ગર્ભનિરોધ (Contraception)

ગર્ભધારણ (conception) અટકાવવું તે. ભારત સરકારે વસ્તીવધારો રોકવાના તેના રાષ્ટ્રીય કાર્યક્રમો – અનુક્રમે કુટુંબનિયોજન કાર્યક્રમ તથા કુટુંબકલ્યાણ કાર્યક્રમ – માં ગર્ભનિરોધક પદ્ધતિઓને મહત્વનો અગ્રતાક્રમ આપ્યો છે. ગર્ભધારણનું નિયમન કરવું તે વ્યક્તિગત અને કુટુંબની શારીરિક, સામાજિક અને આર્થિક જરૂરિયાત પણ છે. ગર્ભધારણ અટકાવવાનાં નૈતિક અને ધાર્મિક પાસાં ગર્ભનિરોધના ઉપયોગને સીધી અસર કરે છે અને તેથી જાહેર શિક્ષણનાં માધ્યમો દ્વારા તેમના સતત પ્રચારની જરૂર પર ભાર મુકાયો છે.

આકૃતિ 1 : (અ) મેરી સ્ટૉપ્સ (1880–1958), (આ) માર્ગરેટ સગર (1883–1966)

ઇતિહાસ : ગર્ભનિરોધ માટેના પ્રયત્નનો સૌપ્રથમ લેખિત ઉલ્લેખ ઇજિપ્તમાં પેપિરસ (ઈ. પૂ. 1850) દ્વારા થયેલો છે. તેણે સ્ત્રીની યોનિમાં મગરની વિષ્ટા મૂકી અને તેથી ગર્ભધારણ અટક્યું હતું. આ માટે મધ તથા ગુંદરનો પણ ઉપયોગ થતો હતો. એલેનવેલ(ઈ. પૂ. 1848)ની નોંધ પ્રમાણે અગાઉ ભારત સહિત વિવિધ દેશોમાં એલચી, આદુ, સૂંઠ, લસણ, લીંડીપીપર વગેરે દ્રવ્યો વડે વણજોઈતા નવજાત શિશુનો નાશ થતો એવી માહિતી છે. ફ્રેંચ લેખક ડી’આર્મરે ગર્ભનિરોધ માટે રસાયણોનો ઉલ્લેખ કર્યો છે. સોળમી સદીમાં લખાયેલા વાત્સ્યાયનના ‘કામસૂત્ર’માં વણજોઈતા ગર્ભને અટકાવવાના ઉપાયો લખેલા છે. કર્ણાટકના દીવાન ચારુલુએ રાજ્યમાં થતા વસ્તીવધારા અંગે જાણ કરી તેથી ઈ. સ. 1930ના જૂનની 11મી તારીખે ટી. માધવરાવ દ્વારા કર્ણાટકમાં રાજ્યાશ્રયવાળું કુટુંબનિયોજન કેન્દ્ર સૌપ્રથમ સ્થપાયું હતું. ઇંગ્લૅન્ડમાં મેરી સ્ટૉપ્સ (1880–1958) અને અમેરિકામાં માર્ગરેટ સગર (1883–1966) નામની બે સ્ત્રીઓએ કુટુંબનિયોજનનું આંદોલન આગળ વધાર્યું હતું. ધાર્મિક વડાઓ તેને ધર્મવિરુદ્ધનું કાર્ય માનતા અને તેથી તેમને જેલવાસ ભોગવવો પડ્યો હોત. પુરુષની જનનેન્દ્રિયના મૂળ પાસે નીચે છિદ્ર કરીને તેમાંથી વીર્ય વહી જાય એવી શસ્ત્રક્રિયા આદિવાસી પ્રજામાં થતી એવી નોંધ ઉપલબ્ધ છે. 1880માં ગર્ભાશયમાં મૂકવાનું વીંટી આકારનું સાધન વિકસ્યું તથા 1957માં ગર્ભનિરોધક ગોળીઓ વપરાવા લાગી. ભારતમાં ગર્ભનિવારણનો કાયદો 1971માં અમલમાં આવ્યો અને હાલ વિશ્વનું સૌથી મોટું ગર્ભનિરોધ માટેનું તંત્ર ભારતમાં વિકસ્યું છે.

જાતીય સક્રિયતાવાળાં ફલનશીલ યુગલોમાંની 90 % સ્ત્રીઓ એક વર્ષમાં સગર્ભા બને છે. તેથી સગર્ભાવસ્થા ન જોઈતી હોય એવાં સર્વે જાતીય સક્રિયતાવાળાં યુગલોએ ગર્ભનિરોધ માટેની પદ્ધતિઓ અપનાવવી પડે છે. અણગમતી સગર્ભાવસ્થા માનસિક વિકારો અને સામાજિક પ્રશ્નો સર્જે છે. તેને કેટલાક લોકો જાતીયતાથી ફેલાતા રોગના જૂથના સભ્ય જેવું જ ગણે છે. મોટા ભાગની છોકરીઓમાં ઋતુસ્રાવ (menstruation) શરૂ થાય તે પહેલાં અંડકોષ (ovum) છૂટો પડવાનું શરૂ થાય છે. તેથી કોઈ પણ ઉંમરની યુવાન સ્ત્રીઓએ તથા ઋતુસ્રાવ શરૂ થવાની ઉંમરે પહોંચેલી છોકરીઓમાં સગર્ભાવસ્થા થવાની શક્યતા હોય તો ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી બને છે. અંડકોષ છૂટો પડવાની પ્રક્રિયાને અંડકોષ-મોચન (ovulation) કહે છે. તે ઉંમર સાથે નહિ; પરંતુ ઋતુસ્રાવચક્ર(menstrual cycle)ની નિયમિતતા સાથે સંબંધિત છે. તેથી 40–50 વર્ષની ઉંમર દરમિયાન ક્યારે ગર્ભનિરોધક સાધનની જરૂર નહિ રહે તે નક્કી કરવું અઘરું ગણાય છે. આ ઉંમરે ઋતુસ્રાવ ઘટે, ઋતુસ્રાવચક્ર લાંબું થાય કે તે થોડા સમય માટે બંધ રહે તોપણ તે સમયે અંડકોષ છૂટો પડવાનું બંધ થયું છે એમ નિશ્ચિતપણે માની શકાતું નથી. 50 વર્ષ પછીની વયે સગર્ભાવસ્થા ભાગ્યે જ થાય છે; પરંતુ ઋતુસ્રાવ બંધ થયા પછી 2 વર્ષ બાદ ગર્ભનિરોધની જરૂરિયાત ઘટે છે એવું માનવામાં આવે છે. ગર્ભનિરોધ માટે વપરાતી પદ્ધતિઓ સારણી 1માં દર્શાવી છે.

સારણી 1 : ગર્ભનિરોધ માટે વપરાતી પદ્ધતિઓ

1. મુખમાર્ગી સ્ટીરૉઇડ ગર્ભનિરોધક દવાઓ
2. સ્ટીરૉઇડ ગર્ભનિરોધક દવાનાં ઇન્જેક્શનો કે અધિસ્થાપન (implantation)
3. ગર્ભાશયમાં મૂકવાનાં સાધનો
4. ભૌતિક, રાસાયણિક કે ભૌતિક-રાસાયણિક અવરોધકો
5. ત્વરિત અંતવાળો સમાગમ અથવા અર્ધસંભોગ
6. ગર્ભધારણ ન થાય એવો સલામત સમયગાળો
7. સ્તન્યપાન (breast feeding)
8. શસ્ત્રક્રિયા વડે કરાતું કાયમી વંધ્યીકરણ (sterilization)

આકૃતિ 2 : અમેરિકામાં વપરાતી વિવિધ, ગર્ભનિરોધક પદ્ધતિઓ (1984) (1) વંધ્યીકરણ – સ્ત્રીઓ અને પુરુષો, (2) ગર્ભનિરોધક ગોળીઓ, (3) નિરોધ (condom), (4) વીર્યકોષનાશક દવાઓ, (5) ત્વરિત અંતવાળો સમાગમ, (6) યોનિપટલ (diaphragm), (7) સુરક્ષિત સમયગાળો, (8) ગર્ભાશયમાં ગર્ભનિરોધક સાધન (IUCD), (9) અન્ય પદ્ધતિ, (10) ગર્ભનિરોધની કોઈ પદ્ધતિ નહિ.

