ઉદ્યાનવિદ્યા

(gardening)

વનસ્પતિઓના સંવાદી (harmonious) સમૂહન(grouping)ની કે તેમની આનંદદાયક ગોઠવણીની કલા તેમજ તેમના ઉછેર અને સંતોષજનક વૃદ્ધિ સાથે સંકળાયેલી પદ્ધતિઓનું વિજ્ઞાન. ઉદ્યાનવિદ્યા ઉદ્યાનકૃષિ (horticulture : આ લૅટિન શબ્દ hortus, garden અને colere, to cultivate પરથી ઊતરી આવ્યો છે.) સાથે ગાઢ રીતે સંબંધિત છે. ઉદ્યાનકૃષિ, શાકભાજી, ફળ અને શોભન-વનસ્પતિઓ (ornamentals) જેવા ઉદ્યાન-પાકોના ઉછેર સાથે સંકળાયેલ કૃષિવિજ્ઞાનની શાખા છે.

મનુષ્ય ઘણા હેતુઓ માટે ઉદ્યાન બનાવે છે. તેમનાં ઘર અને ઉદ્યાનને સુંદર બનાવવા પુષ્પો અને અન્ય શોભન વનસ્પતિઓનો ઉછેર કરે છે. તે શાકભાજી, ફળો અને શાકીય જાતિઓનું વાવેતર પણ કરે છે; કેમ કે, ઘેર ઉગાડેલી નીપજ બજાર કરતાં વધારે સસ્તી, તાજી અને સ્વાદિષ્ટ હોય છે. લોકોને ઉદ્યાન ગમે છે; કારણ કે વનસ્પતિઓની સાથે કામ કરવાથી વ્યાયામ, વિશ્રાંતિ (relaxation) અને આનંદ પ્રાપ્ત થાય છે. પુષ્પો માનવજીવનમાં જન્મથી માંડી મૃત્યુ પર્યંતના સારા-માઠા બધા પ્રસંગોમાં ઉપયોગી થાય છે.

ગૃહોદ્યાન (home garden) બનાવવા વિવિધ વનસ્પતિઓ સફળતાપૂર્વક ઉગાડી શકાય તે માટે હવે વિવિધ પ્રકારની માહિતી સુલભ છે. શિખાઉ માળી માટે ઉદ્યાનવિદ્યાનાં બધાં પાસાંઓને આવરતી ઓછી ખર્ચાળ પુસ્તિકાઓ પણ ઉપલબ્ધ થઈ છે. બીજ, વનસ્પતિઓ અને ઉદ્યાન માટે જરૂરી સાધનો વેચતી મંડળીઓ તેમની નીપજોના ઉપયોગ વિશે માહિતી આપતી પુસ્તિકાઓ વિના મૂલ્યે આપે છે. સ્થાનિક ઉદ્યાનકેન્દ્રો પણ માર્ગદર્શન અને સલાહ આપી શકે છે. ઘણાં સમાચારપત્રોમાં તેના વિશે ખાસ કૉલમ આપવામાં આવે છે, અને ઘણાં રેડિયો અને દૂરદર્શન-કેન્દ્રો દ્વારા ઉદ્યાનવિદ્યા સંબંધી કાર્યક્રમોનું પ્રસારણ થાય છે.

ઉદ્યાનવિદ્યા સાથે માણસોની કારકિર્દી પણ સંકળાયેલી હોય છે; જેમાં બજાર માટે નીપજોના ઉત્પાદનથી માંડી વનસ્પતિ-ઉદ્યાનો(botanical gardens)ના પ્રબંધ સુધીનો સમાવેશ થાય છે. વનસ્પતિ ઉદ્યાનોમાં કલાત્મક, શૈક્ષણિક અથવા વૈજ્ઞાનિક હેતુઓ માટે વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે. ઘણા લોકો [પુષ્પોત્પાદકો (florists), ઉદ્યાનીય સામગ્રીના વિક્રેતા, અથવા ધરુવાડી-શ્રમિક (nursery worker)] ઉદ્યાનમાં વનસ્પતિઓ ઉછેરી વેચે છે. ર્દશ્યભૂમિ-સ્થપતિ (landscape-architect) ઉદ્યાનો અને અન્ય ભૂમિવિસ્તારોની યોજના આપી તેનો વિકાસ કરે છે. ઉદ્યાનવિદ્યા સાથે સંબંધિત અન્ય કારકિર્દીમાં ઉદ્યાનો, જાહેર ઇમારતો અને ખાનગી સંપદાઓના ભૂમિપ્રબંધનો સમાવેશ થાય છે.

આકૃતિ 1 : વૈધિક પુષ્પોદ્યાન

ઉદ્યાનવિદ્યા હવે વધારે ને વધારે જાણીતી થતી જાય છે. દુનિયાભરનાં લાખો લોકો ગૃહોદ્યાન બનાવવામાં રસ દાખવે છે. 20મી સદીના ઉત્તરાર્ધમાં મજૂરીની કિંમત વધતાં અને તેની અછત થતાં જાહેર ઉદ્યાનોની વિરુદ્ધ ખાનગી ઉદ્યાનોનાં કદ અને તેમાં ઉગાડાતી શોભન-જાતિઓની સંખ્યામાં મર્યાદા આવી છે; આમ છતાં ઉદ્યાનકૃષિ માટેની અભિરુચિમાં ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં એકંદરે વધારો થયો છે. ઉદ્યાનોની સંખ્યામાં પણ વધારો થયો છે. શ્રમ ઘટાડતાં સાધનોનો વિકાસ, ઉછેરની ઔપચારિક (formal) પદ્ધતિઓને બદલે વધારે કુદરતી પદ્ધતિઓ વિશેની માહિતીની પ્રાપ્યતા, વનસ્પતિદેહધર્મવિદ્યા અને જંતુ-નિયંત્રણમાં થયેલાં આધુનિક સંશોધનોએ ઉદ્યાનકૃષિના વ્યવસાય અને શોખ તરીકેના પ્રસારને સંભવિત બનાવ્યો છે.

આકૃતિ 2 : શાકભાજી અને પુષ્પોદ્યાન

ગૃહોદ્યાન : ઘરની આસપાસ રહેલી ખૂલ્લી જમીન ઉપર ઉદ્યાન બનાવી તેનું આકર્ષણ પુષ્કળ પ્રમાણમાં વધારી શકાય છે. આવા ગૃહોદ્યાનોની કેટલીક ખાસ મૂળભૂત લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : (1) જે સીમામાં ઉદ્યાન બનાવવાનો હોય તેની પૃષ્ઠભૂમિ (background) તરીકે વનસ્પતિની કે તારની વાડ, ક્ષુપીય સરહદ (shrub border) કે દીવાલ તૈયાર કરવામાં આવે છે. (2) ઉદ્યાનમાં આનંદપ્રમોદ માટે અને તેનો ઉપભોગ કરવા માટે માર્ગો, વૃક્ષ-વીથિકા (avenue) અને બેઠકો તૈયાર કરવામાં આવે છે. આવા વિસ્તારો અલગ વિકસાવવામાં આવે છે. (3) અસામાન્ય કે અત્યંત સુંદર વનસ્પતિઓ, શિલ્પ, કુંડ (pool) અને જળધોધ જેવાં કેટલાંક ધ્યાનાકર્ષક સ્થાનો તૈયાર કરવામાં આવે છે. (4) ઔપચારિક (formal), અનૌપચારિક (informal), પરંપરાગત (traditional) અથવા સમકાલીન (contemporary), નૈસર્ગિક (natural) કે વિદેશી (exotic), સંવર્ધિત (subdued) જેવી વિવિધ ભાતોમાં ઉદ્યાન-વિકાસ કરી શકાય છે.

આ મૂળભૂત લાક્ષણિકતાઓ એકરૂપ (unified) અને સર્વાંગી (overall) ઉદ્યાનની યોજના તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. આ યોજના રોપણ(planting)ના મોસમી (seasonal) વિકાસની અને મોટાં વૃક્ષો અને સ્થળાકૃતિક (topographic) લક્ષણો જેવા વધતે ઓછે અંશે સ્થાયી પ્રકૃતિવાળા ગુણધર્મોની માહિતી આપે છે.

ઉદ્યાનની પદ્ધતિઓ : ઉદ્યાનની પદ્ધતિ ઔપચારિક અને ક્રમિત (ordered) [જેમાં સમમિત (symmetrical) સંતુલન અને વનસ્પતિઓનું નિયમિત સમૂહન સ્પષ્ટપણે જોવા મળે છે.]થી માંડી અનૌપચારિક અને નૈસર્ગિક [જેમાં મૂળભૂત રીતે કુદરતમાં હોય તેવી માત્ર કુશળતાપૂર્વક રૂપાંતરિત ભાત જોવા મળે છે.] પ્રકારની જોવા મળે છે; પરંતુ હવે કોઈ એક પદ્ધતિ ચુસ્ત રહી નથી. ઉદ્યાનમાં પ્રત્યેક પદ્ધતિની લાક્ષણિકતાઓ મિશ્ર થયેલી હોય છે. પરંપરાગત ઉદ્યાનો સીમાઓ અને ક્યારીઓની ગોઠવણીમાં ઉત્કૃષ્ટ હોય છે અને સમકાલીન ઉદ્યાનો (જેમાં ભાતનાં તત્વો સામાન્ય રીતે સહેલાઈથી નજરે ચડે તેવાં હોય છે અને સ્પષ્ટપણે મનુષ્યની અસર દર્શાવે છે.) સાથે ઘણી વાર વિરોધાભાસ દર્શાવે છે. જાપાની ઉદ્યાનોના આયોજન પર બૌદ્ધ વિચારસરણીની અસર દેખાય છે. એક નાનકડી ટેકરી, ફરતે પાણી, નાનકડો પુલ, થોડા પથ્થરો, ઝૂકતાં વૃક્ષો, પથ્થરનો બનાવેલો દીવો, પથરાળ માર્ગ અને ફરતે દીવાલ કે તારની વાડ તેની વિશિષ્ટતાઓ છે. એકાદા પથ્થર ઉપર બેસી નિરાંતે ચિંતન થઈ શકે અને રંગોની બહુ ઝાકઝમાળ ન હોય તેવા સ્થાનનું નિર્માણ જાપાની ઉદ્યાનની ખૂબી છે. ભારતમાં દિલ્હી, હૈદરાબાદ, મૈસૂર વગેરે સ્થળોએ આ પ્રકારના પરંપરાગત ઉદ્યાનો જોવા મળે છે.

