મદુરાઈ  (જિલ્લો) : તમિળનાડુ રાજ્યના 38 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : તે 9 55´ ઉ. અ. અને 78 7´ પૂ. રે. આજુબાજુ આવેલ છે. વિષુવવૃત્તથી આશરે 8904 કિમી. દૂર છે. તો વિસ્તાર અંદાજે 3,710 ચો.કિમી. છે. આ જિલ્લાની પશ્ચિમે થેની (Theni) જિલ્લો, પૂર્વમાં શિવગંગા જિલ્લો, ઉત્તરે ડીંડીગુલ જિલ્લો, દક્ષિણે વિરધુનગર અને  ઈશાને તિરુચિરાપલ્લીનો થોડો ભાગ સીમા રૂપે આવેલ છે.

મદુરાઈનો નકશો

ભૂપૃષ્ઠ અને જળપરિવાહ – આબોહવા : આ જિલ્લો સમુદ્રસપાટીથી આશરે 101 મીટરની ઊંચાઈ ધરાવે છે. તમિળનાડુ રાજ્યના દક્ષિણ ભાગમાં આ જિલ્લો આવેલો છે.  જિલ્લાની ઉત્તરે અને પશ્ચિમે સીરુમલાઈ અને નાગમલાઈની ટેકરીઓ આવેલી છે. મદુરાઈ અને મેલુર તાલુકાઓના ભાગો મેદાની ભૂપૃષ્ઠ ધરાવે છે. મદુરાઈની ફરતે અનેક ટેકરીઓ આવેલી છે. જિલ્લાની નૈર્ઋત્યે વરુષનાડ તથા મધ્યમાં એન્ડીપટ્ટી ટેકરીઓ આવેલી છે. વૈગાઈ અને સુરુલી એ એકબીજાને સમાંતર વહેતી નદીઓ છે. ટેકરીઓની પશ્ચિમે કમ્બામ ખીણ આવેલી છે. જિલ્લાના અગ્નિ ભાગમાં પશ્ચિમઘાટ આવેલો છે. પ્લાની અને સીરુમલાઈ ટેકરી ઉત્તરે જ્યારે પશ્ચિમે કાર્ડેમમ ટેકરી આવેલી છે. વરુષનાડ અને એન્ડીપટ્ટી ટેકરીઓ દક્ષિણ ભાગમાં આવેલી છે.

વૈગાઈ નદી એ આ જિલ્લાનો મુખ્ય સ્રોત છે. આ નદીની શાખા નદીઓમાં સીરુલીઆર, થેનીઅર, વરાહ નદી અને મંગલર છે. અહીંની જમીનો કાળી છે. લાલ માટીવાળા વિસ્તારો મેલુર તાલુકામાં જોવા મળે છે. પશ્ચિમ તરફથી ઉદગમ પામતી નદીઓના કાંપ-માટીના નિક્ષેપને કારણે તે  જિલ્લાનો સૌથી ફળદ્રૂપ પ્રદેશ ગણાય છે.

જૂનથી સપ્ટેમ્બર માસમાં નૈર્ઋત્યના મોસમી પવનોને કારણે મહત્તમ વરસાદ અનુભવાય છે. જ્યારે ઈશાની પવનો ઑક્ટોબરથી ડિસેમ્બરમાં અનુભવાતા હોય છે. આ પાછા ફરતા પવનો પણ અહીં વરસાદ આપે છે. જાન્યુઆરીથી મે માસ દરમિયાન અહીં મહત્તમ ગરમીનો અનુભવ થાય છે. આમ જોઈએ તો તમિળનાડુ રાજ્યનો આ જિલ્લો પ્રમાણમાં સૌથી વધુ ગરમ ગણાય છે. માર્ચથી સપ્ટેમ્બર માસ દરમિયાન મહત્તમ તાપમાન અનુભવાય છે. કેટલીક વાર સપ્ટેમ્બર માસમાં તાપમાન 40 સે.થી 42 સે. જેટલું અનુભવાય છે.

