પંડ્યા, ધાર્મિકલાલ (. 11 ઑગસ્ટ 1932, વડોદરા) : માણભટ્ટ કલાકાર. શ્રી ધાર્મિકલાલ પંડ્યા મૅટ્રિક સુધી પહોંચ્યા ત્યાં તો પિતાશ્રીનું અવસાન થયું. ઘરની જવાબદારી આવી પડતાં બે-ત્રણ વર્ષો પછી કથાવાર્તાને આજીવિકાનું સાધન બનાવ્યું. શાળાકીય અભ્યાસ સાથે શાસ્ત્રીય સંગીતનું મેળવેલું જ્ઞાન આખ્યાનકથામાં પ્રયોજતાં તેમાં સાહજિકતા સાથે સ-રસતા આવી. આરંભકાળે વડોદરાની પોળોમાં આખ્યાનકથાઓ કરી. વડોદરાના રેડિયોસ્ટેશન મારફતે ગુજરાતમાં પ્રસિદ્ધ થયા. તેઓ 1951-52થી આ વ્યવસાયમાં પ્રવૃત્ત છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન સુધી તેઓ કાર્યક્રમો આપી ચૂક્યા છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર તેઓ નિયમિત રીતે કાર્યક્રમો આપતા હતા. પ્રેમાનંદનાં લગભગ 30થી 40 આખ્યાનો છે. તે તેમને કંઠસ્થ છે. તેઓ પ્રાચીન પરંપરાને વળગી રહ્યા છે. શ્રોતાગણનું મૂલ્યાંકન કરી સમયાનુસાર પરિવર્તન કરી, ટુચકા, માર્મિક કટાક્ષો અને વ્યાવહારિક દોરવણીથી તેઓ તેમનાં આખ્યાનોની રજૂઆતને લોકપ્રિય બનાવી શક્યા છે. માણ સાદી. સાજમાં વાયોલિન, મંજીરાં, તબલાંનો પણ તેઓ ઉપયોગ કરી લે છે.

ધાર્મિકલાલ પંડ્યા

દિલ્હીની ભારતીય સંગીત નાટક અકાદમી તરફથી 1952થી આરંભાયેલી પુરસ્કારની પ્રણાલિકામાં 1987માં તેમનું સન્માન થયું. આવું માન પામનાર ગુજરાતમાં તેઓ માત્ર એક છે. પ્રેમાનંદની વિશિષ્ટ પરંપરાને જીવંત રાખવાનો તેમનો પુરુષાર્થ આજીવન રહ્યો. 1981માં શારદાપીઠના શંકરાચાર્યે ‘કીર્તનકેસરી’ અને ‘માણકલા-કૌશલ’ બિરુદોથી તેમને નવાજ્યા. 1980માં ગુજરાત રાજ્ય સંગીતનૃત્ય અકાદમી દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ, 1983માં તે જ અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર, 1984માં વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ઍવૉર્ડ, 1986માં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદ દ્વારા સન્માન, 1987માં અમૃતા સંસ્થા, ચુંવાળ દ્વારા ઍવૉર્ડ અને 1987માં ગુજરાત લોકકલા કેન્દ્ર દ્વારા ઍવૉર્ડ તેમને અર્પણ કરાયાં હતાં. તેમણે ભારત ઉપરાંત ઝિમ્બાબ્વે અને ઝામ્બિયામાં પણ કાર્યક્રમો આપ્યા હતા. અન્ય રાજ્યોમાં હિંદી-અંગ્રેજીમાં તો વિદેશમાં અંગ્રેજીમાં તેમણે આખ્યાનો આપેલાં. આમ, ગુજરાતી, હિંદી, અંગ્રેજીમાં આ માણભટ્ટની કથાઓ દ્વારા કવિ પ્રેમાનંદ જાણે નવજીવન પામ્યા છે !

દશરથલાલ ગૌરીશંકર વેદિયા