બહુચરાજી : ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું પ્રસિદ્ધ તીર્થસ્થાન અને શક્તિપીઠ. બહુચરાજી ગુજરાતના ચુંવાળ પ્રદેશનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. ભૌગોલિક સ્થાન : 23° 30´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે. તે કડી–ચાણસ્મા રેલમાર્ગ પર આવેલું રેલમથક પણ છે.

ઇતિહાસ : આજના યાત્રાધામ બહુચરાજીથી એક કિમી. દૂર બેચર નામે ગામ છે, તેના નામ પરથી આ તીર્થસ્થળનું તથા દેવીનું નામ બહુચરાજી પડ્યું હોવાનું કહેવાય છે. આશરે 3.6 મીટર લંબાઈ અને 3.3 મીટર પહોળાઈ ધરાવતું એક મંદિર અહીં વરખડીના ઝાડ નીચે ચોતરા પર એક ગોખ રૂપે હતું. વળી આશરે 6 મીટર લાંબું અને 5 મીટર પહોળું માતાજીનું આદ્યસ્થાનક અહીંથી બે-ત્રણ કિમી. અંતરે શંખલપુરમાં શંખલરાજે ઈ. સ. 1152 (વિ.સં. 1208 માં ?) બંધાવેલું.

પાટણ જિલ્લાના ચુંવાળ પંથકના હૃદય સમાન બહુચરાજી ખાતે સ્થપાયેલી આદ્યશક્તિ બહુચરબાળાની આ શક્તિપીઠ ભારતવર્ષની બાવન અને ગુજરાતની ત્રણ શક્તિપીઠો પૈકીની એક છે.

આ મંદિર બે ઘુમ્મટ અને એક શિખરવાળું છે. મંદિરનાં પગથિયાં ચડતાં જ ઉત્તર-દક્ષિણ બંને તરફ જવા-આવવાના માર્ગવાળો સભામંડપ છે. અંદર તરફ બીજો એક નાનો સભામંડપ છે. ત્યાંથી માતાજીના મંદિરના મુખ્ય ઘુમ્મટ હેઠળ, નિજમંદિરમાં જઈ શકાય છે. અહીં આશરે દોઢેક મીટર ઊંચા આસને માતાજી બિરાજે છે. નિજ મંદિરના ગોખમાં સોનાના પતરાથી મઢેલા ‘શ્રી બાલાયંત્ર’ની પૂજા થાય છે. યંત્ર નિરાકાર હોઈ મૂર્તિપૂજકો અને મૂર્તિમાં નહિ માનનાર બંને પ્રકારના લોકો માટે પૂજનીય ગણાય છે. બાલાયંત્રની બંને બાજુ અખંડ દીપજ્યોત પ્રગટેલી રહે છે.

દેવાલયની સામે પૂર્વ દિશામાં પવિત્ર યજ્ઞમંડપ (અગ્નિકુંડ) આવેલો છે. એક બાજુ બે માળની અષ્ટકોણીય ભવ્ય દીપમાળ છે, જ્યારે ચાચરમાં આદ્યશક્તિ વરખડી મંદિર, મધ્યસ્થાને ગણપતિજી, નારસિંગજી, હનુમાનજી, મહાદેવજી તથા વલ્લભ ભટ્ટના ધામમાં શ્રીજીની પાદુકા બિરાજે છે. પશ્ચિમ તરફના દરવાજા આગળ પ્રાચીન બાંધણીનો માનસરોવર કુંડ આવેલો છે. શંખલપુર ખાતેનું મા બહુચરનું આદ્યસ્થાન ‘ટોડા માતાજી’ નામથી લોકજીભે વસેલું છે. મંદિર ફરતા કોટને ત્રણ દરવાજા અને ચાર બુરજ છે. મુખ્ય દરવાજો દક્ષિણ બાજુએ આવેલો છે. મંદિર લગભગ 30 મીટર લાંબું, 15 મીટર પહોળું અને 32 મીટર ઊંચાઈવાળું, બે મજલાનું છે.

શક્તિપીઠ : આદિદેવ શિવજીનાં પત્ની ઉમા દક્ષ પ્રજાપતિની પુત્રી હતાં. પિતાએ પ્રયોજેલા યજ્ઞમાં પતિનું અપમાન થતાં ઉમાએ યજ્ઞની વેદીમાં પડીને પ્રાણત્યાગ કર્યો. ક્રુદ્ધ શિવજીએ ઉમાના દેહને ઊંચકી તાંડવ આરંભ્યું ત્યારે તેમને શાંત કરવા અને જગતને વિનાશથી ઉગારવા શ્રી વિષ્ણુએ સુદર્શન ચક્ર ફરતું મૂકી દેહના બાવન ભાગ કર્યા. એ ભાગ જ્યાં જ્યાં ભારતભૂમિ પર પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો સ્થપાયેલી છે. ગુજરાતમાં આવેલી ત્રણ શક્તિપીઠો પૈકીની આ એક છે; અન્ય બે તે આરાસુરમાં આવેલ અંબાજી અને પાવાગઢમાં આવેલ મહાકાળી શક્તિપીઠ છે. ભગવતી ઉમાનો ડાબો હાથ અહીં બહુચરાજીની ભૂમિમાં પડેલો.