ખેતી – પશુપાલન : જિલ્લાની મોટા ભાગની વસ્તી ખેતીના વ્યવસાયમાં રોકાયેલી હોવા છતાં આ જિલ્લો ખેતપેદાશોમાં સ્વાવલંબી બની શક્યો નથી. વર્ષમાં બે વાર લેવાતો ડાંગરનો પાક આ જિલ્લાનો મુખ્ય પાક ગણાય છે. તિરુમંગલમમાં શાકભાજી, ફળો અને ફૂલોનું વાવેતર પણ થાય છે. અહીંના આ પાકોની જિલ્લા બહાર નિકાસ થાય છે. અહીં ખેતીમાં રાસાયણિક ખાતરો ઉપરાંત ઢોરનું છાણ, સૂકાં પાંદડાંનું ખાતર, તળાવોના તળિયાનો કાંપ તથા તૈલી ખોળનો ખાતરો તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત જિલ્લામાં રાગી, મગફળી, કપાસ, કેળાં, તમાકુ અને શેરડીનું ઉત્પાદન પણ લેવાય છે. વૈગાઈ તથા પેરિયાર યોજનાઓની નહેરો દ્વારા ખેતરોની સિંચાઈ મળી રહે છે; તેમ છતાં કેટલીક જગાએ કૂવા, તળાવો અને નદીઓના પાણીનો પણ ઉપયોગ થાય છે.

અહીંના મુખ્ય પશુધનમાં ગાય, ભેંસ, ઘેટાંબકરાં અને ડુક્કરનો સમાવેશ થાય છે. કેટલાક લોકો મરઘાંપાલન પણ કરે છે. પશુઓના સ્વાસ્થ્ય માટે પશુદવાખાનાં અને ચિકિત્સાલયો ઊભાં કરવામાં આવેલાં છે. જિલ્લામાં 7 આખલા-કેન્દ્રો કૃત્રિમ ગર્ભાધાન માટે નિયત કરાયેલાં છે, આ સાથે વાછરડા-સંવર્ધન-કેન્દ્રો પણ છે. પશુઓ માટે સંખ્યાબંધ સહકારી સંસ્થાઓ પણ અહીં કાર્યરત છે.

ઉદ્યોગ – વેપાર : આ જિલ્લો ખનિજ-ઉત્પાદનક્ષેત્રે સમૃદ્ધ નથી, પરંતુ સિમેન્ટ માટેના ચૂનાખડકો અને બાંધકામ માટેના જરૂરી પથ્થરો અહીંથી મળી રહે છે. ઔદ્યોગિક ક્ષેત્રે તે કોઈમ્બતુર પછીના ક્રમે આવે છે. તે હાથવણાટના કાપડ માટે ખૂબ જાણીતો બનેલો છે. આ જિલ્લામાં ગૃહઉદ્યોગો ઉપરાંત નાના પાયા પરના, મધ્યમ અને મોટા પાયા પરના ઉદ્યોગો વિકસેલા છે. અહીં યંત્રસામગ્રી તથા પરિવહન-સાધનોમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ સિવાયની ધાતુપેદાશો, લોખંડ, ઍલ્યુમિનિયમ અને સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો, પીપ, ડબા, તાળાં, કૃષિસાધનો-ઓજારો, લોખંડ-પોલાદનું રાચરચીલું, મીઠાઈ, બિસ્કિટ, અથાણાં, મુરબ્બા જેવી ખાદ્યપ્રક્રમણની વસ્તુઓનું ઉત્પાદન થાય છે. મદુરાઈ તેના વર્ણકો (dyeing) અને વૅક્સ પ્રિન્ટિંગ માટે દક્ષિણ ભારતમાં જાણીતું છે, પરંતુ હવે યાંત્રિક છાપકામ થતું હોવાથી આ પદ્ધતિ ઓછી અપનાવાય છે. મદુરાઈ તાલુકામાં સ્પિનિંગ-વીવિંગના ઉદ્યોગો પણ વિકસ્યા છે. અહીંના મહત્વના ઉદ્યોગોમાં રસાયણો, કપાસિયાનું તેલ, ધાતુઓ અને મિશ્રધાતુઓ, સિમેન્ટ, વીજસામાન, ઑટોમોબાઇલ, કાગળ તેમજ તેના માવાની પેદાશો, રબરનો સામાન, ચામડાની ચીજ-વસ્તુઓ, સિવણમશીનો તથા ઇજનેરી સામાન બનાવવાના ઉદ્યોગો, ખાંડનાં કારખાનાં તેમજ આટાની મિલો વગેરેનો સમાવેશ થાય છે. 1996 મુજબ અહીં સેલ્યુલોઝ પ્રોડક્ટસ ઑવ્ ઇન્ડિયા લિ., શ્રી ચક્ર ટાયર્સ લિ. જેવા મુખ્ય ઉદ્યોગો છે. અહીં ધોતી, ચા, આર્ટસિલ્કની સાડીઓ, જર્દા કાપડ, સુતરાઉ કાપડના પટ્ટા અને સિંગતેલનું ઉત્પાદન લેવાય છે. એલચી, રેશમી સાડીઓ, રદ્દી રૂ, ફૂલો, મુરબ્બા, સ્ત્રીઓના કેશ, બિસ્કિટ, કેળાં, ડાંગર અને તૈયાર કરેલાં ચામડાંની નિકાસ; જ્યારે મકાઈ, કઠોળ, ડાંગર-ચોખા, આમલી અને ખાદ્યાન્નની આયાત થાય છે.