ભારતીય ઉદ્યાન-પદ્ધતિની વિશિષ્ટતાઓ મુખ્યત્વે વૃક્ષો, લતામંડપો અને વિહાર માટેની વિશાળ જગાઓ છે. પહેલાં ઉપયોગની ર્દષ્ટિએ જુદાં જુદાં નામ આપવામાં આવતાં; જેમ કે, પ્રમોદઉદ્યાન રાજા અને રાણી માટેનો આનંદ-પ્રમોદ કરવાનો ઉદ્યાન ગણાતો હતો. રાજા, મંત્રીઓ અને નગરજનો વગેરેને મળવાનો અને તેમની સાથે નૃત્ય જોવા માટે અલગ ઉદ્યાન તૈયાર કરવામાં આવતો હતો. વૃક્ષવાટિકા રાજ્યના અમલદારો માટેનું આનંદ-પ્રમોદનું સ્થાન ગણાતું હતું અને દેવતાઓની પૂજા-અર્ચના અને યજ્ઞ કરવા માટેના ઉદ્યાનને ‘નંદનવન’ તરીકે ઓળખવામાં આવતો હતો.

આકૃતિ 3 : બ્રિટિશ ઉદ્યાનનું મુખ્ય લક્ષણ લૉન છે. લૉનની સીમા ઉપર આઇરિસ અને ગુલાબ જેવી સપુષ્પ વનસ્પતિઓ અને ક્ષુપ ઉગાડવામાં આવે છે.

સામાન્ય રીતે પાણીના લાંબા હોજ, બે બાજુએ રસ્તા, તેની બાજુમાં વિશાળ લૉન, હોજ અને રસ્તાને કાટખૂણે બીજા રસ્તાઓ અને બંને બાજુએ એકસરખાં લાગે તેવાં સુંદર આકારવાળાં વૃક્ષ મુઘલ પદ્ધતિની વિશિષ્ટતાઓ છે. આમાં પણ એક પછી એક કક્ષા નીચે જવાથી જુદી જુદી અગાસીઓ જેવું ર્દશ્ય દૂરથી દેખાય છે. પાણીના હોજમાં ફુવારાઓ અને લૉનમાં પુષ્પની ક્યારીઓ પણ હોઈ શકે. મૂળ ઈરાનમાંથી લાવીને આ કળા મુઘલોએ ભારતમાં દાખલ કરી અને ભારતની આબોહવા પ્રમાણે તેમણે ઉદ્યાનની રચનામાં કેટલાક ફેરફાર કર્યો. આગ્રાના તાજમહાલનો ઉદ્યાન, પીંજોરનો ફદૈખાન ઉદ્યાન અને કાશ્મીરનો શાલીમાર ઉદ્યાન આ પદ્ધતિના જાણીતા ઉદ્યાનો છે.

બ્રિટિશ પદ્ધતિમાં સીધા રસ્તા, વિશાળ લૉન અને લૉનની સીમાઓ ઉપર પુષ્પની ક્યારીઓ, છોડ કાપીને આપેલા જુદા જુદા આકર્ષક આકારો, ફુવારાઓ, પૂતળાં વગેરે ખાસિયતોનો સમાવેશ થાય છે. ઇંગ્લૅંડનો પ્રખ્યાત રૉયલ બૉટેનિકલ ગાર્ડન ક્યુ વિશ્વનો સૌથી મોટો વનસ્પતિ-ઉદ્યાન છે. નાઇમેન્સ હૅન્ડ ક્રૉસ ગાર્ડન નૉર્થ સસેક્સમાં આવેલો બ્રિટિશ ઉદ્યાન છે.

ઔપચારિક અને અનૌપચારિક ઉદ્યાનોના સંદર્ભમાં એક રસપ્રદ નિરીક્ષણ એ જોવા મળ્યું છે કે સૈનિક, પોલીસ કે સરકારી નોકરીમાં નિયમોની ચુસ્તતામાં રહેલી વ્યક્તિઓ મોટેભાગે અનૌપચારિક ઉદ્યાન પસંદ કરે છે, જ્યારે વેપારી વર્ગની વ્યક્તિઓને ઔપચારિક ઉદ્યાન ગમે છે. મૈસૂરનો વૃંદાવન ગાર્ડન કે દિલ્હીમાં રાષ્ટ્રપતિનો ઉદ્યાન ઔપચારિક ઉદ્યાન છે; જ્યારે દિલ્હીનો બુદ્ધજયંતી પાર્ક કે ગુજરાતમાં ગાંધીનગરનો બાલોદ્યાન કે સરિતા-ઉદ્યાન અનૌપચારિક ઉદ્યાનો છે.

ઉદ્યાનનાં સ્થાયી તત્વો : ઉદ્યાનના આયોજનમાં લૉન, ટર્ફ (turf), ભૂમ્યાવરણ (ground cover), ક્ષુપ, લતાઓ અને વૃક્ષો ઘણુંખરું સ્થાયી વનસ્પતિઓ ગણાય છે. અલ્પ આયુષ્ય ધરાવતી એકવર્ષાયુ, દ્વિવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય કે કંદિલ વનસ્પતિઓ સતત કાળજી માગતી અસ્થાયી (transitory) વનસ્પતિઓ છે.

લૉન અને ભૂમ્યાવરણ : કોઈ પણ ઉદ્યાન લૉન વગર અધૂરો જ ગણાય. તે લીલા રંગનો મખમલી ગાલીચો પાથર્યો હોય તેવું મનોરમ ર્દશ્ય આપે છે. લૉનમાં બેસવું-ચાલવું અત્યંત આહલાદક હોય છે. ઉદ્યાનમાં વિશાળતા લાવવા માટે લૉન અનિવાર્ય છે, લૉન ઘાસની બનતી હોય છે. આવાં ઘાસભૂમિના સમતલથી થોડાંક ઊંચાં (લગભગ 7.5 સેમી.થી. 10 સેમી.) રાખવામાં આવે છે. આવા આવરણ માટે ઘાસ જ માત્ર યોગ્ય હોય છે, તેવું નથી. કોઈ પણ નીચી ઊગતી અને ઝડપથી જમીન ઉપર ફેલાતી – ભૂપ્રસારી વનસ્પતિઓનો લૉન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આવાં ઘાસ સિવાયનાં ભૂમિ ઉપરનાં આવરણોને ભૂમ્યાવરણો કહે છે.

ઠંડા પ્રદેશોમાં સૂક્ષ્મ-ગઠિત (fine-textured) લૉન માટે ઉપયોગમાં લેવાતાં મુખ્ય ઘાસમાં ફૅસ્કુ (Festuca species), બ્લૂ ઘાસ (Poa species) અને બૅંટ(Agrostis species)નો સમાવેશ થાય છે. ઘણી વાર આ જાતિઓ મિશ્રપણે ઉગાડાય છે. વધારે રુક્ષ લૉન માટે રાયઘાસ (Lolium species) મિશ્ર કરવામાં આવે છે. શુષ્ક ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોમાં ઘણી વાર બર્મુડા (ધરો) ઘાસ(Cyanodon dactylon)નો ઉપયોગ થાય છે. લૉન માટેનાં ઘાસ વ્યવસ્થિત રોપી, ખાતર અને પાણી પ્રમાણસર આપી, ઉગાડી એ સમયસર કાપવામાં આવે છે. હવે તો ટેકરા જેવો આકાર આપીને કે લાંબા ઢોળાવ બનાવીને ‘રોલિંગ લૉન’ તૈયાર કરવામાં આવે છે. તે અત્યંત ચિત્તાકર્ષક હોય છે. નાના ઉદ્યાનમાં રોલિંગ લૉનનું સ્થાન હોતું નથી.

જ્યાં ઘાસ ઓછા પ્રમાણમાં થઈ શકતું હોય ત્યાં ભૂમ્યાવરણ તૈયાર કરવા ઘાસની અવેજીમાં બહુવર્ષાયુ વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીકવાર ઘાસવાળી લૉનમાં ઇચ્છિત ભાત ઉત્પન્ન કરવા આવી વનસ્પતિઓને મિશ્ર રીતે ઉગાડાય છે. ભૂમ્યાવરણ-વનસ્પતિઓ ઘેરો લીલો, તાંબા જેવો રંગ કે અન્ય રંગો ઉત્પન્ન કરી ટર્ફના લીલા રંગમાં મનોરંજક વિપર્યાસ (contrast) ઊભો કરે છે. જોકે ભૂમ્યાવરણ લૉન જેટલું ટકાઉ હોતું નથી અને અવરજવર અને અન્ય પ્રવૃત્તિઓ સામે ટકી શકતું નથી. ભૂમ્યાવરણ તરીકે ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓમાં જાપાની ર્સ્પજ (Pachysandra terminalis), સામાન્ય પેરીવિંકલ (Vinca minor), લિલી ઑવ્ વેલી (Covallaria majalis), બ્યૂગલ વીડ (Ajugo reptans), બિશપનું અપતૃણ (Aegopodium podagraria), સ્ટોનક્રૉપ (Sedum species), ડાઇકૉન્ડ્રા (Dichondra repens) અને આઇવી(Hedera species)નો સમાવેશ થાય છે.

ક્ષુપ અને લતાઓ : ક્ષુપ નાની કાષ્ઠીય વનસ્પતિઓ છે અને જમીનની નજીકથી કેટલીક શાખાઓ આપે છે. તેઓ વધારેમાં વધારે 6 મી. સુધી.ની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આધુનિક ઉદ્યાનોમાં ઘણીવાર તેઓ સૌથી મોટો ભાગ રોકે છે, કારણ કે તેમનો ઉછેર શાકીય જાતિઓ કરતાં ઓછી મજૂરીએ થાય છે અને કેટલાક પુષ્પીય ક્ષુપો લાંબા સમય સુધી પુષ્પનિર્માણ કરે છે. જાણીતાં ક્ષુપોમાં ચાંદની (Ervatamia divaricata), જાસૂદ (Hibiscus rosa-sinensis), કરેણ (Nerium indicum), ટૅકોમા (Tecoma species), કેલિયાન્ડ્રા (Calliandra species), ગુલાબ (Rosa species), મોગરો (Jasminum species), પારિજાતક (Nyctanthus arborstristis), રાતરાણી (Cestrun nocturnum), દિવસનો રાજા (C. diurnum), લીલો ચંપો (Artabotrys hexapetalus), ઇન્દ્રધનુ (Lantana camara, L. indica), ગલતોરો (Caesalpinia pulcherrima), ઇક્ઝોરા (Ixora coccinea) અને ચિનાઈ મેંદી (Lagerstromia indica) વગેરે વિવિધરંગી સુંદર પુષ્પો આપતી ક્ષુપની જાતિઓ છે. આ ઉપરાંત, લિલિયેક (Syringa vulgaus), પ્રિવેટ (Ligustrum species), સ્પાઇરેરિયા (Spirarea species), હની સકલ (Lonicera species), ફોરસીથિયા (Forsythia species), મૉક ઑરેન્જ (Philadelphus species), હાઇડ્રેન્જિયા (Hydrangia species), રહોડોડેન્ડ્રૉન (Rhododendron species) પણ સુંદર ક્ષુપો છે.