જુદી જુદી સામાજિક અને વ્યક્તિગત જરૂરિયાતો અને માન્યતાઓને આધારે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આકૃતિ 2માં અમેરિકામાં જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ દર્શાવ્યો છે અને તેમના ઉપયોગના પ્રથમ વર્ષમાં જોવા મળતી નિષ્ફળતાનો દર આકૃતિ 3માં દર્શાવ્યો છે. ગર્ભનિરોધક પદ્ધતિની નિષ્ફળતામાં

આકૃતિ 3 : વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓમાં જોવા મળતી નિષ્ફળતાનો દર : (1) પ્રોજેસ્ટેરોનનાં ઇન્જેક્શન, (2) પ્રોજેસ્ટેરોન-ઇસ્ટ્રોનવાળી ગોળીઓ, (3) ફક્ત પ્રોજેસ્ટેરોનવાળી ગોળીઓ, (4) ગર્ભાશયમાં સાધન, (5) નિરોધ, (6) વીર્યકોષનાશક સાથે યોનિપટલ, (7) વીર્યકોષનાશક સાથે વાદળી, (8) ફીણકારક, લૂગદી જેવી, મલમ જેવી કે અધિસ્થાપન માટે વપરાતી દવાઓ, (9) પરાકાષ્ઠા પહેલાં સમાગમનો અંત, (10) દવાનો ડૂશ (douche)

વ્યક્તિગત બેકાળજી પણ આવરી લેવાઈ છે. અસરકારક શિક્ષણ અને ધ્યેયસિદ્ધિની ભાવના (motivation) તથા વલણપરિવર્તન અને પ્રેરણા દ્વારા નિષ્ફળતાનો દર ઘટે છે. નિષ્ફળતાનો દર કુલ 6.06થી 8.22/100 સ્ત્રી-વર્ષો જેટલો નોંધાયેલો છે. આયોજન કરીને કરાયેલો ગર્ભપાત શાસ્ત્રીય વ્યાખ્યાની ર્દષ્ટિએ ગર્ભનિરોધક પદ્ધતિ ગણાતી નથી. હાલ ભારતમાં ગર્ભનિરોધક પદ્ધતિની નિષ્ફળતાને કારણે થયેલા ગર્ભધારણને કાયદેસર રીતે ગર્ભપાત કરાવીને દૂર કરવાનું ઠરાવવામાં આવેલું છે. તે માટે શસ્ત્રક્રિયા ઉપરાંત મુખમાર્ગી ગર્ભપાતકારક દવાનો ઉપયોગ કરી શકાય છે. પ્રોજેસ્ટેરોનનો 19-નોરસ્ટીરૉઇડ સ્પર્ધાત્મક (competitive) પ્રકારનો એક સમધર્મી (analogue) – RU 486 – અસરકારક ગર્ભપાતક (abortifacient) દવા છે. એપોસ્ટેન નામની બીજી એક દવા પણ પ્રોજેસ્ટેરોનના સંશ્લેષણ(synthesis)ને અટકાવીને શરૂઆતની સગર્ભાવસ્થાના 84 % કિસ્સામાં ગર્ભપાત કરે છે. RU 486ને મહિનામાં એક વખત ઋતુસ્રાવચક્રના લ્યુટિઅલ તબક્કાની મધ્યમાં આપવાથી 72 કલાકમાં ઋતુસ્રાવ થાય છે. આમ તે મહિને એક વખત આપવાની ગર્ભનિરોધક ગોળી તરીકે વિકસી શકશે એમ મનાય છે.

1. અંત:સ્રાવી ગર્ભનિરોધક દવાઓ : હાલ ઉપલબ્ધ ગર્ભનિરોધક ગોળીઓમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેશનલ ઔષધનું સંમિશ્રણ હોય છે, જે દર મહિને 3 અઠવાડિયાં લેવાનું હોય છે. તે દવા વગરના એક અઠવાડિયાના સમયગાળામાં ઋતુસ્રાવ થાય છે. ઇસ્ટ્રોજન મોટે ભાગે ઇથિનાયલ ઇસ્ટ્રેડિયોલ હોય છે. ક્યારેક તેને બદલે તેનો 3 મિથાયલ ઈથર (મેસ્ટ્રેનોલ) હોય છે જે શરીરમાં તરત જ ઇથિનાયલ ઇસ્ટ્રેડિયમમાં રૂપાંતરિત થાય છે. પ્રોજેસ્ટેશનલ ઔષધરૂપે નોર-ઇથિન્ડ્રોન, નોરજેસ્ટ્રેલ, ઇથાયનોડિયોલ ડાયએસિટેટ કે નોર-ઇથિન્ડ્રોન એસિટેટ હોય છે. આ ગર્ભનિરોધક દવાઓ મગજમાં આવેલા અધશ્ચેતક (hypothalamus) નામના વિસ્તારનું અવદાબન (inhibition) કરે છે અને તેથી પીયૂષિકા (pituitary) ગ્રંથિના પુટિકા-ઉત્તેજી અંત:સ્રાવ (follicular stimulating hormone, FSH) અને પીતપિંડકારી અંત:સ્રાવ(luteinizing hormone, LH)નું ઉત્પાદન ઘટે છે. તેને કારણે અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડતો નથી (આકૃતિ 4). વળી ગર્ભાશયની અંદરની દીવાલમાં પણ ફેરફાર

આકૃતિ 4 : ઋતુસ્રાવચક્રમાં વિવિધ અંત:સ્રાવોની લોહીમાં વધઘટ : (અ) LH અને FSHનું લોહીમાં પ્રમાણ તથા (આ) ઇસ્ટ્રેડિયોલ અને પ્રોજેસ્ટેરોનનું લોહીમાં પ્રમાણ. સામાન્ય સ્ત્રીમાં LH(1), FSH(2), પ્રોજેસ્ટેરોન (5) અને ઇસ્ટ્રેડિયોલ(6)નું પ્રમાણ તથા ગર્ભનિરોધક ગોળી લે LH(3), FSH (4), પ્રોજેસ્ટેરોન (7) અને ઇસ્ટ્રેડિયોલ (8)નું પ્રમાણ. તીર અંડકોષ છૂટા પડવાનો દિવસ સૂચવે છે. જુઓ : ગર્ભનિરોધક ગોળીઓ લેતી સ્ત્રીમાં અંત:સ્રાવોની વધઘટ થતી નથી.

થાય છે અને તે કોઈ પણ ફલિતાંડ(zygote)ને સ્વીકારતી નથી તેમજ ગર્ભાશય-ગ્રીવા(cervix)માં આવેલું ચીકણું પ્રવાહી અથવા શ્લેષ્મ (mucus) શુક્રકોષ(sperm)ના પ્રવેશને અટકાવે છે. આમ, ગર્ભનિરોધક ગોળીઓ જો દર 4 અઠવાડિયાંમાંથી 3 અઠવાડિયાં લેવામાં આવે તો તે સંપૂર્ણ રક્ષણ આપે છે; પરંતુ તેમનું સેવન શરૂ કરવામાં આવે ત્યારે ક્યારેક પહેલા અઠવાડિયામાં તે અંડકોષ છૂટો પાડે છે અને તેથી સૌપ્રથમ અઠવાડિયામાં કોઈ જ પ્રકારનું રક્ષણ મળતું નથી. ઋતુસ્રાવ થાય તે પછી તરત (પ્રથમ 7 દિવસમાં) અથવા ગર્ભપાત અને પ્રસૂતિ પછી ઋતુસ્રાવ આવવો શરૂ થાય તે પહેલાં (પ્રથમ 3 અઠવાડિયાંમાં) ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું શરૂ કરવાનું સૂચવાય છે કેમકે તેમાં મોડું થાય અને સ્ત્રીના અંડપિંડમાં કોઈ પુટિકા વિકાસ પામતી થાય તો અંડકોષ છૂટો પડવાની શક્યતા વધે છે. આવા સમયે કોઈ વધારાની ગર્ભનિરોધક પદ્ધતિનો પણ ઉપયોગ જરૂરી બને છે. 21 દિવસ ગર્ભનિરોધક ગોળીઓ અને 7 દિવસ તેના વગર – એમ નિયમિતપણે થાય તે માટે 28 ગોળીઓનું પૅકેટ મળે છે જેમાં પ્રથમ 21 દિવસ ગર્ભનિરોધક ગોળી લેવાની હોય છે અને પાછળના 7 દિવસ બીજા રંગની કોઈ નિષ્ક્રિય (inert) દવા કે લોહની ટીકડી લેવાની હોય છે. દવા નિયમિતપણે દિવસના કોઈ એક ચોક્કસ સમયે લેવી જરૂરી ગણાય છે. એકાદ ગોળી ચૂકી જવાય તો બીજા દિવસે બે ગોળી લેવાનું સૂચવાય છે. પરંતુ જો વધુ વખત આવી ભૂલ થઈ હોય તો બીજી ગર્ભનિરોધક પદ્ધતિનો પણ ઉપયોગ જરૂરી બને છે.