રેશમની સાડી

પરિવહન – પ્રવાસન : આ જિલ્લામાં સડક અને રેલમાર્ગોની સુવિધા સારી છે. અહીં બ્રૉડગેજ રેલવેનું મોટું જંકશન મદુરાઈ છે. આ જિલ્લામાંથી રાજ્ય ધોરી માર્ગ નં. 33, 72, 72 A, 73 અને 73 A પસાર થાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 7, 49 પસાર થાય છે. મદુરાઈ યાત્રાધામ હોઈ તેમજ અહીંથી રામેશ્વરમ્ અને કન્યાકુમારી તરફ જવાતું હોવાથી માર્ગોનો વધુ વિકાસ થયેલો છે. તે ચેન્નાઈ, તિરુચિરાપલ્લી, કોઈમ્બતુર, કોચીન અને ત્રિવેન્દ્રમ સાથે હવાઈ માર્ગોથી જોડાયેલું છે. અહીંથી ચમેલી(જેસ્મિન)નાં ફૂલો હવાઈ માર્ગે દેશમાં નિકાસ થાય છે.

ચમેલી (જાસ્મિન)નાં ફૂલો

આ જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગને લગતાં અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. જેવાં કે, અલગર મંદિર, ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ, કલાદીર્ઘા (ગૅલરી), મરિયામ્મા મંદિર, થિરુમલાઈ નાયક મહેલ, થેપ્પાકુલમ્, મદુરાઈ મકબરા, વૈગાઈ બંધ, કોડાઈકેનાલ, સુરુલી ધોધ, મુનલાડમપટ્ટી ધોધ, તિરુપ્પારંકુદ્રમ્ વગેરે છે.

મદુરાઈ પ્રાચીન યાત્રાધામ છે. અહીંનું મીનાક્ષી મંદિર ભારતભરમાં પ્રખ્યાત છે. તે દેશી-વિદેશીઓ માટે પ્રવાસ માટેનું આકર્ષણનું સ્થળ છે. આ મંદિરમાં કલા, શિલ્પ અને સ્થાપત્યનો સુભગ સમન્વય જોવા મળે છે. મંદિરમાંનું શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ જોવાલાયક છે. તમિળ કવિઓ અને વિદ્વાનોની અકાદમી તમિળ રાજવીઓના દાનથી ઘણા જૂના વખતથી જાણીતી છે. પાંડ્ય રાજવંશ અહીં સમૃદ્ધિ પામેલો. તેનાં સ્મારકો હજી આજે પણ અવશેષ રૂપે જોવા મળે છે. તેના પછીના નાયક રાજવી અનુગામીઓએ તેમના પુરોગામીઓના  ભવ્ય વારસાને વધુ સમૃદ્ધ કરેલો. મકરસંક્રાંતિના પોંગલ તહેવાર નિમિત્તે અહીં આખલાની લડાઈ યોજવામાં આવે છે. તેને જીતી જનાર તેનાં શિંગડાં સાથે બાંધી રાખેલી રોકડ ઇનામી રકમ મેળવે છે.

વસ્તી : આ જિલ્લાની વસ્તી (2025 મુજબ) આશરે 19,11,650 છે. જ્યારે સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 990 મહિલાઓ છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 13.46% અને 0.37% છે. સાક્ષરતાનું પ્રમાણ 74.83% છે. વસ્તીગીચતા 812 ચો.કિમી. છે. આ જિલ્લામાં હિન્દુઓનું પ્રમાણ 90.86% છે. જ્યારે મુસ્લિમ અને ક્રિશ્ચિયનોનું પ્રમાણ 5.56% અને 3.22% છે. આ જિલ્લામાં તમિળ ભાષા મહત્તમ બોલાય છે. તેનું પ્રમાણ 92.56% છે. સૌરાષ્ટ્ર (Saurashtra) 3.2% અને તેલુગુ 2.58% પ્રમાણ છે. અંગ્રેજી ભાષાનું પણ મહત્ત્વ વધુ છે.

