ભક્તિમાર્ગ અને ભક્તિઆંદોલન

January, 2001

ભક્તિમાર્ગ અને ભક્તિઆંદોલન

ભારતીય તત્વજ્ઞાન મુજબ ઈશ્વરપ્રાપ્તિ માટેનો ભક્તિપરક માર્ગ. કાળાંતરે ‘કર્મમાર્ગ’ એટલે વૈદિક કર્મકાંડનો માર્ગ, ‘જ્ઞાનમાર્ગ’ એટલે આત્મા-પરમાત્માના જ્ઞાનને પ્રાધાન્ય આપનાર (આદિશંકરાચાર્ય વગેરેનો) માર્ગ અને ‘ભક્તિમાર્ગ’ એટલે મૂળે વૈદિક છતાં ઉત્તરકાળમાં નારદ, શાંડિલ્ય, પાંચરાત્ર, સાત્વત કે ભાગવત તથા તેને અનુસરતા રામાનુજાચાર્ય વગેરે આચાર્યોએ પ્રવર્તાવેલો માર્ગ.

ભક્તિની ભાવનાનો આદિસ્રોત છેક વેદમાં જોવા મળે છે. વેદોમાં અનેક વાર ‘ભજ્’ ધાતુનાં વિવિધ રૂપોનો પરમાત્મા અથવા ઇન્દ્ર, વરુણ વગેરે દેવોના સંદર્ભમાં પ્રયોગ થયેલો વૈદિક સંહિતા તથા બ્રાહ્મણગ્રંથોમાં જોવા મળે છે. ભક્તિનો સીધો સંબંધ ર્દઢ શ્રદ્ધા, અખૂટ નિ:સ્વાર્થ પ્રેમ અને અડગ વિશ્વાસ સાથે છે. ભક્તિનાં સ્વરૂપ કે લક્ષણોનું નિરૂપણ ઉત્તરકાળમાં ‘નારદભક્તિસૂત્ર’ અને ‘શાંડિલ્યભક્તિસૂત્ર’માં સુંદર રીતે કરવામાં આવ્યું છે; પણ એથી એમ ફલિત થતું નથી કે ભક્તિભાવનાનું આ સ્વરૂપ પ્રાચીન કાળમાં ન હતું અને પાછળથી વિકસ્યું; કેમ કે, જે કાંઈ પરિવર્તન આવ્યાં તે ભક્તિના પાત્રની બાબતમાં અને તેનાં વિવિધ અંગોમાંથી અમુક્ધો પ્રાધાન્ય કે ગૌણતા પ્રાપ્ત થઈ તેમાં જ આવેલાં છે.

વેદકાળમાં મુખ્યત્વે ગાયત્રીઉપાસના, હોમહવન અને આંતરિક મનોમય ઉપાસનાના સ્વરૂપમાં ભક્તિમાર્ગ પ્રવર્તતો હતો. વૈદિક વર્ણાશ્રમમૂલક જીવનપદ્ધતિમાં માતા-પિતા, આચાર્ય, અતિથિ વગેરેને દેવસમાં ગણીને તેમના પ્રત્યેના પૂજ્યભાવ, આદરસત્કારની ભાવના તથા વિધિવિધાન એ એક પ્રકારનો વૈદિકકાલીન ભક્તિમાર્ગ હતો. વૈદિક સંહિતાઓમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, અશ્ર્વિનો, દેવી, વિરાટ પુરુષ વગેરે અનેક સ્વરૂપે દેવદેવતાઓની સ્તુતિઓ મળે છે; પણ એ બધાંની પાછળ એક સર્વવ્યાપી, સર્વશક્તિમતી, સર્વાન્તર્યામી છતાં પુરુષવિધ એવી પરમાત્મશક્તિ હતી જેને વૈદિક ઋષિઓએ ‘એક સત્’ તરીકે નિર્દેશી છે. ભક્તિ વગર સ્તુતિ સંભવે જ નહિ, તેથી આ બધા દેવોની સ્તુતિઓ તે પરમાત્માની વિવિધ સ્વરૂપશક્તિઓ પ્રત્યેનો તે જમાનાનો પ્રવર્તમાન ભક્તિમાર્ગ જ દર્શાવે છે. વૈદિક ઋષિઓનો આ ભક્તિમાર્ગ કેવળ મૌખિક સ્તુતિઓ પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ એની સાથે તે જ્ઞાનમૂલક અને કર્મપરાયણ પણ હતો. એમાં સામગાન રૂપે ગીતસંગીતનો પણ સાથ રહેતો હતો.

કાળાન્તરે ઉત્તર વૈદિક કાળમાં વૈદિક કર્મકાંડમાં જ્ઞાનતત્વ ઘટતું ગયું; આધ્યાત્મિક ર્દષ્ટિબિંદુ તરફ દુર્લક્ષ થવા લાગ્યું અને અજ્ઞાનમૂલક જડશ્રદ્ધા તથા કર્મમૂલક સકામતાનો પ્રભાવ વધતો ગયો. યજ્ઞમાં પશુહિંસા વગેરેને મહત્વ મળવા લાગ્યું અને વૈદિક ભક્તિમાર્ગનું પ્રાધાન્ય ઘટી ગયું. આવે વખતે તેની સામે જૈન તીર્થંકરોનો ઉગ્ર તપશ્ચર્યામૂલક પ્રખર અહિંસામૂલક વૈરાગ્યમાર્ગ તથા બુદ્ધનો અહિંસામૂલક મધ્યમમાર્ગનો મહિમા સ્થપાયો ત્યાં પણ ધીમે ધીમે જ્ઞાનપૂર્વકના નવા ભક્તિમાર્ગનો ઉદભવ થયો. એ બંને માર્ગોમાં અનુક્રમે આદિ તીર્થંકર ઋષભદેવથી મહાવીર સુધીના ચોવીસ તીર્થંકરો પ્રત્યેની ભક્તિનો જૈન સંપ્રદાયમાં તથા બુદ્ધ પ્રત્યેની ભક્તિનો બૌદ્ધોમાં પ્રચારપ્રસાર થયો. પણ આ બે સંપ્રદાયોમાં પ્રચલિત થયેલ તીર્થંકર અથવા બુદ્ધની ભક્તિનાં મૂળ પણ છેક વેદકાળથી પ્રચલિત એવી પુરુષવિધ પરમાત્માની ભક્તિમાંથી પાંગર્યાં જણાય છે. પ્રવૃત્તિમાર્ગીય વૈદિક પરંપરાથી આ બે નિવૃત્તિમાર્ગીય પરંપરાઓ અલગ પડી, તેથી તેમના અનુયાયીઓની ભક્તિનું લક્ષ્યપાત્ર બદલાયું એટલું જ; બાકી એ લક્ષ્યને લગતા જ્ઞાનના પાયા પર, એ લક્ષ્ય પ્રત્યેની ર્દઢ શ્રદ્ધા, પ્રેમ અને વિશ્વાસ પર જ એમની સર્વ જીવનક્રિયાઓ કેન્દ્રિત થઈ હતી. તેથી આ બંને સંપ્રદાયો પણ વાસ્તવમાં તીર્થંકરભક્તિ કે બુદ્ધભક્તિના માર્ગો જ હતા. આ ભક્તિ એ કેવળ માન્યતા ન હતી. પણ પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસના સુભગ સમન્વયરૂપ ભાવના હતી.

સર્વસામાન્ય જનો માટેના ધર્મમાં બે પાસાં પ્રયોજાયેલાં જોવા મળે છે; એક છે વિધિવિધાનોનું અને તે જીવનના બાહ્ય નાશવંત પાસાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે બીજું આધ્યાત્મિક પાસું ધર્મના આંતરિક હાર્દરૂપ મન, બુદ્ધિ અને આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. વૈદિક ધર્મમાં પણ આવાં બે પાસાં હતાં, જેમાં યજ્ઞયાગાદિ કર્મકાંડ એ બાહ્ય પાસું હતું. આ પાસા પ્રત્યે સામાન્ય જનોને આદરયુક્ત આકર્ષણ રહે તે માટે વિવિધ કર્મકાંડોની સાથે દેવોની પ્રસન્નતા તથા તેથી થનારા ફાયદાઓને લગતા ફલાદેશો જોડાયા હતા, જે સફળ થતા કે ન પણ થતા. ન થતા ત્યારે કર્મમાં કોઈ દોષ નડતો હોવાનું માનવામાં આવતું હતું. વાસ્તવમાં યજ્ઞયાગાદિક એ સામાજિક એકત્રીકરણ માટેનું અને ધર્મશ્રદ્ધાને ટકાવી રાખવાનું એક વ્યવસ્થિત આયોજન હતું. તેમાં શ્રદ્ધાભક્તિ એક આવશ્યક અંગ હતી, પરંતુ ઉત્તરકાળમાં જેને ‘ભક્તિમાર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે તેવો આ ભક્તિમાર્ગ ન હતો. દેવ અને મનુષ્ય વચ્ચે પરસ્પર એકબીજાની જરૂરિયાત પૂરી કરવાનો અને એ રીતે ઉભયનું શ્રેય સાધવાનો સંબંધ માન્ય થયેલો હતો, અને યજ્ઞયાગાદિનું પ્રવર્તન પણ એ અર્થે જ હતું.

