ખત્રી, દેવકીનંદન

January, 2010

ખત્રી, દેવકીનંદન (જ. 1861, મુઝફરપુર; અ. 1 ઑગસ્ટ 1913) : હિન્દી નવલકથાકાર. મુઝફરપુરમાં પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં ઉર્દૂ તથા ફારસી શીખ્યા. પછી કાશી જઈને હિન્દી તથા સંસ્કૃત શીખ્યા.

એમની પ્રથમ નવલકથા ‘ચન્દ્રકાન્તા’ 1888માં પ્રગટ થઈ. એણે એમને પ્રતિષ્ઠા અપાવી. તે પછી ‘ચન્દ્રકાન્તાસંતતિ’ (11 ભાગ, 1891); ‘વીરેન્દ્રવીર’ (1895); ‘કુસુમકુમારી’ (1898); ‘નવલખા હાર’ (1899); ‘કાજર કી ગોઠડી’ (1902); ‘અનૂઠી બેગમ’ (1905); ‘ભૂતનાથ’ (9 ભાગ, 1907-1913) વગેરે અનેક નવલકથાઓ એમણે લખી. એમણે ‘સુદર્શન’ નામના માસિકનું સંપાદન પણ કરેલું.

એમણે નવલકથાસાહિત્યમાં તિલસ્મી ઐયારી નવલકથા-પ્રકારનું સર્જન કર્યું. એ પ્રકારમાં નાયક તથા નાયિકા શઠ પાત્રોની મેલી વિદ્યામાં ફસાય છે. એમાં ભેદભરમનું આયોજન હોય છે. અંતમાં નાયક એના સ્વામીભક્ત તથા વીર મિત્રોની મદદથી આસુરી શક્તિઓ પર વિજય મેળવે છે અને નાયિકાને અને સાથે સાથે ઝવેરાતનો ખજાનો પણ પ્રાપ્ત કરે છે. નાયિકાની સખીઓ પણ નાયિકાની વહારે ધાઈ એને જાદુટોણાંની અસરમાંથી મુક્ત કરે છે.

એમની નવલકથાઓએ હિન્દીને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

ગીતા જૈન