માધવસેન (ઈ.પૂ. બીજી સદી) : શુંગ વંશના યુવરાજ અગ્નિમિત્રનો મિત્ર તથા વિદર્ભના રાજા યજ્ઞસેનનો પિતરાઈ. રાજા પુષ્યમિત્ર(ઈ.પૂ. 1871–51)ના અમલ દરમિયાન અગ્નિમિત્ર વિદિશાનો સૂબો હતો. વિદર્ભ અને વિદિશા વચ્ચેના સંબંધો બગડ્યા હતા. તેનો ઉલ્લેખ કવિ કાલિદાસે પોતાના સંસ્કૃત નાટક ‘માલવિકાગ્નિમિત્ર’માં કર્યો છે. તેમાં જણાવ્યા મુજબ, માધવસેન વિદિશા જતો હતો ત્યારે યજ્ઞસેનના રાજ્યપાલે તેની ધરપકડ કરી. તે જાણીને અગ્નિમિત્રે તેને તાત્કાલિક મુક્ત કરવા યજ્ઞસેનને જણાવ્યું. યજ્ઞસેન તરત તે માટે કબૂલ થયો. પરંતુ તેણે શરત મૂકી કે અગ્નિમિત્રે તેના બનેવી મૌર્ય સમયના મંત્રીને પ્રથમ મુક્ત કરવો. તેથી અગ્નિમિત્રે તરત જ તેના સેનાપતિ વીરસેનને વિદર્ભ પર ચડાઈ કરવા હુકમ કર્યો. વીરસેને યજ્ઞસેનને હરાવી, માધવસેનને મુક્ત કર્યો. તે પછી વિદર્ભનું વિભાજન કરી એ રાજ્ય બે પિતરાઈઓ યજ્ઞસેન તથા માધવસેનને વહેંચી આપવામાં આવ્યું.

જયકુમાર ર. શુક્લ