જ્યાં કમાન અથવા એવો બીજો કોઈ આધાર હોય ત્યાં લતાનું પોતાનું આગવું આકર્ષણ હોય છે. લતાનો મંડપ બનાવવા કે પડદા તરીકે પણ ઉપયોગ થાય છે. સીધા ઢોળાવો ઉપર ભૂમ્યાવરણ તરીકે અને ધાબા ઉપર છાયા અને ઠંડક માટે તે ઉગાડવામાં આવે છે. ઉદ્યાનમાં વાવવામાં આવતી કેટલીક જાણીતી શોભન લતાઓમાં તિલોત્તમા [ટ્રમ્પેટ વાઇન (Tecoma અથવા Campsis radicans)], મોરવેલ (Clematis species), પડદાવેલ (Vernonia scandens), વિસ્ટેરિયા (Wisteria sinensis), વેલ મોગરો, જુઈ, ચમેલી (Jasminum species), કૃષ્ણકમળ (Passiflora species), મધુમાલતી (Quisqualis indica), મધવેલ (Combretum coccinum), માધવી લતા (Hiptage senghalensis), જક્ષિણી (Jaquemontia violacea), ચાઇનીઝ ટ્રમ્પેટ ક્રીપર (Tecoma grandiflora), ક્લેરોડેન્ડ્રૉન (Clerodendron splendens, C. thomsone), નીલપ્રભા (Petrea volubilis), નખવેલ (Bignonia unguis-cati), મૉર્નિંગ ગ્લોરી (Ipomoea palmata), આઇસક્રીમ વેલ (Antigonon leptopus) વગેરેનો સમાવેશ થાય છે. આ લતાઓ સુંદર સુગંધિત પુષ્પો આપે છે. બોગનવેલ(Bougainvillea spectabilis)ની જુદી જુદી જાતો કાષ્ઠીય લતાઓ છે. તેને કાપીને ક્ષુપ-સ્વરૂપે વિકસાવી શકાય છે. તેને પુષ્પો પુષ્કળ પ્રમાણમાં આવે છે અને દૂરથી ધ્યાન ખેંચે છે.

વૃક્ષો ઉદ્યાનનું સૌથી અનિવાર્ય અંગ છે. તેઓ ઉદ્યાનને એક જાતનું ગૌરવ અને ઠરેલપણું આપે છે અને તેને મર્યાદિત કરવામાં તેમજ તેની વિશાળતા વધારવામાં બંને રીતે ઉપયોગી છે. કેટલાંક વૃક્ષો સુગંધિત પુષ્પો આપે છે, તો અન્ય કેટલાંક સુંદર આકાર સર્જી આંખને આકર્ષે છે. કેટલાંક વૃક્ષો કોયલ, પોપટ અને મોર જેવાં આકર્ષક પક્ષીઓને આશ્રયસ્થાન આપે છે, તો કેટલાંક શીતળતા બક્ષતો છાંયો આપે છે. વૃક્ષોના કદ, આકાર અને રંગનું વૈવિધ્ય ઉદ્યાનના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. પાઇન, સ્પ્રુસ જેવાં સદાહરિત વૃક્ષો અને ઑક, મૅપલ અને બીચ જેવાં પર્ણપાતી વૃક્ષો વચ્ચેનું સંતુલન ઉદ્યાનને સુરક્ષા આપે છે અને સમગ્ર વર્ષ દરમિયાન ચક્ષુર્ગમ્ય મનોરંજન પૂરું પાડે છે.

અશોક (Saraca indica), કદંબ (Anthocephalus cadamba), બકુલ કે બોરસલ્લી (Mimusops elengi), બકાન લીમડો (Melia azadirach), ચંપો (Michelia champaka), બૂચ (Millingtonia hortensis) જેવાં વૃક્ષો સુગંધિત પુષ્પો આપે છે.

પીળાં પુષ્પોથી લચી પડતા ગરમાળા (Cassia fistula), પેલ્ટોફોરમ (Peltoforum pterocarpum), પારસપીપળો (Thespesia populnea); ગુલાબી પુષ્પથી આકર્ષક બનતા ગુલાબી કેસિયા(Cassia species)ની જાતો અને કચનાર (Bauhinia tomentosa); લાલ-કેસરી રંગનાં પુષ્પોથી છવાઈ જતો ગુલમહોર (Delonix regia); સફેદ-પીળા રંગનાં પુષ્પોથી લદાતો ખડચંપો (Plumeria acuminata); લાલ રંગનાં પુષ્પોથી સુંદર દેખાતા શીમળા (Salmalia malbarica), કૉર્ડિયા (Cordia sebestena), સ્પૅથોડિયા (Spathodea campanulata) અને કેસૂડા (Butea monosperma); ભૂરા રંગથી જુદાં તરી આવતાં જેકેરેન્ડા (Jacaranda acutifolia) – આ બધાં વૃક્ષોનો ઉદ્યાન-નિર્માણમાં અનોખો ફાળો હોય છે.

લીમડા (Azadirachta indica), આસોપાલવ (Polyalthia longifolia), શિરીષ (Albidzia lebbek), વડ (Ficus benghalensis), પીપળો (F. religiosa) વગેરે વૃક્ષોની છાયામાં શીતળતા અનુભવાય છે. રૉયલ પામ (Roystonea regia), ટ્રાવેલર્સ ટ્રી (Ravenala madagascariensis), ક્રિસ્ટમસ ટ્રી (Araucaria excelsa), ઊભા આસોપાલવ (પેન્ડ્યુલા) વગેરે વૃક્ષોનો દેખાવ જ મનોહર હોય છે. આ બધામાં આંબા (Mangifera indica), ચીકુ (Manilkara zapota), લીંબુ (Citrus limon), કરમદાં (Carissa carandas), આમલી (Tamarindus indicus), કમરખ (Averrhoa carambola), કાજુ (Anacardium occidantle), દેશી બદામ (Terminalia catappa) જેવાં ફળ આપતાં વૃક્ષો ઉમેરીએ તો ઉદ્યાનની પૂર્ણતા સધાય છે.

અસ્થાયી તત્વો : આ પ્રકારની વનસ્પતિઓમાં એકવર્ષાયુ, દ્વિવર્ષાયુ અને બહુવર્ષાયુ શાકીય જાતિઓનો અને કંદિલ વનસ્પતિઓનો સમાવેશ થાય છે. ક્રોટોન (Croton species), ઍકેલિફા (Acalypha species), ગરમર (Coleus species), મોરપંખી (Thuja orientalis), ડ્રેસિના (Dracaena species), ઍરેલિયા (Aralia species), ડફનબીકિયા (Dieffenbachia species), ટ્રેડસ્કેન્શિયા (Tradescantia species) વગેરેનાં પર્ણો બહુવર્ણી અને સુંદર હોય છે.

બહુવર્ષાયુ છોડ ઉપરાંત જુદી જુદી ઋતુના મોસમી છોડનાં રંગબેરંગી પુષ્પોનું આકર્ષણ કંઈક ઓર જ હોય છે. આ જાતિઓમાં ફ્લૉક્ષ (Phlox species), પ્રિયદર્શિની (Petunia violacea), ઍસ્ટર (Aster amellus), કેલેન્ડ્યુલા (Calendula officinalis), શ્વાનમુખી (Antirrhinum majus), ગુલખેરૂ (Althea rosea, હૉલીહૉફ), સૂરજમુખી (Helianthus annuus), હજારીગોટા (Tagetes erecta અને T. patula), ઝિનિયા (Zinnia angustifolia, Z. elegans), તનમનિયાં (ગુલમેંદી, Impatiens balsmina), કૉસ્મૉસ (Cosmos bipinnatus અને C. sulphureus), ગૅલાર્ડિયા (Gallardia species) બારમાસી (Catharanthus roseus) વગેરેનો સમાવેશ થાય છે. આ વનસ્પતિઓને એકાકી અથવા ઉદ્યાનની સીમાઓ તરીકે કે ક્યારીઓમાં ઉછેરવામાં આવે છે.

આકૃતિ 4 : ઉપોષ્ણકટિબંધીય ઉદ્યાન

કંદિલ વનસ્પતિઓમાં કંદ (bulb), વજ્રકંદ (corm), ગાંઠામૂળી (rhizome) અને ગ્રંથિલ (tuber) ધરાવતી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. ડુંગળી (Allium cepa) અને લસણ (A. sativum) કંદનાં ઉદાહરણો છે. સૂરણ (Amorphophalous campanulatus), વજ્રકંદ, બટાટા (Solanum tuberosum) ગ્રંથિલ, આદું (Zingiber officinale), હળદર (Curcuma domestica) અને કેના (Canna indica) વગેરે ગાંઠામૂળી છે. કેના, ગુલચબુ (Zephyranthus species), નાગદમણી (Crinum species), પૅન્ક્રેશિયમ (Pancratium species), નરગિસ (Narcissus tazetta) વગેરે ઉદ્યાનમાં શોભન જાતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.

અન્ય તત્વો : શૈલોદ્યાન (rockery, વિવિધ આકારે પથ્થરો ગોઠવી તેમની વચ્ચે શોભન-વનસ્પતિઓ ઉગાડવી) પાણીના હોજ, ઝરા, ફુવારા, કમાનો, રસ્તાની બાજુમાં કે સીમા પાસે કરેલી પથ્થરની હાર (curbing), પૂતળાં વગેરે અનેક તત્વોના ઉમેરાથી ઉદ્યાનની સુંદરતા વધારી શકાય છે.

ઉદ્યાન માટેના માર્ગદર્શક મુદ્દાઓ : (1) વિશાળતા : કેટલીક વખત બગીચામાં આડાઅવળા રસ્તા કરીને તેની વિશાળતા તોડી નાખવામાં આવે છે, જેથી ઉદ્યાનની સુંદરતા અને ઉપયોગિતા ઘટી જાય છે. આમ ઉદ્યાનના આયોજન દરમિયાન આ બાબત ધ્યાનમાં રાખવી આવશ્યક છે. જરૂર પડે તો માટી-પૂરણ કરીને ભૂમિને એક સમતલ કરવામાં આવે તો વિશાળતા ઘણી વધારી શકાય છે.

(2) ક્ષિતિજ રેખા (skyline) – જુદા જુદા છોડ કે વૃક્ષ અત્યંત નજીક રોપવાથી તેની ટોચની રેખા અતિશય ઊંચી કે અતિશય નીચી જાય છે. જેમ કુદરતી પર્વતોનો ઢોળાવ ક્રમશ: નીચો આવતો જાય છે, તેમ વૃક્ષોની ટોચ પણ ધીરે ધીરે નીચી આવે કે ઉપર જાય તે રીતે વૃક્ષો રોપવાં જરૂરી છે.

