કૌશલ્યા : દશરથ રાજાની અગ્રમહિષી અને રામ જેવા આદર્શ પુત્રની માતા. તેનો સર્વપ્રથમ ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં પુત્ર-પ્રેમની આકાંક્ષિણી રૂપે મળે છે. આનંદ રામાયણમાં દશરથ અને કૌશલ્યના લગ્નનું વર્ણન વિસ્તારથી મળે છે. ગુણભદ્રકૃત ‘ઉત્તર-પુરાણ’માં કૌશલ્યાની માતાનું નામ સુબાલા અને પુષ્પદત્તના ‘પઉમચરિઉ’માં કૌશલ્યાનું બીજું નામ અપરાજિતા અપાયું છે. પરિસ્થિતિવશ કૌશલ્યા જીવનભર દુઃખી રહે છે. પોતાના વાસ્તવિક અધિકારથી વંચિત રહેવાને કારણે તેનું જીવન કરુણ અને દયનીય બની જાય છે. આથી એને ક્ષીણકાયા, ખિન્નમના, ઉપવાસપરાયણા, ક્ષમાશીલા, સૌમ્ય, વિનીત, ગંભીર પ્રશાંત, વિશાલહૃદયા તથા પતિ-સેવા પરાયણા આદર્શ મહિલા રૂપે વર્ણિત કરવામાં આવેલ છે. પોતાના નિરપરાધ પુત્રના વનવાસ નિમિત્તે તે આ ગુણોનો અધિકાધિક વિકાસ કરતી જોવામાં આવે છે. તુલસીદાસે આ પ્રસંગના વર્ણનમાં કૌશલ્યાના ચરિત્રને ખૂબ ઉન્નત કર્યું છે. તેમણે ખૂબ કુશળતાપૂર્વક કૌશલ્યાના આન્તર્દ્વદ્વને ચિત્રિત કરવાની સાથે તેના કર્તવ્ય-કર્મ અને વિવેક-બુદ્ધિના વિજયનું અનુપમ ચિત્રણ કર્યું છે. ભરતને રાજમુગટ ધારણ કરવાનો ઉપદેશ આપવામાં, વનયાત્રામાં ભરત–શત્રુઘ્નને રથ પર આરુઢ થવા માટે તર્કપૂર્ણ અનુરોધ કરવામાં, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ચારેય પુત્રો પ્રત્યે તેના માતૃ-હૃદયમાં પ્રવર્તતું સહજ વાત્સલ્ય અને બધા અયોધ્યાવાસીઓ પ્રત્યે પ્રગટ થતું હાર્દિક મમત્વ એના પ્રમાણરૂપ છે. જોકે ગીતાવલિમાં તુલસીદાસે કૌશલ્યાની વ્યથાપૂર્ણ અવસ્થાનું ક્રમશઃ રામ-વન-ગમન, ચિત્રકૂટથી પાછા ફરવું તેમજ વનવાસની અવધિ સમાપ્ત થતા પૂર્વેના પ્રસંગોમાં અત્યંત કરુણ અને હૃદયવિદારક વર્ણન કર્યું છે. બલદેવપ્રસાદ મિશ્રરચિત ‘કોશલ-કિશોર’ અને મૈથિલીશરણ ગુપ્તરચિત ‘સાકેત’માં કૌશલ્યાનું માતૃપક્ષીય માનસ અને પુત્રપ્રેમની વિશેષ અભિવ્યક્તિ થઈ છે, પરંતુ વાસ્તવમાં આદિકવિ વાલ્મીકિથી માંડીને તુલસીદાસ દ્વારા એનું જે આદર્શરૂપ વ્યક્તિત્વ પ્રગટ થયું છે એ જ લોકમતમાં પ્રતિષ્ઠિત થયું છે.

પ્રવીણચંદ્ર પરીખ