પ્રતિદ્વારરક્ષક : શિવ અથવા વિષ્ણુનાં મંદિરોમાં પ્રવેશદ્વારની બંને બાજુએ બે અથવા ચાર ભુજાવાળા રક્ષકોની પ્રતિમા. તે દ્વારશાખાના બહારના ભાગમાં કંડારવામાં આવે છે. આ પ્રતિમાઓ વિષ્ણુનાં મંદિરોમાં જય અને વિજયના નામે ઓળખાય છે. જ્યારે શિવમંદિરોમાં આવી પ્રતિમાઓનાં નામ હોતાં નથી. દેવીઓનાં મંદિરોમાં આ પ્રતિમાઓ સ્ત્રી-દ્વારરક્ષકોની હોય છે. દ્વારરક્ષકો, દ્વારપાલો વગેરે અલગ અલગ શબ્દપ્રયોગ આને માટે થાય છે. દ્વારરક્ષકોની મૂર્તિઓને અત્યંત પ્રભાવશાળી રીતે કંડારાતી અને તેમની મૂર્તિ-મુદ્રા અભયની રહેતી. આ મૂર્તિઓ જ્યારે ચાર ભુજાવાળી હોય ત્યારે ચારેય હાથોમાં હથિયાર કંડારાતાં.

રવીન્દ્ર વસાવડા