ઉત્તરકાલમાં એમાંથી ભાગવત વગેરે ભક્તિપરક માર્ગોનો ઉદય થયો. શ્રીકૃષ્ણના જમાના(અર્થાત્ ભારતીય કાલગણનાપરંપરા અનુસાર દ્વાપરયુગના અંત્યભાગ)માં તેમણે ઉપદેશેલો જીવનમાર્ગ પ્રવર્તતો હતો. ભાગવતપુરાણમાં આ ભગવાન શ્રીકૃષ્ણે ઉપદેશેલ જીવનમાર્ગનું જ બૃહદ્ રૂપે અનેક જીવનચરિત્રોના માધ્યમથી સૃષ્ટિના આદિકાળથી છેક શ્રીકૃષ્ણના જમાના સુધીનું નિરૂપણ છે. તેથી જ તેને ભગવાને ઉપદેશેલ માર્ગ તરીકે ‘ભાગવત માર્ગ’ તરીકે ઓળખવામાં આવ્યો છે. આ માર્ગ ખૂબ પ્રાચીન કાળથી પ્રવર્તતો હતો એવું ભાગવતપુરાણ, વિષ્ણુપુરાણ, મહાભારત વગેરેમાં નિરૂપિત થયેલું છે. આ ભાગવતમાર્ગમાં સર્વવ્યાપક વિષ્ણુને જ પરમાત્મા, પરમેશ્વર આદિનારાયણ કે ભગવાનરૂપે સ્વીકારવામાં આવ્યા છે. યુગે યુગે તેમના જ વિવિધ અવતારો થયા છે. તેમના દસ અવતારોમાંના ત્રેતા યુગમાંના આઠમા રામાવતારને મર્યાદાપુરુષોત્તમના અવતારરૂપે તથા દ્વાપરયુગના અંતમાં થયેલા નવમા કૃષ્ણાવતારને પૂર્ણપુરુષોત્તમના અવતારરૂપે રજૂ કરવામાં આવ્યા છે.

ભાગવતધર્મને પાંચરાત્ર, ઐકાન્તિક, નારાયણ, વાસુદેવ, વૈષ્ણવ, સાત્વત વગેરે નામે ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુમાં જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ એ છ ‘ભગ’ અર્થાત્ ઉત્કૃષ્ટ સદગુણો પૂર્ણરૂપે રહેલા છે અને એમના કૃષ્ણાવતારમાં એ છયે ગુણો પ્રગટ થયેલા છે. તેથી એમને ‘ભગવાન’ કહેવામાં આવ્યા છે. મૂળ વૈદિક ધર્મમાંનું પુરુષવિધ પરમાત્મતત્વ અહીં પાયામાં રહેલું છે. એ પરમાત્મતત્વના પૂર્ણાવતાર તરીકે શ્રીકૃષ્ણની ભક્તિ મહાભારતકાળથી અર્થાત્ ભારતીય કાલગણનાસિદ્ધાંત અનુસાર યુધિષ્ઠિર સંવતના આરંભનાં, અર્થાત્ આજે પ્રચલિત વિક્રમ સંવત કે ઈસવી સનની પૂર્વેનાં ત્રણેક હજાર વર્ષોથી ભારતમાં પ્રવર્તતી હતી. એમાં વિષ્ણુની ભક્તિ ક્ષીરસમુદ્રમાંના શેષશાયી વિષ્ણુને અનુલક્ષીને થતી હતી. સૂર્યરૂપે પણ તે ભક્તિ થતી હતી; પરંતુ મહાભારતકાળથી સાત્વત કે નારાયણીય ભાગવતધર્મનો પ્રચાર વધુ પ્રમાણમાં થયેલો જોવા મળે છે.

સમય જતાં જેમ વિષ્ણુની ઉપાસનાને પ્રાધાન્ય આપતો ભાગવતમાર્ગ તેમજ શિવની ઉપાસનાને પ્રાધાન્ય આપતો શૈવમાર્ગ અને મૂળ અવ્યક્ત પરમાત્મશક્તિની ઉપાસનાને પ્રાધાન્ય આપતો શાક્ત ભક્તિમાર્ગ – એ ત્રિવિધ ભક્તિમાર્ગો વિકાસ પામ્યા.

ખૂબ પ્રાચીન કાળથી ભારતમાં જ્ઞાન–દર્શન–ચારિત્ર્યને પરસ્પર સંકળાયેલાં માનવામાં આવ્યાં છે. કેવળ તર્કમૂલક જ્ઞાન પૂરતું ન હતું, તે દર્શનમાં પરિણમે અને પછી આચારમાં ઊતરે ત્યારે જ તે ‘ધર્મ’ રૂપ પામતું; કારણ કે આચાર કરતા, સાંખ્યયોગમતના દાર્શનિકો પણ નિવૃત્તિમાર્ગી હોઈ નાથરૂપે શિવને ઉપાસ્ય ગણતા. વેદાન્તી દાર્શનિકો મહદંશે વિષ્ણુના ઉપાસક હતા. આદિ શંકરાચાર્યથી માંડીને છેક હમણાં સુધીના શંકરાચાર્યો પરંપરાપ્રાપ્ત ચંદ્રમૌલીશ્વરના સ્ફટિક શિવલિંગની અને મેરુરૂપ શ્રીયંત્રની ખૂબ ચીવટથી પ્રતિદિન ઉપાસના કરે છે અને સંન્યાસી તરીકે ચિત્તથી નિવૃત્તિમાર્ગી હોવા છતાં ધર્મજાગૃતિ અર્થે સતત પરિભ્રમણનો પ્રવૃત્તિમાર્ગ અપનાવીને જીવન વ્યતીત કરતા જોવા મળે છે. વળી તેમણે પારમાર્થિક સત્ય તરીકે નિર્ગુણ નિરાકાર બ્રહ્મતત્વનો અદ્વૈતસિદ્ધાંત સ્થાપ્યો હોવા છતાં જનસામાન્ય માટે ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, શિવ અને દેવી – એ પંચદેવની ઉપાસનાનો આચાર ઉપદેશ દ્વારા પ્રવર્તાવ્યો. આ રીતે બુદ્ધિથી દાર્શનિક અને તેના આધારે જગત, આત્મા તથા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી, આચાર દ્વારા તેની ઉપાસના ર્દઢ ભક્તિપૂર્વક કરવાની એક પ્રણાલિકા ભારતમાં ખૂબ પ્રાચીન કાળથી પ્રચલિત રહી છે. આમ ભક્તિમાર્ગ ખૂબ વ્યાપક, દાર્શનિક મતોથી ઉપરવટનો અને ધર્મના આચરણના પાયામાં અનિવાર્યપણે રહેલો જણાય છે.

કુષાણ અને ગુપ્તયુગમાં વિષ્ણુની ઉપાસના પર આધારિત ભાગવતધર્મ અનેક રૂપે વિકાસ પામ્યો. શરૂ શરૂમાં ભાગવતધર્મને વેદબાહ્ય ગણવામાં આવતો હતો, પણ એના અનુયાયીઓએ ખૂબ પરિશ્રમપૂર્વક તેને વેદપરક સિદ્ધ કરવાનો પુરુષાર્થ કર્યો છે. ભાગવતપુરાણ અને શાંડિલ્યભક્તિસૂત્રમાં તો એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે વેદ અને પુરાણોમાં પરમ લક્ષ્યરૂપે પરમાત્માની પ્રાપ્તિનું કોઈ સાધન પ્રાપ્ત ન થતાં દ્વૈપાયન વ્યાસ ભક્તિમાર્ગે વળ્યા. અહીં તો વેદધર્મ કરતાં પણ ભાગવતધર્મને ઉપર ઉઠાવવાનો પ્રયાસ સ્પષ્ટ દેખાઈ આવે છે.

