જિન્દ : આઝાદી પૂર્વેનું પંજાબમાં આવેલું દેશી રાજ્ય અને હાલ હરિયાણા રાજ્યનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 29° 19’ ઉ. અ. 76° 19’ પૂ. રે.. તે દિલ્હીથી અગ્નિખૂણે 110 કિમી. દૂર છે. જિલ્લાનું ક્ષેત્રફળ 2702 ચો.કિમી. છે.

આ જિલ્લાની ઉત્તર દિશાએ કૈથલ, પૂર્વ તરફ પાણીપત અને સોનીપત જિલ્લો, ઉત્તર દિશાએ પંજાબ રાજ્ય, પશ્ચિમ દિશાએ હિસાર જિલ્લો અને દક્ષિણ તરફ રોહતક જિલ્લો આવેલા છે.

આ જિલ્લો સમુદ્રથી ઘણા અંતરે આવેલો હોવાથી આબોહવા વિષમ છે. અહીં ગરમી અને ઠંડી બંને સખત પ્રમાણમાં પડે છે. જાન્યુઆરી માસ સૌથી ઠંડો છે, જ્યારે મે માસમાં ગરમી વધારે પડે છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં કે જુલાઈના પ્રારંભમાં વરસાદ શરૂ થાય છે. સમગ્ર સીઝનનો 50 % વરસાદ જુલાઈમાં પડે છે. વરસાદનું પ્રમાણ 450 મિમી. આસપાસ છે. જિન્દમાં સરહિંદ નહેરથી સિંચાઈ થાય છે.

જિલ્લામાં ઘઉં, ચણા, શેરડી અને કપાસ મુખ્ય પાક છે. તેલીબિયાં, ડાંગર, મકાઈ વગેરે અન્ય પાકો છે. આઝાદી પછી સિંચાઈની સગવડ વધતાં ખેતીનું ઉત્પાદન વધ્યું છે. ઘઉં અને ચણા શિયાળુ પાક છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. કપાસના પાકને લીધે જિન્દમાં કપાસ લોઢવાનાં કેટલાંક જિન છે.

જિન્દના મોટા ભાગની વસ્તી હિંદુ છે. દેશી રાજ્યમાં આવેલ સંગરૂર તાલુકામાં શીખ વસ્તી છે. જિન્દના રાજવી શીખ હતા. 2011માં જિન્દની વસ્તી 13,32,042 હતી. દર ચોકિમી. દીઠ 289 માણસોની વસ્તી છે.

અહીં વૈદિક કાળમાં ભરત વંશનું રાજ્ય હતું. મહાભારત પ્રમાણે પાંડવોએ અહીં મંદિર બંધાવ્યું હતું. તેની આસપાસ જૈન્તપુરી શહેર દિલ્હી સાથે રેલવે અને પાકા રસ્તા દ્વારા જોડાયેલું છે. બીજી રેલવે પૂર્વમાં પાણીપત તરફ જાય છે. અહીં અનાજનું પીઠું છે. ગ્રામીણ વિસ્તારમાંથી ખેતીના પાકો વેચાવા આવે છે. કપાસ લોઢવાનાં જિન ઉપરાંત અનાજ ઉપર પ્રક્રિયા કરીને ખાદ્ય-ઉદ્યોગ વિકસાવાયો છે. હૅન્ડલૂમ ઉપર કાપડ થાય છે. જિન્દ શહેરમાં કુરુક્ષેત્ર સાથે જોડાયેલી ત્રણ કૉલેજો છે. જૂના વખતનો કિલ્લો જોવાલાયક છે.

ઇતિહાસ : 1755માં મુઘલો પાસેથી બે જિલ્લાઓ જીતી લઈને સુખચેને જિન્દના દેશી રાજ્યની સ્થાપના કરી હતી. તેના અનુગામી અને પરાક્રમી પુત્ર ગજપતસિંહે 1766માં જિન્દને તેના રાજ્યની રાજધાની બનાવી હતી. આ રાજ્ય મુઘલોનું ખંડિયું રાજ્ય હતું. મુઘલ શહેનશાહે જિન્દના શાસકને રાજાનો ઇલકાબ આપ્યો હતો. 1775માં જિન્દનો કિલ્લો બંધાયો હતો. મુઘલ સત્તા નબળી પડતાં જિન્દનું રાજ્ય સ્વતંત્ર થઈ ગયું હતું. ગજપતસિંહ પછી ભાગસિંહ 1781માં ગાદીએ બેઠો હતો. તેના શાસન દરમિયાન જિન્દ રાજ્યે અંગ્રેજો સાથે મૈત્રીસંબંધ બાંધ્યો હતો. 1837માં અંગ્રેજોએ જિન્દ રાજ્યનો થોડો પ્રદેશ પડાવી લીધો હતો. 1847માં સતી, ગુલામી અને ભ્રૂણહત્યા ઉપર રાજ્યે પ્રતિબંધ મૂક્યો હતો. રાજા રઘુવીરસિંહે (1864–87) તેના રાજ્યમાં સુધારા દાખલ કર્યા હતા. તેણે સંગરૂપમાં તેની રાજધાની ફેરવી હતી. 1857ના સ્વાતંત્ર્યયુદ્ધ વખતે જિન્દ રાજ્યે અંગ્રેજોને મદદ કરી હતી. આ સિવાય અફઘાન વિગ્રહ અને 1914ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પણ જર્મની વિરુદ્ધ ઇંગ્લૅન્ડને તેણે મદદ કરી હતી. છેલ્લા શાસક રાજવીરસિંહ 1948માં ગાદીએ આવ્યા અને આ જ વરસે આ રાજ્યનું પેપ્સુ (પતિયાળા ઍન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન – PEPSU) રાજ્ય સાથે, 1 નવેમ્બર 1956થી પંજાબ સાથે અને 1966માં હરિયાણા સાથે જોડાણ થયું છે. આઝાદી પૂર્વે આ રાજ્યમાં 7 શહેરો અને 439 ગામડાં હતાં. રાજા, દીવાન અને 2 મંત્રીઓની સહાયથી રાજ્યનો વહીવટ ચાલતો હતો.

શિવપ્રસાદ રાજગોર