દેવી (ઈ. સ. પૂર્વે 3જી સદી) : બૌદ્ધ શ્રમણ મહેન્દ્ર અને સંઘમિત્રાની માતા. મૌર્ય રાજા બિંદુસારના રાજ્ય અમલ દરમિયાન રાજપુત્ર અશોકે અવન્તિમાં રાજ્યપાલ તરીકે શાસન કરેલું. શ્રીલંકાના પાલિ ગ્રંથોમાં જણાવ્યા મુજબ રાજપુત્ર અશોક ત્યારે વિદિશામાં આવી વસેલા એક શાક્ય શ્રેષ્ઠીની દેવી નામે પુત્રીને પરણ્યો હતો ને તેનાથી તેને મહેન્દ્ર અને સંઘમિત્રા નામે બે સંતાન થયાં હતાં. આગળ જતાં એ બંનેએ બૌદ્ધ શ્રમણ તરીકે દીક્ષા લીધી ને શ્રીલંકા જઈ ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રસાર કર્યો, દેવી વિદિશામાં રહ્યાં. ત્યાં તેમણે એક બૌદ્ધ વિહાર બંધાવ્યો હતો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી