એલિઝાબેથન સ્થાપત્ય : પુનરુત્થાનયુગ(renaissance)ના સ્થાપત્યની ઉપરછલ્લી સમજ અને ઇંગ્લૅન્ડમાં ગોથિક શૈલીની લંબાયેલી અસરને લઈને સોળમી સદીના ઉત્તરાર્ધમાં આ એલિઝાબેથન સ્થાપત્યશૈલી પ્રચલિત બની. ખરી રીતે હેનરી આઠમાના સમયથી જ્યારથી પુનરુત્થાન યુગના સ્થાપત્યની શૈલી એક સ્વીકૃત માધ્યમ ગણાયેલ ત્યારથી એલિઝાબેથન શૈલીનાં મંડાણ થયાં ગણાય છે. જોકે એલિઝાબેથ 1558માં ગાદીએ આવેલ. રહેઠાણોના નકશા E અથવા H આકારના પ્રચલિત થયા. બારીઓ ગોથિક શૈલીને અનુસરીને વિશાળ, છાપરાં સીધાં અથવા ગોળાકાર-કાષ્ઠકામ અને સંબંધિત લીંપણકળા આલંકારિક – આ બધાં એલિઝાબેથન સ્થાપત્યનાં લક્ષણો હતાં.

રવીન્દ્ર વસાવડા