ઇતિહાસ : પ્રાચીન સમયમાં મદુરાઈ પાંડ્ય સામ્રાજ્યની રાજધાની, તમિળ સંસ્કૃતિ અને સાહિત્યનું સુપ્રસિદ્ધ કેન્દ્ર અને હીરા, મોતી, તેજાના તથા કીમતી ધાતુઓના વેપારનું કેન્દ્ર હતું. મદુરાઈમાં પાંડ્ય રાજ્યના ઈ. સ.ની સાતમી સદીના રાજાઓમાં મુદુકુદુમી પેરુવલુદી અને નેદુન્જેલિયન ઘણા પ્રસિદ્ધ છે. અલાઉદ્દીન ખલજીના સેનાપતિ મલેક કાફૂરે મદુરાઈ પર આક્રમણ કરી ત્યાં લૂંટ કરી હતી (ઈ. સ. 1311). તેણે જતાં અગાઉ એક મુસલમાન હાકેમની ત્યાં નિમણૂક કરી હતી. તે પછી વિજયનગર સામ્રાજ્યની મદદથી મુસ્લિમ સત્તા દૂર કરીને સોળમી સદીથી અઢારમી સદીની શરૂઆત સુધીમાં વિજયનગર સામ્રાજ્યના નાયક કુળના સૂબાઓએ રાજ્ય કર્યું. ઈ. સ. 1755માં મદુરાઈ, તિરુચિરાપલ્લી, તિરુનેલ્વેલી વગેરે વિસ્તારો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા હેઠળ ગયા. ત્યારથી દેશ સ્વતંત્ર થયો ત્યાં સુધી કંપની અને બ્રિટિશ તાજની હકૂમત ચાલુ રહી. સ્વાતંત્ર્ય-ચળવળ દરમિયાન ત્યાંના લોકોમાં રાષ્ટ્રવાદ જાગ્રત થયો અને તેમણે ચળવળમાં સક્રિય ભાગ પણ લીધો.

આશરે બે હજાર વર્ષ પૂર્વે તમિળ રાજાઓના આશ્રય હેઠળ તમિળ વિદ્વાનો અને કવિઓએ મદુરાઈ શહેરમાં ઉત્કૃષ્ટ પ્રકારના સંગમ સાહિત્યની તમિળ ભાષામાં રચના કરી હતી. તેમાંના પ્રથમ સંગમની એક પણ કૃતિ ઉપલબ્ધ નથી. દ્વિતીય સંગમની એકમાત્ર કૃતિ ‘તોલકાપ્પીયમ્’ અત્યારે ઉપલબ્ધ છે. ઈ. સ.ની છઠ્ઠી સદી પછી ત્રીજા સંગમની રચનાઓ થઈ હતી.

મદુરાઈમાં આવેલ મીનાક્ષી મંદિર ઘણું વિશાળ અને ભવ્ય છે. આ ઉપરાંત ત્યાં બીજાં ઘણાં ભવ્ય મંદિરો આવેલાં છે. મીનાક્ષી મંદિર અને સુંદરેશ્વરનું મંદિર દ્રવિડ શૈલીનાં છે. તેનાં ચાર ઊંચાં ગોપુરમ્ અનેક શિલ્પાકૃતિઓથી ભરપૂર છે. પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓ ત્યાં દર્શનાર્થે આવે છે.

મદુરાઈ (શહેર) : મદુરાઈ જિલ્લાનું જિલ્લામથક અને શહેર.

ભૌગોલિક માહિતી : તે 9 43´ ઉ. અ. અને 78 12´ પૂ. રે. પર સ્થિત છે. તે સમુદ્ર સપાટીથી આશરે 134 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનો વિસ્તાર આશરે 147.97 ચો.કિમી. છે. આ શહેર સમતળભૂમિ અને ફળદ્રુપ જમીન ઉપર નિર્માણ પામ્યું છે. શહેરના મધ્યભાગમાંથી વૈગાઈ નદી જે વાયવ્યથી અગ્નિ તરફ વહે છે. શહેરની ઉત્તરે સીરુમલાઈ અને પશ્ચિમે નાગમલાઈ ટેકરીઓ આવેલી છે. શહેરની આજુબાજુ મોટે ભાગે ખેતપ્રવૃત્તિ જોવા મળે છે. આ શહેર પાસે પેરિયાર બંધ આવેલો છે. આ શહેરની અગ્નિ દિશાએ પશ્ચિમઘાટ આવેલો છે. આ શહેરની આજુબાજુ અનેક ટેકરીઓ આવેલી છે.

