ક્ષત્રપ (ઉત્તર ભારતના અને પશ્ચિમ ભારતના) : લાંબા સમયથી ભારતીય ઇતિહાસમાં પ્રસિદ્ધ જાતિ. ભારતના પૂર્વકાલીન સંસ્કૃત સાહિત્યમાં યવનો(ગ્રીકો)ની સાથે શક-પહલવનો નિર્દેશ વારંવાર જોવા મળે છે. મધ્ય એશિયામાં થયેલી રાજકીય ઊથલપાથલને કારણે શકોની ભિન્ન ભિન્ન ટોળીઓ વિભિન્ન સમયે ભારતમાં આવી હોવાનું જણાય છે. આ શકોએ ભારતમાં સ્વતંત્ર સત્તાઓ સ્થાપી તેમાં સિંધુ પ્રદેશનું શક રાજ્ય (હિન્દી શકસ્થાન), પંજાબનું શક રાજ્ય, મથુરાનું શક રાજ્ય અને પશ્ચિમ ભારતના શક રાજ્યનો સમાવેશ થાય છે.

સિંધુતટ ઉપર શકોએ સૌપ્રથમ વસવાટ કરી મીનનગરને રાજધાની બનાવી શક સત્તા સ્થાપી. આ રાજ્યના એક રાજાનું નામ મોઅ હતું. જેલમ જિલ્લાના મૈર ગામના એક લેખમાં અને તક્ષશિલાના પતિકના લેખમાં મોઅનો ઉલ્લેખ છે. આ રાજ્ય તક્ષશિલાના ક્ષત્રપોના રાજ્ય તરીકે પણ ઓળખાય છે.

પંજાબમાંથી મળેલા શક રાજાઓના સિક્કા તેમના ત્યાં પ્રવર્તેલા શાસનનું સૂચન કરે છે. મોઅ અહીં રાજ્ય કરનાર પહેલો શક રાજા હતો. મોઅના નામોલ્લેખવાળા વર્ષ 58નો મૈર લેખ અને વર્ષ 78નો તક્ષશિલા લેખ એનો સમય નિર્ણીત કરવામાં સહાયરૂપ બને છે. સંભવત: તેને ઈસુ પૂર્વેની પહેલી સદીના ઉત્તરાર્ધમાં મૂકી શકાય.

પશ્ચિમ ક્ષત્રપ રાજા ભ્રાતાદમન(ઈ. સ. 278-295)નો ઉત્તરપશ્ચિમી
ક્ષત્રપ રાજાઓનો ચલણી ભારતીય સિક્કો

મોઅ પછી પંજાબની ગાદી ઉપર અય (અઝીઝ) આવ્યો. અય પહેલા અને અય બીજાના સિક્કા ઉપલબ્ધ હોઈ બે અય હોવાનું જણાય છે. સિક્કાના ગ્રીક અને ખરોષ્ઠી લિપિઓમાંનાં લખાણ મુજબ અય પહેલા પછી અચિલિષ અને તે પછી અય બીજો ગાદીએ આવ્યો.

પંજાબના ક્ષત્રપોનાં ત્રણ કુટુંબ હતાં : કુસુલકનું, મણિગુલનું અને ઇન્દ્રવર્માનું. કુસુલક મોઅનો ક્ષત્રપ હતો, એનો પુત્ર પતિક મહા દાનવીર હતો. વર્ષ 78ના તક્ષશિલાના લેખમાં કુસુલકને ક્ષહરાત ક્ષત્રપ તરીકે અને મથુરાના સિંહસ્તંભલેખમાં પતિકને મહાક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે. આ કુટુંબના સભ્યો મથુરાના ક્ષત્રપો સાથે સંબંધ ધરાવતા હતા.

અય બીજાના રાજ્યકાલ દરમિયાન પુષ્કલાવતીમાં મણિગુણ કુટુંબના ક્ષત્રપો હોવાનું સિક્કા ઉપરથી જણાય છે. તક્ષશિલાના વર્ષ 191ના ચાંદીના વાસણ ઉપરના લખાણમાં મણિગુણના પુત્ર જિહોણિકનો ઉલ્લેખ છે, જે પહલવ રાજા ગુદુહવરનો ભત્રીજો અને ક્ષત્રપ હતો. ગુદુહવર અય બીજાનો સમકાલીન હતો.

ઇન્દ્રવર્માના કુટુંબમાં ઇન્દ્રવર્મા પોતે, એનો પુત્ર અસ્પવર્મા અને એના ભત્રીજા સસનો સમાવેશ થાય છે. અસ્પવર્મા અય બીજાના અને પછીથી ગુદુહ્વરના રાજપાલ તરીકે કાર્ય કરતો હતો, જ્યારે સસ ગુદુહ્વર અને પકોરના રાજપાલ તરીકે.

