મુંદ્રા (તાલુકો) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મહત્ત્વનું બંદર.

ભૌગોલિક સ્થાન : તે 22 5´ ઉ. અ. અને 59 56´ પૂ. રે. પર સ્થિત છે.  તેનો વિસ્તાર આશરે 1098 ચો.કિમી. છે. તેની ઉત્તરે ભુજ, પૂર્વમાં અંજાર, દક્ષિણે કચ્છનો અખાત અને પશ્ચિમે માંડવી તાલુકાઓ આવેલા છે. તાલુકામાં મુંદ્રા શહેર અને 60 ગામડાં આવેલાં છે. પશ્ચિમે માંડવી અને પૂર્વે અંજાર વચ્ચેનો આ પ્રદેશ ‘કંઠી’ તરીકે ઓળખાય છે. તે સમુદ્રસપાટીથી 14 મીટર ઊંચાઈએ આવેલો છે.

ભૂપૃષ્ઠ : સામાન્ય રીતે આ પ્રદેશ સમતળ અને સૂકો છે. તાલુકાનો ઢોળાવ સમુદ્રકિનારા તરફનો છે. આ તાલુકાના સમુદ્રકિનારાની લંબાઈ આશરે 75 કિમી. છે. સમુદ્રકાંઠે ઊંડાઈ 9થી 16.5 મીટર છે. કોઈક જગ્યાએ 15થી 32 મીટર પણ છે. તાલુકાનો દરિયાકાંઠો ઊંચાણવાળો અને રેતાળ છે. ઉત્તરનો ભાગ સપાટ અને ફળદ્રૂપ મેદાની છે. તેની પહોળાઈ સ્થાનભેદે 32થી 48 કિમી. જેટલી છે. ઉત્તર સરહદે વાગડ પ્રદેશની નાની ટેકરી આવેલી છે. આ તાલુકામાં ખાત્રોડની ટેકરીઓમાંથી નીકળતી ભૂખી નદીનો વહનમાર્ગ આશરે 40 કિમી. છે. આ નદીકાંઠે રોહા, જાંબુડી, ચાકર, બંધારા, પત્રી, લખપુર, ગામડાં અને મુંદ્રા શહેર આવેલું છે. મુંદ્રા નજીક કેવડી નદીનો ભૂખી નદી સાથે સંગમ થાય છે. અંતે ભૂખી નદી મુંદ્રા પાસે  કચ્છના અખાતને મળે છે. આ ઉપરાંત ફાણ અને નાગમતી પણ વાગડની ટેકરીઓમાં ઉદગમ પામે છે. આ તાલુકાની મુખ્ય ત્રણ નદીઓ એક બીજાને સમાંતર વહીને કચ્છના અખાતને મળે છે. ફાણ નદી અને નાગમતીની લંબાઈ અનુક્રમે 35 કિમી. અને 40 કિમી. જેટલી છે. આ નદીઓ હંગામી છે.

આબોહવા – વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : આ તાલુકાની આબોહવા બારેમાસ સૂકી, ગરમ રહે છે. વાતાવરણ હંમેશાં ધૂળિયું રહે છે. ઉનાળામાં માર્ચથી જૂન માસમાં મહત્તમ તાપમાન 40 સે. અને લઘુતમ તાપમાન 25 સે.થી 30 સે. રહે છે. શિયાળો પ્રમાણમાં મધ્યમ એટલે કે તાપમાન ખૂબ નીચું અનુભવાતું નથી. મહત્તમ તાપમાન 25 સે.થી 30 સે. જ્યારે લઘુતમ તાપમાન 10 સે.થી 15 સે. રહે છે. સમુદ્રકિનારે આવેલો હોવા છતાં વરસાદની માત્રા 500 મિમી.થી 600 મિમી. રહે છે. દરરોજ સાંજ પછી અહીંનું વાતાવરણ આહલાદક રહે છે.

