નાગદાસક : ઈ. સ. પૂ. પાંચમી સદીમાં મગધનો રાજા. મગધના રાજા ઉદયભદ્ર-ઉદયનને ત્રણ પુત્રો  અનિરુદ્ધ, મુંડ અને નાગદાસક હતા. ત્રણ ભાઈઓમાં નાગદાસક પ્રસિદ્ધ હોવાનું જણાય છે. પુરાણોમાં એને ‘દર્શક’ તરીકે ઓળખાવેલ છે. નાગદાસકના સમયમાં પારિવારિક ઝઘડા વધવા લાગ્યા. ષડ્યંત્ર અને હત્યાઓ થવા લાગી. રાજવંશ દુર્બળ થયો. શાસનવ્યવસ્થા ઢીલી પડવા લાગી. પ્રજામાં અસંતોષ વધ્યો. પ્રજા પિતૃઘાતી રાજાને ઘૃણાથી જોવા લાગી. આ બધાંને કારણે મગધમાં રાજનૈતિક વિપ્લવ થયો અને નાગવંશની બીજી શાખાએ મગધમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું જે ‘શિશુનાગવંશ’ કહેવાયો.

રામજીભાઈ ઠા. સાવલિયા