એક મત મુજબ શકો સિંધુ પ્રદેશમાંથી આગળ વધી કદાચ માળવાથી અજમેર થઈ સીધા મથુરા ગયા હોય, તો બીજા મત મુજબ વિક્રમાદિત્યની સરદારી હેઠળ માળવા સ્વતંત્ર થયું ત્યારે માળવાના શક અધિકારીઓએ મથુરા જઈ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હોય. મથુરામાંથી પ્રાપ્ત શકોના સિક્કા શુંગોના પાંચાલ (અહિચ્છત્ર) અને મથુરા-પદ્ધતિના સિક્કાના અનુકરણ સમ છે. આથી શકોએ મથુરાની સત્તા શુંગો પાસેથી મેળવી હોય.

1869માં ભગવાનલાલ ઇંદ્રજીને મથુરાના શીતળામાતાના મંદિરના દાદર હેઠળથી એક સિંહશીર્ષલેખ હાથ લાગેલો, જેમાંના ખરોષ્ઠી લિપિના લખાણનું મથુરાના શકોના ઇતિહાસ માટે ઘણું મહત્વ છે. આ લખાણમાં મથુરાના શાસકો અને અન્ય પ્રદેશના રાજાઓનો નિર્દેશ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

રાજુલની માહિતી સિક્કા અને શિલાલેખોથી મળે છે. મથુરાના ઉપર્યુક્ત લેખમાં અને મોર ગામના એક લેખમાં તેને મહાક્ષત્રપ કહ્યો છે, જ્યારે ગ્રીક લખાણવાળા તેના સિક્કા તેને ‘શાહાનુશાહી’ તરીકે ઓળખાવે છે. રાજુલના સિક્કા સ્ટ્રેટો પહેલા અને બીજાના અનુકરણ સમ હોઈ તેણે તેના રાજકાલનો પ્રારંભ પૂર્વ પંજાબમાંથી કર્યો હોવાનું અને મથુરા ઉપર એની સત્તા એના રાજકાલના ઉત્તરાર્ધમાં હોવાનું સમજાય છે. મથુરામાંથી રાજુલના ઘણા સિક્કા મળ્યા છે. તેના કેટલાક તાંબાના સિક્કા પૂર્વ પંજાબમાંથી મળ્યા છે. આથી એના રાજ્યવિસ્તારમાં પૂર્વ પંજાબ અને મથુરાનો સમાવેશ થતો.

રાજુલ પછી તેનો પુત્ર શોડાસ ગાદીએ આવ્યો. મથુરામાંથી એના સિક્કા અને શિલાલેખો મળ્યા છે. સિક્કામાં એને ક્ષત્રપ તરીકે અને અમોહિનીના વર્ષ 72ના લેખમાં મહાક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે. એનો રાજ્યવિસ્તાર મથુરાની આસપાસ પૂરતો સીમિત હતો. શોડાસે જે મહાક્ષત્રપ પદ ધારણ કર્યું તે તેના વિજયને પરિણામે હોવાનું સંભવે.

પશ્ચિમ ભારતના ક્ષત્રપ : ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસમાં પશ્ચિમી ક્ષત્રપ શાસકોના રાજકાલનું ઘણું મહત્વ છે. ગુજરાતનું આ સૌપ્રથમ સ્વતંત્ર સત્તાધીશ રાજ્ય હતું. આ રાજ્યના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી ક્ષત્રપ શાસકોના ચાંદીના સંખ્યાબંધ સિક્કા અને ત્રીસેક શિલાલેખોથી પ્રાપ્ત થઈ શકે છે. રાજકીય ઇતિહાસની ર્દષ્ટિએ પશ્ચિમી ક્ષત્રપોની વંશાવળીમાં છ કુલો અને એકંદરે ત્રીસ શાસકો જોવા મળે છે.

રાજકીય ઊથલપાથલને કારણે મધ્ય એશિયામાંથી સ્થળાંતર કરીને શકોનાં વિવિધ જૂથો ભિન્ન ભિન્ન સમયે ભારતમાં આવ્યાં, તેમાંનું એક જૂથ પશ્ચિમ ભારતમાં – ગુજરાતમાં સ્થિર થયું અને સત્તા સ્થાપી તથા દીર્ઘકાલ સુધી ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં યોગદાન કર્યું.

નહપાનના જમાઈ ઉષવદત્તને નાસિક ગુફાના એક ખંડિત લેખમાં શક જાતિનો ગણાવ્યો છે. વાસિષ્ઠી પુત્ર પુળુમાવીના એક લેખમાં શક-યવન-પહલવ સાથે ક્ષહરાતોને હરાવ્યાનો નિર્દેશ છે. ચાષ્ટન વંશના પ્રથમ પુરુષનું પ્સામોતિક નામ સીથિયન ભાષાનું છે. ઉત્તર ભારતમાંના શાહદૂરના એક ખરોષ્ઠી લેખમાં દામીજદને શક્સ કહ્યો છે. કાલકાચાર્ય સાથે આવેલા શકો જ પશ્ચિમી ક્ષત્રપો હોવાનો મત છે. પશ્ચિમી ક્ષત્રપ શાસકોના અભિલેખોમાંનાં નિર્દિષ્ટ વર્ષો શક સંવતનાં હોવાનું સ્વીકારાયું છે. આ બધા ઉલ્લેખોથી સ્પષ્ટ થાય છે કે પશ્ચિમી ક્ષત્રપો શક જાતિના હતા.