આ તાલુકાની ઉત્તરે કચ્છનું રણ અને દક્ષિણે સમુદ્ર આવેલાં છે. પરિણામે અહીં ઘાસનાં મેદાનો અને કાંટાવાળી વનસ્પતિ જોવા મળે છે. અહીં કાંટાવાળા બાવળ, ગાંડો બાવળ, આવળ, બોરડી, કેરડાં, ચણીબોર, ગૂગળી જેવાં વૃક્ષોનું પ્રમાણ અધિક છે. આ ઉપરાંત ‘રાખાલ’ તરીકે ઓળખાતા ઘાસનાં બીડો પણ આવેલાં છે.

આ તાલુકામાં સસ્તન વન્ય પ્રાણીઓમાં ચિંકારા, વરુ, શિયાળ, જરખ, બિલાડી, સસલાં જોવા મળે છે. પક્ષીઓના સંદર્ભમાં જોઈએ તો 178 પ્રજાતિનાં પક્ષીઓ રહેલાં છે. આ સિવાય કાંચીડા, સાપ, ગરોળી જેવાં સરીસૃપો પણ છે. સમુદ્રકિનારે સામુદ્રિક જીવોનું પ્રમાણ અધિક છે. વિવિધ પ્રકારના મત્સ્ય, કરચલા પણ જોવા મળે છે.

ખેતી અને પશુપાલન : અહીં ખેતીકીય પાકોમાં ઘઉં, જુવાર, બાજરી, મગ, મગફળી, એરંડા અને કપાસ મુખ્ય છે. વરસાદની માત્રા મર્યાદિત છે. કોઈ પણ નદી બારમાસી નથી, આથી ખેતીનો આધાર કૂવાના પાણી પર રહેલો છે. તાલુકામાં બીજકેન્દ્રો અને ફળવિકાસ કેન્દ્રો આવેલાં છે. ફળવિકાસ કેન્દ્રો દ્વારા ત્યાંના વાતાવરણને લક્ષમાં રાખીને બાગાયતી ખેતીમાં કેટલાંક ફળો ઉગાડવામાં આવ્યાં છે. જેમાં સફળતા મળી છે. તે ફળોમાં ખારેક, ચીકુ, દાડમ, કેરી, પપૈયાં, સક્કરટેટી અને નાળિયેર છે.

ઘાસનાં બીડો અને ખેતીના પૂળાને કારણે પશુપાલન પ્રવૃત્તિ વધુ વિકસી છે. અહીં કાંકરેજી, થરી અને પાગડી ઓલાદની ગાયો અને બળદ જોવા મળે છે. પાટણવાડિયા અને કચ્છી, મારવાડી ઘેટાં-બકરાંનું પ્રમાણ પણ ઘણું છે. અહીંની સ્થાનિક ઓલાદની ભેંસ તેમજ જાફરાબાદી દૂધ આપતી ભેંસ મહત્ત્વની લેખાય છે. આ સિવાય ઊંટ, ઘોડા, ઘેટાં-બકરાં પણ છે. મરઘા-બતકાંના ફાર્મ પણ આવેલા છે. અહીંના લોકોની આજીવિકાનો મુખ્ય આધાર ખેતી અને પશુપાલન પર અવલંબિત છે.

પરિવહન : આ તાલુકામાં પરિવહનની દૃષ્ટિએ જોઈએ તો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 41 મુખ્ય છે જે અંજાર અને માંડવીને સાંકળે છે. આ સિવાય રાજ્ય ધોરી માર્ગોમાં નં. 6, 48, 50 જે પડોશી તાલુકાઓમાં તાલુકામથકને સાંકળે છે. આ સિવાય જિલ્લા માર્ગો અને ગ્રામ્ય માર્ગો પણ આવેલા છે. આ તાલુકામાં રેલમાર્ગની લંબાઈ 30 કિમી. છે. રાજ્ય પરિવહનની બસો અને ખાનગી બસો, ટૅક્સીઓ પણ મળી રહે છે.

