નાટ્યરંગ (1959) : મુંબઈની પ્રયોગશીલ નાટ્યસંસ્થા. રંગભૂમિ(સ્થાપના 1959)એ જેમ અનેક સાહિત્યિક નાટકો રજૂ કર્યાં, તેમ વિષ્ણુકુમાર વ્યાસ અને મધુકર રાંદેરિયા જેવા સાહિત્યપ્રેમી રંગકર્મીઓએ નાટ્યમિલન યોજ્યું અને ‘નાટ્યરંગ’ નામનું નાટ્યસામયિક પણ પ્રસિદ્ધ કર્યું. આ સામયિકે અન્ય સામયિકો (‘ગુજરાતી નાટ્ય’, ‘એકાંકી’, ‘નાટક’ વગેરે) કરતાં વિશિષ્ટ છાપ એ રીતે ઊભી કરી કે એમાં ડી. જી. વ્યાસ અને અદી મર્ઝબાન જેવા વિદ્વાનો તેમજ રંગકર્મીઓ દ્વારા અભ્યાસપૂર્ણ લેખો અને સ્વસ્થ નાટ્ય-અવલોકનોની પ્રણાલી ઊભી થઈ. જોકે અન્ય સામયિકોની જેમ જ એ અલ્પજીવી નીવડ્યું હતું.

હસમુખ બારાડી