હાલ ગર્ભનિરોધક ગોળીઓમાં વપરાતા અંત:સ્રાવોની માત્રા ઘણી ઓછી હોય છે. સામાન્ય રીતે 30થી 50 માઇક્રોગ્રામ ઇથિનાયલ ઇસ્ટ્રેડિયોલ કે મેસ્ટ્રેનોલ 1 મિગ્રા. નોર-ઇથિન્ડ્રોન જેટલી પ્રોજેસ્ટેશનલ સક્રિયતા હોય છે. હાલ પશ્ચિમી દેશોમાં મળતી કેટલીક ગોળીઓમાં ઇથિનાયલ ઇસ્ટ્રેડિયોલ માત્રા 20 માઇક્રોગ્રામ જેટલી પણ હોય છે. પ્રોજેસ્ટેશનલ ઔષધની માત્રામાં વધઘટ પણ થતી હોય છે અને હાલ તેની માત્રાની વધઘટના 3 તબક્કા હોય એવી ગોળીઓ પણ મળે છે અને વ્યાપક વપરાશમાં છે. હાલ ડેસોજેસ્ટ્રેલ, નોરજેસ્ટીમેટ તથા જેસ્ટોડિન નામનાં નવાં પ્રોજેસ્ટીન સંયોજનો પર પ્રયોગો ચાલી રહ્યા છે. આ સંયોજનો ખૂબ જ અસરકારક હોવાથી તેમની માત્રા ઘણી ઓછી રાખી શકાય તેમ છે.

ગર્ભનિરોધક ગોળીઓનો નિષ્ફળતાદર 0.32/100 સ્ત્રી-વર્ષો (0.32 %) કે તેથી ઓછો છે. ગર્ભનિરોધ ઉપરાંત તેના બીજા પણ અનેક લાભ છે. જેમ કે, ઋતુસ્રાવ વખતે ઓછું લોહી વહેવું, ઋતુસ્રાવ વખતે ઓછી પીડા થવી, અંડપિંડમાં ઓછી કોષ્ઠ (cyst) બનવી કે ઓછા પ્રમાણમાં અંડનલિકાશોથ (salpingitis) થવો, ઓછા પ્રમાણમાં ઋતુસ્રાવપૂર્વકનો તણાવ (premenstrual tension) થવો, અંડપિંડ અને ગર્ભાશયની અંદરની દીવાલનું કૅન્સર થવાની શક્યતા ઘટવી, સ્તનના વિકારો તથા કદાચ કૅન્સરના પ્રમાણમાં ઘટાડો થવો, આમવાતી સંધિશોથ(rheumatoid arthritis)માં ઘટાડો થવો, ગર્ભાશયની અંદરની દીવાલ(ગર્ભાશય-અંત:કલા, endometrium)-ના વિસ્થાપનથી થતા રોગ(endome triosis)ની તીવ્રતા ઘટવી વગેરે. તેના લાંબા સમયના સેવન પછી પણ મોટા ભાગની સ્ત્રીઓમાં કોઈ મોટો વિકાર થતો નથી. ગર્ભનિરોધક ગોળીઓની આડઅસરો વિશે એટલું બધું સાહિત્ય ઉત્પન્ન થયેલું છે કે તેની મુખ્ય આડઅસર સ્ત્રીઓને થતી ચિંતા છે. ક્યારેક સગર્ભા સ્ત્રીના શરીરમાં રાસાયણિક ફેરફારો થાય છે. દા. ત., લોહીમાં થાયરૉક્સિન, થાયરૉઇડ બાઇંડિંગ પ્રોટીન, કૉર્ટિસોલ, ટ્રાન્સકૉર્ટિનનું પ્રમાણ વધે છે, તેમાંનું ઇસ્ટ્રોજન અલ્પ-ઘનતાવાળું મેદપ્રોટીન (low density lipoprotein, LDL) ઘટાડે છે અને અતિઘનતાવાળું મેદપ્રોટીન (high density lipoprotein, HDL) વધારે છે. કેટલાંક પ્રોજેસ્ટેરોન તેનાથી બરાબર વિરુદ્ધની અસર કરે છે. આ ફેરફારોને લીધે હૃદયરોગ કે લકવાનું પ્રમાણ વધારે થાય છે કે નહિ તે નિશ્ચિત નથી. તે ક્યારેક મધુપ્રમેહની તીવ્રતા વધારે છે; પરંતુ તે મુધપ્રમેહ થવાની શક્યતાવાળી સ્ત્રીઓમાં ભાગ્યે જ મધુપ્રમેહ કરે છે. સગર્ભાવસ્થાની જેમ આ દવાઓની મધુપ્રમેહકારી અસર ટૂંકા ગાળાની હોય છે અને ગોળીઓ બંધ કરવાથી તે અસર જતી રહે છે. જેમને સગર્ભાવસ્થા સમયે મધુપ્રમેહ થયો હોય તેઓને ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી મધુપ્રમેહ થવાની શક્યતા 10 ગણી વધુ હોય છે. હાલ આવી સ્ત્રીઓમાં ગર્ભનિરોધક ગોળીઓ આપવી કે નહિ તે સર્વસંમતિ સાથે નિશ્ચિત કરાયેલું નથી. જેઓ પ્રોજેસ્ટીનની માત્રાના 3 તબક્કા હોય એવી ગર્ભનિરોધક ગોળીઓ લે છે તેમાં HDL, LDL, ગ્લુકોઝ, ગ્લુકેગોન અને ઇન્સ્યુલિનનું પ્રમાણ બહુ બદલાતું નથી અને તેથી તે કદાચ હૃદયરોગ કે લકવાની સંભાવના વધારતી નથી એવું મનાય છે. મધુપ્રમેહ કે અન્ય લાંબા સમયના શારીરિક રોગવાળી સ્ત્રીને સામાન્યત: ગર્ભનિરોધક દવાઓ અપાતી નથી. જેમને પિત્તાશયનો રોગ થવાની વધુ સંભાવના હોય તેમને ગર્ભનિરોધક ગોળીઓને કારણે પિત્તાશયનો રોગ (દા. ત., પથરી) થવાની શક્યતા વધે છે અને ક્યારેક પિત્તરોધી કમળો (cholestatic jaundice) થાય છે. વિષાણુજન્ય ચેપી કમળો થયો હોય તેમને તે મટ્યા પછી આ ગોળીઓ આપી શકાય છે. ગર્ભનિરોધક ગોળીઓથી ગર્ભાશય અને અંડપિંડનું કૅન્સર થવાની શક્યતા ઘટે છે, જ્યારે સ્તન અને ગર્ભાશય-ગ્રીવા(cervix)નું કૅન્સર ઘટે છે કે વધે છે તેને વિશે નિશ્ચિત એકમત પ્રવર્તતો નથી. જેઓએ ગર્ભનિરોધક ગોળીઓ 3થી 12 મહિના સુધી લીધી હોય તેઓમાં 15 વર્ષ સુધી ગર્ભાશય અને અંડપિંડનું કૅન્સર થવાનો ભય 40 % જેટલો ઘટે છે. ઇસ્ટ્રોજનવાળી ગર્ભનિરોધક દવાથી યકૃત(liver)માં સૌમ્ય કે કૅન્સરની ગાંઠ થાય છે. યકૃતની સૌમ્ય ગાંઠ ફાટે તો જીવનને જોખમી રીતે લોહી વહે છે અને આઘાતની સ્થિતિ સર્જાય છે. આ જોખમ સગર્ભાવસ્થા અને પ્રસૂતિ પછી ખાસ વધુ હોય છે. સદભાગ્યે આ પ્રકારની તકલીફ ભાગ્યે જ ઉદભવે છે. ક્યારેક વિટામિન સી, ફોલિક ઍસિડ, વિટામિન બી-12, વિટામિન બી-6, નિયાસિન, રાયબોફ્લેબિન તથા ઝિંકની લોહીમાંની સાંદ્રતા (concentration) ઘટે છે. તેને કારણે ઘણી વખત પાંડુતા (anaemia) થાય છે. વિટામિન બી-6(પાયરિડૉક્સિન)ની ઊણપ ખિન્નતા (depression) લાવે છે. તેને દૂર કરવા 20થી 30 મિગ્રા. જેટલી ભારે માત્રામાં આ વિટામિન અપાય છે. 3 %થી 11 % સ્ત્રીઓમાં પગની અંદરની નસોમાં લોહી જામી જાય છે અને ક્યારેક ત્યાંથી લોહીનો ગઠ્ઠો છૂટો પડીને ફેફસાંની ધમનીમાં જામી જાય તો તે ફેફસી શલ્ય-સ્થાનાંતરતા (pulmonary embolism) નામનો વિકાર સર્જે છે. ક્યારેક 35 વર્ષે કે તેથી વધુ વયની સ્ત્રીઓની ધમનીમાં પણ લોહી જામી જાય છે. તે ક્યારેક લોહીનું દબાણ વધારે છે. લોહી જામી જવાના તથા દબાણ વધવાના વિકારો દવા બંધ કરવાથી શમી જાય છે. અગાઉની સગર્ભાવસ્થામાં લોહીનું દબાણ વધ્યું હોય તોપણ આ ગોળીઓ આપી શકાય છે; પરંતુ જેમને લોહીનું દબાણ વધ્યાનો વિકાર હોય તેમાં તે આપવામાં આવતી નથી. લોહીના સામાન્ય દબાણવાળી દરેક સ્ત્રીમાં દર 3 મહિને લોહીનું દબાણ માપવામાં આવે છે. ધૂમ્રપાન કરતી, વધુ વજનવાળી, લોહીના ઊંચા દબાણવાળી કે મધુપ્રમેહવાળી તથા હાપરલાયપોપ્રિટિનીમિયા(પ્રકાર II)વાળી સ્ત્રીઓમાં ગર્ભનિરોધક ગોળીઓ હૃદયરોગના હુમલાનો ભય વધારે છે. ક્યારેક આધાશીશી (migraine) પ્રકારનો માથાનો દુખાવો વધે છે. હૃદય અને નસોના વિકારનો ભય ખોટો છે એવું તારણ કાઢતા અભ્યાસો પણ થયેલા છે. હાલ આ સમગ્ર મુદ્દો વિવાદાસ્પદ રહ્યો છે. ગર્ભનિરોધક દવાઓથી 35 વર્ષથી નીચેની સ્ત્રીઓમાં મૃત્યુનો ભય નથી અને તેનાથી મોટી ઉંમરની સ્ત્રીઓમાં તે સગર્ભાવસ્થાથી થતા મૃત્યુના દર કરતાં ઓછો હોય છે (આકૃતિ 5). ગર્ભનિરોધક ગોળીઓ બંધ કર્યા પછી 3 મહિનામાં 90 % સ્ત્રીઓમાં અંડકોષ છૂટો પડવાનું શરૂ થઈ જાય છે તેથી તેને કારણે લાંબા ગાળાની વંધ્યતા આવવાની શક્યતા ઓછી છે. ગર્ભનિરોધક દવાથી ગર્ભશિશુમાં કોઈ ખામી ઉદભવે છે એવું જાણમાં નથી, છતાં સગર્ભાવસ્થા હોવાની શંકા હોય તો ગર્ભનિરોધક ગોળીને સ્થાને અન્ય કોઈ બીજી પદ્ધતિ અપનાવવાની સલાહ અપાય છે. ગર્ભનિરોધક દવાઓની બીજી અસરોમાં યોનિ (vagina) અને ગર્ભાશય-ગ્રીવા(cervix)માં સોજો આવવો અને કૅન્ડિડા પ્રકારની ફૂગનો ચેપ લાગવો, મોં અને કપાળ પર ડાઘા પડવા, ગર્ભાશયમાં ક્યારેક તંતુસમાર્બુદ(fibroid)ની ગાંઠ મોટી થવી, વજન વધવું વગેરે આડઅસરો ક્યારેક ક્યારેક થાય છે. વિવિધ આડઅસરોને કારણે સારણી 2માં દર્શાવેલા વિકારો હોય તો ગર્ભનિરોધક દવાઓ વપરાતી નથી.

