ચૌધરી, સુધાંશુ ‘શેખર’

January, 2012

ચૌધરી, સુધાંશુ ‘શેખર’ (જ. 1922, દરભંગા અ. 1990) : મૈથિલીના નામી નવલકથાકાર અને નાટ્યકાર. તેમની નવલકથા ‘બતાહા સંસાર’ને 1980ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ વિધિસર શિક્ષણ મેળવી શક્યા ન હતા, પણ પ્રયાગના હિંદી વિશ્વવિદ્યાલયમાંથી 1951માં તેમણે વિશારદની ડિગ્રી મેળવી હતી. તેમણે પત્રકાર, અભિનેતા, ચલચિત્રોના સંવાદલેખક, પ્રૂફવાચક, પુસ્તક-પ્રકાશક તથા પુસ્તકવિક્રેતા  એમ વિવિધ પ્રકારે કામગીરી બજાવી. 1960થી ‘મિથિલા મિહિર’ નામના મૈથિલી સાપ્તાહિકના મુખ્ય તંત્રી થયા. 4 દાયકાના લેખનકાર્ય દરમિયાન તેમણે 3 નવલકથાઓ અને 3 નાટકો આપ્યાં છે. તેમણે હિંદીમાં પણ 10 પુસ્તકો લખ્યાં છે.

સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાની ઊંડી સૂઝપૂર્વકની રજૂઆત, જીવંત પાત્રચિત્રણ તથા પ્રભાવક વર્ણનશૈલી જેવી લાક્ષણિકતાઓને કારણે પુરસ્કૃત કૃતિ મૈથિલીમાં ગણનાપાત્ર લેખાઈ છે.

મહેશ ચોકસી