(3) વૈવિધ્ય : ઉદ્યાનમાં જુદી જુદી જગાએ જતાં કંઈક નવા છોડ, નવી રચના કે કોઈ નવો ખ્યાલ છતો થાય તો તે સુંદર લાગે છે. તેથી જુદી જુદી ઋતુમાં જુદાં જુદાં પુષ્પો જોવા મળે, ઉદ્યાનના જુદા જુદા ખૂણે લજામણી (Mimosa pudica), કપ-રકાબી (Holmskioldia sangainea), નાગફણી (મધર ઇન લૉઝ ટંગ, Sansevieria roxburghiana), કૃષ્ણકમળ (Passiflora species), સીતાફળ (Annona squamosa), રામફળ (A. reticulata), હનુમાનફળ (A. cherimola) વગેરે વિભિન્નતાદર્શી વનસ્પતિઓ હોય તો ઉદ્યાન આકર્ષક બને છે.

ઉદ્યાનના પ્રકારો

પુષ્પોદ્યાન : જોકે જુદા જુદા દેશોમાં પુષ્પોદ્યાનમાં ઉછેરવામાં આવતા છોડ જુદા જુદા હોવા છતાં તેનું મૂળભૂત આયોજન અને સિદ્ધાંતો લગભગ સરખાં હોય છે. ઉદ્યાન ઔપચારિક કે અનૌપચારિક હોઈ શકે. સુ-અભિકલ્પિત (well-designed) પુષ્પોદ્યાનમાં વૃક્ષો અને ક્ષુપો મુખ્ય સ્થાયી તત્વો છે. તેમની ફરતે રહેલી જગામાં શાકીય વનસ્પતિઓ, એકવર્ષાયુઓ અને કંદિલોની ગોઠવણી કરવામાં આવે છે. સપુષ્પ વૃક્ષો અને ક્ષુપોની વિવિધતાઓ વિપુલ પ્રમાણમાં હોય છે. આવાં વૃક્ષો પરિપક્વ બને ત્યારે તેઓ કેટલો વિસ્તાર રોકે છે, તે મહત્વનું છે. 30 મી.ની ઊંચાઈ અને 15 મી. આરપાર વિસ્તાર રોકતું જંગલનું વૃક્ષ નાના ઉપનગરીય (suburban) ઉદ્યાન માટે મહત્વનું નથી, પરંતુ ચેરી (Prunus species) અને ઑસ્ટ્રેલિયન બૉટલબ્રશ (Callistemon lanceolatus) જેવાં સાંકડાં વૃક્ષો તદ્દન યોગ્ય ગણાય છે. ઉદ્યાનમાં પ્રસુપ્ત (dormant) અવસ્થામાં રહેલાં ખુલ્લાં મૂળવાળાં વૃક્ષો અને ક્ષુપો સૌથી શ્રેષ્ઠ સમુચ્ચય ગણાય છે. કૂંડામાં કે માટીમાં ઉગાડેલા છોડનો કોઈ પણ સમયે ઉછેર થાય છે.

ઉદ્યાનના આયોજનમાં વનસ્પતિઓ અને રંગોનું મિશ્રણ અને વિપર્યાસ અત્યંત મહત્વનાં પાસાં ગણાય છે. શાકીય સીમા(herbaceous border)ના જૂના પ્રકારમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન રંગોનું મહત્તમ પ્રદર્શન કરવામાં આવતું હતું; પરંતુ હવે વસંતઋતુની શરૂઆતમાં આવી સીમાઓની વનસ્પતિઓ પુષ્પનિર્માણ કરે તેવી ગોઠવણી કરવામાં આવે છે. તે માટે વહેલાં પુષ્પ આપતી કંદિલ જાતિઓનું સમૂહમાં રોપણ કરાય છે. સપુષ્પ ક્ષુપ જાતિઓને શાકીય શોભન-જાતિઓ સાથે ઉછેરીને તૈયાર કરવામાં આવતી મિશ્ર સીમાઓ પણ ખૂબ જાણીતી બની છે અને પૂર્ણ શાકીય સીમાઓ કરતાં મિશ્ર સીમામાં ઘણી ઓછી કાળજી રાખવી પડે છે. ગ્રીષ્મ ઋતુ દરમિયાન એકવર્ષાયુઓ દ્વારા બનતી સીમાઓ અત્યુત્તમ હોય છે; પરંતુ જો સીમા મોટી હોય તો અર્ધ-સહિષ્ણુ (half-hardy) વનસ્પતિઓની વાવણી, છાંટણી (thinning), નિભાવ (supporting) અને રોપણી પુષ્કળ મજૂરી માગે છે. વસંતઋતુમાં પુષ્પ આપતી કંદિલ જાતિઓની ખાલી પડેલી જગાઓ ભરવા વસંતઋતુના અંતમાં અર્ધ-સહિષ્ણુ એકવર્ષાયુઓના સમૂહની રોપણી કરી શકાય. આવી સીમાઓના પાછળના ભાગમાં ગુલાબની નાની મોટી જાતો ઉગાડવામાં આવે છે. હાઇબ્રીડ ટી રોઝ, ફ્લૉરીબંડા અને પૉલિયૅન્થા રોઝ ગુલાબની અલગ ક્યારીઓમાં કે ગુલાબના ઉદ્યાનમાં ઉછેરાય છે.

વનભૂમિ (woodland) ઉદ્યાનો : અનૌપચારિક વનભૂમિ-ઉદ્યાન પહેલાના સમયમાં ક્ષુપીય અરણ્યનો નૈસર્ગિક વંશજ છે. અનૌપચારિકતા અને નૈસર્ગિકતા વનભૂમિ-ઉદ્યાનનું સારતત્વ છે. તેના માર્ગો સીધા હોવાને બદલે વળાંકવાળા અને પગદંડીને બદલે ઘાસ કે બિછાતના બનેલા હોય છે. પૂરતો પ્રકાશ પ્રાપ્ત થાય તે માટે વૃક્ષોને છાંટવામાં આવે છે, છતાં તેમનાં જૂથો અનિયમિત હોય છે અને કોઈ પણ મોટું વૃક્ષ જલદી નજરે ચઢે છે. જે તે દેશની વનભૂમિની મૂલનિવાસી વનસ્પતિઓ જેવી કે રહોડોડેન્ડ્રૉન, મૅગ્નોલિયા, પાઇરિસ (pieris) અને મૅપલ જેવાં વૃક્ષો અને ક્ષુપો; લીલી, ડૅફોડિલ, અને સ્નોડ્રૉપ જેવી કંદિલ જાતિઓ; પ્રાઇમરોઝ, હૅલેબોર, સૅંટ-જ્હૉન વર્ટ, એપીમિડિયમ અને અન્ય શાકીય વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે છે.

આકૃતિ 5 : શૈલોદ્યાન

વનભૂમિ-ઉદ્યાન સામાન્ય ઉદ્યાન કરતાં ઓછો ખર્ચાળ હોય છે અને મજૂરી પણ બચાવે છે.

શૈલોદ્યાન : શૈલોદ્યાન ખડકાળ પહાડ કે તેના ઢોળાવના એક કુદરતી ભાગ જેવું ર્દશ્ય આપે છે. પહોળા ખડક કે પથ્થર ઉપર નાના-મોટા પથ્થરો કુદરતી સ્તરો સ્વરૂપે ગોઠવવામાં આવે છે. ઘણા નાના ખડકોને બદલે થોડાક મોટા ખડકો વધારે સારા લાગે છે. સારા અભિકલ્પિત શૈલોદ્યાનમાં ખડકો એવી રીતે ગોઠવવામાં આવે છે, જેથી રૉક રોઝ જેવી પ્રકાશ-સહિષ્ણુ (sun-tolerant) અને પ્રિમ્યુલા જેવી છાયા-સહિષ્ણુ (shade-tolerant) વનસ્પતિઓને વિવિધ રીતે ખુલ્લો પ્રકાશ મળે. ખડકો વચ્ચે રહેલી ઊભી ખાંચોમાં નાના બહુવર્ષાયુ છોડ ઉગાડી શકાય છે.

શૈલોદ્યાનમાં ઉપયોગમાં લેવાતા ખડકો વાલુકાશ્મ (sandstone) અને ચૂના-પથ્થર (limestone) પ્રકારના હોય છે. વાલુકાશ્મ ઓછા અનિયમિત અને ખાડાવાળા હોય છે અને વધારે કુદરતી લાગે છે. ડાયન્થસ જેવી કેટલીક જાતિઓ ચૂના-પથ્થરમાં સારી રીતે ઊગે છે. કણાશ્મ (granite) અત્યંત સખત ખડક હોવાથી અને તેનું ખવાણ અત્યંત ધીમું થતું હોવાથી શૈલોદ્યાન માટે અયોગ્ય ગણાય છે.

જલોદ્યાન : ઉદ્યાનોના પ્રકારોમાં જલોદ્યાન સૌથી જૂના પ્રકારો પૈકીનો એક છે. ઈ. પૂ. 2000 વર્ષ જેટલા જૂના સમયનાં ચિત્રો અને પુરાવાઓમાં કમળ(Nymphaea)નો ઉલ્લેખ છે. જાપાનીઓએ પણ ઘણી સદીઓથી તેમની પોતાની વિશિષ્ટ ભાતવાળા જલોદ્યાન બનાવ્યા છે. તેની મધ્યમાં જાપાની ફાનસ ધરાવતો ખડક હોય છે. પાણીમાં બધી દિશામાં પ્રસરતી વિસ્ટેરિયાની જાલ (trellis) જોવા મળે છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં ચોરસ કે ગોળાકાર ઔપચારિક કુંડ સ્વરૂપથી માંડી અનૌપચારિક પ્રકારના જલોદ્યાન વિકસાવવામાં આવે છે. ઔપચારિક પ્રકારના જલોદ્યાનની મધ્યમાં કેટલીક વાર ફુવારો મૂકવામાં આવે છે અને તે વનસ્પતિરહિત હોય છે અથવા ફક્ત એક કે બે કમળ ઉગાડવામાં આવે છે. અનૌપચારિક પ્રકારના જલોદ્યાનના કુંડ અનિયમિત આકારના હોય છે અને તેમાં કમળ તેમજ અન્ય જલીય વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે. તેમની ફરતે પંકિલ વિસ્તારોમાં ભેજ-સહિષ્ણુ વનસ્પતિઓ વાવવામાં આવે છે. કુંડમાં ઑક્સીકરણ કરતી વનસ્પતિઓ ઉગાડવામાં આવતાં પાણી સ્વચ્છ રહે છે અને કોઈ પણ પ્રકારની આગંતુક (introduced) માછલીઓ જીવી શકે છે. મોટા કમળ સહિતની મોટાભાગની જલજ વનસ્પતિઓ શાંત પાણીમાં 0.75 મી.થી 1.5 મી.ની ઊંડાઈએ સારી રીતે થાય છે. કમળને ટોપલીઓમાં કે તળિયે કાદવમાં ઉગાડાય છે. નવા રોપણના કિસ્સામાં જ્યાં સુધી વનસ્પતિઓ પરિપક્વ ન બને અને સમગ્ર ઊંડાઈએ વૃદ્ધિ પામે ત્યાં સુધી ક્રમશ: પાણી ઉમેરવામાં આવે છે. સમશીતોષ્ણ કમળ સમગ્ર દિવસ દરમિયાન ખીલેલાં રહે છે, જ્યારે ઉષ્ણ અને ઉપોષ્ણ કમળની જાતિઓ માત્ર સાંજે જ ખીલે છે.

