કેરળ શાસ્ત્ર-સાહિત્ય પરિષદ

કેરળ શાસ્ત્ર-સાહિત્ય પરિષદ : વૈજ્ઞાનિક અભિગમ દ્વારા લોક-કેળવણીના ધ્યેય સાથે સાહિત્યપ્રસાર અને નાટ્યપ્રવૃત્તિ કરતી કેરળની સુયોજિત સ્વૈચ્છિક સંસ્થા. અનેક પ્રકાશનો અને ‘લોકજથ્થા’ (લોકજાત્રાઓ) દ્વારા કેરળના ગ્રામવિસ્તારોમાં લોકજુવાળ ઊભો કરી ‘સાયલન્ટ વૅલી’ પ્રયોજવા વિશે આ સંસ્થાએ જાગૃતિ આણી હતી. સાંપ્રત પ્રશ્નો વિશે શેરીનાટકની પ્રવૃત્તિના અસંખ્ય પ્રયોગો રાજ્યના ગ્રામ તથા શહેરી વિસ્તારોમાં કરીને લોકકેન્દ્રી નાટ્યપ્રવૃત્તિનો તેણે વિકાસ કર્યો છે. આ સંસ્થા દેશની અનેક ભાષાઓમાં શેરીનાટકોની રજૂઆત પણ કરે-કરાવે છે. ગુજરાતમાં પણ મલયાળી નટો દ્વારા આ ‘કે. એસ. એસ. પી.’ના ‘નાટ્યજથ્થા’નાં શેરીનાટકોનું આયોજન થયું હતું. લોકલક્ષી નાટ્યપ્રવૃત્તિમાં તે ભારતની મહત્વની સંસ્થા ગણાય છે.

હસમુખ બારાડી