બોટાદ : ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : તે 22° 10´ ઉ. અ. અને 71° 40´ પૂ.રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે સુરેન્દ્રનગર જિલ્લો, ઈશાને અમદાવાદ જિલ્લો, પૂર્વે અને દક્ષિણે ભાવનગર જિલ્લો, નૈર્ઋત્યે અમરેલી જિલ્લો જ્યારે પશ્ચિમે રાજકોટ જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે.

બોટાદનો નકશો

ભૂપૃષ્ઠ – જળપરિવાહ – આબોહવા : આ જિલ્લો ઋતુપર્યંત નાની નદીઓના કાંપ-માટીના નિક્ષેપને કારણે પ્રમાણમાં સમતળ જોવા મળે છે. સમુદ્રસપાટીથી સરેરાશ 70 મીટરની ઊંચાઈ ધરાવે છે. જિલ્લાની ઉત્તરે રાણપુર તાલુકામાંથી સુકભાદર નદી, જિલ્લાના દક્ષિણ ભાગમાં ગઢડા તાલુકામાંથી કાળુભાર નદી વહે છે. આ સિવાય ઘેલો, ઉતાવળી અને ગોમા નદીઓ પણ વહે છે. ગોમા નદી પર નાનો બંધ બાંધવામાં આવ્યો છે.

આ જિલ્લાનો સમગ્ર વિસ્તાર સમતળ છે. તે સમુદ્રસપાટીથી દૂર હોવાથી આબોહવા પ્રમાણમાં વિષમ છે. અહીંનું મે માસનું ગુરુતમ તાપમાન 40°થી 44° સે. વચ્ચેનું તથા જાન્યુઆરીનું લઘુતમ તાપમાન 21°થી 26° સે. વચ્ચેનું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 440 મિમી. જેટલો પડે છે. વન્ય વિસ્તાર પ્રમાણમાં મર્યાદિત છે.

અર્થતંત્ર : આ જિલ્લાની જમીન મધ્યમસર કાળી છે. કૂવાઓ, તળાવો અને નદીઓ ઉપર ચેકડૅમ બાંધીને સિંચાઈ કરવામાં આવે છે. અહીંના મુખ્ય ખેતીકીય પાકોમાં ઘઉં, કપાસ, મગફળી અને મરચાં મુખ્ય છે. પશુધનમાં અહીં ગીર ઓલાદની ગાયો અને બળદો, જાફરાબાદી ભેંસો અધિક જોવા મળે છે. આ ઉપરાંત ઘેટાં, બકરાં, ઘોડા અને ગધેડા જેવાં પાલતુ પ્રાણીઓ પણ જોવા મળે છે. અહીં સહકારી દૂધમંડળીઓ મારફતે દૂધ એકત્ર કરીને ‘અમૂલ’ ડેરીમાં મોકલવામાં આવે છે.

અહીં ખેતી અને પશુપાલનપ્રવૃત્તિ સિવાય તેલમિલો, જિનિંગ અને પ્રેસિંગનાં તેમજ સાબુ અને બરફનાં નાનાં કારખાનાં આવેલાં છે. જિલ્લામાં વીજળીકરણને લીધે મોટા ભાગનાં ગામોને તેનો લાભ મળે છે. તેને પરિણામે જિલ્લામાં વિકાસની નવી નવી તકો ઊભી થતી જોવા મળે છે.

આ જિલ્લામાંથી બ્રૉડગેજ રેલમાર્ગ, રાષ્ટ્રીય ધોરી માર્ગો અને રાજ્યના ધોરી માર્ગો પસાર થાય છે. રાજ્ય પરિવહનની અને ખાનગી બસોની સારી સુવિધા છે. આ જિલ્લાના દરેક ગામમાં પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ સિવાય માધ્યમિક શાળાઓ, કૉલેજ, ગ્રંથાલયો, વાચનાલયો પણ આવેલાં છે.