સમશીતોષ્ણ દેશોમાં કાચ હેઠળ જલોદ્યાન બનાવવામાં આવે છે અને કુંડને ગરમ રાખવામાં આવે છે. આવા કિસ્સાઓમાં ઉષ્ણકટિબંધીય જાતિઓ જેવી કે Victoria amazonica (V. regia) કે કમળ (Nelumbo nucifera) અને કિનારીએ બરુ ઉછેરવામાં આવે છે. કુંડની કિનારીએ કાદવયુક્ત વિસ્તારમાં કૅન્ડેલેબ્રા, પ્રિમ્યુલા, કાલ્થા, આઇરિસ અને ઑસ્મુન્ડા (હંસરાજ) જેવી અત્યંત સુંદર જાતિઓ ઉગાડાય છે.

શાકીય (herbaceous) અને શાકભાજીઉદ્યાન : મોટાભાગના મધ્યકાલીન ઉદ્યાનો અને પ્રારંભિક વનસ્પતિ-ઉદ્યાનોમાં ખોરાકને સ્વાદિષ્ટ અને સોડમવાળો બનાવવા માટે અજમો, વરિયાળી, માર્જેરેના (Origanum અને Marjorana) અને સવા જેવી વનસ્પતિઓ અને ઔષધીય હેતુઓ માટે શાકીય જાતિઓ ઉછેરવામાં આવતી હતી. રસોડાનાં બારણાં પાસે તૈયાર કરેલો નાનો શાકીય ઉદ્યાન સુંદરતા આપવાની સાથે સાથે ઉપયોગી પણ બને છે. શાકીય ઉદ્યાન એટલે રાંધવામાં જરૂરી શાકીય વનસ્પતિઓ ધરાવતો ઉદ્યાન. આ ઉદ્યાનમાં ઔષધીય પાસું ભાગ્યે જ વિચારવામાં આવે છે. શાકીય અને શાકભાજી-ઉદ્યાન માટે સામાન્ય રીતે ખુલ્લા પ્રકાશવાળી જગા જરૂરી છે; કેમ કે, મોટાભાગની વનસ્પતિઓ ઉષ્ણ અને શુષ્ક પ્રદેશોની મૂલનિવાસી હોય છે.

શાકભાજી-ઉછેર ઘણા ઉદ્યાનનું એક અંગ હોય છે. શાકભાજીઓની સારી વૃદ્ધિ માટે વાવણી અને મૃદાની તૈયારી મહત્વની છે અને કૃષિની જેમ આ ઉદ્યાનમાં પણ પાકની ફેરબદલી ઇચ્છનીય હોય છે. શાકભાજીની ફેરબદલીનો સામાન્ય સમયગાળો ત્રણ વર્ષનો હોય છે; જેથી કેટલાક જંતુઓ અને રોગો સામે રક્ષણ મેળવી શકાય.

જૂનો ફ્રેંચ પૉટેજર મૂલ્યવાન શાકભાજી-ઉદ્યાન ગણાય છે, જેમાં નાની વાડવાળી ટૂંકી હરોળો અને ઉછેરની ઊંચી કક્ષા શાકભાજી-ઉછેરની કલાનું મૉડેલ દર્શાવે છે. શેટો દ વિલેન્ડ્રીનો વિસ્તીર્ણ પાર્ટેર (parterre) યુરોપનો સુંદર શાકભાજી-ઉદ્યાન ગણાય છે.

પ્રદર્શન માટે શાકભાજી-ઉછેર એક અલગ કૌશલ ગણાય છે. તે સામાન્ય શાકભાજી-ઉદ્યાનના પ્રબંધ કરતાં વધારે કાળજી માગે છે.

અગાશીઉદ્યાનો : સ્થાપત્યના આધુનિક વલણને કારણે ખાનગી ઘરો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર જેવી વ્યાપારિક ઇમારતો ઉપર આકર્ષક અગાશી-ઉદ્યાનનો વિકાસ સંભવ બન્યો છે. આ ઉદ્યાન માત્ર જમીનની ઊંડાઈ સિવાય અન્ય ઉદ્યાનોના સિદ્ધાંતોને અનુસરે છે. અગાશી-ઉદ્યાનની મૃદાની ઊંડાઈ ઓછી હોય છે. તેથી ઉછેરવામાં આવતી વનસ્પતિઓના કદમાં મર્યાદા આવે છે. વનસ્પતિઓને સામાન્યત: કૂંડાંઓમાં કે અન્ય પાત્રોમાં ઉગાડવામાં આવે છે. કેટલીક વાર નાના કુંડવાળા અને ક્યારીઓ ધરાવતા અગાશી-ઉદ્યાન પણ વિકસાવવામાં આવે છે. ક્યારીઓમાં ઉછેરવામાં આવેલી સપુષ્પ જાતિઓ પૈકીની કેટલીકને કૂંડાંમાં ઉગાડી વિશિષ્ટ અસર ઉત્પન્ન કરવામાં આવે છે.

અંત:કક્ષ (indoor) ઉદ્યાન : મોટાભાગના અંત:કક્ષ ઉદ્યાનોમાં અંત:કક્ષ-જીવનને યોગ્ય હોય તેવી શોભન-જાતિઓ ઉગાડવામાં આવે છે. અંત:કક્ષ ઉદ્યાનોના બે પ્રકારો છે : (1) ગૃહ-વનસ્પતિઓનો સંગ્રહ (collection of house plants) અને (2) સ્થળજીવશાલા (terranium).

ગૃહવનસ્પતિઓનો સંગ્રહ : આ સંગ્રહ માટે એક કે તેથી વધારે વનસ્પતિઓને કૂંડાંઓમાં કે અન્ય ખુલ્લાં પાત્રોમાં ઉગાડવામાં આવે છે. ઘરમાં ઉછેરી શકાય તેવી અનેક શોભન-વનસ્પતિઓ હોય છે. તેઓ વિવિધ રંગો, આકારો અને કદ ધરાવતી જાતિઓ હોય છે. આવી જાતિઓને હૂંફાળું વાતાવરણ અનુકૂળ હોય છે, છતાં તેમની વૃદ્ધિ માટે તીવ્ર પ્રકાશ જરૂરી હોતો નથી. ઘરના કદ ઉપર આધાર રાખી તેમનું યોગ્ય કૃંતન (pruning) કરી છોડોનું કદ જાળવવામાં આવે છે. ઘર અને આબોહવાને અનુકૂળ શાકીય જાતિઓની પસંદગી મહત્ત્વની છે.

સ્થળજીવશાલા : આછા રંગના કાચ કે પ્લાસ્ટિક વડે ઢાંકેલા પાત્રમાં નાની શોભન-જાતિઓ સાથે ઉછેરવામાં આવે છે. તે ગૃહ-વનસ્પતિઓના સંગ્રહનો એક ભાગ હોઈ શકે. જો સ્થળજીવશાલા યોગ્ય રીતે બનાવેલી હોય તો તેને વધારે કાળજીની જરૂરિયાત રહેતી નથી.

સુગંધિત (scented) ઉદ્યાનો : ઘણા લોકો પુષ્પોમાં રહેલી સુગંધીને ખૂબ પસંદ કરે છે. કેટલાક ઉદ્યાનોમાં અંધજનોના લાભાર્થે ઉદ્યાનમાં આવી સુગંધી આપતી વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે, જેથી તેઓ આનંદ પ્રાપ્ત કરી શકે. ખાસ કરીને વનસ્પતિનાં પર્ણો કે પુષ્પો સુવાસ આપે છે. તેઓ કેટલીકવાર દેખાવે સુંદર પર્ણો કે પુષ્પો ધરાવતી હોતી નથી. જોકે અંધજન માટે પુષ્પની સુંદરતા ઉપયોગી તત્વ નથી. આવા ઉદ્યાનોમાં વનસ્પતિઓને સરળતાથી સ્પર્શી શકાય તે માટે ઊંચી ક્યારીઓ બનાવાય છે. કેટલીક વનસ્પતિઓ તીવ્ર સૂર્યપ્રકાશમાં સુગંધી આપે છે.

ગૃહવનસ્પતિઓના પ્રકારો

અંદર પર્ણસમૂહ ધરાવતી વનસ્પતિઓ : ઍરોઇડ કુળની જાતિઓ જેવી કે Monstera deliciosa, Philodendron pertusum (સ્વિસ ચીઝ પ્લાન્ટ), Dieffenbachia (ડમ્બ કેન), Aglaonema (ચાઇનિઝ એવરગ્રીન), Scindapsus (પૉથોસ), Spathiophyllum (પીસ લીલી), Anthuriam (ફ્લેમિંગો ફ્લાવર), Caladium વગેરે રંગીન પર્ણસમૂહ ધરાવે છે અને તેઓ દીર્ઘાયુષી હોય છે.

બિગોનિયાની વિવિધ જાતિઓ (Begonia metallica, B. masoniana અને B. serratipetala) Maranta (પ્રેઅર પ્લાન્ટ), Calathea makoyana (પીકૉક પ્લાન્ટ), Codiaeum (ક્રોટોન), અને Coleus (કૉલિયસ) વગેરે બહુવર્ણી પર્ણસમૂહ ધરાવે છે. Pilea cadierci(ઍલ્યુમિનિયમ પ્લાન્ટ)નાં પર્ણો રસાળ અને રૂપેરી છાંટવાળાં હોય છે.

બ્રોમેલિયેસી કુળની જાતિઓ વૃક્ષ કે ખડક ઉપર પરરોહી તરીકે અથવા જંગલની ફરસ ઉપર થાય છે અને ચર્મિલ, અંતર્ગોળ, અનોખા અભિકલ્પવાળાં કે બહુવર્ણી પર્ણોનો ગુચ્છ ધરાવે છે. Neoregelia અને Nidulariumનાં અંદરનાં પર્ણો ચળકતા કિરમજી રંગવાળાં હોય છે. Acchmea અને Guzmaniaની જાતિઓ રંગીન શુકી (spike) કે મુંડક (head) પ્રકારનો પુષ્પવિન્યાસ અને દીર્ઘસ્થાયી ચર્મિલ નિપત્રો (bracts) કે ચમકીલાં અનષ્ઠિલ ફળો ધરાવે છે. Billbergiaની જાતિમાં વાદળી રંગનાં પુષ્પવાળો સુંદર પુષ્પવિન્યાસદંડ હોય છે; જે ઘણી વાર લટકતો હોય છે. Tillandsia અને Vrieseaમાં ભાલાકાર, રંગીન, ચપટી પુષ્પીય શુકી હોય છે. Cryptanthus (અર્થસ્ટાર) વધતે ઓછે અંશે ચપટો, ગુચ્છિત (rosette) આકર્ષક પર્ણીય અભિકલ્પ ધરાવે છે. તે કર્બુરિત (mottled), પટ્ટિત (striped) અથવા લીલા અને તામ્ર વર્ણ ઉપર રૂપેરી રંગના વાઘ જેવા ચટાપટાવાળો હોય છે.

