ધોંડ, મધુકર વાસુદેવ

March, 2016

ધોંડ, મધુકર વાસુદેવ (જ. 3 ઑક્ટોબર 1914, મુંબઈ; અ. 5 ડિસેમ્બર, 2007) : મરાઠી વિદ્વાન-વિવેચક, પ્રાધ્યાપક અને સંગીતજ્ઞ. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘જ્ઞાનેશ્વરીતીલ લૌકિક સૃષ્ટિ’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

મધુકર વાસુદેવ ધોંડ

તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી અને શૈક્ષણિક જીવનમાં ‘દાદોબા પાંડુરંગ તારખડકર સુવર્ણચંદ્રક’ મેળવ્યો. તેમણે લગભગ 40 વર્ષ સુધી શાળા તથા કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું હતું.

તેમણે 7 વિદ્વત્તાપૂર્ણ સંશોધન-ગ્રંથો પ્રગટ કર્યા છે. તેમને મહારાષ્ટ્ર રાજ્ય-સરકાર પુરસ્કાર, પ્રિયદર્શિની પુરસ્કાર, મહારાષ્ટ્ર ફાઉન્ડેશન પુરસ્કાર તથા કોતવાલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘જ્ઞાનેશ્વરીતીલ લૌકિક સૃષ્ટિ’માં જ્ઞાનેશ્વરી ગીતાનાં વિવિધ પાસાં પ્રગટ કરવાનો અને પુન: અર્થઘટન કરવાનો ઉદાહરણીય પ્રયાસ છે. તેમના વિવેચનાત્મક અભિગમમાંના આધ્યાત્મિકતા અને ભૌતિકતાનું સુંદર સંતુલન તથા પરિપક્વતા તેમજ સૌંદર્યબોધની જીવંતતાના કારણે ઉપર્યુક્ત કૃતિ ભારતીય સાહિત્યિક વિવેચનામાં પ્રશસ્ય બની છે.

બળદેવભાઈ કનીજિયા