સારણી 2 : ગર્ભનિરોધક દવાઓ વાપરવાનો નિષેધ (contraindications)

1. નસોમાં લોહી જામી જવાનો વિકાર હોવો
2. મગજની નસોમાં લોહી જામી જવાનો વિકાર
3. હૃદયરોગનો હુમલો કે હૃદયપીડ (angina)
4. યકૃત(liver)ના રોગો
5. યકૃતમાં ગાંઠ (ગ્રંથિ-અર્બુદ, adenoma)
6. સ્તનનું કૅન્સર
7. લોહીનું ઊંચું દબાણ
8. મધુપ્રમેહ (diabetes mallitus)
9. પિત્તાશયના રોગો
10. સગર્ભાવસ્થામાં થતો પિત્તસ્થાયી કમળો
11. દાત્રકોષી પાંડુતા (sickle cell anaemia)
12. 4 અઠવાડિયાંમાં શસ્ત્રક્રિયા કરવાની હોય
13. મોટી શસ્ત્રક્રિયા હોય
14. લાંબા સમય સુધી પગનું હલનચલન બંધ
15. 40 વર્ષથી વધુ ઉંમર
16. ખૂબ ધૂમ્રપાન
17. કૌટુંબિક અતિ-મેદ-રુધિરતા (hyperlipidaemia)

આકૃતિ 5 : વિવિધ ગર્ભનિરોધક સાધનોની વપરાશ તથા સગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન જોવા મળતો મૃત્યુદર. (1) સગર્ભાવસ્થા અને પ્રસૂતિ, (2) પ્રથમ 3 માસમાં કરાતો કાયદેસર ગર્ભપાત, (3) ગર્ભનિરોધક ગોળી લેતી અને અને ધૂમ્રપાન ન કરતી સ્ત્રીઓ, (4) ગર્ભનિરોધક ગોળી લેતી અને ધૂમ્રપાન કરતી સ્ત્રીઓ તથા (5) ગર્ભાશયમાં ગર્ભનિરોધક સાધન

સ્તન્યપાન (breast-feeding) ન કરાવતી માતાઓને પ્રસૂતિ પછી 6 કે 7 અઠવાડિયાં પહેલાં અંડકોષ છૂટો પડવાનું શરૂ થાય છે. જો આ માટે તે બ્રોમોક્રિપ્ટીન લે તો તે 1થી 2 અઠવાડિયાં જેટલું વહેલું શરૂ થાય છે. તેથી સામાન્ય રીતે પ્રસૂતિ પછી 6 અઠવાડિયે શરૂ કરાતી ગર્ભનિરોધક ગોળીઓ વહેલી શરૂ કરવાનું સૂચવાય છે. પરંતુ તેને કારણે નસોમાં લોહી જામી જવાનો વિકાર વધવાની શક્યતા રહે છે.

(1) લઘુગુટિકા (mini pill) : ઇસ્ટ્રોજનની આડઅસરો ન થાય માટે ફક્ત પ્રોજેસ્ટીરોનની 0.5 મિ.ગ્રામ કે તેથી ઓછી માત્રાવાળી ગોળીઓ ઉપલબ્ધ છે; પરંતુ તેનાથી ઋતુસ્રાવ અનિયમિત થાય છે અને સગર્ભાવસ્થા થવાનો દર થોડો વધુ રહે છે. તેથી તે ખાસ વપરાશમાં નથી. પ્રોજેસ્ટેરોન અંડકોષ છૂટા પડવાની પ્રક્રિયાને ખાસ અસર કરતો નથી પરંતુ તે તેની ફલનશીલતા(fertility)ને ઘટાડે છે.

(1) ગર્ભનિરોધક દવાનાં ઇન્જેક્શન : મેડ્રોક્સિપ્રોજેસ્ટીરોન એસિટેટ(ડેપો-પ્રોવિરા)ના ઇન્જેક્શનને વર્ષમાં 2 કે 4 વખત આપવાથી ગર્ભનિરોધ થઈ શકે છે, તેમજ તેની સ્તન્યપાન પર ખાસ અસર થતી નથી; પરંતુ તેને કારણે નસોમાં લોહી જામે તથા લોહીમાં મેદપ્રોટીન(લાયપોપ્રોટીન)નો વધારો થાય તેવું બને છે. આ દવાથી કૅન્સર થવાનો ભય હોવાને કારણે તેને અમેરિકામાં વાપરવા માટે હજુ સુધી છૂટ અપાઈ નથી.

(1) ગર્ભનિરોધ કરવાનાં અધિસ્થાપન (implantation) : લીવો-નોરજેસ્ટ્રેલ નામની દવાને સિલાસ્ટિકના આવરણમાં મૂકીને ચામડીની નીચે સ્થાપિત કરી શકાય છે. તે એક પ્રકારનું પ્રોજેસ્ટેશનલ દ્રવ્ય છે અને તે ક્યારેક અંડકોષ છૂટા પડવાનું રોક છે; પરંતુ તેની ફલનશીલતા પર અસર કરીને સગર્ભાવસ્થા થતી અટકાવે છે. હાલ આ દવાનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ થાય છે.

(1) બીજા દિવસે લેવાની ગોળી (morning-after pill) : સ્ટીલ્બેસ્ટીરોલ, ભારે માત્રામાં ઇથિનાયલ ઇસ્ટ્રેડિયોલ કે ઇક્વાઇન ઇસ્ટ્રોજન(પ્રિમેરિન)ને સમાગમ પછીથી થોડા દિવસો માટે લેવામાં આવે તો ફલિતાંડનું અધિસ્થાપન થતું અટકે છે અને તેથી સગર્ભાવસ્થા થતી અટકે છે. જોકે આ પદ્ધતિનો નિષ્ફળતા દર 1 : 6 % છે.