કષ્ટભંજન હનુમાનજીનું મંદિર

બોટાદ જિલ્લામાં જોવાલાયક સ્થળોમાં સાળંગપુર હનુમાનજીનું મંદિર, સ્વામિનારાયણ મંદિર, ગઢડા ખાતે સ્વામિનારાયણનું મંદિર, ભીમનાથ મહાદેવ વગેરે આવેલાં છે.

સ્વામિનારાયણ મંદિર, ગઢડા

આ જિલ્લાનો કુલ વિસ્તાર 2,564 ચોકિમી. છે. જ્યારે 2025 મુજબ વસ્તી આશરે 6,52,000 છે. સેક્સ રેશિયો આશરે દર 1000 પુરુષોએ 945 મહિલાઓ છે. જિલ્લાને મુખ્યત્વે બોટાદ, ગઢડા, બરવાલા અને રાણપુર–એમ ચાર તાલુકામાં વિભાજિત કરેલ છે. ત્રણ મ્યુનિસિપાલિટી આવેલી છે. જ્યારે ગામડાંઓની સંખ્યા 190 છે. પછાત જાતિ અને આદિવાસી જાતિની ટકાવારી આશરે 6.60% અને 0.20% છે. અહીં હિન્દુઓની ટકાવારી 93.32% છે. આ સિવાય મુસ્લિમ 5.96% અને જૈનોનું પ્રમાણ 0.89% છે. મહદ્અંશે ગુજરાતી ભાષાનો વધુ ઉપયોગ થાય છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ આશરે 67.63% છે.

બોટાદ (શહેર) : બોટાદ જિલ્લાનું જિલ્લામથક, તાલુકામથક અને મુખ્ય શહેર છે.

તે 22° 13´ ઉ. અ. અને 71° 41´ પૂ. રે. પર સ્થિત છે. આ શહેર પૂર્વ અને પશ્ચિમની નાની ટેકરીઓથી ઘેરાયેલું છે. તે સમુદ્રસપાટીથી આશરે 70 મીટર ઊંચાઈએ આવેલું છે. ઉતાવળી નદીને કાંઠે વસેલું આ શહેર છે. ઉતાવળી નદીને હેઠવાસમાં નાની મધુ નદી મળે છે. આ શહેરને કાઠિયાવાડના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. આ શહેર ગોહિલવાડ, ઝાલાવાડ અને પાંચાલ એમ ત્રણે પ્રદેશોની ત્રિભેટે આવેલું હોવાથી તેનું મહત્ત્વ વધુ છે.

આ શહેર ઉષ્ણકટિબંધીય ભેજવાળી અને સૂકી આબોહવા ધરાવે છે. ઉનાળો માર્ચથી જૂન સુધી ગરમ રહે છે. વર્ષાઋતુ જૂનથી ઑક્ટોબર માસ સુધી અનુભવાય છે. સરેરાશ વરસાદ આશરે 620 મિમી. જેટલો પડે છે. શિયાળો મોટે ભાગે નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન રહે છે. સરેરાશ તાપમાન આશરે 20° જેટલું રહે છે.

અર્થતંત્ર : અહીંની ફળદ્રુપ જમીન અને ખેતી માટે આબોહવા સાનુકૂળ રહે છે. પરિણામે અહીં કપાસ, મગફળી અને ઘઉંની ખેતી મુખ્ય છે. સૌરાષ્ટ્રના ‘કપાસ પ્રદેશ’માં આ વિસ્તાર આવતો હોવાથી કપાસના ઉત્પાદનમાં આ જિલ્લો મોખરે છે. પરિણામે અહીં જિનિંગ મિલ, ટેક્સટાઇલ, રસાયણો અને એન્જિનિયરિંગના અનેક એકમો ઊભા થયા છે. કૃષિ ઓજારો બનાવવાનાં કારખાનાં અને સમારકામ કરતી દુકાનો આવેલી છે. પટારા બનાવવાનો ગૃહઉદ્યોગ વર્ષોથી જાણીતો છે. આ જિલ્લામાં ખેતી અને ખેતી ઉપર આધારિત એકમોને વિકસાવવા વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જિલ્લાના ખેડૂતો પોતાની પેદાશો વેચવા માટે આ શહેરને પ્રાધાન્ય આપે છે. છૂટક અને જથ્થાબંધ કપાસ ઉપર આધારિત એકમો ઊભા કરાયા છે.

