ઉદેરોલાલ (જ. 950, નસરપુર – સિંધ) : સિંધી સંત. ઉદેરોલાલ ‘લાલ સાંઈ’, ‘અમરલાલ’, ‘ઝૂલેલાલ’ ઇત્યાદિ નામે પણ પ્રસિદ્ધ છે. પિતા રાઈ રતનચંદ અને માતા દેવકી. સિંધના ઠઠ્ઠોનગરનો નવાબ મરખશાહ હિન્દુઓ પર પારાવાર જુલમ કરતો હતો. તેને ઉદેરોલાલે રોક્યો અને સિંધમાં ધર્મસહિષ્ણુતા ફેલાવી. ચૈત્ર માસમાં એમના જન્મદિવસથી સિંધી નવા વર્ષનો આરંભ મનાય છે અને એ દિવસ ‘ચેઠીચંડુ’ અથવા ‘ચેટીચાંદ’ તરીકે ઓળખાય છે, ઊજવાય છે. ભારત સરકારે પણ એ દિનને તહેવાર તરીકે જાહેર કર્યો છે. ઉદેરોલાલ વિશે વિવિધ સમયે રચાયેલાં સ્તુતિગીતો ‘પજક્રિડાં’ સંગ્રહાયેલાં છે. સિંધી હિન્દુઓ એમને વરુણનો અવતાર માને છે. જ્યારે સિંધી મુસલમાનો એમને ખ્વાજા ખિજ્ર યા ‘જિંદાપીર’ને નામે યાદ કરે છે.

ચન્દ્રકાન્ત મહેતા