અક્રૂરેશ્વર : નર્મદાની દક્ષિણે આવેલો અંતર્નર્મદાપ્રદેશ. મૈત્રકકાલનો વહીવટી વિભાગમાંનો એક વિષય (હાલના જિલ્લા જેટલો પ્રદેશ). વડું મથક અક્રૂરેશ્વર નર્મદાની દક્ષિણે સાતેક કિમી.ના અંતરે નાન્દીપુરી–ભૃગુકચ્છના ગુર્જર નૃપતિ વંશના રાજા દદ્દ બીજાનાં બે દાનશાસન અક્રૂરેશ્વર(હાલનું અંંકલેશ્વર)ને લગતાં છે. ભરૂચનો ચાહમાન રાજા ભર્તૃવડ્ઢ ત્રીજો અક્રૂરેશ્વર વિષય પર સત્તા ધરાવતો હતો. ઈ. સ. 756–57માં એણે ભૃગુકચ્છ(ભરૂચ)માં રહીને બ્રાહ્મણને અક્રૂરેશ્વર વિષયમાંનું ગામ દાનમાં આપેલું. આ વિષય આગળ જતાં ચાહમાન વંશની સત્તા નીચે ચાલ્યો ગયો હતો. કૃષ્ણરાજ અકાલવર્ષના શક વર્ષ 810ના લેખમાં અંકુલેશ્વરનો ઉલ્લેખ છે.

ભારતી શેલત