2. ગર્ભાશયમાં મૂકવામાં આવતાં ગર્ભનિરોધક સાધનો (intrauterine contraceptive devices, IUCD) : ગર્ભાશયમાં કોઈ સાધન મૂકી રાખીને ગર્ભધારણ અટકાવવાની પદ્ધતિ ઘણા વખતથી પ્રચલિત હતી અને તેનું સંશોધન 1960થી વધ્યું છે. IUCDને સાદી ભાષામાં આંકડી કહે છે. જૂના જમાનામાં કાફલો જ્યારે સ્થળાંતર કરવાનો હોય ત્યારે ઊંટડીમાં ગર્ભધારણ થતું અટકાવવા તેના ગર્ભાશયમાં રેતીના પથ્થર મૂકવામાં આવતા હતા એવું મનાય છે. આ લાંબા ગાળા સુધી કોઈ રીતે નિષ્ફળ ન જાય એવી ગર્ભનિરોધક પદ્ધતિ છે. તેનો નિષ્ફળતા દર 0.5થી 5 ટકા જેટલો નોંધાયેલો છે. અમેરિકામાં ખૂબ વપરાતાં બે સાધનો(લિપીઝ લૂપ અને Cu-7)ને 1986માં પાછાં ખેંચી લેવામાં આવ્યાં કેમકે તેમની નિષ્ફળતાને કારણે થતા દાવાઓને કારણે ઘણું મોટું આર્થિક ભારણ થતું હતું. પૉપ્યુલેશન કાઉન્સિલ દ્વારા વિકસાવાયેલી કૉપર-ટી-380A તથા અસક્રિય (inert) પ્લાસ્ટિકના સાધનનો પણ ઉપયોગ કરાય છે. સગર્ભાવસ્થા સામે

આકૃતિ 6 : ગર્ભાશયમાં મૂકવાનાં વિવિધ પ્રકારનાં ગર્ભનિરોધક સાધનો (IUCD) : (વપરાશમાં, પ્રયોગાધીન, ઐતિહાસિક મૂલ્યવાળાં) (ક) લેપીઝ લૂપ, (ખ) સેફ-ટી-કો, (ગ) સુનાવાલા IUD, (ઘ) કૉપર-7, (ચ) મલ્ટીલોડ, (છ) કૉપર-T, (જ) પ્રોજેસ્ટસર્ટ સિસ્ટમ, (ઝ) વિંગ્ડ ઍન્ટીગોન, (ટ) ફિલ્મ ઍન્ટીગોન, (ઠ) ડાના, (ડ) ઓટા રિંગ, (ઢ) K. S. રિંગ, (ણ) યુસેઇ રિંગ, (ત) કોરોલે, (થ) રગબ રિંગ, (દ) ઝીપર રિંગ, (ધ) Y પ્સીલોન, (ન) સુપ્રીમ IUD, (પ) સ્ઝોન્ટાઘ IUD, (ફ) m-213, (બ) ગાયનિકૉઇલ, (ભ) ડાલકોન શીલ્ડ, (મ) બિર્નબર્ગ બો, (ય) લિપીઝ લૂપ મૂકવાનું સાધન, (ર) IUD મૂકવા કે કાઢવાનાં સાધનોનો સમૂહ, (લ, વ, શ) લિપીઝ લૂપ મૂકવાની પ્રક્રિયા, (સ) લિપીઝ લૂપ કાઢવાની પ્રક્રિયા, (ષ અને હ) ગર્ભાશયમાં ગર્ભનિરોધક સાધન

સંપૂર્ણ રક્ષણ, કોઈ આડઅસર ન થાય, જાતે પડી ન જાય અને સહેલાઈથી દૂર કરી શકાય એવા ગર્ભાશયાંત: ગર્ભનિરોધક સાધન(intrauterine contraceptive device, IUCD)ને આદર્શ સાધન કહે છે. આવું એક પણ આદર્શ સાધન વિકસ્યું નથી.

IUCD બે પ્રકારનાં હોય છે : રાસાયણિક રીતે અસક્રિય (દા. ત., બેરિયમ સલ્ફેટ ભરેલું પોલિઇથિલિન) અને સક્રિય રસાયણ (દા. ત., તાંબું અથવા પ્રોજેસ્ટેશનલ દવા) છોડતું સાધન. અસક્રિય પદાર્થોવાળી લિપીઝ લૂપ ખૂબ પ્રચલિત હતી. તાંબાવાળી કૉપર-ટી અને પ્રોજેસ્ટીરોન વાળી ‘T’ આકારની પ્રોજેસ્ટેસર્ટ છે (આકૃતિ 6). બાહ્ય પદાર્થની હાજરીમાં ગર્ભાશયની અંદરની દીવાલમાં સોજો અને શોથ (inflammation) આવે છે તેને કારણે ઉદભવતો લાયપોઝાઇમ નામનો ઉત્સેચક (emzyme) બીજકોષ્ઠ(blasto-cyst)ને સ્થાપિત થવા દેતો નથી. તે શુક્રકોષને પણ મારે છે. તેથી સાધનનું કદ અને મુકાવાનો સમયગાળો જેટલો વધુ તેટલી તેની અસરકારકતા પણ વધુ હોય છે. સાધનમાંનું તાંબું કે પ્રોજેસ્ટેરોન પણ અસરકારકતા વધારે છે. T સાથે જોડેલો દોરો સાધન તેના સ્થાન પર બરાબર ગોઠવાયેલું છે તેની ખાતરી આપે છે. આવો દોરો યોનિ(vagina)માં 2 સેમી. જેટલો લટકતો રાખવામાં આવે છે. IUCDની કેટલીક આડઅસરો પણ છે, પરંતુ ભાગ્યે જ તે જોખમી પ્રકારની હોય છે. તેને મૂકતી વખતે ગર્ભાશયમાં કાણું પડવાની શક્યતા ઘણી ઓછી છે; પરંતુ અણઘડ વ્યક્તિથી તેવું થઈ શકે. પેટમાં દુખાવો, લોહી પડવું, સાધનનું આપોઆપ નીકળી જવું, લાંબા સમય સુધી લોહી પડે તો પાંડુતા (anaemia) થવી, ચેપ લાગવો, શ્રોણી (pelvis) કે પેટમાં ચેપ ફેલાવો, ક્યારેક અફલિતતા (infertility) થવી વગેરે આડઅસરો થાય છે. ખૂબ લોહી પડતું હોય તો ક્યારેક એપ્સિલોન-એમીનોકેપ્રોઇક ઍસિડ અને ટ્રાન્ઝેયિક ઍસિડ જેવી પ્રતિફાઇબ્રિનલયી (antifibrinolytic) દવા અપાય છે. તેનાથી ક્યારેક મગજની નસમાં લોહી જામી જાય તથા લકવો કે મૃત્યુ થાય છે. જો સાધન તેના સ્થાનેથી ખસી જાય અને તેનો દોરો જોવા ન મળે તો તેને શોધવા માટે સાવચેતીપૂર્વકની શારીરિક તપાસ કરાય છે, સોનોગ્રાફી કરાય છે, પેટનું એક્સ-રે ચિત્રણ લેવાય છે અથવા ગર્ભાશય-ચિત્રણ (hysterography) કરાય છે. પેટમાં ખસી ગયેલા સાધનથી આંતરડાંને નુકસાન થયાનું ભાગ્યે જ જોવા મળે છે. જોકે પેટમાં ખસી ગયેલું સાધન ઉદરનિરીક્ષા (laparoscopy) કરીને દૂર કરી શકાય છે. ક્યારેક સાધન ગર્ભાશયની દીવાલોમાં પ્રવેશે તો ક્યારેક તે ગર્ભાશય-ગ્રીવા (cervix) કે યોનિ(vagina)ની દીવાલને પણ વીંધી નાખે છે. નાના અસક્રિય પદાર્થનું બનેલું T સાધન હોય તો સગર્ભાવસ્થાનો દર 18 % છે જ્યારે તેમાં તાંબું હોય તો (કૉપર-ટી) તે દર 2 % જેટલો થાય છે. તેને કારણે સગર્ભાવસ્થાના 4થી 6 માસના સમયગાળામાં ગર્ભપાત, ચેપ અથવા કાલપૂર્વ પ્રસૂતિ થાય છે. ગર્ભશિશુમાં કોઈ ખામી થતી જોવા મળી નથી. સગર્ભાવસ્થા થયેલી જાણમાં આવે તો સાધન દૂર કરાય છે. ગર્ભાશયની નળીઓમાં સગર્ભાવસ્થા (tubal pregnancy) વિકસવાનો ભય હોય છે (0.12 %). ગર્ભાશયમાં મૂકવાનું સાધન મૂકતાં પહેલાં તેના વિશે પૂરેપૂરી માહિતી આપવાનું સૂચવાય છે, ત્યારપછી જીવાણુરહિત (sterile) વાતાવરણમાં અને તેવી જ પદ્ધતિ વડે ખાસ પ્રવેશક (inserter) વડે તે અંદર મૂકવામાં આવે છે. ઋતુસ્રાવના અંત પહેલાં તે મૂકવામાં આવે છે જેથી ગર્ભાશયનું મુખ સહેજ પહોળું હોય અને તે સમયે સગર્ભાવસ્થા ન હોય. જોકે તે ઋતુસ્રાવચક્રમાં ગમે ત્યારે મૂકી શકાય છે. કૉપર-ટી મૂક્યાના આગલા અઠવાડિયે પણ કરેલા સમાગમ પછી પણ સગર્ભાવસ્થા થતી નથી એવું માનવામાં આવે છે. પ્રસૂતિ પછી તે મૂકવામાં આવે તો તે નીકળી જવાનો ભય રહે છે. મૂક્યા પછી પહેલા મહિનામાં તે નીકળી જવાનો ભય રહે છે તેથી તેના દોરાને હાથથી સ્પર્શ કરવાનું શિખવાડવામાં આવે છે. અસક્રિય પદાર્થનું બનેલું સાધન લાંબા સમય સુધી મૂકી શકાય છે; પરંતુ તેથી ક્યારેક તેની આસપાસ કૅલ્શિયમ જામે છે કે ગર્ભાશયમાં ચાંદું પડે છે. કૉપર T-200ને 3 વર્ષે, કૉપર-250ને દર 5 વર્ષે અને પ્રોજેસ્ટેરોનવાળું સાધન દર વર્ષે બદલવાનું સૂચવાય છે.

