ગુલામ અલી (જ. 1750;  અ. 1836) : અગ્રિમ સૂફીવાદી સિંધી કવિ. ‘રોહલ’ ફકીરના પુત્ર. તેમને કાવ્યરચનાકૌશલ અને ભક્તિભાવ વારસામાં મળ્યાં હતાં.

ગુલામ અલીએ ભારતીય છંદશાસ્ત્ર-આધારિત સિંધી કવિતાની રચના કરી હતી. તેમની કવિતા ઉપર ઇશ્કે હકીકીની સૂફીવાદી પ્રેમપરંપરા તથા વેદાંતની યોગજ્ઞાનની ઊંડી અસર છે. અદ્વૈતના ઉપાસક ગુલામ અલી સર્વે માનવમાં પ્રભુદર્શન પામે છે.

પરઝી ડિસિ પાણ મેં

આહે કોન બિયો;

તું ગોલ્હિં થો જંહિંએ,

સાગિયો આહીં તું.

(અંતરમનમાં નિહાળ; અન્ય કોઈ નહિ, તું જેને શોધે છે, એ જ તું છે.)

સિંધી ઉપરાંત તેમણે હિંદી તથા પંજાબીમાં પણ કાવ્યરચના કરી હતી. ઈશ્વરને ‘પ્રીતમ પ્યારો’ કહેનાર આ કવિની કવિતાઓ ‘સત્ આત્મા શાસ્ત્ર બ્રહ્મ વિચાર’માં સંગૃહીત થઈ છે. આ મુસ્લિમ દાર્શનિક કવિની બેતો સૂફી મતનાં રત્નો હોવાની સાથે સૂફીવાદ અને વેદાંતનો સમન્વય બની રહી છે. આ મુસ્લિમ સૂફી કવિએ ભારતીય સંત કવિની જેમ અદ્વૈતની ઉપાસના કરી છે :

સભ ઘટ એક હી રમ રહિયો,

જગત્ મંહિ જગદીસ્.

જયંત રેલવાણી