બહુચરાજી માતાનું મંદિર, બહુચરાજી

માનસરોવર : દંતકથા અનુસાર, સોલંકી રાજવી વજેસિંહની ‘કુંવર તેજપાલ’ તરીકે ઊછરેલી કન્યા, તેની ઘોડી તથા જંગલમાં તેની સાથે આવેલી કૂતરી અહીંના આ સરોવરમાં સ્નાન કરતાં નરદેહને પામ્યાં હતાં. વળી બીજી કથા એવી પણ છે કે કુબેર ભંડારીના મંગળ નામના યક્ષે મહાભારતના શિખંડીને આ સરોવરમાં સ્નાન કરાવતાં તેને પણ પુરુષત્વ પ્રાપ્ત થયેલું. આ સ્થળે કપિલ મુનિએ પણ યજ્ઞ કરાવેલો.

વ્યંઢળોની ગાદી : પાવૈયા કે હીજડા તરીકે ઓળખાતા, માતાજીના ભક્ત ગણાતા વ્યંઢળોની ગાદી અહીં બહુચરાજી ખાતે આવેલી છે. કહેવાય છે કે મહાભારત કાળમાં ગુપ્ત વેશે વિરાટનગર ખાતે જતાં પાંડવો અહીં આવેલા અને અહીં જ અર્જુને વ્યંઢળનો વેશ ધારણ કરેલો. આ ગાદીની કથા એવી છે કે શિખંડીના પ્રસંગથી ક્રુદ્ધ બનેલા ગુરુએ યક્ષ મંગળને ‘તું વ્યંઢળ થજે !’ એવો શાપ આપેલો. મંગળે ક્ષમાયાચના કરતાં ગુરુએ કહેલું કે ‘મારું વચન મિથ્યા નહિ થાય, પણ તારા એ સ્વરૂપની અહીં ગાદી સ્થપાશે.’ ત્યારથી અહીં આ ગાદીની સ્થાપના થયેલી છે. અહીં રહેતા વ્યંઢળો બીજા જન્મમાં પુરુષાતન પામવા માતાજીની ભક્તિ કરી આશીર્વાદ મેળવે છે.

નિજમંદિર અને સ્થાનક પરિસર : શક્તિ-આરાધનાની પરંપરાને અનુરૂપ, અહીં શક્તિ મંદિર પાસે ભૈરવનું સ્થાનક છે. અહીં આરાધકો વીરનું પૂજન કરે છે અને કૂકડાની કે અન્ય કોઈની બાધા માને છે. નિજમંદિરમાં આરસના પાવાસન ઉપર માતાજીનું સુંદર, જાજ્વલ્યમાન સિંહાસન છે, તે ચાંદીના પતરાથી મઢેલું છે. સિંહાસનારૂઢ માતાજીની મૂર્તિના ગોખની બંને બાજુ પર નંદાદીપની જ્યોત અહર્નિશ જલતી રહે છે. ગોખમાં બાલાયંત્રની સ્થાપના કરાયેલી છે. માતાજીની આંગી તથા યંત્ર નિરાકાર સ્વરૂપનો ખ્યાલ આપે છે. અહીં શ્રી માતાજીને માટે સોમવારે નંદી, મંગળવારે સિંહ, બુધવારે વાઘ, ગુરુવારે હંસ, શુક્રવારે મયૂર, શનિવારે હાથી તથા રવિવારે તેમજ દર પૂર્ણિમાએ કૂકડાની સવારી રાખવામાં આવે છે. તહેવારના દિવસોમાં અહીં ભાવિકોની પુષ્કળ ભીડ જામે છે. વળી મંદિરની આગળ આવેલા વિશાળ યજ્ઞમંડપમાં તહેવાર પ્રસંગે યજ્ઞ-આરાધના થાય છે; નવચંડી, શતચંડી જેવા હોમાત્મક યજ્ઞો યોજાય છે. શ્રીમાતાજીનો ચાચરચોક પણ વિશાળ છે. ત્યાં ભક્તસમુદાય ગરબા ગાય છે અને શક્તિનું આરાધન કરે છે. માગશર, ફાગણ, ચૈત્ર, અષાઢ અને આસો માસમાં અહીં ભવાઈ ભજવાય છે.