3. સ્થાનિક અવરોધક પદ્ધતિઓ : તે મુખ્યત્વે 3 પ્રકારની છે : (1) નિરોધ (condom), (2) યોનિપટલ (vaginal diaphragm) અને (3) શુક્રકોષઘ્ની અથવા શુક્રકોષમારક (spermicidal) દ્રવ્યો.

(3) નિરોધ (condom) : તે પુરુષોમાં એકમાત્ર હંગામી ધોરણે વપરાતી ગર્ભનિરોધક પદ્ધતિ છે. તે સિવાય પુરુષો દ્વારા કરી શકાતી બીજી હંગામી પદ્ધતિને અર્ધસંભોગ અથવા ત્વરિતાંત સમાગમ (coitus interruptus) છે જેમાં વીર્યનો બહિ:ક્ષેપ (ejaculation) થાય તે પહેલાં સમાગમનો અંત લાવવામાં આવે છે. નિરોધ ખૂબ અસરકારક સાધન છે અને તેનો નિષ્ફળતા દર 3-4 % જેટલો જ છે. પ્રથમ વર્ષમાં તે વધુ છે. હાલ શુક્રકોષનાશક દવાઓવાળા નિરોધ ઉપલબ્ધ છે જેના કારણે નિષ્ફળતા દર ઘટવાની શક્યતા છે. તેના વ્યાપક ઉપયોગ માટે ભારતમાં પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરાયેલો છે તેમજ મફત કે સસ્તા દરે તે ઉપલબ્ધ થાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેના યોગ્ય ઉપયોગથી પરમિયો (gonorrhoea), ઉપદંશા (syphilis), એઇડ્ઝ, હર્પિસ, ક્લેમાયડિયા અને ટ્રાઇકોમોનિયાસિસ જેવા સંભોગ-સંક્રામક અથવા ચેપી જાતીય રોગો સામે મહદ્ અંશે રક્ષણ મળે છે. તેનાથી કદાચ સ્ત્રીઓમાં ગર્ભાશય-ગ્રીવા(cervix)ના કૅન્સર સામે પણ રક્ષણ મળે છે. એઇડ્ઝના વિષાણુના ચેપ સામે રક્ષણ મળવાની શક્યતાને કારણે તેનો ઉપયોગ વધ્યો છે અને હાલ વિશ્વમાં વર્ષે 4 કરોડ નિરોધ વપરાય છે.

શરૂઆતમાં નિરોધ આંતરડાંમાંથી બનતા હતા. હાલ તે રબરમાંથી બને છે. સાબિત ન થયેલી એક માન્યતા મુજબ રાજા ચાર્લ્સ બીજાને તે સમયના તબીબ ડૉ. કોન્ડોમે તેનો ઉપયોગ સૂચવ્યો હતો અને તેથી તેને અંગ્રેજીમાં કૉન્ડોમ કહે છે. કેસાનોવા(1725–98)એ નિરોધનો ઉલ્લેખ વારંવાર કરેલો હતો.

(3) યોનિ(vagina)માં મૂકવામાં આવતા ગર્ભનિરોધકો : તૈલી મલમ (cream), લૂગદી (jelly) નિસ્થાપક ઔષધ (suppository), તનુપટલ (film), વાદળી (sponge) તથા વાતબિંદુ-(aerosol)ધારી પાત્રમાં ફીણ રૂપે વિવિધ ગર્ભનિરોધ ઉપલબ્ધ હોય છે જેમને યોનિમાં મૂકી શકાય છે. આ ઉપરાંત ફીણ ઉત્પન્ન કરતી શુક્રકોશનાશક ગોળી પણ ઉપલબ્ધ છે. જેમને મુખમાર્ગી કે ગર્ભાશયમાં મૂકવામાં આવતા ગર્ભનિરોધકો સ્વીકાર્ય ન હોય તેમને માટે આ પદ્ધતિ ઉપયોગી છે. વળી ગર્ભનિરોધક ગોળીઓના વપરાશના પહેલા અઠવાડિયામાં તથા સ્તન્યપાન કરાવતી માતા માટે પણ તે ઉપયોગી છે. તેઓ ભૌતિક તેમજ નોનોક્સિનોલ-9 જેવી શુક્રકોષનાશક દવાઓ વડે થતા રાસાયણિક અવરોધથી ગર્ભધારણ અટકાવે છે. તેમને સમાગમ પહેલાં થોડા જ સમયમાં યોનિમાં છેક ઉપર ગર્ભાશયના મુખ પાસે મૂકવી જરૂરી ગણાય છે. તેની અસર 1 કલાક રહે છે, પરંતુ 6 કલાક સુધી યોનિશોધન (douche) કરવાનો નિષેધ હોય છે. તેમનો નિષ્ફળતા દર 5 % જેટલો ઊંચો છે. શુક્રકોષનાશક દવાને કારણે કેટલાક ચેપી જાતીય રોગો સામે મર્યાદિત રક્ષણ મળે છે. શુક્રકોષનાશક દવાથી ગર્ભમાં ખામી ઉત્પન્ન થાય છે કે નહિ તે હજુ નિશ્ચિત કરી શકાયું નથી.

ધાતુની સ્પ્રિંગ અથવા વીંટી (ring) પર જડવામાં આવેલા રબરના ઘુંમટ(rubber dome)ને યોનિપટલ (vaginal diaphragm) કહે છે. તેની ઉપરની બાજુ તથા કિનારી પર શુક્રકોષનાશક તૈલી મલમ લગાડવામાં આવે છે. તેને યોનિમાં ઉપર એવી રીતે મૂકવામાં આવે છે કે ગર્ભાશયનું મુખ તથા યોનિના ઉપરના ભાગની યોનિગડીઓ (fornices) અને યોનિનો નીચેનો ભાગ તથા પુરુષની ઇન્દ્રિય એકબીજાથી અલગ રહે (આકૃતિ 7). યોનિપટલની ઉપલી સપાટીના મધ્યમાં પણ શુક્રકોષનાશક મલમ ચોપડવામાં આવે છે જેથી ગર્ભાશયના મુખ પર તે આવે. યોગ્ય માપનો યોનિપટલ હોવો જરૂરી ગણાય છે. જો ગર્ભાશય કે મૂત્રાશય યોનિમાં નીચે ઊતરતું હોય (ભ્રંશ, prolapse) તો યોનિપટલ બરાબર ગોઠવી શકાતો નથી. તે સમાગમના 2 કલાક પહેલાં મૂકી શકાય છે; પરંતુ તેને તેના પછી 6 કલાક સુધી પહેરી રાખવો પડે છે. ક્યારેક તેનાથી વિષજન્ય આઘાતનો વિકાર(toxic shock syndrome) થાય છે તેથી તેને 6 કલાકથી વધુ પહેરી રખાતો નથી. તેને વાપરવા માટે વિશિષ્ટ મનોનિર્ધાર (motivation) જરૂરી ગણાય છે. તેનો નિષ્ફળતા દર 2.4 % છે.

આકૃતિ 7 : સમાગમ સમયે સ્ત્રીએ એની યોનિ(vagina)માં મૂકવાનાં ગર્ભનિરોધક સાધનો : (અ થી ઉ) યોનિપટલો (vaginal caps), (ઊ) યોનિપટલ મૂકવા માટે ક્યારેક જ વપરાતો પ્રવેશક, (એ) યોનિમાં મૂકેલો યોનિપટલ, (ઐ) ગર્ભનિરોધક વાદળી, (ઓથી અં) ગ્રીવાટોપ (cervical caps). (1) ગર્ભાશય, (2) યોનિ, (3) પ્યુબિક હાડકું, (4) મળાશય, (5) મૂત્રાશય, (6) કરોડના મણકા

ગર્ભનિરોધક વાદળી અથવા ગ્રીવાટોપ (cervical cap) પણ ગર્ભનિરોધક સાધનો છે. શુક્રકોષનાશક દવાવાળી પૉલિયુરેથેનની બનેલી વાદળી હાલ વપરાશમાં છે. તેનો 10 % જેટલો નિષ્ફળતા દર નોંધાયેલો છે. કુદરતી રબરમાંથી બનાવેલો પ્યાલાના આકારનો ગ્રીવાટોપ પણ ઉપલબ્ધ છે. તેને જાતે પહેરી શકાય છે અને 48 કલાક સુધી રાખી શકાય છે. તેની સાથે શુક્રકોષનાશક દવાની જરૂર રહે છે. તે યોનિપટલ જેટલો અસરકારક છે.

