ગાથા સહસ્રી : સકલચંદ્રગણિના શિષ્ય સમયસુન્દરગણિ સંગૃહીત ગ્રંથ. ઈ. સ. 1629માં તેમણે આમાં 1૦૦૦ સુભાષિતગાથાનો સંગ્રહ કર્યો છે.

આમાં સૂરિના 36 ગુણ, સાધુઓના ગુણ, જિનકલ્પિકનાં ઉપકરણ, યતિદિનચર્યા, 25½ આર્યદેશ, ધ્યાતાનું સ્વરૂપ, પ્રાણાયામ, 32 પ્રકારનાં નાટક, 16 શૃંગાર, શકુન અને જ્યોતિષ વગેરે સાથે સંકળાયેલા વિષયોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં મહાનિશીથ, વ્યવહારભાષ્ય, પુષ્પમાલાવૃત્તિ વગેરે પ્રાકૃત ગ્રંથોમાંથી તેમજ મહાભારત, મનુસ્મૃતિ વગેરે સંસ્કૃત ગ્રંથોમાંથી લીધેલાં ઉદ્ધરણો મળે છે. લૌકિક અને અલૌકિક વિષયો સંબંધી ગાથાના આ સંગ્રહનું પ્રાકૃત સુભાષિત સંગ્રહોમાં મહત્વનું સ્થાન છે.

નીલાંજના શાહ