મહાભારતમાં આવેલાં અનેક આખ્યાનો પરથી જણાય છે કે ભગવત્પ્રાપ્તિ માટે જેટલું મહત્વ અનન્યભાવયુક્ત ભક્તિનું છે એટલું યજ્ઞાનુષ્ઠાન, તપસ્યા વગેરેનું નથી. આ ભક્તિ પણ નિવૃત્તિપરક નહિ, બલકે પ્રવૃત્તિપરક અને ચાર યુગોના ધર્મ તથા નિષ્કામ કર્મનું વિધાન કરે છે. એમાં અહિંસાનું પ્રાધાન્ય છે. મહાભારતકારે ભક્તિધર્મની ક્રમપરંપરાનું વર્ણન કરતાં કહ્યું છે કે સૃષ્ટિના આરંભે બ્રહ્માજીએ દક્ષપ્રજાપતિને આ ધર્મનો ઉપદેશ કર્યો. દક્ષે પોતાની પુત્રીના જ્યેષ્ઠ પુત્ર આદિત્યને, આદિત્યે પોતાના નાના ભાઈ વિવસ્વાનને, વિવસ્વાને ત્રેતાયુગના આરંભે મનુને અને મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને આ ધર્મનું શિક્ષણ આપ્યું. ઇક્ષ્વાકુએ વિશ્વભરમાં આ ધર્મનો પ્રચાર કર્યો. ગીતાના ચોથા અધ્યાયમાં આરંભે જ આ ક્રમ સંક્ષેપમાં દર્શાવ્યો છે. ઉપરાંત મહાભારત જણાવે છે કે નારદે આ ભક્તિધર્મને રહસ્ય તથા સંગ્રહ સહિત સાક્ષાત્ નારાયણ પાસેથી પ્રાપ્ત કર્યો હતો. આમ આ ધર્મ મહાન છે. સર્વમાં મુખ્ય છે અને સનાતન છે, ઐકાન્તિક છે.

ભાગવતધર્મના ઉત્તરકાલીન સ્વરૂપમાં જે નવો સુધારો થયો તેનો આરંભ સંભવત: વાસુદેવ કૃષ્ણ દ્વારા થયો. ભગવદ્ગીતા દ્વારા તેમણે આ કાર્ય સંપન્ન કર્યું. એ વખતે એ વ્યાપક ધર્મ હતો. પછી તે એક સ્વતંત્ર સંપ્રદાય બન્યો અને શ્રીકૃષ્ણની સાથે મર્યાદાપુરુષોત્તમ રામ તથા અન્ય અવતારી પુરુષોને ભાગવતધર્મમાં સાંકળી લેવામાં આવ્યા.

મધ્યકાળમાં નારદ અને શાંડિલ્યનાં ભક્તિસૂત્રોમાં તથા દક્ષિણ ભારતની આળવાર ભક્ત-પરંપરામાં ભક્તિના પ્રકારોની પુષ્કળ છણાવટ કરવામાં આવી છે અને તેમાં નવધા ભક્તિ ખૂબ પ્રચલિત છે. એ મુજબ પરમાત્માની ભક્તિ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, સખ્ય, દાસ્ય અને આત્મનિવેદન – એ નવ પ્રકારે થઈ શકે છે. ઘણી વાર એકથી વધુ પ્રકારોનું પણ આલંબન લેવામાં આવતું જણાય છે. આ ઉપરાંત સંસ્કૃત અલંકારશાસ્ત્રના નવ રસો, ભાવો વગેરેનું પ્રાકટ્ય મધુરા ભક્તિમાં થતું હોવાનું પણ માનવામાં આવે છે. ભાગવતધર્મના દરેક અનુયાયીને પોતપોતાના સ્વભાવ અનુસાર ગુરુ તરફથી સંતસેવા, શાસ્ત્રશ્રવણ અને ભજનકીર્તન કરવાનો અને સદગુણી અને ભગવત્પરાયણ જીવન કેળવવાનો આદેશ અપાય છે.

શંકરાચાર્યે વૈદિક ધર્મનો પુનરુદ્ધાર કર્યો; તે પછી વિક્રમ સંવત તથા ઈસવી સનની બારમી શતાબ્દી અને તે પછીની સદીઓ દરમિયાન દક્ષિણ ભારતમાં  ભાગવતધર્મના મુખ્ય ચાર ભક્તિમૂલક સંપ્રદાય ઉદભવ્યા : (1) રામાનુજાચાર્યનો શ્રીસંપ્રદાય; (2) મધ્વાચાર્યનો બ્રહ્મસંપ્રદાય, (3) વિષ્ણુસ્વામીનો રુદ્રસંપ્રદાય અને (4) નિંબાર્કાચાર્યનો સનકાદિસંપ્રદાય. આ બધા આચાર્યોએ પોતપોતાના ભક્તિસંપ્રદાયને વૈદિક પરંપરા સાથે અને ખાસ કરીને ઉપનિષદોનાં વેદાન્ત, ભગવદગીતા તથા બાદરાયણના બ્રહ્મસૂત્ર સાથે સાંકળી લીધો. વિષ્ણુસ્વામીના સંપ્રદાયમાં ભગવાન તરીકે રુદ્ર અર્થાત્ શંકરને માનવામાં આવ્યા છે. આ સિવાયના બાકીના ઉપરના સંપ્રદાયોએ વિષ્ણુનાં વિવિધ સ્વરૂપોને ભગવાન માનીને ભક્તિમાર્ગ પ્રવર્તાવ્યો છે.

ઉત્તર ભારતમાં સંત નાનક, સંત કબીર, સંત ગોસ્વામી તુલસીદાસ, સ્વામી રામાનંદ, ચૈતન્ય મહાપ્રભુ વગેરેએ શ્રીરામ કે કૃષ્ણ કે નિર્ગુણ પરમાત્માને ભગવાનરૂપે સ્થાપી તત્પરાયણ ભક્તિમાર્ગ પ્રવર્તાવ્યો અને કાળાંતરે જેમ જૈન અને બૌદ્ધ પરંપરાઓ મૂલત: વૈદિક નિવૃત્તિપરક સંતપરંપરામાંથી ઉદભવી હોવા છતાં પોતાની પરંપરાને અવૈદિક અને લોકતંત્રપરાયણ ગણાવવા માંડી, તેવું જ ભાગવતના વૈષ્ણવધર્મની બાબતમાં પણ બનવા લાગ્યું. પરિણામે મૂલત: જ્ઞાન-કર્મ-ઉપાસનારૂપ ભક્તિમૂલક અધ્યાત્મમાર્ગથી સાવ અલગ અને કર્મમાર્ગ તથા જ્ઞાનમાર્ગથી વિપરીત એવો સ્વતંત્ર ભક્તિમાર્ગ હોવાનો અભિગમ લોકસમાજમાં રૂઢ થવા લાગ્યો. સંત નાનક અને સંત કબીરે ભગવાનના નિર્ગુણ સ્વરૂપ પર ભાર મૂક્યો અને રામ, કૃષ્ણ વગેરે સ્વરૂપોને મૂલત: નિર્ગુણ જ ગણાવ્યા અને ભક્તિમાર્ગ વિના વેદ, પુરાણ વગેરેનો મર્મ સમજવો શક્ય નથી તેમ ઉપદેશ કર્યો. વચ્ચે વૈદિક ભક્તિમાર્ગ અને કુરાનનો સમન્વય કરવાના પ્રયત્નમાંથી પ્રણામી સંપ્રદાય ઉદભવ્યો. તો બીજી તરફ સંતોના નિર્ગુણભક્તિમાર્ગે ચાલતા સમાજ પર મુઘલ સમ્રાટોના અત્યાચાર સામે પ્રતિકાર કરતો અકાલ પુરુષપરક શીખ સંપ્રદાય ઉદભવ્યો. જાયસી, સૂરદાસ, મીરાં વગેરેએ ભગવાન શ્રીકૃષ્ણના પ્રેમને પાયામાં રાખી ભાગવત ભક્તિમાર્ગ અપનાવ્યો. જ્યારે મહાપ્રભુ વલ્લભાચાર્યે આજથી આશરે ચાર સો વર્ષ પૂર્વે પોતે મૂલત: આંધ્રપ્રદેશના યજુર્વેદી પરંપરાના તૈલંગણ બ્રાહ્મણ હોવાથી વૈદિક પરંપરા સાથે અનુસંધાન જોડી રાખીને શ્રીકૃષ્ણની ભક્તિને કેન્દ્રમાં રાખીને વૈષ્ણવ ભાગવતધર્મનો પુષ્ટિમાર્ગ પ્રવર્તાવ્યો. તેમના પુત્ર ગોસ્વામી વિઠ્ઠલેશજીએ મુઘલ રાજદરબારમાંના પોતાના અમાત્ય-સમકક્ષ પદને અનુલક્ષીને આ પુષ્ટિમાર્ગની વ્યાવહારિક આચારપરંપરા તથા પોતાના વંશજો દ્વારા એના કારભારની જવાબદારી દીર્ઘકાળ સુધી સુરક્ષિત રહે એવી વ્યવસ્થા ગોઠવી આપી. આમ આશરે બસો વર્ષ પૂર્વે વિઠ્ઠલેશે ગોઠવેલી વ્યવસ્થાને અપનાવીને સ્વામી સહજાનંદજીએ શ્રીહરિસ્વરૂપે પોતે અવતારોના ખુદ અવતારી છે એમ જાહેર કરી સ્વામિનારાયણ સંપ્રદાયરૂપે વૈષ્ણવભક્તિમાર્ગ પ્રવર્તાવ્યો.