4. સ્તન્યપાન (breast-feeding) : શિશુને માનું દૂધ આરોગ્યપ્રદ છે અને વળી તેથી બે બાળકો વચ્ચે અંતર રાખી શકાય છે. તેને સગર્ભતાંતર (spacing) કહે છે. પૂરતું સ્તન્યપાન કરાવતી માતામાં 10 અઠવાડિયામાં સુધી અંડકોષ મુક્ત થતો નથી; પરંતુ અન્ય આહાર ઉપરાંત 3 કે 4 વખત માતાનું દૂધ મેળવતા શિશુઓનાં સ્તન્યપાનથી પૂરતો ગર્ભનિરોધ ઉદભવતો નથી. માટે સ્તન્યપાન એ સંપૂર્ણપણે વિશ્વાસપાત્ર ગર્ભનિરોધક પદ્ધતિ મનાતી નથી. વળી પ્રસૂતિ પછીના પ્રથમ ઋતુસ્રાવ થતા પહેલાં જ અંડકોષ છૂટો પડે છે માટે ત્યાં સુધી રાહ જોવી પણ જોખમી છે. તેથી ગર્ભનિરોધની અન્ય પદ્ધતિઓ આવશ્યક ગણાય છે. ગર્ભનિરોધક ગોળીઓથી માતાના દૂધનું પ્રમાણ ઘટે છે. તેથી યોગ્ય કિસ્સામાં જ ગોળીઓ વપરાય છે અને અન્ય સ્ત્રીઓને ગર્ભાશયમાં સાધન પહેરવાનું સૂચવાય છે. જોકે તેથી કેટલીક સ્ત્રીઓના ગર્ભાશયમાં કાણું પડવાનું જોખમ રહે છે.

આકૃતિ 8 : ઋતુસ્રાવચક્રમાં અંડકોષ છૂટો પડવાના દિવસો, તે સૂચવતો શરીરના તાપમાનના ફેરફારનો આલેખ તથા સમાગમને કારણે ફલન (fertilization) થવાની શક્યતાવાળા દિવસો (ઋતુસ્રાવ થયા પછી 2જા દિવસથી 20મા દિવસ સુધી) અને તે દિવસો સિવાયનો સલામત સમયગાળો. (1) શુક્રકોષ (2) મુક્ત થયેલો અંડકોષ

5. સલામત અથવા સુરક્ષિત સમયગાળો : ઋતુસ્રાવચક્રમાં અંડકોષ છૂટો પડે છે તે પછી મોટે ભાગે 14મા દિવસે ઋતુસ્રાવ થાય છે. તેથી નિયમિત ઋતુસ્રાવચક્રોવાળી સ્ત્રીમાં સંભવિત ઋતુસ્રાવના દિવસથી 14 દિવસ પહેલાં અંડકોષ છૂટો પડશે તેવું માની શકાય; પરંતુ આગલા ઋતુસ્રાવ પછી તે દિવસ 14મો હશે કે બીજો કોઈ તે નક્કી કહી શકાતું નથી. આકૃતિ 8માં દર્શાવ્યા પ્રમાણે આગળના ઋતુસ્રાવ પછીના 8માંથી 19મા દિવસોમાં અંડકોષ છૂટો પડે છે. સામાન્ય રીતે અંડકોષ 12થી 24 કલાક સુધી જ ફલનશીલ રહે છે. વળી ગર્ભાશય-ગ્રીવાના શ્લેષ્મ(cervical mucus)માં શુક્રકોષ 7 દિવસ સુધી અને અંડનલિકા(oviduct)માં તે 85 કલાક (3.5 દિવસ) સુધી સક્રિય રહે છે. તે દિવસો અંડકોષમોચન(ovulation)ના શક્ય દિવસની આગળપાછળ ઉમેરવા પડે : તેથી કૅલેન્ડર સાથે તાલ મેળવીને સમાગમના દિવસો ન રાખવાની રીત સામાન્ય રીતે વિશ્વાસપાત્ર ગર્ભનિરોધક પદ્ધતિ નથી. દરરોજ વહેલી સવારે શરીરનું તાપમાન લેવાથી અંડકોષ છૂટો પડે તે પછી જે થોડા પ્રમાણમાં તાપમાન વધે છે તે નોંધી શકાય છે. ઋતુસ્રાવમાં અંડકોષમોચનને કારણે વધેલા તાપમાન પછી 24 કલાક પછી જ સમાગમ કરવામાં આવે તો ગર્ભધારણની શક્યતા ઘટે છે. હાલ તેને માટે રાઇટ-ટાઇમ નામની ઘડિયાળ મળે છે જે સુરક્ષિત સમય દર્શાવે છે. તેનો ઉપયોગ પણ સંપર્ણ સુરક્ષિત નથી. ગર્ભાશય-ગ્રીવાના શ્ર્લેષ્મના પ્રમાણને આધારે યોનિ (vagina) સહેજ ‘ભીની’ કે ‘કોરી’ બને છે. વળી યોનિમાંના પ્રવાહીમાંના વીજભારિત-આયનો(electrolytes)માં ફેરફાર થાય છે. તેની નોંધ લેવાથી અંડકોષમોચનના દિવસની 5થી 7 દિવસ અગાઉથી ખબર પડે છે. આ પદ્ધતિનો ગર્ભનિરોધ માટે ઉપયોગ હાલ પ્રાયોગિક ધોરણે થઈ રહ્યો છે.

6. કાયમી વંધ્યીકરણ માટે શસ્ત્રક્રિયા : આ સૌથી વધુ પ્રચલિત, સુરક્ષિત અને કાયમી ગર્ભનિરોધની પ્રક્રિયા છે. સ્ત્રીઓમાં તે વધુ પ્રમાણમાં સ્વીકાર્ય છે. તેને સાદી ભાષામાં સ્ત્રીનસબંધી કહે છે. વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં વસ્તીની જુદી જુદી ઘનતાને કારણે તેને વિશે વિવિધ વિચારો પ્રચલિત છે. જેમ કે ભારતમાં આ પદ્ધતિને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે, જ્યારે અમેરિકામાં તેને રોકવા માટે કાયદા કરેલા છે. અમેરિકાની ગાયનેકોલૉજી અને ઑબ્સ્ટેટ્રિક્સની કૉલેજે સૂચવ્યું છે કે 30 વર્ષથી ઓછી વયની સ્ત્રીને 4 બાળકો હોય તો જ વંધ્યીકરણની શસ્ત્રક્રિયા કરવા દેવી જોઈએ. જ્યારે ભારતમાં નસબંધીની શસ્ત્રક્રિયા કરનાર/કરાવનારને નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે. નસબંધીની શસ્ત્રક્રિયા 2 પ્રકારની છે : સ્ત્રીનસબંધી અને પુરુષનસબંધી.

(6) સ્ત્રીનસબંધી : આ પ્રકારની શસ્ત્રક્રિયા કોઈ પણ સમયે કરી શકાય છે. અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડીને અંડનલિકા (અંડવાહિની) દ્વારા ગર્ભાશયમાં આવે છે. સામાન્ય રીતે તેનું ફલન પણ અંડનલિકામાં જ થાય છે. અંડનલિકા(fallopiantube)ને કાપીને તેના કપાયેલા બંને છેડાને બંધ કરી દેવાને અંડનલિકા-બંધન (tubal ligation) અથવા સ્ત્રી-નસબંધી કહે છે (આકૃતિ 9). પ્રસૂતિ પછી તરત ગર્ભાશયનો ઘુંમટ (fundus) નાભિ (ડૂંટી) પાસે હોય છે અને તેથી તે સમયે શસ્ત્રક્રિયા કરવી સરળ પડે છે. વળી સ્ત્રી પણ ગર્ભનિરોધ માટે માનસિક રીતે સૌથી વધુ તૈયાર આ સમયે હોય છે.  આ સમયગાળાને તકનીકી સુવિધા અને અનુકૂળ માનસિક વલણ ઉપરાંત, હૉસ્પિટલમાંના રોકાણમાં પણ ખાસ વધારો થતો ન હોવાથી સુયોગ્ય સમયગાળો ગણી શકાય છે. સિજેરિયન સેક્શનની શસ્ત્રક્રિયા વખતે અથવા નીચેથી પ્રસવ થયો હોય તો બીજા દિવસની સવારથી 72 કલાકમાં સ્ત્રી-નસબંધીની શસ્ત્રક્રિયા કરી શકાય છે. નસબંધી માટે વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે. ઇર્વિંગની પદ્ધતિમાં અંડનલિકાને

