કાશ્મલન (જ. 1896, નડિયાદ) : ગુજરાતી કવિ. મૂળ નામ રંજિતલાલ હરિલાલ પંડ્યા. તેમણે 1926માં ‘રામની કથા’ આલેખી છે. આ પુસ્તકમાં તેમણે જુદા જુદા પ્રસંગોનાં વર્ણન દ્વારા રામના જીવનને કવિતામાં ગૂંથી લીધું છે. એમની શૈલી શિષ્ટ અને પ્રાસાદિક છે. કાશ્મલને 1934માં ‘કાશ્મલનનાં કાવ્યો’ નામે સંગ્રહ પ્રગટ કર્યો હતો. આ સંગ્રહ વિશે સુન્દરમે લખેલું કે ‘કેટલાંક કાવ્યોમાં તે કાન્તની લલિત બાનીની ઘણા નજીક આવી શક્યા છે.’ ‘શકુન્તલા’, ‘જમદગ્નિ’ અને ‘રેણુકા’ એ તેમનાં નોંધપાત્ર ખંડકાવ્યો છે. પણ લેખકની બધી જ કૃતિઓમાં ‘શકુન્તલા’ સૌથી સારી લાગે છે. ‘પીડિત હૃદય’ સુંદર ઊર્મિકાવ્ય બનેલું છે.

રમણલાલ જોશી