વસ્તી : આ તાલુકાની વસ્તી (2025 મુજબ) આશરે 1,53,219 છે. સાક્ષરતાનું પ્રમાણ 66% જેટલું છે. અહીં સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 927 મહિલાઓ છે. તાલુકામાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, અધ્યાપન મંદિર અને કૉલેજ છે. આ તાલુકામાં 63 ગામો તેમજ 45 ગ્રામપંચાયતો છે. જાણીતી શૈક્ષણિક સંસ્થાઓમાં આગાખાન સ્કૂલ, સેંટ ઝેવિયર્સ સ્કૂલ, કાર્લોક્સ પબ્લિક સ્કૂલ, ખોજા લાલજી પ્રાયમરી શાળા છે. 2001માં અદાણી ટ્રસ્ટ દ્વારા અદાણી પબ્લિક સ્કૂલ શરૂ કરવામાં આવી છે. CBSCનો અભ્યાસક્રમ સ્વીકાર્યો છે.

આ શહેરની મુખ્ય વાનગી દાબેલી અને કડક (Kadak) છે. અહીંના ખારવા લોકો હિંદુ પંચાગને અનુસરે છે. ‘નવા નરોજ’ (Nava Naroj) ઉત્સવની ઉજવણી કરીને નવા વર્ષે માછીમારો દરિયો ખેડવા જાય છે.

મુંદ્રા (શહેર) : મુંદ્રા જિલ્લાનું જિલ્લામથક અને શહેર.

આ શહેર 22 50´ ઉ. અ. અને 69 44´ પૂ. રે. પર આવેલું છે. આ શહેરની વસ્તી (2025 મુજબ) આશરે 36,281 છે. જેમાં 10,885 પુરુષ અને 9,453 મહિલા છે. આ શહેરનો વિસ્તાર 20.75 ચો.કિમી. છે.

આ શહેરની આસપાસ ખજૂરી, નાળિયેરી, આંબા, ચીકુડી, જમરૂખડી, પપૈયા તથા કેળના બગીચા આવેલા છે. આ શહેરમાં શાળા, હૉસ્પિટલ, હોટેલ ઉત્તમ પ્રકારની છે. અહીં આવેલા રેતીપટ જે પ્રવાસીઓને આકર્ષે છે. પ્રવાસન વિભાગે રેતીપટનો વિકાસ થાય તે માટે આયોજન પણ કર્યું છે. મુંદ્રા નગરપંચાયત હસ્તક 25 કિમી. લંબાઈ ધરાવતા રસ્તા છે. મુંદ્રા રેલવેસ્ટશનનો વિકાસ વધુ ઝડપથી થઈ રહ્યો છે. મુંદ્રા બ્રૉડગેજ રેલમાર્ગ જે ગાંધીધામને સાંકળે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 41, 8-A અને 15 તેમજ રાજ્ય ધોરી માર્ગ 6, 48, 51નો લાભ મુંદ્રાને મળ્યો છે. આ સિવાય ગ્રામ્ય અને જિલ્લામાર્ગો સાથે પણ સંકળાયેલ છે.

શાંતિનાથ મહાદેવ મંદિર

મુંદ્રામાં જોવાલાયક પ્રાચીન સ્થાપત્યોમાં શાંતિનાથ મહાદેવ મંદિર, કાચના છતવાળી બુખારી પીરની દરગાહ, જીવાજી ગુરુના શિષ્ય હંસગર મહારાજનાં પગલાં ધરાવતી ઘુમ્મટવાળી કલાત્મક છત્રી (1740) છત્રી નજીક વહાણવટીઓના પાળિયા પણ છે. જૈન સાધુની પાદુકા આરસની છે. દરિયાલાલ મંદિર, નવલખા બંગલો, સ્વાલીની પોળ, આંચલ ગચ્છા, શીતલનાથ મંદિર, બારોઈ પાસે આવેલું નીલકંઠ મહાદેવનું મંદિર, પુસ્તકાલયો જાણીતાં છે.

કાચના છતવાળી બુખારી પીરની દરગાહ

2001માં ગુજરાતમાં અનુભવાયેલા ભૂકંપને કારણે આ નગરને ઓછું નુકસાન થયું હતું.

