કાંચી કાવેરી (1880) : રામશંકર રાયાનું ઊડિયા નાટક. એમાં કાંચીના રાજાની પુત્રીની વાત છે. જગન્નાથની રથયાત્રા વખતે ચાંડાલ રાજા પુરુષોત્તમ કાંચી રાજાની પુત્રીને જુએ છે અને પછી માગું મોકલે છે ત્યારે કાંચીનરેશ એમ કહીને એનો તિરસ્કાર કરે છે કે પુરુષોત્તમ દેવ ચાંડાલ છે; એને કન્યા શી રીતે સોંપાય ? આથી પુરુષોત્તમ દેવ કાંચી પર આક્રમણ કરે છે પણ હારે છે. બીજી વાર આક્રમણ કરે છે અને કાંચીનરેશની પુત્રીને કબજે કરે છે. લેખકે પુરુષોત્તમ દેવને સદગુણસંપન્ન બતાવી, એને પૂર્ણાંશે સાત્વિક દર્શાવ્યો છે. એ કાંચીની પુત્રીને મુક્ત કરે છે અને એને પોતાના સદગુણોથી જીત્યા પછી જ પરણે છે. આ નાટક ઊંચનીચના ભેદ તથા જાતિભેદના દૂષણ તરફ અંગુલિનિર્દેશ કરીને સમાજસુધારણાનો પથ દર્શાવે છે.

વર્ષા દાસ