આકૃતિ 6 : કૅલિફૉર્નિયન કૅક્ટસ-ઉદ્યાન

રસાળ વનસ્પતિઓ : રસાળ શોભન-વનસ્પતિઓમાં કૅક્ટસની વિવિધ જાતિઓ જેવી કે Epithelantha (નાનો બટર્ન કૅક્ટસ), Mammillaria (પિનકુશન કૅક્ટસ), Parodia (ટૉમ થમ્બ કૅક્ટસ), Rebutia (પિગ્મી કૅક્ટસ), Gymnocalycium (ચિન કૅક્ટસ), Notocactus (બૉલ કૅક્ટસ), Echinocactus (બેરલ કૅક્ટસ), Opuntia (ફાફડાથોરની જાતિઓ) અને Cephalocereus-(ઑલ્ડમૅન કૅક્ટસ)નો સમાવેશ થાય છે. રાત્રે ખીલતી રણની Cereus અને તેની સંબંધિત કેટલીક પ્રજાતિઓ રણમાં થતા મહાકાય કૅક્ટસ છે; જેમ કે, Carnegiea (સેગ્વારો) 15 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે.

કૅક્ટસ સિવાયની રસાળ વનસ્પતિઓમાં Euphorbiaની વિવિધ જાતિઓ (વાડથોર, ખરસાણી થોર, ચોધારો કે ત્રિધારો થોર) કૅક્ટસ જેવું જ સ્વરૂપ ધરાવે છે. કુંવારપાઠા(Aloe vera)માં પર્ણો રસાળ હોય છે અને તે ઔષધ તરીકે પણ વપરાય છે. Kalanchoe tomentosa(પેન્ડા પ્લાન્ટ, જખ્મે હયાત)ની જાતિ, Bryophyllum pinnatum (પાનફૂટી) અને Crassula(જેડ પ્લાન્ટ)માં ટપકાંવાળાં પર્ણો હોય છે. Sanseviera કૂંડામાં ઉગાડી શકાય તેવી ટકાઉ વનસ્પતિ છે. જ્યાં અત્યંત ઓછી વનસ્પતિઓ સફળતાપૂર્વક થઈ શકે તેવાં સ્થાનોએ તે સારી રીતે ઊગી શકે છે.

વૃક્ષો : ડ્રેસીનાની જુદી જુદી જાતિઓ (Dracaena marginata, D. deremensis (વૉર્નકી), D. sanderiana), Pandanus veitchii વગેરે ઘરમાં શોભન-વૃક્ષ તરીકે ઉગાડાતી જાતિઓ છે. કેટલીક ઉપોષ્ણ સદાહરિત જાતિઓ અંત:કક્ષ વનસ્પતિઓ તરીકે ઠંડી આબોહવામાં ઉછેરી શકાય છે; જેમાં Araucaria heterophylla કે A. excelsa (નૉરફોક આઇસલૅંડ પાઇન) સુંદર શંકુદ્રુમ વૃક્ષ છે. તે સ્તરિત શાખાઓ ધરાવે છે અને દીવાનખાનામાં ખૂણાઓમાં આકર્ષક લાગે છે. Podocarpus (સોમ્બર બુદ્ધનો પાઇન) ઘેરા લીલા રંગનાં સોયાકાર પર્ણોના ઘટ્ટ પિરામિડ બનાવે છે.

Brassia actinophylla (ક્વિન્સલૅંડ અમ્બ્રેલા ટ્રી) પહોળાં પર્ણોવાળું કાષ્ઠીય સદાહરિત વૃક્ષ છે. તે પંજાકારે છેદન પામેલાં ચળકતાં લીલાં પર્ણોના વિસ્તૃત મુકુટ ધરાવે છે. Polyscias fruticosa(મિંગ એરાલિયા)માં અમળાયેલાં મખમલી પ્રકાંડ અને હંસરાજ જેવો સુંદર પર્ણસમૂહ હોય છે.

ઘરોમાં અને કાર્યાલયોમાં રબરવૃક્ષ(Ficus elastica)નો ઉપયોગ થાય છે. તેનાં પર્ણોની વૃદ્ધિ માટે સારા પ્રમાણમાં પ્રકાશ જરૂરી છે. આ જાતિનાં પર્ણો પહોળાં હોય છે. તેના સ્વરૂપને કારણે તે વધુ આકર્ષક લાગે છે. F. benjamina, F. retusa અને F. nitida નાનાં પર્ણો ધરાવતી જાતિઓ છે. F. lyrata(F. pandurata)નાં પર્ણો ખૂબ મોટાં અને વીણાકાર હોય છે. Coccoloba (દરિયાઈ દ્રાક્ષ) Ficus સાથે સામ્ય ધરાવે છે. તેનાં ચર્મિલ અને ગોળાકાર પર્ણો કિરમજી રંગની શિરાઓ ધરાવે છે.

ભવ્યતા અને મનોહર સુંદરતાને કારણે કેટલીક તાડની જાતિઓનો અંત:કક્ષ ઉદ્યાનોમાં ઉછેર કરવામાં આવે છે. સ્વર્ગનું તાડ (Howeia, કે Kentia) ઉમદા વનસ્પતિ છે. તેનાં પર્ણો જાડાં અને ચર્મિલ હોય છે. તેનો દેખાવ અત્યંત મનમોહક હોય છે. Chamaedoreaની જાતિઓ પણ ખૂબ મશહૂર છે. તેઓ અંધકારવાળી જગામાં પણ થઈ શકે છે. સોપારી-તાડ (Chrysalidocarpus) પીળું પ્રકાંડ અને ખીચોખીચ ગોઠવાયેલાં પીંછાકાર પર્ણોનો સમૂહ ધરાવે છે. પિગ્મી-ખજૂર(Phoenix roebelenii)નાં પર્ણો સુંદર વળાંકવાળાં અને ઘેરા લીલા રંગનાં હોય છે

હંસરાજ : હંસરાજ તેનાં સુંદર પીંછાકાર પર્ણોને લઈને વિશિષ્ટ સ્વરૂપ ધરાવે છે. ઘર અને કાર્યાલયમાં ઉગાડાતી તેની વિવિધ જાતિઓમાં સ્વૉર્ડ ફર્ન (Nephrolepis), હોલી ફર્ન (Cyrtomium), લેધર ફર્ન (Rumohra), પક્ષીનો માળો (Asplenium nidus), ઘોડીનો પગ (Polypodium), મેઇડન્સ હેર (Adiantum), Pteris, Pellaea, સ્ટૅગોર્ન ફર્ન (Platycerium) અને તાડનાં જેવાં પર્ણો ધરાવતા Cibotiumનો સમાવેશ થાય છે. શતાવરી(Asparagus)ની વિવિધ જાતિઓ દેખાવે હંસરાજ જેવી હોય છે. Selaginella સ્થળજીવશાલામાં ઉગાડવામાં આવે છે.

લતાઓ અને તલસર્પીઓ (trailers) : આઇવી (Hedera), Cissus rhombifolia (ગ્રેપ આઇવી), C. antarctica (કાંગારુ લતા) જેવી લતાઓ પણ ઘરને સુશોભિત બનાવે છે. Tradescantia (ઇંચ પ્લાન્ટ), Zebrina (વૉન્ડરિંગ જ્યૂ) સ્પાઇડર પ્લાન્ટ (Chlorophytum કે Anthericum) કૂંડામાં કે ટોપલીઓમાં વાવવામાં આવે છે. તેનાં રિબન જેવાં પર્ણો ગુચ્છ સ્વરૂપે ગોઠવાયેલાં અને અત્યંત આકર્ષક રંગ ધરાવે છે.

સપુષ્પ વનસ્પતિઓ : મોટાભાગની કૂંડામાં ઉગાડવામાં આવતી સપુષ્પ વનસ્પતિઓ એક ઋતુ પૂરતું જ જીવિત રહે છે. તેઓને વધારે તીવ્રતાવાળો પ્રકાશ, પાણી અને દિવસ-રાતના તાપમાનમાં તફાવત જરૂરી હોય છે. ઘરમાં આ શક્ય નથી. જોકે કેટલીક અપવાદરૂપ સપુષ્પ વનસ્પતિઓ છે; જેમ કે, આફ્રિકન વાયોલેટ (Santpaulia), પાર્લર મૅપલ (Abutilon) બીઝી-લીઝી (Impetians), રોઝ-મેલો (Hibiscus), જિરાનિયમ (Pelargonium) વગેરે સુંદર પુષ્પ આપતી જાતિઓ છે.

પ્રકાશિત બારીઓ પાસે Hippeastrum (Amaryllis), Clivia (કાફિર લીલી), Haemanthus (બ્લડ ફ્લાવર), Neomarica (ઍપોસ્ટલ પ્લાન્ટ), Veltheimia (ફૉરેસ્ટ લીલી) જેવી કંદિલ જાતિઓ ઉગાડવામાં આવે છે.

ઑર્કિડની જાતિઓના ગૃહ-સુશોભન માટે સફળતાપૂર્વકનો ઉછેર કરવો વધારે મુશ્કેલ છે, કારણ કે પ્રકાશ, નિયંત્રિત તાપમાન, પૂરતો ભેજ અને હવાની અવરજવર વગેરે તેની વિશિષ્ટ જરૂરિયાતો છે. જોકે સામાન્ય સંભાળ રાખતાં થઈ શકે તેવી ઑર્કિડની પરરોહી (epiphytic) Epidendrumની જાતિઓ અને Oncidiumની જાતિઓ (બટરફ્લાય ઑર્કિડ) ઘરમાં તૈયાર કરી શકાય છે.

ખાદ્યફળો આપતી દ્વિદલ (double) જાત Begonia semperflorens (રોઝ બીગોનીઆ) બારી પાસે ઉગાડી શકાય છે. કૅલેમોન્ડીન ઑરેન્જ (Citrus mitis), ડ્વાર્ફ ચાઇનિઝ લેમન (C. limon, મેયરી), અમેરિકન-વંડર લૅમન (C. limon ‘Ponderosa’), પૂરતો પ્રકાશ અને હવાની અવરજવર થઈ શકે તેમ હોય તો તેઓને ઘરમાં સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. જો પૂરતી જગા હોય તો અંજીર (Ficus carica), ચાઇનિઝ ડ્વાર્ફ બનાના (Musa nana), ડ્વાર્ફ પૉમેગ્રેનેટ (Punica granata nana) અને પાઇનેપલ (Ananas comosus) અને કૉફી(Coffea arabica)નો ઉછેર કરવામાં આવે છે.

