આરિફ, કલ્હોડો (અઢારમી સદી) : મધ્યકાલીન સિંધી લેખક. અઢારમી સદીમાં સિંધમાં કલ્હોડા વંશનું શાસન હતું. એ સમયે સૂફી કવિ આરિફ કલ્હોડાએ સિંધીની અત્યંત પ્રસિદ્ધ લોકકથા ‘સસઇપુન્હુ’ને કાવ્યબદ્ધ કરી હતી. એમણે એ લોકકથાને જીવાત્મા-પરમાત્માના સંબંધનો ઓપ આપ્યો છે. મૂળ લોકકથામાં કવિએ મૂળ ભાવાનુરૂપ ઉમેરણ કરીને કથાને અત્યંત રોચક બનાવી છે. આ ઉપરાંત એમણે ભક્તિનાં પદો સૂફીવાદી કાવ્યપ્રણાલી અનુસાર રજૂ કર્યાં છે. એમાં મોટા ભાગનાં કાવ્યો ઇશ્કે હકીકીનાં એટલે કે દિવ્ય પ્રેમનાં છે. એમણે બેત કાફીઓ પણ લખી છે. આ ઉપરાંત ફારસી કવિ ‘સાદી’ની પ્રસિદ્ધ રચના ‘કરીમા’નો એમણે સિંધીમાં અનુવાદ કર્યો છે.

જયંત રેલવાણી