આ નગરમાં ભારત સૉલ્ટ ઍન્ડ કેમિકલ્સ વર્કસ કાર્યરત છે. જેની સ્થાપના 1948માં થઈ હતી. આ સિવાય જિન-પ્રેસ, બરફનું કારખાનું, શીતાગાર, ખેતીનાં ઓજારો બનાવવાના તેમજ સમારકામ કરવાના નાના પાયાના ઇજનેરી ઉદ્યોગો છે. લાકડાની લાટીઓ તથા રાચરચીલાનો ઉદ્યોગ, મત્સ્યઉદ્યોગ પણ વિકાસ પામ્યો છે. અહીં ખારેકનાં વૃક્ષોનું સંશોધનમથક આવેલું છે. જેનું સંચાલન દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા થાય છે. સમુદ્રકાંઠે મીઠાના અગરો પણ આવેલા છે. તાતા અને અદાણી એકમો દ્વારા સંચાલિત તાપવિદ્યુત મથકો આવેલાં છે.

ખારેકના બગીચા

અહીં પ્રાથમિક શિક્ષકો માટેનું અધ્યાપન મંદિર, બાલમંદિર, પ્રાથમિક શાળાઓ, બી.એડ. કૉલેજ, પ્રૌઢશિક્ષણ કેન્દ્રો પણ આવેલાં છે. પુસ્તકાલયની સગવડ પણ છે.

આ નગરની વસ્તી (2025 મુજબ) આશરે 29,500 છે.

મુંદ્રાનો કિલ્લો

આ નગરની સ્થાપના 1640માં કચ્છ સ્ટેટના રાજા ભોજરાજજી-I (પહેલા)એ કરી હતી. આ નગરનું જૂનું નામ ડુમરા (Dumra) હતું. પીર હજરત શાહ મુરાદે તેનું નામ મુનાહરા (Munahara) રાખ્યું હતું. આ મુનાહરા પરથી આજે મુંદ્રા તરીકે ઓળખાય છે. તે સમયે આ નગર વેપાર-વણજનું મોટું મથક હતું. 1728ના વર્ષમાં દેવાકરણ શેઠે કિલ્લાનું નિર્માણ કર્યું હતું. જૂનું મુંદ્રા એટલે પ્રાચીન ભદ્રેશ્વર નગર હતું. જે હાલના મુંદ્રાથી ઈશાને 27 કિમી. દૂર આવેલું હતું. 1760માં નવા મુંદ્રા નગરની સ્થાપના થઈ. કર્નલ હોલાન્ડે આ નગરની મુલાકાત 1840માં લીધી હતી. તેણે સૌપ્રથમ વાર 2.4 કિમી.ના ઘેરાવાવાળી ઊંચી દીવાલ ઊભી કરી અને ત્યાં 1500 આવાસો નિર્માણ કરાવ્યા. 1755માં ગોડજી–II(Godji–II)એ આ નગર ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું. 1792માં ફતેહમહંમદે આ નગરને પોતાના હસ્તક કર્યું. આ દરમિયાન આ નગરનો વેપાર કાઠિયાવાડ, ખંભાત, સૂરત અને મુંબઈ સાથે વધી ગયો હતો. 1870માં રાજપૂતાના રેલવેના નિર્માણ પછી આ નગરની પડતી થઈ હતી. 1947માં ભારત સ્વતંત્ર થતાં આ નગરનો સમાવેશ કચ્છ સ્ટેટમાં થયો. હાલમાં મુંદ્રાનો સમાવેશ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં કરવામાં આવ્યો છે. 2001માં જાન્યુઆરીની 26મી તારીખે ભૂકંપને કારણે આ નગરને પણ થોડી અસર પહોંચી હતી.

મુંદ્રા (બંદર) જૂનું અને નવું : જૂનું મુંદ્રા બંદર કચ્છના અખાતના કિનારે બોચા(Bocha )ખાડીમાં આવેલું છે.

તે 22 75´ ઉ. અ. અને 69 70´ પૂ. રે. પર સ્થિત છે. આ બંદર બારમાસી બંદર નથી. આ બંદરેથી લાકડું, ખારેક, ખાતર અને લોખંડના ભંગારની આયાત; જ્યારે મીઠું, ડુંગળી, સેનિટરીવેર્સ, પશુધણ, બેન્ટોનાઇટ, સૂરણ, તરબૂચ, આરસ વગેરેની નિકાસ થાય છે.

