નાયક, વિજયરાઘવ (સત્તરમી સદી) : તેલુગુ લેખક. તેમના પિતા રઘુનાથ તંજાવુર રાજ્યના રાજકવિ હતા. એટલે કાવ્યત્વ એમના લોહીમાં હતું. એમના પિતાના મૃત્યુ પછી એમની રાજકવિ તરીકે નિયુક્તિ થઈ હતી. યક્ષગાન એ આંધ્રપ્રદેશનું લોકનાટ્ય છે. વિજયરાઘવે અનેક યક્ષગાનો રચ્યાં છે. એમનાં યક્ષગાનો રાજાના દરબારમાં ભજવાતાં. વિજયરાઘવે રચેલાં યક્ષગાનો પૌરાણિક કૃતિઓ, વિશેષે કરીને ‘રામાયણ’ તથા ‘મહાભારત’ને આધારે રચાયેલાં છે. એ યક્ષગાન રૂપકો ગદ્ય-પદ્યમિશ્રિત ચંપૂના પ્રકારનાં છે. ‘મહાભારત’ની કથાઓને આધારે રચાયેલાં નળદમયંતી, શકુંતલા, કીચકવધ, દ્રૌપદી-સ્વયંવર, વસ્ત્રાહરણ તથા રામાયણમાંથી અહલ્યા–ઉદ્ધાર, ભરતમિલન, રામવનવાસ, સીતાહરણ વગેરે પ્રસંગો પર કવિએ યક્ષગાન રચ્યાં છે. એમનાં યક્ષગાનનાં રૂપકો આજે પણ ભજવાય છે.

ચન્દ્રકાન્ત મહેતા