જાળી : પથ્થરને કોતરીને જુદી જુદી ભાતથી જાળીઓની રચના કરવામાં આવે છે. આવી જ રચના લાકડામાંથી પણ કરાય છે. જાળીઓનો મુખ્ય ઉપયોગ બારીઓ તથા અલગ અલગ જાતના ગાળાઓમાં પ્રકાશ તથા હવાની આવજાની અનુકૂળ માત્રા નિર્ધારિત કરવામાં રહેલો છે જેની કલાત્મકતાથી બહારના દેખાવમાં તથા અંદરના પ્રકાશની વહેંચણીમાં અનોખું કૌશલ જોઈ શકાય છે. આ રીતે બાંધકામની કારીગરીની કલાત્મકતાને પ્રદર્શિત કરવાની તક મળે છે. જાળીની કલાત્મકતાનો ઉપયોગ સ્થાપત્યમાં સ્વીકૃતિ પામ્યો છે. આથી સ્થાપત્યશૈલીઓની સમૃદ્ધિ પણ મોટા પ્રમાણમાં વધી છે. મધ્યકાલીન ભારતના મુસ્લિમ સ્થાપત્યમાં જાળીનું પ્રમાણ વધુ જોવા મળે છે. અમદાવાદની સીદી સઈદની જાળી વિશ્વપ્રસિદ્ધ છે.

રવીન્દ્ર વસાવડા