ગુજરાત સરકારની ‘નવી બંદરો અંગેની નીતિ’ અનુસાર ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને અદાણી પૉર્ટ લિ. ના સંયુક્ત સાહસ રૂપે આ બંદરને વિકસાવવામાં આવ્યું છે. ઑક્ટોબર, 1998થી આ બંદરને અજમાયશી ધોરણે ચાલુ કરવામાં આવ્યું હતું. આજે જાન્યુઆરી, 2001થી આ બંદર સંપૂર્ણ કાર્યરત થઈ ગયું છે.

મુંદ્રા ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે. તે કચ્છના અખાતના ઉત્તર કિનારે અંજારથી 50 કિમી. દક્ષિણે અને માંડવી બંદરેથી 41 કિમી. પૂર્વમાં આવેલું છે. મુંદ્રા એ માત્ર ખાનગી બંદર જ નથી પરંતુ ‘વિશિષ્ટ ઇકૉનૉમિક ઝોન’ (Special Economic Zone) પણ છે. નવા મુંદ્રા બંદરનો વિકાસ ‘ગુજરાત અદાણી પૉર્ટ લિ.’ દ્વારા સંયુક્ત સાહસ તરીકે થયો છે. આ નવું મુંદ્રા બંદર બારમાસી બંદર છે. જે કુદરતી સગવડો ધરાવે છે. નવીનાલ ટાપુ (Navinal Island) દ્વારા મુંદ્રા બંદર ઘેરાયેલું છે. જે નૈર્ઋત્યના મોસમી પવનોની અસરોથી રક્ષિત બંદર છે. આજે આ બંદર વ્યાપારી અને ધંધાદારી દૃષ્ટિએ બહુહેતુક બંદર છે. આ બંદરની સંપત્તિ, ક્ષમતા અને પ્રાપ્ય એવી સગવડોનો આદર્શ ઉપયોગ થાય છે. અહીં માલનો સંગ્રહ, હેરફેરનાં સાધનો અને અન્ય સેવાઓ ઉપલબ્ધ છે. ભારતના પશ્ચિમ કિનારે ‘પાનામેક્સ (Panamax) જહાજો’ એટલે કે મધ્યમકક્ષાના માલવાહક જહાજો, જેની ક્ષમતા 65,000થી 80,000 ટન વજનને વહન કરી શકે તેવા જહાજો. જે આ બંદરે જ લાંગરી શકે તેમ છે. કારણ કે આ બંદર 12.5 મીટરથી 17 મીટરના ડ્રાફ્ટ (ઊંડાણ) ધરાવે છે. આ બંદરેથી જહાજો બળતણ મેળવવાની સગવડ છે. 2003માં આંતરરાષ્ટ્રીય કન્ટેનગર ટર્મિનલ બાંધવામાં આવ્યું છે.

આ બંદરને રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોનો ઉત્તમ પીઠપ્રદેશ મળ્યો છે, જે દેશના વ્યાપારમાં 67% જેટલો ફાળો આપે છે. તદુપરાંત આંતરરાષ્ટ્રીય સમુદ્ર માર્ગે મધ્ય-પૂર્વ, યુરોપીય દેશો, આફ્રિકા, સ્કેન્ડિનેવિયાના દેશો તથા અમેરિકાથી સૌથી નજીકનું ભારતનું બંદર છે.

આ બંદરે 21 શેડવાળા અને બીજાં ખુલ્લાં ગોદામોની વિશાળ જગ્યા છે. શેડવાળાં ગોદામોનો વિસ્તાર આશરે 1,37,000 ચો. મીટર છે. જ્યારે ખુલ્લાં ગોદામોનો વિસ્તાર આશરે 8,00,000 ચો. મીટર છે. આ ઉપરાંત ફરતા યાંત્રિક ઊંટડા (ક્રેન) ઉપરાંત પ્રવાહી માલનો સંગ્રહ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. જેમાં રસાયણો, પેટ્રોલિયમ પેદાશો, ખાદ્યતેલ, ક્રૂડ ઑઇલ વગેરે છે. આ બંદરે કન્ટેઇનર ટર્મિનલ અને ક્રૂડ ઑઇલ ટર્મિનલ બાંધવામાં આવ્યું છે. વાંઢ ગામે ટાટા પાવરની એક પેટા કંપની ‘કોસ્ટલ પાવર લિ.’ ઊભી કરવામાં આવી છે. આયાતી કોલસાની વ્યવસ્થા કરવા માટે એક નાનું બંદર વિકસાવવામાં આવ્યું છે. જ્યાં 972 મીટરની ત્રણ બર્થ તૈયાર કરવામાં આવી છે. આ બંદરે કાંપ ઉલેચવાનાં મશીનો છે. તેથી આ બંદર ભારતનાં બધાં બંદરો કરતાં ઊંડું છે.