આકૃતિ 9 : ગર્ભાશય અને અંડનલિકાનું સામાન્ય સ્થાન : (1) અને પ્રસૂતિ પછી તરત જોવા મળતું સ્થાન (2) (આથી ઊ) સ્ત્રી-નસબંધીની વિવિધ પદ્ધતિઓ  ઇર્વિગ પદ્ધતિ (આ), પોમેરોય પદ્ધતિ (ઇ), પાર્કલૅન્ડ પદ્ધતિ (ઈ), મેડ્લેનેર પદ્ધતિ (ઉ), ક્રીનર પદ્ધતિ (ઊ) તથા ઉદરદર્શક (laparoscope) વડે કરાતી નસબંધી. (3) ગર્ભાશય, (4) અંડનલિકા, (5) અંડનલિકાનો મુક્ત છેડો, (6) અંડપિંડ, (7) પેટ, (8) યોનિ, (9) ઉદરદર્શક, (10) શસ્ત્રક્રિયા માટેની નળી, (11) ચીપિયો, (12) ઉદરદર્શક દ્વારા નંખાતો પ્રકાશ

કાપીને તેનો ગર્ભાશય તરફનો છેડો ગર્ભાશયના સ્નાયુસ્તરમાં અને દૂરનો છેડો અંડનલિકા-પટ(mesosalpinx)માં દબાવી દેવામાં આવે છે. પોમેરોય પદ્ધતિમાં અંડનલિકાનો ગાળો (loop) કરીને તેને બાંધી દેવામાં આવે છે તથા તે ગાળાને કાપી કાઢવામાં આવે છે. પાર્કલૅન્ડ પદ્ધતિમાં અંડનલિકા-પટના રુધિરવાહિનીરહિત (avascular) અથવા લોહીની નસો વગરના ભાગમાં કાપો મૂકીને અંડનલિકાના ગર્ભાશય પાસેના અને દૂરના છેડાને અલગ અલગ બાંધવામાં આવે છે, જ્યારે વચલા ભાગને કાપીને દૂર કરવામાં આવે છે. મેડ્લેનેરની પદ્ધતિમાં અંડનલિકાનો ગાળો કરીને તેના છેડાને કચડી નાખવામાં આવે છે તથા બાંધવામાં આવે છે, તેને કાપી કઢાતો નથી. ક્રોએનરની પદ્ધતિમાં અંડનલિકાને તેના મુખ પાસે બાંધવામાં આવે છે અને તેનું મુખ કાપીને દૂર કરવામાં આવે છે. 24 કલાકમાં સ્ત્રી હરતીફરતી થઈ જાય છે. પ્રસૂતિ પછી તરતની શસ્ત્રક્રિયા ન હોય તો ગર્ભાશય અને અંડનલિકાઓ શ્રોણી-ગુહા(pelvic cavity)માં હોય છે તે સમયે શસ્ત્રક્રિયા કરવા માટે વિશેષ આવડતની જરૂર રહે છે. ત્યારે પણ ઉપર જણાવેલ કોઈ એક ઉદરછેદન(laparotomy)ની પદ્ધતિથી અંડનલિકાનું ઉચ્છેદન (resection) અથવા લેપેરોસ્કોપી (ઉદર-નિરીક્ષા) વડે અંડનલિકા પર વીંટી (ring) કે ક્લિપ પહેરાવવાની ક્રિયા કે તેનું વીજગુલ્મન (electrocoagulation) કરવામાં આવે છે. હાલ લઘુ-ઉદરછેદન(mini laparotomy)ની પદ્ધતિ પણ વિકસી છે.

સ્ત્રી-નસબંધીનાં મુખ્ય જોખમો નિશ્ચેતના(શીશી સૂંઘાડવી, anaesthesia)ને લગતા છે. ક્યારેક આસપાસની પેશીને નુકસાન કે ફેફસાંની ધમનીમાં લોહી જામી જવાનો વિકાર થાય છે. આ શસ્ત્રક્રિયાનો મૃત્યુદર 4થી 8/1,00,000 શસ્ત્રક્રિયાઓ જેટલો ઓછો છે. ઉદરછેદનની શસ્ત્રક્રિયાથી આનુષંગિક તકલીફ થવાનો દર 1.5 % છે, જ્યારે ઉદરનિરીક્ષા (laparoscopy) કરવાથી આનુષંગિક તકલીફ થવાનો દર 0.9 % છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સૂચન પ્રમાણે મોટી હૉસ્પિટલોમાં શસ્ત્રક્રિયાની પદ્ધતિ વધુ હિતાવહ છે.

સ્ત્રી-નસબંધીની શસ્ત્રક્રિયા ક્યારેક નિષ્ફળ જાય છે. ક્યારેક સ્ત્રી-નસબંધી પછી પેઢુમાં દુખાવો, અંડપિંડમાં કોષ્ઠ (cyst) થવી કે વધુ પડતો ઋતુસ્રાવ થવો જેવી તકલીફો થાય છે. તેને અંડનલિકા-બંધનોત્તર સંલક્ષણ (post-tuballigationsyndrome) કહે છે. ક્યારેક ઇસ્ટ્રેડિયોલ અને પ્રોજેસ્ટેરોનનું લોહીમાં પ્રમાણ વધે છે. આ વિકારોનો શસ્ત્રક્રિયા સાથેનો સંબંધ નિશ્ચિત કરાયેલો નથી.

પુન:જોડાણની શસ્ત્રક્રિયાની સફળતાની સંભાવના 50 %થી વધુ નથી. માટે આવા કોઈ ભાવિ ઇરાદાની સંભાવના હોય તો સ્ત્રી-નસબંધીની શસ્ત્રક્રિયા ન કરવી સલાહભરી ગણાય છે. સ્ત્રી-નસબંધી ઉપરાંત ગર્ભાશયના રોગોમાં ગર્ભાશય-ઉચ્છેદન (hysterectomy) કરવાથી પણ વંધ્યીકરણ થાય છે. વંધ્યીકરણ માટે ગર્ભાશય-નિરીક્ષા(hysteroscopy)નો ઉપયોગ હાલ પ્રાયોગિક સ્થિતિમાં છે.

(6-આ) પુરુષ-નસબંધી (આકૃતિ 10) : પુરુષ-નસબંધીની શસ્ત્રક્રિયા સ્ત્રીઓમાં થતી શસ્ત્રક્રિયા કરતાં, તકનીકી ર્દષ્ટિએ, વધુ સરળ છે. સ્થાનિક ચામડીને બહેરી કરીને શુક્રપિંડ-કોથળી(scrotum)માં નાનો છેદ કરીને શુક્રકોષ-નલિકા(vas deferens)ને કાપીને બાંધી દેવામાં આવે છે. તેથી તેને શુક્રનલિકા-છેદન (vasectomy) કહે છે. આ શસ્ત્રક્રિયા 20 મિનિટથી ઓછો સમય લે છે અને તે બહારના

આકૃતિ 10 : પુરુષ નસબંધી : (1) શિશ્ન, (2) સ્ક્રોટમ (શુક્રપિંડની કોથળી), (3) છેદ માટેની જગ્યા, (4) છેદ, (5) શસ્ત્રક્રિયાને અંતે ટાંકો, (6) શુક્રપિંડ, (7) અધિશુક્રપિંડ, (8) શુક્રકોષનલિકા, (9) પ્રૉસ્ટેટ ગ્રંથિ, (10) વીર્યસંગ્રાહિકા, (11) મૂત્રાશય, (12) મૂત્રપિંડનળી, (13) શુક્રકોષનલિકાનો કપાયેલો ટુકડો

દર્દીઓના વિભાગમાં પણ કરી શકાય છે. શારીરિક અસ્વસ્થતા ખૂબ ઓછી થાય છે, વળી તે ઓછી ખર્ચાળ છે; પરંતુ તેનો મુખ્ય ગેરલાભ એ છે કે શસ્ત્રક્રિયા કર્યા પછીથી શુક્રકોષનલિકા અને વીર્યસંગ્રાહિકાઓ(seminal vesicles)માં સંગ્રહાયેલ શુક્રકોષોને કારણે એક-બે અઠવાડિયાંથી માંડીને થોડા મહિનાઓ સુધી સફળ ગર્ભનિરોધ થતો નથી. તેથી વીર્યમાં બે વખત શુક્રકોષ-ગણન શૂન્ય આવે ત્યારપછી જ ગર્ભનિરોધ શક્ય બને છે. ત્યાં સુધી અન્ય ગર્ભનિરોધક પદ્ધતિ વાપરવી પડે છે. આ પદ્ધતિનો નિષ્ફળતાના દર 1 % છે. કપાયેલી નસને ફરીથી જોડી શકવાની સંભાવના 50 %થી 55 % કિસ્સામાં જ રહેલી છે. સૂક્ષ્મ શસ્ત્રક્રિયા(microsurgery)ની આવડત, નસબંધી કર્યા પછી તંતુતા (fibrosis) થઈ ન હોય એટલો ટૂંકો સમય અને શુક્રકોષગડ(sperm-granuloma) ન બની હોય એવી સ્થિતિ હોય તો પુન:જોડાણ કદાચ શકય બને. પુરુષ-નસબંધી પછી ખાસ મહત્વના કોઈ વિકાર કે રોગો થયેલા નોંધાયેલ નથી. હાલ પુરુષો માટે વિશ્વાસપાત્ર ગર્ભનિરોધક દવા વિકસી નથી.

શિલીન નં. શુક્લ

હર્ષદ મહેતા