સિદ્ધાંતો : (1) ભક્તિમાર્ગના આચાર્યો, સંતો અને ભક્તો કહેતા કે સંસારમાંથી મુક્તિ માટે અર્થાત્ મોક્ષ માટે યજ્ઞ કરવા કે પૂજારીઓની મદદ લેવાની જરૂર નથી; જરૂર તો છે ભગવાનની ભક્તિ કરવાની. ભક્તિ એટલે ઉપાસ્ય ઇષ્ટદેવના તરફ સતત પ્રવાહિત થતી નિ:સ્વાર્થ પ્રેમ-ભાવના. હૃદયમાં આવી ભાવના રાખી ભજનકીર્તન અને નામ-જપ વગેરે આધ્યાત્મિક સાધનો દ્વારા એને અભિવ્યક્ત કરવી જોઈએ. ભગવાનને આત્મસમર્પણ કરી તેની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી જોઈએ. તેઓ ર્દઢપણે માનતા અને કહેતા કે ઉપાસના સગુણ-સાકારની કરો કે નિર્ગુણ-નિરાકાર સ્વરૂપની કરો એમાં કોઈ ફરક પડતો નથી. પરમાત્મા તો એક જ છે. (2) આચાર્યો અને સંતોએ ભક્તિમાર્ગે પ્રયાણ કરવા માટે સદગુરુની આવશ્યકતાનો સ્વીકાર કર્યો છે. ગુરુ નાનકે લખ્યું છે કે ગુરુ તો મુક્તિરૂપી નાવ છે. દિવ્યધામમાં પહોંચવાની સીડી છે. શિષ્યના ઊંઘતા આત્માને ગુરુ જાગ્રત કરે છે અને સેવા, પ્રેમ તેમજ ભક્તિના માર્ગે દોરે છે. ગુરુ પોતાના શિષ્યને ઈશ્વરનો સાક્ષાત્કાર પણ કરાવી શકે છે. (3) ભક્તિમાર્ગના આચાર્યો અને સંતોએ વર્ણ, જાતિ, લિંગ અને ધર્મના નામે પડેલા ભેદભાવો પર ઉગ્ર પ્રહાર કરીને પ્રાણીમાત્રની એકતા પર ભાર મૂક્યો હતો.

‘जाति-पाँति पूछे नहीं कोई, हरि को भजे सो हरि का होई ।’

રામાનંદ સ્વામીએ પ્રવર્તાવેલું આ સૂત્ર મધ્યકાલમાં પ્રવર્તેલા ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું. આચાર્યો અને સંતોએ અછૂત ગણાતા લોકો અને મુસલમાનો સુધ્ધાંને પોતાના શિષ્ય તરીકે અપનાવ્યા હતા. ભક્તિઆંદોલનના અગ્રેસર સંતો અને ભક્તો ઘણું કરીને સમાજના દલિત વર્ગમાંથી આવતા હતા; જેમ કે કબીર વણકર, નાનક ખત્રી, રૈદાસ મોચી અને નામદેવ દરજી હતા.

ભક્તિઆંદોલન

મધ્યકાલીન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં ભક્તિઆંદોલન વિશિષ્ટ મહત્વ ધરાવે છે. મધ્યકાલમાં પ્રવર્તતી રાજકીય, સામાજિક અને ધાર્મિક સ્થિતિ પ્રજાના મોટા વર્ગ માટે ઘણી નિરાશાજનક હતી. મુસ્લિમ શાસકો ધાર્મિક નીતિને કટ્ટરતાપૂર્વક અમલમાં મૂકતા હતા, જેને લઈને હિંદુ પ્રજામાં લાચારી, ક્ષુબ્ધતા અને ઉદાસીનતા પ્રવર્તતી હતી. સામાજિક ક્ષેત્રે જ્ઞાતિબંધનોની કઠોરતા, ઉચ્ચ વર્ગનું ભોગવિલાસમય જીવન, દલિતો અને નીચલા વર્ગની દયાજનક સ્થિતિ અને ધાર્મિક ક્ષેત્રે અંધશ્રદ્ધા અને આડંબરોના અંધકારમાં પ્રજા અટવાતી હતી. આ પરિસ્થિતિમાં એક વ્યાપક સુધારાવાદી આંદોલન માટેની યોગ્ય ભૂમિકા તૈયાર થઈ. ઉત્તર ભારતમાં આવી સ્થિતિ પ્રવર્તતી હતી ત્યારે દક્ષિણ ભારતમાં આળવાર વૈષ્ણવ સંતો અને ભક્તો તેમજ તેમને અનુસરીને રામાનુજ જેવા આચાર્યોએ વૈષ્ણવ ભક્તિ-આંદોલનનો આરંભ કર્યો હતો. શૈવ નાયણાર સંતોએ ભક્તિમાર્ગનો પ્રસાર કર્યો હતો. દક્ષિણના એ ભક્તિઆંદોલનમાં ઉત્તર ભારતનાં ઉપર્યુક્ત અનિષ્ટો નાબૂદ કરવાના ઉપાયો હોવાથી સ્વામી રામાનંદ એને ઉત્તર ભારતમાં લઈ આવ્યા. તેમણે અને તેમના કબીર વગેરે શિષ્યોએ એ આંદોલનને જોતજોતામાં ભારતવ્યાપી બનાવી દીધું. સ્વામી રામાનંદે (ચૌદમી સદી) આળવારો અને આચાર્યોની ભક્તિનાં બધાં ઉમદા તત્વોને અપનાવીને એમાં જરૂરી નવાં તત્વો ઉમેરી આ આંદોલન જગાવ્યું. ઉત્તરમાં આ વખતે સગુણ અને નિર્ગુણ – એમ બે ભક્તિધારાઓનું બીજારોપણ થયું. સમય જતાં સગુણ ભક્તિધારામાં રામ-ભક્તિધારા અને કૃષ્ણ-ભક્તિધારા એવા બે ફાંટા પડ્યા. રામભક્તિધારામાં ગોસ્વામી તુલસીદાસ અગ્રેસર હતા. કૃષ્ણભક્તિધારામાં વલ્લભાચાર્ય, સૂરદાસ, ચૈતન્ય, નરસિંહ મહેતા, મીરાંબાઈ, જ્ઞાનેશ્વર, તુકારામ, શંકરદેવ વગેરે અનેક ભક્તો અને સંતો અગ્રેસર થયાં. કૃષ્ણભક્તિધારાનો વ્યાપક ફેલાવો થયો. નિર્ગુણ ભક્તિધારામાં કબીર, રૈદાસ, નાનક અને દાદુ દયાળ જેવા નામાંકિત સંતો થયા.