ઉદ્યાનના વિકાસ માટેની જરૂરિયાતો :

મૃદા (soil) : બધી જ વનસ્પતિઓના ઉછેરમાં મૃદા એક પાયાનું પરિબળ છે; છતાં કેટલાક વિશિષ્ટ કિસ્સાઓમાં યોગ્ય રસાયણોવાળાં પાણી, કાંકરાઓ, કે રેતીમાં છોડને સફળતાપૂર્વક ઉગાડી શકાય છે.

માટી અને રેતીના મિશ્રણવાળી મધ્યમ ગોરાડુ મૃદા ઉદ્યાન માટે આદર્શ ગણાય છે. તે પૂરતા પ્રમાણમાં પાંસુક (humus) ધરાવતી હોવી જરૂરી છે. તે સરળતાથી ખોદી શકાય તેવી હોવી જોઈએ અને જ્યારે શુષ્ક બને ત્યારે તે ઢેફા વિનાની રહેવી જોઈએ. મૃદાની ઘટ્ટતા (consistency) મહત્વની છે, કારણ કે છિદ્રાળુ અને યોગ્ય રીતે ખેડેલી મૃદાને લીધે મૂળ સરળતાથી અને ઝડપથી ઊંડે પ્રવેશી શકે છે. બીજું મૃદાનું મહત્ત્વનું પરિબળ અમ્લીયતા કે ઍલ્કલીયતા છે; જે સામાન્યત: pH આંક દ્વારા દર્શાવાય છે. 7થી ઓછો pH આંક હોય તો મૃદા અમ્લીય અને 7થી વધારે pH આંક હોય તો ઍલ્કલી ગણાય છે. મૃદાની ઍલ્કલીયતા મુક્ત કૅલ્શિયમ કાર્બોનેટ કે તેના જેવા ઍલ્કલી ક્ષારને કારણે ઉત્પન્ન થાય છે.

પોષણ : ફળદ્રૂપન : જલસિંચન : વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી તત્ત્વોનો પૂરતો પુરવઠો અને મૂળ રોમો દ્વારા આ તત્વોને દ્રવણીય સ્થિતિમાં સહેલાઈથી શોષી શકાય તેટલા પાણીનો જથ્થો પ્રાપ્ય બને તો મહત્તમ લાભ મેળવી શકાય. નાઇટ્રોજન, સલ્ફર પોટૅશિયમ અને ફૉસ્ફરસ વનસ્પતિ દ્વારા ક્ષારોના સ્વરૂપમાં શોષવામાં આવે છે. મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ, તાંબું, જસત, બોરોન, મોલિબ્ડેનમ, સોડિયમ, ક્લોરિન વગેરે અત્યંત અલ્પ જથ્થામાં જરૂરી તત્વો છે.

ફાર્મયાર્ડ ખાતર કે મિશ્ર ખાતર દ્વારા મોટાભાગની ઉપર્યુક્ત જરૂરિયાતો પૂરી પડે છે. આ ખાતરોની જોકે ઘણી વાર અછત હોય છે અને ઘણા વિસ્તારોમાં ખર્ચાળ પણ હોય છે, તેથી ખનિજ-ખાતરો અને કાર્બનિક ખાતરોનો ઉપયોગ જરૂરી બને છે. મૃદાની ફળદ્રૂપતા ઉપર ઘણાં આંતરસંબંધિત પરિબળો કાર્ય કરતાં હોવાથી ચોક્કસ પ્રકારના પાકની જરૂરિયાતો અને મૃદાની ન્યૂનતાઓને આધારે જુદાં જુદાં ખાતરો યોગ્ય પ્રમાણમાં અને સંતુલનમાં આપવાં જોઈએ. જુદા જુદા પાકોની ખાતરોની જરૂરિયાત જુદી જુદી હોય છે. મિશ્ર ખાતરો અને શાકભાજીના કચરામાંથી કોહવાટ પામતું કાર્બનિક દ્રવ્ય મૃદાને પોષક તત્વો અને પાંસુક પૂરાં પાડે છે.

મોટાભાગના સમશીતોષ્ણ દેશોમાં ખાતરો પાનખર ઋતુમાં આપવામાં આવે છે, છતાં અપતૃણ-નિયંત્રણ (weed control) માટે વસંતઋતુમાં તેનો ઘાસપાત-છાદન (multch) તરીકે પણ ઉપયોગ થાય છે. પાનખર ઋતુમાં આ ઘાસપાત-છાદન ખોદીને મૃદા સાથે મિશ્ર કરવામાં આવે છે.

નવી ઉગાડેલી વનસ્પતિઓનું અને શુષ્કતા દરમિયાન બધી જ વનસ્પતિઓનું જલસિંચન ઉદ્યાનવિદ્યાનું અનિવાર્ય કાર્ય ગણાય છે. મૃદાની સપાટી ઉપરના જલ-છંટકાવ કરતાં ઊંડા અને પૂર્ણ જલસિંચન દ્વારા વનસ્પતિની વૃદ્ધિના દરમાં ઘણો સુધારો થઈ શકે છે. પાણી દ્વારા ખનિજો દ્રાવ્યસ્થિતિમાં વનસ્પતિને પ્રાપ્ય બને છે. અઠવાડિયામાં એક વાર 2.5 સેમી. જેટલા આપવામાં આવેલા પાણીનું મૃદામાં લગભગ 15 સેમી. જેટલું સ્રવણ (percolation) થાય છે. ઉદ્યાનની ઘણી શાકીય વનસ્પતિઓ માટે આ લઘુતમ નિર્વાહ(subsistence)-જથ્થો છે. નાનાં વૃક્ષો અને ક્ષુપને આનાથી વધારે પાણીના જથ્થાની જરૂરિયાત હોય છે. અઠવાડિયામાં એક વાર પૂર્ણ અને ઊંડા જલસિંચનથી વનસ્પતિઓનાં મૂળ મૃદામાં ઊંડે સુધી જાય છે. તેથી શુષ્ક સપાટીવાળી પરિસ્થિતિમાં તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શકે છે.

રક્ષણ : ઘણીખરી વનસ્પતિઓમાં નીચું  તાપમાન સહન કરવાની ચોક્કસ ક્ષમતા હોય છે. આ નિશ્ચિત સહિષ્ણુતા (tolerance) આંકથી નીચા તાપમાને તેઓ મૃત્યુ પામે છે. ઘણી ઉષ્ણ અને ઉપોષ્ણકટિબંધીય વનસ્પતિઓ હિમ-સંવેદી (frost-sensitive) હોય છે અને 0o સે. તાપમાને મૃત્યુ પામે છે. અન્ય કેટલીક જાતિઓ અર્ધ-સહિષ્ણુ (half-hardy) હોય છે અને હિમનું નિશ્ચિત આંકનું ઠંડું તાપમાન સહન કરી શકે છે. જોકે ઉદ્યાનની ઘણીખરી શ્રેષ્ઠ વનસ્પતિઓ પૂર્ણ સહિષ્ણુ હોય છે અને ગમે તેટલું નીચું તાપમાન તેઓ સહી શકે છે. વનસ્પતિની ઠંડી માટેની સહનશક્તિનો આધાર નિરાચ્છાદન (exposure) સમયની તેની વૃદ્ધિની અવસ્થા ઉપર રહેલો છે. પ્રસુપ્ત (dormant) વનસ્પતિ સક્રિય વૃદ્ધિના તબક્કામાં રહેલી વનસ્પતિ કરતાં ઘણું નીચું તાપમાન સહન કરી શકે છે. શુષ્ક મૃદામાં થતી વનસ્પતિ ભેજયુક્ત મૃદામાં થતી વનસ્પતિ કરતાં વધારે નીચા તાપમાને પણ ટકી શકે છે. ઘણી વનસ્પતિઓ શિયાળાની પરિસ્થિતિ માટે અનુકૂલન સાધે છે. એકવર્ષાયુઓ શિયાળા પહેલાં બીજ ઉત્પન્ન કરે છે. કંદિલ વનસ્પતિઓ તેમના ભૂમિગત અંગમાં ખોરાક સંગ્રહ કરે છે.

રક્ષણ માટેનો સૌથી સરળ ઉપાય આવરણ રચવાનો છે, જેથી તેની આસપાસની હવા હૂંફાળી રહે. શિયાળામાં ઘાસપાત છાદન કરવામાં આવે છે અથવા છોડની આસપાસ ગુણપાટ મૂકવામાં આવે છે. છેલ્લી પદ્ધતિ પર્ણપાતી અને પ્રસુપ્ત અવસ્થા ગાળતી વનસ્પતિઓ માટે ઉપયોગી છે. સદાહરિત વનસ્પતિઓ માટે આ પદ્ધતિ અનુકૂળ નથી.

આકૃતિ 7 : વનસ્પતિ-ઉછેર માટે મૃદા તૈયાર કરવાની પદ્ધતિ : (અ) ઘાસ અને અન્ય વનસ્પતિઓ કોદાળી કે પાવડા દ્વારા દૂર કરવી; (આ) કોદાળી કે પાવડાની મદદથી ઉદ્યાનની મૃદા લગભગ 20 સેમી.થી 30 સેમી.ની ઊંડાઈ સુધી ખોદવી; (ઇ) મૃદાનાં મોટાં ઢેફાં તોડી ઉપર-તળે કરીને તેમાં મૃદાની સુધારણા માટે જરૂરી દ્રવ્યો સમાંગ રીતે મિશ્ર કરવાં; (ઈ) વનસ્પતિ ઉગાડતાં પહેલાં મૃદાને ખંપાળી (rake) વડે, તે બારીક અને લીસી ન બને ત્યાં સુધી સરખી કરવી.

નાજુક વનસ્પતિઓ માટે હરિતગૃહો (greenhouses) કે બહિષ્કક્ષ ચોકઠાં (frames) વધારાનું રક્ષણ આપે છે. હરિતગૃહોને તાપસ્થાયી(thermostat)ની મદદ વડે ઉષ્મા આપી તેમના તાપમાનનું નિયંત્રણ કરી શકાય છે. આમ, સમશીતોષ્ણ પ્રદેશોમાં ઑર્કિડ અને અન્ય ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ઉગાડી શકાય છે, અને તેઓ સમગ્ર શિયાળા દરમિયાન પુષ્પનિર્માણ કરે છે. કેટલીક જાતિઓને વધારે તાપમાન આપી તેમનું સામાન્ય ઋતુ પૂર્વે પુષ્પનિર્માણ ઉત્તેજી શકાય છે.

