નારાયણ પંથ : વિષ્ણુભક્તિમાં માનતો સંપ્રદાય. વૈષ્ણવ પરંપરામાં નારાયણીય નામસ્મરણ અને ધ્યાનની સાધનાને કારણે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. સત્તરમા સૈકામાં સંત હરિદાસે આ પંથની સ્થાપના કરી હતી. આ પંથમાં ઈશ્વર તરીકે નારાયણનો સ્વીકાર કરવામાં આવેલો છે, જેના પરથી તે નારાયણીય પંથ તરીકે ઓળખાય છે. નારાયણ સિવાય બીજા કોઈ દેવને આ પંથના અનુયાયીઓ માનતા નથી કે તેની પૂજા-અર્ચના પણ કરતા નથી. આ પંથના વૈરાગીઓ સંસારથી અલિપ્ત રહીને માત્ર નારાયણનું જ નામસ્મરણ કરે છે. ચિત્તશુદ્ધિ માટે હૃદયમાં ભક્તિભાવ સાથે તેઓ કેવળ નારાયણનું જ ધ્યાન ધરે છે. નારાયણનું નામસ્મરણ અને ધ્યાન એ આ પંથની ખાસ વિશેષતા છે.

ચીનુભાઈ નાયક