ઉપાધ્યાય બલદેવ

January, 2004

ઉપાધ્યાય બલદેવ (જ. 10 ઑક્ટોબર 1899, સોનબરસા, જિ. બલિયા, ઉત્તરપ્રદેશ; અ. 10 ઑગસ્ટ 1999, વારાણસી) : ભારતીય દર્શન અને સાહિત્યના પ્રકાંડ પંડિત. કાશી વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. થયા પછી ત્યાં સંસ્કૃતના અધ્યાપક થયા. પોતે દર્શન અને સૈદ્ધાંતિક સાહિત્ય સમીક્ષાના ક્ષેત્રમાં સંસ્કૃત વાંઙમયના ઉપલબ્ધ આકર ગ્રંથોનો ઉપયોગ કરીને હિંદીને સમૃદ્ધ કરવાની દિશામાં મહત્વનાં ડગ ભર્યાં. એમના  વિશિષ્ટ પ્રદાન તેમજ ગંભીર લેખને હિંદી ભાષાની આંતરિક ક્ષમતા વ્યક્ત કરવામાં મહત્વનો ફાળો આપ્યો. ઈ. સ. 1957માં પ્રગટ થયેલ ‘ભારતીય દર્શન’ નામનું એમનું પુસ્તક હિંદીમાં પોતાના સ્વરૂપની અદ્વિતીય કૃતિ ગણાય છે. આ ગ્રંથે તેમને હિંદી સાહિત્ય સંમેલન થકી મંગલાપ્રસાદ પારિતોષિક અપાવ્યું.  એમની અન્ય  મહત્વની કૃતિઓમાં ‘આચાર્ય શંકર’ (જીવનચરિત, 1948), ‘ભાગવત સંપ્રદાય’ (દર્શન, 1953), ‘બુદ્ધદર્શન’ (દર્શન, 1953), ‘વૈદિક સાહિત્ય ઔર સંસ્કૃતિ’ (1955), ‘ભારતીય સાહિત્યશાસ્ત્ર’ (1955) વગેરે મુખ્ય છે.

પ્રવીણચંદ્ર પરીખ