આળવાર તથા નાયણાર સંતો : દક્ષિણ ભારતમાં ઈશ્વરની ઉપાસના માટે ભાવ અને સમર્પણસભર ભક્તિમાર્ગના પ્રારંભિક પ્રવર્તકો તરીકે આળવાર તથા નાયણાર સંતોનો ફાળો ઘણો નોંધપાત્ર છે. વિષ્ણુભક્તો આળવાર તરીકે અને શિવભક્તો નાયણાર અથવા અડિયાર તરીકે ઓળખાતા હતા. ઈસુની છઠ્ઠીથી દશમી સદી સુધી દક્ષિણ ભારતમાં ગામેગામ પરિભ્રમણ કરી પ્રેમ-ભક્તિનાં ગાન દ્વારા તેમણે આમ જનતામાં ભક્તિનો પ્રસાર કર્યો. આળવારોની પ્રવૃત્તિનું મુખ્યકેન્દ્ર શ્રીરંગમ્ હતું. જ્ઞાતિ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ લોકોને તેમણે વિષ્ણુભક્તિમાં પ્રવૃત્ત કર્યાં. એક માન્યતા મુજબ આવા કુલ 12 આળવારો થઈ ગયા, જેમાં સ્ત્રીઓ સહિત વિવિધ જ્ઞાતિ અને વ્યવસાયની વ્યક્તિઓનો સમાવેશ થતો હતો. તેમાંના કેટલાક તો જનતામાં વિષ્ણુના અવતાર તરીકે પૂજાતા હતા. વિષ્ણુભક્તિની તેમની રચનાઓ સાહજિકતાથી લોકમુખે ચડી જતી હતી. દશમી સદીમાં નાથમુનિ નામના આળવાર સંતે તમામ આળવારોની કૃતિઓનું ગ્રંથરૂપે સંકલન કર્યું હતું, જે ‘પ્રબંધમ્’ તરીકે જાણીતું છે. આળવારોએ રચેલા સાહિત્યને ‘તમિળ વેદ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં આર્ય દેવોની પ્રેમ અને ભક્તિભાવથી ઉપાસના કરવામાં આવી છે. રુદન, ગાન અને નૃત્ય દ્વારા પ્રદર્શિત પ્રેમ અને વિરહયુક્ત ભક્તિએ આળવારોની ઈશ્વર-ઉપાસનાની મુખ્ય લાક્ષણિકતા હતી. દક્ષિણનાં મંદિરોમાં તેમણે આ ઉપાસનાપદ્ધતિનો પ્રચાર કર્યો, જે કાળાંતરે ભારતના અન્ય પ્રદેશોમાં પણ વિસ્તરી. આળવારોની જેમ નાયણારો અથવા અડિયારોએ શિવને મુખ્ય દેવ માની શિવ પ્રત્યે પ્રેમ, ભક્તિ અને શરણભાવની ઉપાસનાપદ્ધતિ વિકસાવી. ચિદમ્બરમ્ શૈવ સંતોનું મુખ્ય કેન્દ્ર હતું. તિરુમૂલર તથા માણિક્કવાચકર એ જાણીતા શિવસંતો હતા. દક્ષિણમાં જૈન તથા બૌદ્ધ ધર્મના પડકાર સામે આ વૈષ્ણવ તથા શૈવ સંતોએ ભક્તિમાર્ગ દ્વારા હિંદુ ધર્મને જીવંત રાખ્યો.

રામાનુજાચાર્ય : ભક્તિઆંદોલનને દાર્શનિક સ્વરૂપ આપી તેનો વ્યવસ્થિત પ્રચાર કરવાનું શ્રેય રામાનુજાચાર્ય (ઈ. સ. 1017થી ઈ. સ. 1137)ને ફાળે જાય છે. કાંજીવરમ્ તથા શ્રીરંગમ્માં તેમણે વિદ્યાભ્યાસ કર્યો. તેમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈ તેમના ગુરુ પ્રસિદ્ધ વૈષ્ણવ સંત યામુનાચાર્યે તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા. દશમી સદીમાં શ્રીનાથમુનિ દ્વારા સ્થાપિત શ્રીવૈષ્ણવ સંપ્રદાયનો રામાનુજે પ્રચાર કર્યો. બ્રહ્મસૂત્રો પર ટીકાઓ લખી. શંકરના માયાવાદ અને અદ્વૈતવાદનું તેમણે ખંડન કર્યું. તેમણે સ્થાપિત કરેલો સિદ્ધાંત વિશિષ્ટાદ્વૈત તરીકે પ્રસિદ્ધ છે. શંકરાચાર્યની ર્દષ્ટિએ બ્રહ્મ એકમાત્ર સત્ય છે, જ્યારે જગત એ અવિદ્યા અથવા માયામાંથી ઉત્પન્ન થયું હોવાથી મિથ્યા છે. રામાનુજાચાર્યે બ્રહ્મની સંપૂર્ણતા સાથે જગતનો પણ સત્ય તરીકે સ્વીકાર કરી તેને પણ બ્રહ્મના સ્વરૂપ તરીકે ઓળખાવ્યું. બ્રહ્મના ચિત્ અને અચિત્ એવા બે ગુણો દર્શાવી તેને જગતની ઉત્પત્તિનું કારણ હોવાનું પ્રતિપાદિત કર્યું. તેમની ર્દષ્ટિએ આત્મા બ્રહ્મસ્વરૂપ હોવા છતાં તેનાથી ભિન્ન છે. પૂજા, પ્રાર્થના, ભક્તિ અને સમર્પણથી આત્માને પરમાત્માની પ્રાપ્તિ થાય છે અને તે મોક્ષ પામે છે. તે માટે તેમણે નિર્ગુણ બ્રહ્મને બદલે સગુણ બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ એમ કહ્યું. રામાનુજે વિષ્ણુને પરમાત્મા અને સર્વેશ્વર તરીકે સ્વીકારી તેમની તથા તેમના અવતારોની ભક્તિનો પ્રચાર કર્યો. કોઈ પણ જાતના ભેદભાવ વિના વ્યક્તિને ઈશ્વર-ઉપાસના અને મોક્ષપ્રાપ્તિનો અધિકાર છે તેમ તેઓ માનતા. શૂદ્રોને પણ તેમણે આ અધિકાર આપ્યો હતો અને અમુક નિશ્ચિત દિવસોએ મંદિરપ્રવેશની તેમને પણ છૂટ આપી હતી. તેમની રચનાઓ સંસ્કૃત ભાષામાં લખાઈ હોવા છતાં તેના પર તમિળ સાહિત્યનો ઊંડો પ્રભાવ હતો. શ્રી રામાનુજના શ્રી વૈષ્ણવસંપ્રદાયની તેમના મૃત્યુ પછી આશરે બે સદી બાદ ‘મર્કટ’ અને ‘માર્જાર’ નામે બે શાખાઓ પડી.

નિમ્બાર્ક : ભક્તિ આંદોલનના બીજા મહત્ત્વના પ્રવર્તક નિમ્બાર્ક હતા. તેઓ શ્રી રામાનુજાચાર્યના સમકાલીન, પરંતુ ઉંમરમાં તેમનાથી નાના હતા. તેમણે વિષ્ણુ અને શ્રીના અવતાર તરીકે કૃષ્ણ તથા રાધાની ઉપાસનાનો પ્રચાર કર્યો. તેમણે આપેલો સિદ્ધાંત ‘દ્વૈતાદ્વૈત’ અથવા ‘ભેદાભેદ’ તરીકે ઓળખાય છે. શંકરાચાર્યના અદ્વૈત અને રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત બંનેથી તેમનો મત ભિન્ન છે. તેમના દર્શનમાં બુદ્ધિ અને ભાવનાનું યોગ્ય મિશ્રણ થયેલું છે. દક્ષિણમાં જન્મ્યા હોવા છતાં મોટાભાગનો સમય તેમણે ઉત્તરભારતમાં વ્રજમાં પસાર કર્યો. ત્યાં તેમણે ગોપ-ગોપીઓ સહિત રાધાકૃષ્ણની ભક્તિને પ્રાધાન્ય આપ્યું. પરિણામે રાધાકૃષ્ણ સંપ્રદાયના પ્રવર્તક તરીકે તેમની ગણના થાય છે.

મધ્વાચાર્ય : તેરમી સદીમાં દક્ષિણ કર્ણાટકમાં ઉડીપી મુકામે જન્મેલા મધ્વાચાર્ય દ્વૈતવાદના સ્થાપક ગણાય છે. 25 વર્ષની વયે સંન્યસ્ત ધારણ કરી ગુરુ અચ્યુતપ્રેક્ષ પાસેથી દીક્ષા લઈ એકાંતિક વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી થયા. પ્રથમ દક્ષિણ હિંદનો વ્યાપક પ્રવાસ કર્યા પછી ઉત્તર હિંદ અને ગંગાકાંઠાના વિસ્તારોની પરિક્રમા કરી પોતાના વિચારોનો પ્રચાર કર્યો. તેઓ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. બૌદ્ધ તથા જૈન વિદ્વાનો સાથે વાદવિવાદમાં ઊતરી તેમણે નિરીશ્વરવાદનું ખંડન કર્યું. તે જ રીતે તેઓ શંકરાચાર્યના અદ્વૈત અને રામાનુજના વિશિષ્ટાદ્વૈતના મતના પણ વિરોધી હતા. તેઓ પરમાત્મા અને આત્મા વચ્ચેના ભેદનો સ્વીકાર કરી પરમાત્માને સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને સર્વજ્ઞ તત્વ તરીકે ઓળખાવતા હતા. તેમને મતે આત્મા પરમાત્માથી ભિન્ન છતાં તેના પર નિર્ભર રહે છે. સંપૂર્ણ શરણાગતિ અને ભક્તિ દ્વારા આત્મા પરમાત્મા સાથે મિલન સાધી મોક્ષપ્રાપ્તિ કરી શકે છે. તેમણે કુલ 37 જેટલા ગ્રંથો રચ્યા હોવાનું માનવામાં આવે છે; જેમાં બ્રહ્મસૂત્રો પરની ચાર ટીકાઓ ઉપરાંત ઋગ્વેદ, ઉપનિષદો, ભગવદ્ગીતા, મહાભારત અને ભાગવત પર રચેલા ગ્રંથોનો સમાવેશ થાય છે.

