અત્રિ છોટુભાઈ મકનજી

January, 2001

અત્રિ છોટુભાઈ મકનજી (જ. 4 જાન્યુઆરી 1931, જામખંભાળિયા, જિ. જામનગર) : ગુજરાતના એક પુરાતત્વવિદ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન ખંભાળિયામાં. સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે સ્નાતક 1957માં. 1959માં સંસ્કૃત-ગુજરાતી સાથે એમ.એ..

1959થી 1967 સુધી જૂનાગઢ સંગ્રહાલયમાં ક્યુરેટર. 1963થી 1965 સુધી દિલ્હી પુરાતત્વ ડિપ્લોમાના અભ્યાસમાં. 1967થી 1974 અધીક્ષક, પુરાતત્વવિદ, પશ્ર્ચિમ વર્તુળ, રાજકોટ. 1974થી 1977 સુધી સહાયક પુરાતત્વ નિયામક, 1977થી 1982 સુધી ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતાના નિયામકપદે રહ્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ. પુરાતત્વ અંગે માર્ગદર્શન ઉપરાંત વિષયને અનુરૂપ લેખનપ્રવૃત્તિ. વિવિધ વિષયો ઉપર વિવિધ સામયિકોમાં 50થી વધુ લેખો પ્રસિદ્ધ થયા છે. ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ ગ્રંથમાં તેમણે એક પ્રકરણ લખ્યું છે. ‘પથિક’નો ‘સિન્ધુ સંસ્કૃતિ અંક’ સંપાદિત કર્યો છે જે એ વિષયના સંશોધનમાં ઘણો ઉપયોગી ગણાય છે.

મુકુન્દ રાવળ