આ બંદર રાજ્ય ધોરી માર્ગ નં. 51 દ્વારા અંજાર થઈને રાજ્ય ધોરી માર્ગ નં. 6 જે ગાંધીધામ થઈને રાષ્ટ્રીય ધોરી માર્ગ સાથે જોડાયેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8A  અને 15 દ્વારા દેશના બીજા ભાગો સાથે જોડાયેલ છે. રેલવે માર્ગ મુંદ્રાથી 65 કિમી. દૂર છે. આ બંદરે 57 કિમી. લાંબી બ્રૉડગેજ રેલવેલાઇન દ્વારા મુંદ્રા બંદરને આદિપુર અને ત્યાંથી દેશના બીજા ભાગો સાથે જોડવામાં આવ્યું છે. દરરોજ 130 ટ્રેન આ ટ્રૅક પર પસાર થઈ શકે છે. મુંદ્રા એક ખાનગી હવાઈ મથક છે. આ હવાઈ મથક ભુજથી 65 કિમી. અને કંડલાથી 60 કિમી. દૂર છે. મુંદ્રા ખાતે આવેલી હવાઈ પટ્ટીની લંબાઈ 4,500 મીટર છે.

અદાણી પોર્ટ

મુંદ્રા ખાતે ‘અદાણી પૉર્ટ્સ ઍન્ડ સેઝ’ (2003) ઝોન એ ભારતનો પ્રથમ મલ્ટિપ્રોડક્ટ્સ ઝોન બન્યો છે. ગુરુ ગોવિંદસિંહ રિફાઇનરી લિ. તથા ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને ક્રૂડ ઑઇલ અને પેટ્રોલિયમની હેરફેર માટે આ બંદર સાથે કરાર કરવામાં આવ્યો છે. 2008માં મારુતિ-સુઝુકી સાથે વાહનોની નિકાસ માટે પણ કરાર કરાયા છે. આ બંદરે દરરોજ 1,500 મે. ટન ઘઉં સાફ કરવાની સગવડ પણ છે. આ બંદર પર 60 MMTPAઓની ક્ષમતાવાળું વિશ્વનું સૌથી મોટું કોલસાની આયાત માટેનું યાંત્રિક ટર્મિનલ આવેલું છે. ફર્ટિલાઇઝર કાર્ગો કૉમ્પલેક્સમાં ખાતરની હેરફેર કરવાની સગવડ રહેલી છે. મુંદ્રા બંદરેથી ઉત્તર ભારતમાં ‘પાઇપલાઇન’ દ્વારા ક્રૂડ ઑઇલ પાણીપત અને ભટીંડાની રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. જેથી વહનખર્ચ ઘટી જાય છે. કેન્દ્ર સરકાર અદાણી પૉર્ટને ‘જહાજ ભાંગવા’ માટેની પરવાનગી આપવાનું વિચારે છે.

આ પૉર્ટ ઉપર 2021માં 2,988 કિગ્રા. જેટલું હેરોઇન બે કન્ટેનરમાં આવ્યું હતું. તે અફઘાનિસ્તાથી ‘સફેદ પાઉડર’ના સ્વરૂપે આવ્યું હતું.

મુંદ્રા બંદર ભારતનાં ખાનગી બંદરોમાં પ્રથમ ક્રમે જ્યારે મધ્યકક્ષાનાં બંદર તરીકે તેનું સ્થાન સાતમા ક્રમે આવે છે.

નીતિન કોઠારી

શિવપ્રસાદ રાજગોર