બોટાદ ખાતે થતું કપાસનું ઉત્પાદન

આ શહેર અમદાવાદ, મુંબઈ, સૂરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર સાથે પણ વિવિધ પરિવહનના માર્ગોથી સંકળાયેલ છે. પશ્ચિમ રેલવે વિભાગમાં આવતું આ બ્રૉડગેજ રેલવે જંકશન જે ગુજરાતનાં મહત્વનાં શહેરો સાથે જોડાયેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગો અને રાજ્યના ધોરી માર્ગો અહીંથી પસાર થાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8E જિલ્લામાંથી પસાર થાય છે. ગુજરાત રાજ્યની પરિવહનની બસો અને ખાનગી બસોની સુવિધા છે. સૌરાષ્ટ્ર તરફ જતી મોટા ભાગની બસો બોટાદ થઈને જ પસાર થાય છે. બોટાદથી ભાવનગર હવાઈ મથક ફક્ત 55 કિમી. દૂર આવેલું છે. જ્યારે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક 130 કિમી. દૂર આવેલું છે.

આ શહેરનો વિસ્તાર 10.36 ચોકિમી. છે. વસ્તી 2025 મુજબ આશરે 1,89,000 છે. અહીં રાજ્યસરકાર દ્વારા સંચાલિત અને ખાનગી સંસ્થા દ્વારા સંચાલિત શૈક્ષણિક એકમો આવેલા છે. ખાનગી શાળાઓમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી છે. જ્યારે રાજ્યની શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષણ અપાય છે. અહીં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. ભારત સ્વતંત્ર થયું તે સમયે સૌ પ્રથમ હાઈસ્કૂલ શાળાનો પ્રારંભ બોટાદમાં થયો હતો. આ શહેરમાં કવિશ્રી દામોદરદાસ બોટાદકર કૉલેજ, મહિલા કૉલેજ, શ્રી સંતરામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચાલતા શૈક્ષણિક એકમો આવેલાં છે. વિવિધ કૉલેજોમાં MBA, B. pharm, એન્જિનિયરિંગ, ટૅક્નૉલૉજીનું શિક્ષણ અપાય છે. કુટુંબભાવના તથા ગૃહમાંગલ્યના અનન્ય ગાયક તથા માતૃસ્રોતના રચયિતા ‘દામોદર ખુશાલદાસ’ જેઓ બોટાદના વતની હતા, જે ‘કવિ બોટાદકર’ નામે જાણીતા થયા હતા.

શહેરમાં જોવાલાયક સ્થળોમાં શ્રી દામોદર જગજીવન શાહ ટાવર, મહારાજા કુમારસિંહજી દ્વારા બનાવાયેલ ‘બોટાદ સરોવર’, શ્રી સ્વામિનારાયણ મંદિર, વિરાટેશ્વર મહાદેવ, સંત મસ્તરામની સમાધિ, સાતહથ્થા હનુમાન, જૂની મસ્જિદ, પીર હમીદખાનની બિસ્માર દરગાહ વગેરે છે.

ધ્રાંગધ્રા દેશી રાજ્યના કોઢ ગામના જંગલ-તાલુકદારે આ બોટાદ વસાવ્યું હતું. ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સત્તા નબળી પડતાં બોટાદ ખાચર શાખાના કાઠીઓના હસ્તક આવ્યું હતું. અઢારમી સદીના અંતમાં ભાવનગર દરબાર વખતસિંહે કાઠીઓને હરાવીને બોટાદ કબજે કર્યું હતું. રેલમાર્ગથી બોટાદનો વિકાસ થયો.

સ્વામી વિવેકાનંદ વિકાસયાત્રા અન્વયે વર્ષ 2012ની 23મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ જિલ્લા અને ભાવનગર જિલ્લાના કેટલાક તાલુકાને વિભાગીને નવા બોટાદ જિલ્લાની રચના કરવામાં આવી છે.

શિવપ્રસાદ રાજગોર

નીતિન કોઠારી