રામાનંદ : ઇસ્લામના આક્રમણે ઉત્તર ભારતમાં નવો સામાજિક તથા સાંસ્કૃતિક પડકાર ઊભો કર્યો. સમાજવ્યવસ્થા તથા ધર્મને લગતા કેટલાક પરંપરાગત ખ્યાલો જરીપુરાણા બન્યા. આ સંજોગોમાં માનવએકતા, સમાનતા અને એકેશ્વરવાદના મૂળભૂત ખ્યાલો પર આધારિત ભક્તિમાર્ગમાં આમજનતાને મુક્તિનો માર્ગ દેખાયો. ઉત્તર ભારતમાં ભક્તિમાર્ગનો પ્રસાર કરવાનું શ્રેય સ્વામી રામાનંદ(ચૌદમી સદી)ને ફાળે જાય છે. તેઓ રામાનુજાચાર્યના સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. તેમણે રામાનુજાચાર્ય દ્વારા પ્રસ્થાપિત ઉપાસનાપદ્ધતિમાં કેટલાક ફેરફારો કર્યા અને વિષ્ણુ અને લક્ષ્મીને સ્થાને રામ અને સીતાની ભક્તિનો પ્રારંભ કર્યો. પોતાના ઉપદેશની ભાષા તરીકે લોકબોલીનો ઉપયોગ કર્યો. સામાજિક બાબતે આળવારો અને નાયણારોની જેમ તેમણે પણ ઉદાર અભિગમ અપનાવી સ્ત્રીઓ તથા શૂદ્રો સહિત તમામ જ્ઞાતિઓ અને વર્ણના શિષ્યોને આવકાર્યા. તમામ શિષ્યો અને ઉપાસકો એકસાથે ભજન અને ભોજનમાં સામેલ થાય તેવો આગ્રહ તેમણે સેવ્યો. કબીર સહિત બાર જેટલા શિષ્યોનો સમૂહ તેમની સાથે સંકળાયેલો હતો. તેમના અનુયાયીઓની સંખ્યા ઘણી વિશાળ હતી, છતાં કોઈ સંગઠિત સંપ્રદાયની તેમણે સ્થાપના કરી હોવાનું જણાતું નથી. તેરમી તથા ચૌદમી સદી દરમિયાન ઉત્તર ભારતમાં જે રીતે મુસ્લિમ શાસન, ધર્મ અને સંસ્કૃતિનો વ્યાપક પ્રસાર થયો હતો તેને કારણે તેઓ ઘણા મુસ્લિમ ધર્મપુરુષો અને ચિંતકોના સંપર્કમાં આવ્યા હતા; પરિણામે તેમના વિચારોની તેમના પર કેટલીક અસર પડી હોવાનું જણાય છે. ભક્તિમાર્ગનો ઉપદેશ તેમણે હિન્દી ભાષા દ્વારા પ્રબોધ્યો. રીતરિવાજો, કર્મકાંડ, તીર્થયાત્રાઓ તથા ઉત્સવોને સ્થાને તેમણે પ્રેમ, સેવા અને સમર્પણ દ્વારા ઈશ્વરઉપાસનાનો માર્ગ ચીંધ્યો. તેમના શિષ્યમંડળમાં મુસ્લિમો સહિત સ્ત્રીઓ, નાયી, જાટ, વણકર, મોચી વગેરે ધર્મ અને જ્ઞાતિના શિષ્યોનો સમાવેશ થયો હતો.

કબીર : એક હિન્દુ વિધવાને પેટે જન્મેલા અને મુસ્લિમ વણકર દ્વારા ઉછેર પામેલા કબીર મધ્યકાલ(પંદરમી સદી)માં થઈ ગયેલા પ્રસિદ્ધ સંત હતા. નાનપણથી જ તેઓ વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા. પોતાના પાલક પિતાનો વણકરનો વ્યવસાય સ્વીકારી તેમણે ગૃહસ્થ જીવન વિતાવવાનું પસંદ કર્યું હતું. તેઓ રામાનંદ સ્વામીના શિષ્ય બન્યા. હિન્દુ-મુસ્લિમ એકતા તથા માનવ-સમાનતાના તેઓ ચુસ્ત હિમાયતી હતા અને બ્રાહ્મણો તથા મૌલવીઓની ધર્મક્ષેત્રે સર્વોપરિતા તેમજ બંને ધર્મમાં પ્રચલિત ક્રિયાકાંડો અને બાહ્યાડંબરો તથા જાતિ-જ્ઞાતિ, મૂર્તિપૂજા અને ઊંચનીચના ખ્યાલોના કટ્ટર વિરોધી હતા. એકેશ્વરવાદ, પ્રેમ, સેવા અને ભક્તિ પર તેમણે ભાર મૂક્યો. પોતાના ગુરુ રામાનંદની જેમ તેમણે પણ હિંદીમાં પોતાનો ઉપદેશ આપ્યો. પોતે અશિક્ષિત હોવા છતાં લોકબોલીમાં ઘણાં પદોની રચના કરી, જે દ્વારા સમાજમાં પ્રચલિત કુરવિાજો, અંધશ્રદ્ધા અને આડંબરો પર તેમણે ભારે પ્રહારો કર્યા. તેમના ઉપદેશમાં વિશિષ્ટાદ્વૈત અને ભેદાભેદ બંને મતોનાં દર્શન થાય છે. તેઓ નિર્ગુણ ઈશ્વરની ઉપાસના પર વધુ ભાર મૂકે છે. તેમની રચનાઓને તેમના શિષ્યોએ ગ્રંથસ્થ કરી છે. તેમના અનુયાયીઓએ કબીરપંથની સ્થાપના કરી, તેમનાં જ્ઞાન અને ઉપદેશની પરંપરા ચાલુ રાખી.

નાનક : કબીરની જેમ જ ભક્તિસંપ્રદાયના બીજા મહત્વના સમન્વયવાદી સંત નાનક (1469–1539) શીખ ધર્મના સ્થાપક ગણાય છે. અત્યારના પાકિસ્તાનમાં લાહોરથી વાયવ્યમાં 56 કિમી. દૂર આવેલા તલવંડી નામના ગામમાં જન્મેલા નાનક નાનપણથી જ ચિંતનશીલ પ્રકૃતિ ધરાવતા હતા. પુખ્તવયે સુલતાનપુરમાં સરકારી નોકરી સ્વીકારી, પરંતુ સરકારી અનાજની ગોદામમાં તોલમાપનું અને હિસાબીકામ તેમના સાત્વિક સ્વભાવને અનુકૂળ ન હતું. મોટાભાગનો સમય તેઓ સાધુસંતો સાથેના સત્સંગમાં વિતાવતા હતા. તેમણે ગૃહસ્થાશ્રમમાં રહીને ઈશ્વરભક્તિ, ઉપદેશ અને જનસેવાની પ્રવૃત્તિ ચાલુ રાખી. વ્યાપક પ્રવાસ કરી વિવિધ ભાષાઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સમગ્ર હિંદ તથા પશ્ચિમ અને મધ્ય એશિયાના દેશોમાં પ્રવાસ કરી વિવિધ ધર્મો અને સંતપુરુષોના સંપર્કમાં આવ્યા. પરિણામે તેમના વિચારોમાં ઉદારતા અને ઊંડાણ વધ્યાં. પોતાના જ્ઞાનના નિચોડરૂપે તેમણે અનેક પદો તથા ગીતોની રચના કરી. તેઓ એક જ ઈશ્વરની ઉપાસનામાં માનતા હતા. હિન્દુઓ તથા મુસ્લિમો વચ્ચે સંવાદ ઊભો કરવાનો પ્રયાસ કરતા હતા. ઇસ્લામના સમાનતા અને એકેશ્વરવાદના ખ્યાલોથી તેઓ પ્રભાવિત થયા હોવા છતાં તેમના વિચારોનાં મૂળ ઉપનિષદોમાં પ્રેરિત અદ્વૈત અને એકેશ્વરવાદના સિદ્ધાંતો સાથે વધુ સુસંગત છે. તેઓ કર્મકાંડ,  મૂર્તિપૂજા, અંધશ્રદ્ધા, અવતારવાદ તથા કુરૂઢિઓનો ઉગ્ર વિરોધ કરતા હતા. મનુષ્ય તથા ઈશ્વર વચ્ચે ધર્મગુરુઓની મધ્યસ્થીનો તેઓ અસ્વીકાર કરતા હતા. અલબત્ત, ઈશ્વરપ્રાપ્તિના પથદર્શક તરીકે ગુરુનું સ્થાન તેમણે મહત્વનું ગણ્યું હતું. તેઓ જ્ઞાતિપ્રથાના વિરોધી હતા અને તમામ જ્ઞાતિની વ્યક્તિઓને પોતાના શિષ્યો તરીકે સ્વીકારી હતી. ઈ. સ. 1539માં તેમનું અવસાન થયું. તેમના પછી તેમના શિષ્ય અંગદે એમની પરંપરા ચલાવી. કાલાંતરે શીખધર્મનો વિકાસ થયો. અમૃતસર શીખોનું મુખ્ય તીર્થ બન્યું. ગુરુ નાનક તથા તેમના અનુગામી નવ ગુરુઓનાં વચનો અને ઉપદેશોના સંગ્રહમાંથી આદિગ્રંથની રચના થઈ. ઔરંગઝેબના સમયમાં બાદશાહની અન્યાયી ધર્મનીતિના પ્રત્યાઘાત-રૂપે શીખ ધર્મે લડાયક રૂપ ધારણ કર્યું.

