ઝહબી (જ. 1247; અ. 1348) : અરબી ભાષાના લેખક અને ઇતિહાસકાર. આખું નામ ઝહબી શમ્સુદ્દીન અબુ અબ્દુલ્લા મોહમ્મદ બિન અહમદ. હદીસશાસ્ત્રના અભ્યાસી તરીકે તેમની ગણના થાય છે. તેમણે હદીસો મોઢે કરનાર સંખ્યાબંધ લોકોનાં જીવનચરિત્રો એકત્ર કરીને ‘તઝકિરતુલ-હુફ્ફાઝ’ નામનો ગ્રંથ રચ્યો હતો. તે ચાર ભાગમાં હૈદરાબાદ(આંધ્રપ્રદેશ)માંથી છપાઈને પ્રગટ થયેલ છે. અન્ય પુસ્તકોમાં હદીસ વર્ણવનાર ‘રાવી’ વિશેની આલોચના અને પયગંબર મહંમદ સાહેબના સૂચવેલા વિવિધ પ્રકારના રોગોના ઉપચારો બાબત ‘તિબ્બુન નબી’નો સમાવેશ થાય છે.

ઝહબીનાં 18 જેટલાં અપ્રગટ પુસ્તકોની હસ્તપ્રતો પાશ્ચાત્ય દેશોનાં સંગ્રહાલયોમાં મળી આવે છે; આમાં ‘તારીખે ઇસ્લામ’, ‘મુખ્તસર તારીખે બગદાદ’ અને ‘તારીખે દાવતે ઇસ્લામ’ જાણીતાં છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી