ગદ્રે, અનંત શંકર (જ. ?; અ. 18 સપ્ટેમ્બર 1965, મુંબઈ) : જાણીતા પુરાતત્વવિદ. વિલ્સન કૉલેજમાંથી અભિલેખવિદ્યા સાથે એમ.એ. થઈને 1930માં રાજકોટના મ્યુઝિયમમાં જોડાયા. અહીં તેમણે તામ્રપત્રો અને સિક્કાનું અધ્યયન કર્યું. ત્યારબાદ 1935માં હીરાનંદ શાસ્ત્રી સાથે વડોદરા રાજ્યના ડિપાર્ટમેન્ટ ઑવ્ આર્કિયૉલૉજીમાં મદદનીશ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જોડાયા અને વડોદરા રાજ્યના વિલીનીકરણ સુધી તેના નિયામક તરીકે રહ્યા. ત્યારબાદ પશ્ચિમ વર્તુળના સુપરિન્ટેન્ડેન્ટ તથા અગ્નિકોણના વર્તુળમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણમાં જોડાયા. નિવૃત્તિ બાદ વડોદરામાં રહ્યા પછી તેઓ મુંબઈ ગયા.

તેમણે વડોદરા રાજ્યના પુરાતત્વ ખાતાના વાર્ષિક હેવાલો લખવાના કાર્યમાં મદદ કરી હતી અને વડોદરા રાજ્યમાંથી મળતા અભિલેખોનું પ્રકાશન કર્યું હતું. વડોદરા રાજ્યના સ્થાપત્ય-અવશેષોની દેખભાળ કરવાનું તથા કામરેજ, અમરેલી, પાટણ જેવાં સ્થળોએ ઉત્ખનન કરવાનું કાર્ય કર્યું હતું.

ર. ના. મહેતા