વલ્લભાચાર્ય : વૈષ્ણવ સંપ્રદાયની કૃષ્ણભક્તિ શાખામાં પુષ્ટિમાર્ગની સ્થાપના કરનાર વલ્લભાચાર્ય (1479–1531) બનારસના વતની, પણ મૂલત: તેલંગી બ્રાહ્મણ હતા. બાળપણથી બુદ્ધિશાળી અને જ્ઞાનમાર્ગી વ્યક્તિત્વ ધરાવતા હોવાને કારણે તેમણે નાની ઉંમરે વેદો, પુરાણો તથા શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. 11 વર્ષે પિતાનો અને તે પછી થોડા સમયે માતાનો દેહાંત થયો. તે પછી ધર્માભ્યાસ અને પ્રચારપ્રસારની પ્રવૃત્તિનો તેમણે પ્રારંભ કર્યો. તેમણે સંપૂર્ણ ભારતનું ત્રણ વાર પગપાળા પર્યટન કર્યું. થોડો સમય વિજયનગર રાજ્યમાં સમ્રાટ કૃષ્ણદેવરાયના આશ્રયે નિવાસ કર્યો. ત્યાં શૈવપંથી વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થમાં વિજય મેળવી વૈષ્ણવ સંપ્રદાયનો પ્રભાવ વધાર્યો. તે પછી પુન: ઉત્તર ભારતમાં આવી વ્રજમાં નિવાસ કર્યો. ઈ. સ. 1520થી કૃષ્ણભક્તિ પર ઉપદેશ આપવાનો પ્રારંભ કર્યો. શ્રીકૃષ્ણની તેઓ શ્રીનાથજીને નામે ઉપાસના કરતા હતા. તેઓ સંસારી જીવનને ઈશ્વરસાધનાના માર્ગમાં અવરોધરૂપ માનતા ન હતા. સંસ્કૃત અને વ્રજભાષામાં તેમણે કૃષ્ણભક્તિની ઉત્તમ રચનાઓ કરી છે. એમાં ‘સુબોધિની’ અને ‘સિદ્ધાંતરહસ્ય’ ઘણી જાણીતી રચનાઓ છે. ઈ. સ. 1531માં 52 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તેમની વિચારધારા પુષ્ટિમાર્ગ તરીકે જાણીતી છે. તેઓ કૃષ્ણને પરબ્રહ્મ, પુરુષોત્તમ અને પરમાનંદસ્વરૂપ માનતા હતા. હૃદયના પૂરા સમર્પણભાવથી કૃષ્ણની ભક્તિ દ્વારા ‘સ્વ’ને સંપૂર્ણ વિસ્મૃત કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. ભક્તે પોતાની આધ્યાત્મિક તથા માનસિક સ્થિતિને એટલે ઊંચે લઈ જવી જોઈએ કે જેથી તે કૃષ્ણની વિવિધ લીલાઓનો સ્વાનુભવ કરી તેમનાં દર્શન કરી શકે. તેમના ઉપદેશની ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વ્યાપક અસર પડી હતી. ગીત, સંગીત, નૃત્ય, ચિત્ર અને સાહિત્ય પર પુષ્ટિમાર્ગનો ઊંડો પ્રભાવ પડેલો જોવા મળે છે. તેમના અવસાન પછી તેમના પુત્ર વિઠ્ઠલનાથે (1516–1576) આ પરંપરા આગળ ધપાવી હતી. મુઘલ સમ્રાટ અકબર તેમના પ્રત્યે ભારે આદરભાવ ધરાવતો હતો અને રાજ્ય તરફથી તેમને ઉદાર સગવડો પૂરી પાડવામાં આવી હતી. ઔરંગઝેબના સમયમાં શ્રીનાથજીનું મંદિર ઉદેપુર પાસે શ્રીનાથદ્વારામાં ખસેડવામાં આવ્યું.

તુલસીદાસ : ભક્તિ પરંપરાના પ્રખર વિદ્વાન અને મધ્યયુગ દરમિયાન સામાન્ય જનતા પર વ્યાપક પ્રભાવ પડનારા ગોસ્વામી તુલસીદાસજી (1532–1623) ઉત્તર પ્રદેશના સરયૂપારી બ્રાહ્મણ હતા. અનુશ્રુતિ પ્રમાણે પત્ની રત્નાવલીના વ્યંગને કારણે તેઓ સંન્યસ્ત તરફ વળ્યા. તેમણે વિષ્ણુના અવતાર તરીકે શ્રી રામની ઉપાસનાનો માર્ગ સ્વીકાર્યો. પોતાની જાણીતી કૃતિ ‘રામચરિતમાનસ’ દ્વારા તેમણે રામભક્તિનો વ્યાપક પ્રચાર કર્યો. મધ્યકાલીન હિંદી ભાષામાં રચાયેલી આ કૃતિએ કરોડો હિન્દુઓને રામભક્તિને રંગે રંગી ઈશ્વર-ઉપાસનાને માર્ગે વાળ્યા. ‘રામચરિતમાનસ’ ઉપરાંત તેમણે ‘ગીતાવલી’, ‘કવિતાવલી’, ‘વિનયપત્રિકા’ વગેરે કૃતિઓની રચના કરી છે. તેમણે કોઈ સંપ્રદાયની સ્થાપના કરી ન હોવા છતાં રામભક્તિની પરંપરાના શ્રેષ્ઠ સંતોમાં તેમની ગણના થાય છે.

સૂરદાસ : તુલસીદાસની જેમ જ લોકમાનસ પર ભક્તિમાર્ગની ઊંડી અસર જન્માવનાર આ સંતે સોળમી તથા સત્તરમી સદી દરમિયાન કૃષ્ણભક્તિનો મહિમા વધાર્યો. કૃષ્ણ પ્રત્યેના વાત્સલ્યભાવથી સભર ભક્તિરચનાઓ દ્વારા તેમણે કૃષ્ણભક્તિની પરંપરાનો પ્રસાર કર્યો. તેમની રચનાઓ ‘સૂરસાગર’ને નામે ગ્રંથસ્થ થયેલી છે. ‘સૂરસારાવલી’ અને ‘સાહિત્યલહરી’ પણ તેમની ભક્તિપ્રધાન રચનાઓ છે. વ્રજ ભાષામાં લખાયેલા આ ભક્તિસાહિત્યે આમજનતાને ભક્તિરસમાં તરબોળ કરી પ્રેમ તથા સમર્પણભાવથી ઈશ્વરની ઉપાસના માટે પ્રેરણા પૂરી પાડી હતી.

