રે કરી નથી; પણ એટલું નક્કી છે કે તે બે વર્ષ બાદ હબલે આપેલ સંખ્યાની તદ્દન નજીક છે.

1927ની વસંતઋતુમાં લમેત્ર ફરીથી યુ.એસ. ગયા. ત્યાં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ-વિધિ પૂરી કરી. ત્યારબાદ લૂવાંમાં પ્રાધ્યાપકનું પદ ગ્રહણ કર્યું.

કમનસીબી તો એ છે કે 1927માં લખાયેલ લમેત્રના આ લેખને બદલે 1929માં હબલે લખેલો લેખ ‘ખગોળવિદ્યાના સમાજમાં’ સ્વીકૃત બન્યો અને તે સંખ્યાને હબલ-અચળાંક તરીકે હવે ઓળખવામાં આવે છે.

પ્રહલાદ છ. પટેલ