ફ્રેરી જૉન (જ. 10 ઑગસ્ટ 1740, રૉયડન હૉલ, નૉરફોક પરગણું, ઇંગ્લૅન્ડ; અ. 12 જુલાઈ 1807, ઈસ્ટ ડરહામ) : બ્રિટિશ પુરાતત્વવિદ. તેમને પ્રાચીન કલા-અવશેષોનો સંગ્રહ કરવાનો ઘણો શોખ હતો. તેમણે પ્રાગ્-ઐતિહાસિક પુરાતનશાસ્ત્રનો પાયો નાંખ્યો. 1771થી તેઓ ‘રૉયલ સોસાયટી ઑવ્ ઍન્ટિક્વરિઝ’ના સક્રિય સભ્ય હતા. 1790માં તેમણે ઇંગ્લૅન્ડમાં ડિસ નજીક હૉક્સન ખાતે લુપ્ત બનેલાં પ્રાણીઓનાં અસ્થિની સાથે ચકમકના પથ્થરમાંથી બનાવેલાં પાષાણયુગનાં ઓજારો શોધી કાઢ્યાં હતાં. આ સંશોધનથી પ્રાગ્-ઐતિહાસિક કાળમાં ઇંગ્લૅન્ડમાં માનવવસ્તી હયાત હતી એવું સાબિત થાય છે.

પૃથ્વીની ઉત્પત્તિ ઈ. પૂ. 4004માં થઈ એવી એક પૌરાણિક માન્યતા તે સમયે યુરોપમાં પ્રચલિત હતી. ફ્રેરી જૉને પોતાના સંશોધન દ્વારા આ માન્યતા ભૂલભરેલી છે એવું જણાવી પૃથ્વીની ઉત્પત્તિ લાખો વર્ષો અગાઉ થયેલી છે એવું પ્રતિપાદન કર્યું. જોકે તેની આ વિચારસરણીનો સ્વીકાર તેના મૃત્યુ બાદ કરવામાં આવ્યો હતો.

રા. ય. ગુપ્તે