આ રાજાઓના સિક્કામાં પ્રારંભમાં એક બાજુ ગ્રીક ભાષા અને લિપિ તો બીજી બાજુ પ્રાકૃત ભાષા અને ખરોષ્ઠી લિપિ તથા પછીના સમયે ખરોષ્ઠીના સ્થાને બ્રાહ્મી લિપિ પ્રચારમાં આવી. આ રાજાઓના સિક્કામાંના વર્ષ ઉપરથી એમની સળંગ સાલવારી નિર્ણીત થઈ શકી છે તો શાસક રાજાના નામની પહેલાં હોદ્દા સાથે પિતાનાં નામ આપવાની પદ્ધતિથી એમની સળંગ વંશાવળી તૈયાર થઈ શકી છે. શિલાલેખો એમની સાલવારી અને વંશાવળીમાં ખૂટતી કડીઓ ઉમેરે છે. સિક્કામાં ક્ષત્રપ અને મહાક્ષત્રપનાં બિરુદોના નિર્દેશથી ક્ષત્રપ કે મહાક્ષત્રપનો ઉત્તરાધિકાર કયા ક્ષત્રપ કે મહાક્ષત્રપને મળ્યો અને કયો ક્ષત્રપ ક્યારે મહાક્ષત્રપ થયો તે જાણી શકાયું છે.

પશ્ચિમી ક્ષત્રપ વંશવૃક્ષનાં છ કુળોમાંથી પ્રથમ બે કુળો ક્ષહરાત વંશ અને ચાષ્ટન વંશ તરીકે ઓળખાયાં છે, શેષનું નામાભિધાન જાણવા મળતું નથી. ક્ષહરાત વંશમાં ભૂમક અને નહપાન નામના બે રાજાઓએ આશરે 56 વર્ષ (ઈ. સ. 23થી 78 સુધી) રાજ્ય કર્યું. અને એમના સિક્કા અને શિલાલેખોનાં પ્રાપ્તિસ્થાનના આધારે એમણે આજના ગુજરાત – માળવા – અજમેર – નાસિક વિસ્તારો ઉપર સત્તા જમાવી હોવાનું સૂચવાય છે

ચાષ્ટન વંશનો પ્રથમ જ્ઞાત પુરુષ પ્સામોતિક અને છેલ્લો જ્ઞાત રાજા વિશ્વસેન હતા. આ વંશમાં કુળ 20 રાજા થયા એમાં ચાષ્ટન અને રુદ્રદામા વધારે પ્રતિભાશાળી અને શક્તિશાળી હતા. ક્ષત્રપોએ કુલ 226 વર્ષ (ઈ. સ. 78થી 304) સુધી સત્તા સંભાળી અને ગુજરાતમાં પશ્ચિમી ક્ષત્રપોનું શાસન પ્રવર્તાવ્યું. ભર્તૃદામા – વિશ્વસેનના શાસનકાળની સમાપ્તિ સાથે ચાષ્ટન કુળનો અંત આવતાં ક્ષત્રપ-મહાક્ષત્રપની સંયુક્ત શાસનપ્રથાનો અંત આવ્યો. અર્થાત્, તે પછી સંયુક્ત શાસનને સ્થાને એક જ શાસકની પ્રથા રહી.

પશ્ચિમી ક્ષત્રપોના વંશવૃક્ષમાં ચાષ્ટન વંશ પછી ઇતર અનામી ક્ષત્રપ વંશો સત્તાધીશ જોવા મળે છે. તેમાં ચાર કુટુંબોના કુલ આઠ શાસકો રાજગાદી ભોગવે છે. આ ચારેય કુળોના શાસકોએ શક સંવત 226થી 320 સુધી (ઈસવી 304થી 398) રાજ્ય કર્યું. આમાંના સ્વામી રુદ્રસેન ત્રીજાએ આશરે ત્રણ દાયકા સુધી રાજ્ય કરેલું. એનો દીર્ઘ શાસનકાળ અને એના સિક્કાનું વિપુલ પ્રમાણ એના શક્તિશાળી રાજ્યનું, એના સામર્થ્યનું, રાજ્યની આર્થિક સધ્ધરતાનું અને એની વીરતાનું સૂચન કરે છે.

આમ, ગુજરાત ઉપર શક જાતિના પશ્ચિમી ક્ષત્રપ વંશનાં વિભિન્ન કુળોએ આશરે ચાર સૈકા સુધી અર્થાત્ ઈસવીસન 23થી 398 સુધી શાસન કરી ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં અને તે દ્વારા ભારતના રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઘણું યોગદાન આપ્યું છે.

રસેશ જમીનદાર