આ શહેરની આબોહવા ઉષ્ણકટિબંધીય સવાના પ્રકારની છે. અહીંનું હવામાન મોટે ભાગે અંશતઃ ગરમ અને સૂકું કહી શકાય. આઠ મહિના વાતાવરણ ગરમ અને સૂકું અનુભવાય છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ઠંડા પવનો અનુભવાય છે. મહત્તમ ગરમી માર્ચથી જુલાઈ માસ દરમિયાન અનુભવાય છે. જ્યારે ઑગસ્ટથી ઑક્ટોબર માસ દરમિયાન વાતાવરણ સમધાત રહે છે. જ્યારે નવેમ્બરથી  ફેબ્રુઆરી માસ દરમિયાન ઝંઝાવાત સાથે વરસાદ પડતો હોવાથી વાતાવરણમાં ઠંડક અનુભવાય છે. શિયાળાની ઋતુમાં જ અહીં વાતાવરણ ધુમ્મસવાળું જોવા મળે છે. આ શહેરનું અક્ષાંશીય સ્થાન નીચું, સમુદ્ર અને પર્વતીય વિસ્તારો નજીકમાં આવેલા હોવાથી નૈર્ઋત્ય અને ઈશાની પવનોને કારણે વર્ષમાં બે વાર વરસાદ પડે છે. મહત્તમ વરસાદ ઑક્ટોબરથી ડિસેમ્બર માસમાં પડે છે. જેની માત્રા સરેરાશ 900થી 1000 મિમી. હોય છે. ઉનાળામાં મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 42 સે. અને 23 સે. રહે છે. શિયાળામાં મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 30 સે. અને 18 સે. રહે છે.

અર્થતંત્ર : આ શહેરની આજુબાજુ જમીનોમાં માટીનું પ્રમાણ અધિક છે. અહીં જમીન રાતી અને કાળી હોવાથી કપાસ અને ડાંગરની ખેતી અધિક લેવાય છે. આ સિવાય બાજરી, કઠોળ, તેલીબિયાં, શેરડીની ખેતી લેવાય છે. ઉત્તર મદુરાઈ, મેલુર, નીલાકોટ્ટી અને ઉથામા પલાયમ વિસ્તારો ‘Double-crop paddy belts’ તરીકે ઓળખાય છે. ખેતી સાથે ડેરીઉદ્યોગ, પૉલ્ટ્રીફાર્મ, ઈંટો બનાવવાનો, શેતરંજી અને ગાલીચા બનાવવાના ઉદ્યોગ વિકસ્યા છે. કોડાઈકેનાલના તળેટીના વિસ્તારોમાં ફૂલોની ખેતી વધુ થાય છે તેમાં પણ જાસ્મિન (Jasmine)નું વાવેતર સૌથી વધુ થાય છે. આથી તે ‘Madurai Malli’ તરીકે ઓળખાય છે. મદુરાઈનાં ફૂલબજારમાં દરરોજ સવારે લગભગ 2000 ખેડૂતો પોતાનાં ફૂલ વેચવા માટે આવે છે. અહીં 1991 પછી અનેક નાના પાયાના ઉદ્યોગો ઊભા થયા છે. રબરના બગીચા ઊભા કરાયા હોવાથી રબરની બનાવટના પણ ઉદ્યોગો જોવા મળે છે. આ સિવાય ઑટોમોબાઇલઉદ્યોગો, કાપડઉદ્યોગો પણ આવેલા છે. અહીં કાશ્મીરી સોનેરી ગ્રૅનાઇટ અને કાશ્મીરી સફેદ ગ્રૅનાઇટના અનેક એકમો કાર્યરત છે. KUN, BMW, મર્સિડીઝ બેન્ઝ, ઈસુઝુ, ફોક્સવેગન, ટોયોટો, મહિન્દ્રા, ટાટા, મારુતીસુઝુકી, મીત્સુબીશી, અશોક લેલેન્ડ, જીપ, ફિયાટ વગેરે મોટર બનાવતી કંપનીના એકમો આવેલા છે. આ સિવાય IT ક્ષેત્રોના એકમો પણ આવેલા છે. રાજ્ય સરકાર અહીં ‘Special Economic Zones’ ઊભો કરવાનું પણ વિચારે છે.

