મિશ્ર, કેશવપ્રસાદ (જ. ઈ. સ. 1885; અ. ઈ. સ. 1951) : કાશીના પંડિત. આચાર્ય મહાવીરપ્રસાદ દ્વિવેદીની પ્રેરણાથી હિંદી સાહિત્યજગતમાં પ્રવેશ્યા. પોતે ભાષા, વ્યાકરણ અને સાહિત્યશાસ્ત્રના પંડિત તરીકે ખ્યાતિ પામ્યા હતા. કાશીની નાગરી પ્રચારિણી પત્રિકાના સંપાદક તરીકે અને કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના હિંદી વિભાગના અધ્યક્ષપદે રહીને હિંદી સાહિત્યની અનુપમ સેવા બજાવી. એમની પ્રગટ થયેલી કૃતિઓમાં મેઘદૂતનો પદ્યાનુવાદ પ્રસિદ્ધ છે. આ ગ્રંથની આલોચનાત્મક ભૂમિકામાં એમણે રસાનુભૂતિની પ્રક્રિયાનું પ્રતિપાદન કરેલું. એમના લેખોમાં પ્રગાઢ પાંડિત્ય ઝળકે છે. તેમની ભાષા-શૈલી અત્યંત પરિમાર્જિત અને અર્થપૂર્ણ હોઈને તેઓ સિદ્ધહસ્ત લેખકની છાપ ધરાવતા હતા.

પ્રવીણચંદ્ર પરીખ