હરિતગૃહોના ચાર પ્રકારો છે. તે પૈકી બે પ્રકાર શીતગૃહોના છે. પ્રથમ પ્રકારના શીતગૃહને પૂરક ઉષ્મા આપવામાં આવતી નથી. આવું શીતગૃહ ઉચ્ચ પર્વતીય (alpine) અને કૂંડામાં ઉગાડવામાં આવતી કંદિલ વનસ્પતિઓ માટે અનુકૂળ છે, જે હિમની ઠંડીથી મૃત્યુ પામતી નથી. તે તેની પવનરહિત સ્થિતિને લીધે અને સૂર્ય દ્વારા પ્રાપ્ત થતી ગરમીથી બહારના વાતાવરણ કરતાં વધારે ગરમ રહે છે. બીજા પ્રકારના શીતગૃહમાં લઘુતમ તાપમાન 7o સે. રાખવામાં આવે  છે. મોટાભાગનાં હરિતગૃહો આ પ્રકારનાં હોય છે અને મોટાભાગની વનસ્પતિઓ તેમાં ઉગાડી શકાય છે. ત્રીજા પ્રકારનાં હરિતગૃહો મધ્યવર્તી (intermediate) હોય છે અને તેનું લઘુતમ તાપમાન 16o સે. રાખવામાં આવે છે, જે વિવિધ પ્રકારના ઑર્કિડ ઉગાડવા માટે યોગ્ય ગણાય છે. ચોથા પ્રકારના હરિતગૃહને ઉષ્ણગૃહ (hot house) કહે છે. તેનું તાપમાન 16o સે.થી વધારે રાખવામાં આવે છે. એન્થુરિયમ અને કૅટ્લેયા જેવી ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓ તેમાં ઉછેરવામાં આવે છે.

કૃંતન (pruning) : કૃંતન દ્વારા વનસ્પતિને ઇચ્છિત આકાર આપી તેનું કદ જાળવી શકાય છે. તે ઉદ્યાનકૃષિની સૌથી મહત્વની કલાઓ પૈકીમાંની એક ગણાય છે. ક્ષુપો અને વૃક્ષોની કુદરતી રીતે વૃદ્ધિ થવા દેવામાં આવે તો ઉદ્યાનમાં તેઓ વધારે પડતી જગા રોકે છે. ઉપરાંત વધારે વૃદ્ધિથી તેમનાં કદ અને આકાર અનિયમિત બને છે. જ્યારે શાખા કે પ્રરોહને કાપવામાં આવે છે ત્યારે કાપની નીચેથી ઘણા તરુણ પ્રરોહો ઉત્પન્ન થાય છે અને જૂની શાખાઓ કરતાં વધારે પ્રમાણમાં પુષ્પનિર્માણ થાય છે. ફળ-વૃક્ષોનું પ્રતિ વર્ષ કૃંતન કરતાં ફળોની ગુણવત્તા અને કદમાં વધારો થાય છે. તેઓ રોગમુક્ત હોય છે અને વધારે આકર્ષક રંગ ધરાવે છે. ઘણા ક્ષુપોની બધી જ નબળી કે મૃત શાખાઓનું કૃંતન કરતાં અને પ્રત્યેક શિયાળામાં તેની મજબૂત શાખાઓ ટૂંકી કરતાં તેમને લાભ થાય છે. કઠોર કૃંતન (hard pruning) દ્વારા પ્રરોહના તલપ્રદેશનો માત્ર કેટલાક સેમી.નો ભાગ રાખી ઉપરનો ભાગ કાપી નાખવામાં આવતાં ઓછાં પુષ્પો ઉત્પન્ન કરતા ક્ષુપનો કાયાકલ્પ (rejuvenation) થાય છે. વનસ્પતિ તરુણ હોય ત્યારથી તેનું કૃંતન કરવાથી મોટા, જૂના કે વિકૃત વૃક્ષ કે ઝાડવાનું ઉગ્ર અને જોખમી કૃંતન કરવું પડતું નથી.

કૃંતનનાં સાધનો અણીદાર રાખવાં જોઈએ, જેથી સારી રીતે કાપ મૂકી શકાય અને રોગજન(pathogen)નો ચેપ ઘટાડી શકાય. કાપેલી મોટી શાખાઓને પરિરક્ષક (preservate) મિશ્ર કરી રંગવામાં આવે છે.

પ્રસર્જન (propagation) : નવી વનસ્પતિઓનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. આ કિસ્સામાં સંતતિઓમાં કેટલીક વિભિન્નતાઓ ઉદભવવાની શક્યતા રહેલી હોય છે. વનસ્પતિઓમાં વિભાજન, કટકારોપણ, કલમરોપણ (grafting), કલિકારોપણ (budding) કે દાબ (layering) દ્વારા કૃત્રિમ પ્રસર્જન પણ થઈ શકે છે. આ કિસ્સાઓમાં સંતતિઓમાં વિભિન્નતાઓ સર્જાતી નથી. આવા વનસ્પતિઓના સમૂહને સમજાતક (clone) કહે છે. ઘણી વાર ધાન્ય અને એકવર્ષાયુઓના બીજના સતત પ્રજનન અને નીંદણ (weeding) દ્વારા નિર્ભેળ અંશુઓનો પ્રવેશ શક્ય બને છે, જેઓ વાસ્તવિક રીતે પરસ્પર પ્રજનન કરી શકે છે અને અવગમ્ય (perceptible) વિભિન્નતારહિત હોય છે. છતાં તેઓ કેટલીક જનીનિક વિભિન્નતાઓ ધરાવે છે.

મોટાભાગની શાકભાજીઓ અને સહિષ્ણુ એકવર્ષાયુઓનાં બીજ સામાન્ય રીતે ખુલ્લી જમીનમાં વસંતઋતુમાં વાવવામાં આવે છે. અર્ધસહિષ્ણુ એકવર્ષાયુ વનસ્પતિઓનાં બીજ અંત:કક્ષમાં પાત્રમાં કે કૂંડામાં ઉગાડવામાં આવે છે. ઉચ્ચ પર્વતીય અને અન્ય શીત-અનુકૂલિત (cold-adapted) વનસ્પતિઓનાં બીજને અંકુરણ પૂર્વે શીત-ચિકિત્સા આપવામાં આવે છે.

આકૃતિ 8 : પ્રસર્જનની કૃત્રિમ પદ્ધતિઓ : (અ) દાબ, (આ) ગૂટી, (ઇ) યોજી કલમ-બંધન (inarching), (ઈ) કલિકારોપણ, (ઉ) જીભી કલમ (tongue grafting), (ઊ) ફાચર (wedge) કલમ, (ઋ) શિખર (crown) કલમ

ઘણા ક્ષુપ માટે કટકારોપણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં મધ્ય-ગ્રીષ્મ દરમિયાન કટકારોપણ થાય છે; છતાં કાષ્ઠના પરિપક્વનની અવસ્થાને આધારે ઋતુ નક્કી કરી શકાય છે. ચાલુ ઋતુના તરુણ પ્રરોહો ઝડપથી મૂળ ઉત્પન્ન કરે છે. ગુલાબનું પ્રસર્જન કલિકા-રોપણ દ્વારા કરવામાં આવે છે. ફળ-વૃક્ષોનું પ્રસર્જન રોપણ દ્વારા થાય છે. મોગરો (Jasminum) અને અન્ય શોભન-જાતિઓમાં દાબ દ્વારા પ્રસર્જન કરવામાં આવે છે.

અપતૃણોનું નિયંત્રણ : કૃષિનું આ એક ખૂબ મહેનતવાળું પરિબળ છે અને રખડુ આદિમાનવ જ્યારે સ્થાયી બન્યો અને કૃષિજીવન શરૂ કર્યું તે સમયથી માનવ આ પરિબળનો જાણકાર છે. પસંદગીના પાકોને અન્ય વનસ્પતિઓ સાથેની સ્પર્ધાથી મુક્ત રાખવા આવશ્યક છે. નાનાં અપતૃણોને ગોડવા(hoeing)માં આવે છે. તેમને કોદાળી વડે ખોદીને જમીન પર સૂકવવામાં આવે છે. શૈલોદ્યાનમાં શાકીય સીમામાં કે એકવર્ષાયુઓમાં આવેલાં અપતૃણોને વ્યક્તિગત રીતે ખેંચી કાઢવામાં આવે છે. તેને હસ્ત-અપતૃણન (hand weeding) કહે છે. બીજા વિશ્વયુદ્ધ પછી અપતૃણોના રાસાયણિક અને જૈવિક નિયંત્રણનો વિકાસ થયો છે.

જંતુઓ અને રોગોનું નિયંત્રણ : વનસ્પતિઓને કીટકો, ઇતરડી, સૂત્રકૃમિ (eelworm) અને અન્ય નાનાં પ્રાણીઓ દ્વારા તેમજ હરણ, સસલાં અને ઉંદરો દ્વારા નુકસાન થાય છે. ફૂગ, બૅક્ટેરિયા અને વાઇરસ દ્વારા વનસ્પતિઓને અનેક પ્રકારના રોગો થાય છે.

રોગની ચિકિત્સા કરતાં રોગ-નિરોધ વધારે સારો છે. જંતુઓની વૃદ્ધિ અને રોગના પ્રસારને અટકાવવા સતત તકેદારી રાખવી જરૂરી છે. રોગનું નિયંત્રણ રસાયણોના છંટકાવ, પ્રકીર્ણન (dusting) અને ધૂમન (fumigation) દ્વારા થઈ શકે છે; પરંતુ કેટલાંક રસાયણો એટલાં શક્તિશાળી હોય છે કે જંતુઓ, ફૂગ, બૅક્ટેરિયા અને વાઇરસની સાથે સાથે પાકને પણ નુકસાન કરતાં હોય છે. તેથી તેનો ઉપયોગ યોગ્ય સમજપૂર્વક થવો આવશ્યક છે. ખાસ કરીને હાઇડ્રૉકાર્બન જેવાં ઝેરી રસાયણોનો અતિશય ઉપયોગ થતાં આહાર શૃંખલા ઉપર લાંબા સમયની હાનિકારક અસરો થાય છે. રોગનું કેટલેક અંશે સ્વચ્છતા દ્વારા પણ નિયંત્રણ થાય છે. બધા જ મૃત અને રોગિષ્ઠ અવશેષોને બાળી નાખવામાં આવે છે. કૃંતન અને વિરલન (thinning) દ્વારા હવાનું પૂરતું અભિસરણ થાય છે. પાકની ફેરબદલી દ્વારા પણ રોગનું નિયંત્રણ થાય છે. કેટલુંક નિયંત્રણ જૈવિક-ભક્ષકો (biological predators) વડે પણ થાય છે. કેટલીક જંતુ અને રોગ-અવરોધક જાતિઓનો સંકરણ દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે, જે રોગનિયંત્રણનો સર્વશ્રેષ્ઠ ઉપાય ગણાય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