પરિવહન : આ શહેરમાં પરિવહનનાં સાધનોની સુવિધા સારી છે. આ શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગો નં. 7, 45 B, 208 અને 49 અને રાજ્ય ધોરી માર્ગો નં. 32, 33 અને 37 સાથે સંકળાયેલ છે. તમિળનાડુ માર્ગ-પરિવહનની બસો અને ખાનગી બસોની સુવિધા ધરાવે છે. તમિળનાડુ રાજ્યની રેલવે ‘દક્ષિણ રેલવે વિભાગ’માં આવે છે. મદુરાઈ મહત્ત્વનું રેલવેજંકશન છે. જે ચેન્નાઈ, કોઈમ્બતુર, કન્યાકુમારી, તિરુચિરાપલ્લી, તિરુનેલપોન, રામેશ્વરમ્, તાંજોર વગેરે શહેરો સાથે સંકળાયેલ છે. 2011થી મદુરાઈ ખાતે ‘મોનોરેલ’નો પણ પ્રારંભ થયો છે. એવનીયાપુરમ્ ખાતે મદુરાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. મદુરાઈ હવાઈ મથકનો સૌપ્રથમ ઉપયોગ બ્રિટિશ સરકારની ‘રૉયલ ઍરફોર્સે’ કર્યો હતો. આ હવાઈ મથકેથી કોલંબો, દુબઈ અને સિંગાપોર જવા માટે દરરોજ હવાઈ ઉડ્ડયનો થાય છે. અહીં ઍર ઇન્ડિયા, સ્પાઇસ જેટ, ઇન્ડિગો અને શ્રીલંકન હવાઈ કંપનીનાં વિમાનો દ્વારા હવાઈ સફર થાય છે.

વસ્તી : આ શહેરની વસ્તી (2025 મુજબ) આશરે 14,87,000 જ્યારે બૃહદ શહેરની વસ્તી 19,12,000 છે. ધર્મને આધારે વસ્તી જોઈએ તો હિન્દુ 85.83%, મુસ્લિમ 8.54%, ક્રિશ્ચિયન 5.18% જ્યારે અન્ય ધર્મીઓનું પ્રમાણ 0.47% છે. સેક્સ રેશિયો આશરે દર 1000 પુરુષોએ 999 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 81.95% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 6.27% અને 0.31% છે. આ શહેરમાં ભાષાનું વૈવિધ્ય છે. તમિલ ભાષાનું પ્રમાણ 89% છે. સૌરાષ્ટ્ર ભાષાનું પ્રમાણ 5.4%, તેલુગુ 2.7% અને ઉર્દૂનું પ્રમાણ 1.5% છે.

આ શહેર વર્ષોથી તમિળ સંસ્કૃતિ, સાહિત્ય, મ્યુઝિક, નૃત્ય અને વિવિધ કળામાં અગ્રેસર રહ્યું છે. તમિળ કવિઓનું મહત્ત્વ ‘સંગમ સાહિત્ય’માં મળી રહે છે. આ શહેરની સૌથી જૂની કૉલેજ ‘અમેરિકન કૉલેજ’ છે. જેની સ્થાપના 1881માં થઈ હતી. આ સિવાય લેડી ડોક કૉલેજ, જેની સ્થાપના 1948માં થઈ હતી. આ કૉલેજ મહિલાઓની છે. થિયાગરરાજર, મદુરા કૉલેજ, ફાતીમા કૉલેજ, એમ. એસ. એસ. વકફ બોર્ડ કૉલેજ છે. મદુરાઈ કામરાજ યુનિવર્સિટી, અન્ના યુનિવર્સિટી, ડૉ. આંબેડકર લૉ યુનિવર્સિટી આવેલી છે. આ સિવાય મદુરાઈ મેડિકલ કૉલેજ, એન્જિનિયરિંગ  કૉલેજ વગેરે આવેલી છે. આ શહેરમાં 369 પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. CBSC અને રાજ્ય સરકાર સંચાલિત શાળાઓ છે.

મીનાક્ષી સુંદરેશ્વર મંદિર, મદુરાઈ

જોવાલાયક સ્થળોમાં મીનાક્ષી અમ્મા મંદિર, આ મંદિરમાં 14 પ્રવેશદ્વાર ટાવર આવેલાં છે. કુડલ અઝગર મંદિર, મહાવિષ્ણુ મંદિર, કલ્લાલગર મંદિર જેવાં અનેક મંદિરો આવેલાં છે. કાઝીમર મોટી મસ્જિદ, મદુરાઈ હઝરત મસ્જિદ આવેલી છે. રૉમન કૅથલિક ચર્ચ અને જૈન મંદિરો પણ આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ

નીતિન કોઠારી