પર્ણશબરી : ધ્યાની બુદ્ધ અમોધસિદ્ધિમાંથી આવિર્ભાવ પામેલ એક દેવી. હરિતવર્ણની આ દેવી મસ્તકે અમોધ સિદ્ધિને ધારણ કરે છે. પોતે જ્યારે પીતવર્ણની હોય ત્યારે મસ્તકે અક્ષોભ્યને ધારણ કરે છે. આ દેવી તંત્રમાર્ગમાં ખૂબ પ્રચલિત હતી. એને તંત્રમાર્ગમાં પિશાચી અને સર્વમારિપ્રશમની એટલે કે બધા રોગોને દૂર કરનારી તરીકે મનાતી. તે ત્રિમુખ, ત્રિનેત્ર અને ષડભુજ હોય છે. જમણી બાજુના હાથમાં વજ્ર, પરશુ અને બાણ તથા ડાબી બાજુના હાથમાં ધનુષ, પર્ણમંજરી અને તર્જનીપાશ ધારણ કરેલ છે. શરીરે વ્યાઘ્રચર્મ ધારણ કરેલું હોય છે. આ દેવીની વિશેષતા એ છે કે તેના ત્રણેય મુખ ઉપર ક્રોધનો ભાવ દર્શાવેલો હોય છે.

પ્રવીણચંદ્ર પરીખ