માણસનું મરણોત્તર અસ્તિત્વ

May, 2023

માણસનું મરણોત્તર અસ્તિત્વ : માણસનું મરણોત્તર અસ્તિત્વ ટકી રહે છે કે કેમ તે અંગેની જગતના ધર્મોમાં સ્વીકૃત માન્યતાઓ હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ આ આઠ ધર્મોમાં માણસના મરણ પછી પણ તેનું અસ્તિત્વ ટકી રહે છે તેવો સિદ્ધાંત સ્વીકારાયો છે. માણસના મરણોત્તર અસ્તિત્વના સ્વરૂપ પરત્વે આ ધર્મો બે જૂથમાં વહેંચાઈ જાય છે. એક જૂથ મોક્ષવાદી છે અને બીજું જૂથ કયામતવાદી છે.

હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મના મત પ્રમાણે, જેનો જન્મ છે તેનું મરણ છે અને જેનું મરણ છે તેનો ફરી જન્મ છે, કારણ કે આગલા જન્મોનાં કર્મને લીધે જીવનો આ જન્મ નક્કી થાય છે અને આ જન્મનાં કર્મોને લીધે તેનો ભવિષ્યનો જન્મ નિયત થાય છે. આ રીતે ચાલતી જન્મમરણની જંજાળ કે ભવાટવીમાં જીવ અનંત કાળ સુધી ભટક્યા જ કરે છે એવી આ ધર્મોની માન્યતા નથી. તેમનો મત એવો છે કે જ જો માણસ મોક્ષપ્રાપ્તિના પ્રયત્નો કરીને કર્મનાં બંધનો તોડી નાખે તો તે ભવચક્રમાંથી છૂટીને પોતાના આત્માના મૂળ સ્વરૂપને પામે છે. અર્થાત્ તે મોક્ષવસ્થાને પામે છે. મોક્ષાવસ્થાના સ્વરૂપ અંગેની વિગતોમાં આ ધર્મો વચ્ચે એકમત નથી, પરંતુ આ ચારેય ધર્મોમાં એટલું તો સમાનપણે સ્વીકારાયું છે કે મોક્ષાવસ્થા એ શાશ્વત ધન્યતાની સ્થિતિ છે અને તેમાં દુઃખનો સદંતર અભાવ હોય છે. આમ આ ચારેય ધર્મોના મત પ્રમાણે આત્મા અમર છે અને શરીરના મરણ પછી અમર આત્મા કાં તો પોતાના કર્મ પ્રમાણે બીજું શરીર ધારણ કરે છે અથવા તો જો તેને કર્મોનું ફળ ભોગવવાનું ન રહ્યું હોય તો તે પોતાના મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને મોક્ષાવસ્થારૂપી શાશ્વત સુખની સ્થિતિને પામે છે.

જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના મત પ્રમાણે પુનર્જન્મ નથી. આનો અર્થ એ કે આ ધર્મોની દૃષ્ટિએ માણસનો આ જન્મ એ જ તેનો આ પૃથ્વી પરનો પહેલો અને છેલ્લો જન્મ છે. જોકે આનો અર્થ એ નહિ કે આ ધર્મો આત્માની અમરતાને માનતા નથી. તેમને આત્માની અમરતાનો સિદ્ધાંત માન્ય છે, કારણ કે આ ચારેય ધર્મો એમ માને છે કે માણસ મરણ પછી ફરી સજીવન થાય છે. આમ આ ચારેય ધર્મો કયામતવાદી છે કેમ કે પ્રો. દાવર કહે છે તેમ કયામતનો અસલ અર્થ – ઊઠીને ઊભા થવું (સજીવન થવું) ‘મોત પર મનન’ (પૃ. 283) – એવો થાય છે. મરણ પછી કેટલા વખતે માણસ ફરીથી સજીવન થાય છે એ પ્રશ્નનો એકસરખો ઉત્તર આ ધર્મોમાંથી મળતો નથી. પણ આ ચારેય ધર્મોમાં એટલું તો સમાનપણે સ્વીકારાયું છે કે (1) મરણ પામ્યા પછી અમુક વખત પસાર થયા બાદ મૃતાત્મા ફરી સજીવન થાય છે અને અલૌકિક દુનિયામાં અનંતકાળ સુધી જીવે છે. (2) આ અલૌકિક દુનિયામાં માણસનાં પાપ અને પુણ્યનો હિસાબ કરીને તેનો ન્યાય તોળાય છે. (3) પાપની સજા રૂપે જિવાતા આ અલૌકિક દુનિયામાં નરકના જેવાં દુઃખોનો અનુભવ કરે છે અને પુણ્યના બદલા રૂપે જીવાત્મા ઈશ્વરના સાંન્નિધ્યમાં રહીને સ્વર્ગીય આનંદ પ્રાપ્ત કરે છે.

માણસના મરણોત્તર અસ્તિત્વ અંગેની જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મની ઉપર્યુક્ત માન્યતા એમના પવિત્ર શાસ્ત્રગ્રંથોમાં નિરૂપાયેલી છે તેથી એમ કહી શકાય કે આ ધર્મો માણસના મરણોત્તર અસ્તિત્વમાં અને એ અસ્તિત્વ દરમિયાન મળતા કર્મના સુયોગ્ય બદલામાં માને છે પણ પુનર્જન્મમાં માનતા નથી.

પ્રવીણચંદ્ર પરીખ