અનંત દાસ  (ચૌદમી સદી) : મધ્યકાલીન ઊડિયા કવિ. મધ્યકાલીન ઊડિયા સાહિત્યનો ચૌદમી સદીના મધ્યથી સોળમી સદીના આરંભ સુધીનો યુગ પંચસખાયુગ કહેવાય છે, કારણ કે એ યુગમાં પાંચ મહાન ભક્ત કવિઓ થઈ ગયા. એ પાંચ કવિઓમાં અનંત દાસનું મહત્ત્વનું સ્થાન છે. ચૈતન્યની કૃષ્ણભક્તિથી પ્રભાવિત એ કૃષ્ણકીર્તનનાં પદો રચીને ભાવવિભોર બની ગાતા. એમણે ‘જગન્નાથસ્તુતિ’ પણ લખી છે. પંચસખા યુગના અન્ય ચાર કવિઓ તે જગન્નાથ દાસ, અચ્યુતાનંદ, બલરામ દાસ તથા યશોવન્ત. એ પંચસખાએ મધ્યકાલીન ઓરિસાને ભક્તિકવિતાથી પરિપ્લાવિત કરેલું છે.

વર્ષા દાસ