મુખ્ય મંદિરની સન્મુખ પૂર્વ દિશામાં માના પરમ ભક્ત વલ્લભ ધોળાનું નિવાસસ્થાન આવેલું છે. અહીંથી નિજમંદિરની અખંડ જ્યોતનાં દર્શન થઈ શકે છે. મા બહુચરાને સંતાન આપનારી માતા તરીકે આરાધવામાં આવે છે. નિ:સંતાન દંપતી અહીં આવી શ્રદ્ધાપૂર્વક માનતા રાખે છે. મંદિરના પાછળના ભાગમાં આવેલી જાળીની પાછળ મુકાયેલાં અસંખ્યા બાવલાં આવાં દંપતીઓની શ્રદ્ધાની સાખ પૂરે છે. શ્રદ્ધાળુઓ આંખનાં દર્દો, બોબડાપણું, બહેરાશ, તોતડાપણું, પગની ખોડખાંપણ તથા ક્ષય જેવા રોગો માટે પણ બહુચરાજીની બાધા રાખે છે.

‘તંત્ર ચૂડામણિ’ ગ્રંથમાં આ શક્તિપીઠનો ઉલ્લેખ છે. ભગવાન શંકરના તાંડવનૃત્ય સમયે જગદંબાના દેહનો ડાબો હાથ (બહુલા) બોરૂવનમાં પડ્યો. ત્યારથી બાલાત્રિપુરસુંદરીની મહાશક્તિપીઠ તરીકે બહુચરાજીનો ઉલ્લેખ થતો રહ્યો છે. પુરાણ-ઉપલબ્ધ માહિતી અનુસાર, મંત્રોક્ત મહિમાથી બાલાત્રિપુરસુંદરી તરીકે અને તંત્રોક્ત મહિમાથી બહુચરામ્બા તરીકે ઓળખાતાં આ આદ્યશક્તિ બહુચરાજીએ અહીંના ચુંવાળ પંથકમાં ચાર પ્રાકટ્ય કર્યાં છે : પ્રથમ પ્રાકટ્ય દંઢાસુર રાક્ષસના હનન માટે, બીજું કપિલ મુનિના હસ્તે વરખડી મંદિરમાં, ત્રીજું કુલડીમાંથી કટક જમાડવા અને ચોથું પ્રાકટ્ય કાલરી ગામના સોલંકી રાજવી તેજપાલને સ્ત્રીમાંથી પુરુષ બનાવવા માટે કર્યું હતું.

આ ખુશીમાં સોલંકી રાજવીએ અહીં વરખડીવાળું મંદિર બંધાવ્યું. ત્યારથી દર ચૈત્રી પૂનમે અહીં મેળો ભરાય છે. તેજપાલ સોલંકીની બાબરી (ચૌલક્રિયા) તે પછી અહીં ઉતરાવી હતી. આજે પણ આ ઇતિહાસને અનુસરીને હજારો ભાવિકો પોતાના બાળકની બાબરી અહીં ઉતરાવવા આવે છે. એક અંદાજ મુજબ દર વર્ષે અહીં 15,000 જેટલી બાબરી ઊતરે છે.

અહીં ચૈત્ર સુદ તેરશથી પૂનમ સુધી દર વર્ષે મોટો મેળો ભરાય છે.

બહુચરાજી તીર્થયાત્રીઓની અવરજવરને કારણે વેપારી મથક પણ બની રહ્યું છે. આસપાસનાં ગામોના લોકો માટે તે ખરીદ-વેચાણનું મથક બની રહેલું છે. અહીંના પેટા માર્કેટ-યાર્ડમાં અનાજ, કપાસ વગેરે વેચાવા માટે આવે છે. નગરમાં ઑઇલ એન્જિનનાં સમારકામ માટેનાં ત્રણ કારખાનાં તથા ખેતીવાડીનાં સાધનો બનાવવાનું એક કારખાનું છે. તે રેલમાર્ગ દ્વારા તથા રાજ્ય-પરિવહનની બસો દ્વારા નજીકનાં મુખ્ય શહેરો અને નગરો સાથે જોડાયેલું છે. 1991ની વસ્તીગણતરી મુજબ બહુચરાજીની વસ્તી 8,117 હતી, તે પૈકી આશરે 60 % લોકો અક્ષરજ્ઞાન ધરાવતા હતા. અહીં પ્રાથમિક-માધ્યમિક શાળા, કૉલેજ, સાર્વજનિક પુસ્તકાલય, પોસ્ટઑફિસ, ટેલિફોન અને તાર-ઑફિસની સગવડો છે.

બહુચરાજી રાજ્યમાર્ગે અમદાવાદ, મહેસાણા અને વિરમગામ સાથે જોડાયેલું છે. અમદાવાદથી તેનું અંતર 110 કિમી. છે. મહેસાણાથી 40 કિમી. અને વિરમગામથી 47 કિમી. દૂર તે આવેલું છે. રાજ્યપરિવહન નિગમની બસો નિયમિત રીતે આ યાત્રાધામના પ્રવાસીઓની અવરજવરની સવલતોને સાચવે છે. ગુજરાતનાં પવિત્ર યાત્રાધામોના વિકાસ માટે રાજ્યસરકારે યાત્રાધામ વિકાસ બૉર્ડની રચના કરી છે અને બહુચરાજીના વિકાસની સર્વગ્રાહી યોજના હાથ ધરવામાં આવી છે.

શિવપ્રસાદ રાજગોર

ગિરીશભાઈ પંડ્યા