ગોસ્વામી, કિશોરીલાલ (જ. 15 ફેબ્રુઆરી 1865, બનારસ;  અ. 29 મે 1933, બનારસ) : વારાણસીના હિંદીના સર્વતોમુખી પ્રતિભા ધરાવતા સર્જક. તેઓ ધાર્મિક વૃત્તિના અને નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હતા. હિંદુ ધર્મના હોવાનું તેમને અભિમાન હતું. તેમણે કાશીમાં શિક્ષણ લીધું હતું. તેમના માતામહ કૃષ્ણ ચૈતન્ય હિંદી સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્રના ગુરુ હતા. તેથી ભારતેન્દુ સાથેના સાહિત્યકારો સાથે તેમને ગાઢ સંપર્ક રહ્યો.

વાસ્તવલક્ષી નવલકથાઓમાં ધનવાન કુટુંબોની છૂપી અશ્લીલતા અને જાતીય જીવનનાં રહસ્યો પ્રગટ કરનાર તેઓ પ્રથમ સાચા હિંદી નવલકથાકાર ગણાયા.

તેમણે કુલ 65 નવલકથાઓ, 3 વાર્તાસંગ્રહો આપ્યાં છે. હિંદી સાહિત્યમાં તેઓ પ્રથમ અસલ વાર્તાકાર, ઐતિહાસિક ભાવનાવાળી અને વાસ્તવિક નવલકથાઓના સર્જક હતા. તેમણે સામાજિક, રહસ્યપ્રધાન તેમજ જાસૂસી નવલકથાઓ રચી છે. વિકૃત અને અનૈતિક પ્રેમનું ચિત્રાંકન પણ તેમની નવલકથાઓમાં તેમણે કર્યું છે.

તેઓ ‘સરસ્વતી’ મેગેઝીનના સંપાદકમંડળમાં રહ્યા હતા અને ‘ઉપન્યાસ’નું સંપાદન પણ સંભાળ્યું હતું, જેમાં તેમની મોટા ભાગની નવલકથાઓ પ્રગટ થઈ હતી. ‘ચૌપાટ ચપટ’ અને ‘મયંકમંજરી’ તેમનાં શૃંગારિક નાટકો છે; જ્યારે ‘બાલપ્રભાકર ચંદ્રિકા’ (1904), ‘ઇન્દુમતી’ (1906) અને ‘ગુલબહાર’ (1906) તેમના વાર્તાસંગ્રહો છે.

તેમની વાસ્તવલક્ષી નવલકથાઓમાં ‘પ્રણયિની પરિણય’ (1887), ‘ત્રિવેણી’ (1888), ‘સ્વર્ગીય કુસુમ’ (1889), ‘લીલાવતી’ (1901), ‘ચપલા’ (1903), ‘ચંદ્રિકા વા જડાઉ ચંપાકલિ’ (1904), ‘ચંદ્રાવલિ’ (1904), ‘તરુણ તપસ્વિની’ (1905), ‘ઇન્દુમતી વનવિહંગિની’ (1906), ‘પુનર્જન્મ’ (1907), ‘માધવી માધવ’ (1909) અને ‘અંગુડી કા નગીના’(1918)નો સમાવેશ થાય છે.

કેટલીક ઐતિહાસિક ભાવનાપ્રધાન નવલકથાઓ છે : ‘હૃદય હરિણી’ (1890), ‘લવંગલતા’ (1890), ‘ગુલબહાર કા આદર્શ ભારતી પ્રેમ’ (1902), ‘કનકકુસુમ’ (1904), ‘હિરાબાઈ’ (1904), ‘સુલતાના’ (1904), ‘મલ્લિકાદેવી’ (1905), ‘લખનઉ કી કબ્ર’ (1906–16), ‘સોના ઔર સુગંધ’ (1909), ‘લાલ કુંવર’ (1909). તેમની રહસ્યપ્રધાન નવલકથાઓમાં ‘નૌલખા હાર’ (1911) અને ‘ખૂની ઓરત કા સાત ખૂન’ (1918)નો સમાવેશ થાય છે.

બળદેવભાઈ કનીજિયા