પશ્ચિમ ભારતના સંતો : પશ્ચિમ ભારતમાં રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ મધ્યયુગ દરમિયાન અનેક સંતોએ ભક્તિઆંદોલનમાં નોંધપાત્ર યોગદાન કર્યું છે. રાજસ્થાનમાં સોળમી સદી દરમિયાન મીરાંબાઈએ કૃષ્ણભક્તિનો પ્રસાર કર્યો. પ્રથમ મેવાડ, પછી મેડતા અને અંતે ગુજરાતમાં રહી કૃષ્ણભક્તિની અનેક લોકપ્રિય રચનાઓ દ્વારા તેમણે ભાવિક પ્રજાને કૃષ્ણભક્તિ તરફ વાળી હતી. ગુજરાતમાં પંદરમી સદી દરમિયાન ભક્તકવિ નરસિંહ મહેતાએ કૃષ્ણભક્તિનો મહિમા વધાર્યો હતો. તે જ પ્રમાણે સોળમી સદી દરમિયાન દાદુ દયાળે, સત્તરમી સદી દરમિયાન અને પ્રેમાનંદ આખ્યાનો રચી-ગાઈને અખાએ જ્ઞાનમાર્ગી રચનાઓ દ્વારા ભક્તિઆંદોલનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. એક તરફ પ્રેમ, શરણભાવ અને સેવા દ્વારા ઈશ્વરપ્રાપ્તિ અને બીજી તરફ કર્મકાંડ, કુરૂઢિઓ, અંધશ્રદ્ધા સામે પ્રજાને સાચો માર્ગ દર્શાવવામાં આ ભક્તકવિઓએ ઉત્તમ પ્રદાન કર્યું છે. અઢારમી અને ઓગણીસમી સદીઓ દરમિયાન દયારામ તથા સહજાનંદ સ્વામી દ્વારા આ પરંપરા ગુજરાતમાં ચાલુ રહી હતી.

મહારાષ્ટ્રમાં મધ્યયુગમાં બારમીથી સત્તરમી સદીઓ દરમિયાન અનેક ભક્તકવિઓ અને સંતોએ ભક્તિમાર્ગનો પ્રસાર કર્યો. પંઢરપુર ભક્તિઆંદોલનનું મુખ્ય કેન્દ્ર બન્યું. ત્યાંના દેવ વિઠોબાને અનુલક્ષીને કૃષ્ણભક્તિની પરંપરાનો મહારાષ્ટ્રમાં વ્યાપક પ્રચાર થયો. જ્ઞાનેશ્વર, એકનાથ, નામદેવ અને તુકારામ મહારાષ્ટ્રના જાણીતા સંતો હતા. સમાજની વિવિધ જ્ઞાતિઓ, વર્ગો અને વ્યવસાયોમાંથી આવતા આ ભક્તોએ લોકબોલીમાં માનવએકતા, સમાનતા અને ઈશ્વરભક્તિનો સંદેશો ફેલાવ્યો છે. કર્મકાંડ તથા પુરોહિતવર્ગના વર્ચસનો તેમણે વિરોધ કર્યો છે. ગુજરાત-મહારાષ્ટ્રના કેટલાક સંતોએ તો ઉત્તર ભારતમાં પણ પોતાના વિચારોની અસર ફેલાવી હતી.

પૂર્વભારતમાં ભક્તિ આંદોલન : પૂર્વ ભારતમાં બારમી સદીથી રાધાકૃષ્ણ સંપ્રદાયનો પ્રસાર થયો હતો. જયદેવ, વિદ્યાપતિ તથા ચંડીદાસની સાહિત્યિક  રચનાઓમાં તેની સ્પષ્ટ છાપ વરતાતી જોવામાં આવે છે. સોળમી સદી દરમિયાન ચૈતન્ય મહાપ્રભુ(1485–1533)એ કૃષ્ણભક્તિનો વ્યાપક પ્રચાર કર્યો. નદિયામાં (હાલના બાંગ્લાદેશમાં) બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ચૈતન્ય બાળપણમાં ખૂબ તોફાની અને સાથે તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા હતા. સંસ્કૃત ભાષા તથા ધર્મશાસ્ત્રોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો. થોડો સમય ગૃહસ્થાશ્રમમાં રહ્યા. પરંતુ 25મા વર્ષે તેનો ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કર્યો અને દેશાટને નીકળી પડ્યા. સ્વામી ઈશ્વરપુરીના પ્રભાવથી તેઓ ભક્તિમાર્ગ તરફ આકર્ષાયા. તેમણે પ્રથમ બંગાળમાં કૃષ્ણભક્તિનો ઉપદેશ આપ્યો, પછી પુરીમાં સ્થિર થયા અને ત્યાં જ નિર્વાણ પામ્યા. પ્રેમ, સમર્પણ, નૃત્ય, કીર્તનગાન અને આર્દ્ર ભાવે કૃષ્ણસ્મરણ દ્વારા મનુષ્ય ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે છે તેવો ઉપદેશ તેમણે આપ્યો. કર્મકાંડ તથા જ્ઞાતિવ્યવસ્થાનો તેમણે વિરોધ કર્યો હતો. તેમણે ભક્તિમાર્ગમાં ગુરુનું મહત્ત્વ આવશ્યકપણે સ્વીકાર્યું હતું. બંગાળમાં તેમના અનુયાયીઓનો વિશાળ વર્ગ હતો અને તેમને વિષ્ણુના અવતાર તરીકે પૂજતો હતો. પંદરમી તથા સોળમી સદી દરમિયાન અસમમાં શંકરદેવે વૈષ્ણવભક્તિનો પ્રચાર કર્યો. પૂર્વભારતમાં તેમણે વિશિષ્ટાદ્વૈતના સિદ્ધાંતનો પ્રસાર કર્યો. ઠેર ઠેર ઈશ્વરભક્તિ અને ઉપાસના માટે નામગૃહો (પ્રાર્થનાગૃહો) સ્થાપ્યાં. જ્ઞાતિવાદ તથા કર્મકાંડનો વિરોધ કર્યો. પરમાત્મારૂપે શ્રીકૃષ્ણની શરણાગતિ દ્વારા મોક્ષપ્રાપ્તિની તેમણે હિમાયત કરી. તેમના અવસાન પછી તેમના શિષ્ય માધવદેવે પૂર્વ ભારતમાં ભક્તિપરંપરા ચાલુ રાખી. શંકરદેવ અને માધવદેવે શરૂ કરેલો સંપ્રદાય મહાપુરુષીય સંપ્રદાય તરીકે જાણીતો બન્યો.

દક્ષિણનો વીરશૈવસંપ્રદાય : દક્ષિણમાં શિવને મુખ્ય દેવ તરીકે સ્વીકારી નાયણારો અથવા અડિયારો દ્વારા પ્રચલિત કરાયેલ ભક્તિ-પરંપરાનો મધ્યયુગ દરમિયાન કર્ણાટક તથા તેની આસપાસના વિસ્તારમાં વ્યાપક પ્રચાર થયો હતો. બારમી સદીમાં કર્ણાટકના પ્રખ્યાત સંત બસવેશ્વરે સામાજિક-ધાર્મિક સુધારણાનું વ્યાપક આંદોલન શરૂ કર્યું. જ્ઞાતિપ્રથા તથા અન્ય દૂષણો સામેની ઉગ્ર ઝુંબેશને કારણે તેમનો સંપ્રદાય વીરશૈવસંપ્રદાય તરીકે ઓળખાયો. આ સંપ્રદાયમાં માનવસમાનતા પર ભાર મુકાયો છે. સ્ત્રીઓ તથા શૂદ્રોને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. આ સંપ્રદાયમાં શિવને પરમાત્માસ્વરૂપે સ્વીકારી તેમના પ્રત્યે પ્રેમ અને સમર્પણની ભાવનાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે એવી ર્દઢ માન્યતા છે. આ પંથના અનુયાયીઓ ગળામાં લિંગને ધારણ કરતા હોવાથી તે લિંગાયત પંથ તરીકે વિશેષ જાણીતો છે. આ પંથમાં પણ ગુરુનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. વીરશૈવસંપ્રદાયનો સિદ્ધાંત ‘શક્તિવિશિષ્ટાદ્વૈત’ તરીકે ઓળખાય છે.

આમ મધ્યયુગીન સંતોએ ભક્તિ-આંદોલન દ્વારા માનવ-સમાનતા, આત્મકલ્યાણ અને એકેશ્વરવાદનો આદર્શ આપી કર્મકાંડ અને અંધશ્રદ્ધાવિરોધી વ્યાપક ઝુંબેશ ચલાવી. રાજકીય ઊથલપાથલો, યુદ્ધો તથા ધર્મઝનૂનના આ યુગમાં આમજનતામાં શાંતિ, સમન્વય અને એકતાનો સંદેશ ફેલાવ્યો. ઇસ્લામમાં પણ ભક્તિઆંદોલનને સમાંતરે પ્રેમ અને સમર્પણની ભાવના પર આધારિત સૂફીવાદના આંદોલને માનવ-એકતા અને સામાજિક સંવાદની ભૂમિકા તૈયાર કરી. સૂફી સંતો તથા ભક્તકવિઓએ લોકબોલીમાં પોતાના સાહિત્યની રચના કરી, પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો.

નારાયણ કંસારા

રોહિત પ્ર. પંડ્યા