ગોસ્વામી, ઇન્દિરા

February, 2011

ગોસ્વામી, ઇન્દિરા (જ. 14 નવેમ્બર 1942, ગુઆહાટી, જિ. કામરૂપ, આસામ; અ. 29 નવેમ્બર 2011, ગુવાહાટી) : જાણીતાં આસામી મહિલા નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખિકા અને જ્ઞાનપીઠ ઍવૉર્ડનાં વિજેતા. તેમનું મૂળ નામ ઇન્દિરા ગોસ્વામી છે. બાળપણમાં તેઓ મામોની તરીકે ઓળખાતાં હતાં. પિતાનું નામ ઉમાકાંત. તેઓ અર્થશાસ્ત્રી હતા અને શિક્ષણખાતામાં જોડાયેલા હતા. ઇન્દિરા ગોસ્વામીને તેમની નવલકથા ‘મામારે ધારા તારોવાલ’ માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદેમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1962માં તેમનો સર્વપ્રથમ વાર્તાસંગ્રહ ‘ચિનાકીઓ મોરસ’ પ્રકાશિત થયો હતો.

એમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિલૉંગની ‘પાઇન માઉન્ટ સ્કૂલ’માં લીધું હતું. ત્યાંથી ગુઆહાટી જવાનું થયેલું. ગુઆહાટીમાં ‘તારિણી ચૌધરી ગર્લ્સ સ્કૂલ’માં શિક્ષણ લીધું. વળી ઉચ્ચ શિક્ષણ ગુઆહાટીમાં લેવાનું બન્યું. 1962માં માધવન રાયસમ આયંગર સાથે પરિચય થયેલો જે પછી પરિણયમાં પલટાતાં એમની સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. ત્યારબાદ મામોની રાયસમ તરીકે ઓળખાતાં થયાં. માધવન આયંગર ઇજનેર હતા અને કાશ્મીરથી કચ્છના કુંવરવેદમાં આવ્યા હતા. એથી ઇન્દિરા ગોસ્વામીને ગુજરાતમાં રહેવાનું બન્યું હતું. માધવનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એમના મૃત્યુ બાદ ઇન્દિરાની માનસિક સ્થિતિ બગડી હતી અને એમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગ્વાલપાડાની સૈનિક સ્કૂલમાં થોડો સમય કામ કરેલું.

1964માં તેમણે ગુઆહાટી યુનિવર્સિટીમાંથી અસમિયામાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી 1973માં ‘અ કમ્પેરેટિવ સ્ટડી ઑવ્ ધ રામાયણ ઑવ્ માધવ કન્દલી ઍન્ડ ગોસ્વામી તુલસીદાસ’ પર શોધ-નિબંધ લખીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1971થી તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં અદ્યતન ભારતીય ભાષાઓના વિભાગમાં અસમિયા સાહિત્યના અધ્યાપનકાર્ય માટે જોડાયાં હતાં. તે પૂર્વે પોતાના મહાનિબંધના લેખન અર્થે વૃંદાવનમાં રહ્યાં હતાં.

તેઓ નૅશનલ બુક ટ્રસ્ટની અસમિયા સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે, કેન્દ્રીય સાહિત્ય અકાદેમી સાથે (1983–87) અને દિલ્હીના કે. કે. બિરલા ફાઉન્ડેશનની ભાષા સમિતિ સાથે (1990–91) સંલગ્ન રહેલાં. તેઓ આસામના ગોલપારા ખાતેની સૈનિક સ્કૂલમાં સેવાઓ આપતાં હતાં તે દરમિયાન તેમને વારંવાર ખિન્ન મન:સ્થિતિ(depression)નો સામનો કરવો પડતો, જેમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ તેમના શિક્ષકની સલાહથી થોડોક સમય વૃંદાવનમાં રહ્યાં, જ્યાં તેમણે રામાયણનું ગાઢ અધ્યયન કર્યું હતું.

તેમની પ્રગટ થયેલી કુલ 27 કૃતિઓમાં દસ નવલકથાઓ, પાંચ વાર્તાસંગ્રહો, ચરિત્ર તથા આત્મકથાનો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓમાં ‘નીલકંઠી વ્રજ’ (1972); ‘અહિરન’ (1990); ‘ચિનાબનો સ્રોત’; ‘ઉને ખોવા હૌવદા’ (1988); ‘સંસ્કાર’, ‘ઉદયભાનૂર ચરિત્ર’ (1989) ઇત્યાદિ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત ‘જિંદગી કોઈ સોદો નથી’ (આત્મકથા); ‘હૃદય એક નાદિર નામ’; ‘ઈશ્વરી જખ્મી યાત્રી’ (1990); ‘તેજ અરુ ધૂલિર ધુસારિતા પરિસ્તા’ ઇત્યાદિ નોંધપાત્ર છે.

તેમની અનેક ટૂંકી વાર્તાઓ અંગ્રેજી સહિત વિવિધ ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે. તેમણે પ્રેમચંદની ટૂંકી વાર્તાઓનું આસામીમાં ભાષાંતર કર્યું છે. વળી તેમણે ભારતનાં જાણીતાં સંખ્યાબંધ સામયિકોમાં સંશોધન-લેખો પ્રગટ કર્યા છે. તેમની સાહિત્યિક સેવાઓ બદલ તેમને સાહિત્ય અકાદેમી ઍવૉર્ડ (1983); આસામ સાહિત્યસભા ઍવૉર્ડ (1988); ભારતનિર્માણ ઍવૉર્ડ (1989); ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાનનું સૌહાર્દ સન્માન (1992); રાષ્ટ્રીય કથા ઍવૉર્ડ (1993); કમલકુમારી ફાઉન્ડેશન ઍવૉર્ડ (1996), રવીન્દ્રભારતી યુનિવર્સિટી દ્વારા ડી. લિટ. (2002), માહિયોશી જયમતી ઍવૉર્ડ (2002); રાજીવ ગાંધી યુનિ. (અરુણાચલ પ્રદેશ) દ્વારા ડી. લિટ. (2008), એશિયાટિક સોસાયટી દ્વારા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સુવર્ણ પ્લેટ (2008), પ્રિન્સિપાલ પ્રિન્સક્લાઝ ઍવૉર્ડ (2008), આસામ સાહિત્ય સભા દ્વારા કૃષ્ણકાંત ઍવૉર્ડ (2009) વગેરે પ્રાપ્ત થયાં છે. વળી તેમને ‘સ્ત્રી-સશક્તીકરણ’ના વર્ષ(2001)માં જ્ઞાનપીઠ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘મામારે ધારા તારોવાલ’ (1980) તેમની સામાજિક તણાવો વિશેની ઊંડી સમજ, માણસના માણસ દ્વારા થતા શોષણ પ્રત્યેની નફરત, મહેનતકશ સમુદાય પ્રત્યે સહાનુભૂતિ અને જકડી રાખતી શૈલીને કારણે અસમિયા સાહિત્યમાં શ્રેષ્ઠ કોટિની ગણાય છે. ‘લાઇફ ઇઝ નો બારગેન’ શીર્ષક હેઠળ તેમની આત્મકથા પ્રકાશિત થઈ છે.

બળદેવભાઈ કનીજિયા