તેહરી ગઢવાલ : ભારતના ઉત્તરાખંડ રાજ્યના 13 જિલ્લા પૈકીનો જિલ્લો તથા ન્યૂ તહેરી નામ ધરાવતું જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 30 38´ ઉ. અ. અને 78 48´ પૂ. રે.ની  આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની પૂર્વે રુદ્રપ્રયાગ જિલ્લો, પશ્ચિમે દેહરાદૂન જિલ્લો, ઉત્તરે ઉત્તરકાશી જિલ્લો અને દક્ષિણે પૌરી ગઢવાલ જિલ્લા સીમા રૂપે આવેલા છે.

હિમાલય ગિરિમાળાના દક્ષિણ ઢોળાવ પર આ જિલ્લો આવેલો છે. જેનો દક્ષિણનો ઢોળાવ પ્રમાણમાં તીવ્ર છે. આશરે 600 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી ખીણો જે અહીંની લાક્ષણિકતા છે. જેને પશ્ચિમમાં ‘દૂન’ અને પૂર્વમાં ‘દ્વાર’ કહે છે. અહીં આવેલી ટેકરીઓ સ્થાનિક નામથી ઓળખાય છે. જેમ કે ઉત્તરાખંડમાં આવેલી શ્રેણી ‘ડુંડવા શ્રેણી’ તરીકે ઓળખાય છે. ઉત્તરે  આવેલી હિમાલય પર્વતશ્રેણીથી હેઠવાસ તરફ જતી મોટા ભાગની નદીઓએ આ શ્રેણીને કાપકૂપ કરીને પહોળી તથા તીવ્ર ઢાળ ધરાવતી ખીણોનું નિર્માણ કર્યું છે. ભાગીરથી અને અલકનંદા નદીઓ આ જિલ્લામાંથી વહે છે. ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં 6600 મીટરની ઊંચાઈએ આવેલી ગંગોત્રી હિમનદી છે. જ્યાંથી ઉદગમ પામતી નદી તે ભાગીરથી તરીકે ઓળખાય છે. દેવપ્રયાગ પાસે અલકનંદાનો સંગમ થાય છે. જ્યાં સૂરકન્ડા દેવીનું મંદિર આવેલું છે. અહીં ઘનાઉલ્ટી (Dhanaulti) પર્વત આવેલો છે. નાગ ટીબ્બા અને તેહરી બંધ પાસેથી હિમાલયનાં દર્શન થાય છે.

આબોહવા – વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : અહીં મોટે ભાગે શિયાળાની ઋતુ જે નવેમ્બરના મધ્યભાગથી શરૂ થાય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી સૌથી ઠંડા મહિના અનુભવાય છે. અહીં સરેરાશ તાપમાન 21 સે. થી ઓછું રહે છે. અહીં હિમવૃષ્ટિને કારણે ઠંડી વધી જાય છે. એપ્રિલથી જૂન માસ દરમિયાન એટલે કે ઉનાળાની ઋતુમાં તાપમાન 32 સે. જેટલું રહે છે. વર્ષાઋતુમાં વરસાદ 1200થી 2000 મિમી. જેટલો પડે છે. હિમવૃષ્ટિ શિયાળામાં થતી રહે છે. અરબ સાગરના મોસમી પવનો આ ક્ષેત્રમાં વરસાદ આપે છે.

અહીં ભેજવાળાં પાનખર જંગલો આવેલાં છે. મોટે ભાગે અહીં આર્દ્રતાનું પ્રમાણ 60%થી 80% ટકા જોવા મળે છે. આ જંગલોમાં પાઇન, ઓક, ફર, દેવદાર, પોપ્લર, ચેસ્ટનટ, ચીડ, બર્ચ વગેરે વૃક્ષો જોવા મળે છે. આ જિલ્લાના 68% ભૂમિવિસ્તારમાં જંગલો, ઘાસ અને ઝાડીઝાંખરાં છવાયેલાં છે.

આ જંગલોમાં ઘાસ વધુ હોવાથી ઘાસ ઉપર નભનારાં પ્રાણીઓ જેમાં સાબર, ચિત્તલ, હરણ, ઘેટાં, બકરાં જ્યારે માંસાહારી પ્રાણીઓ વાઘ, દીપડા, જંગલી બિલાડી વગેરે છે.

અર્થતંત્ર : અહીં જમીનમાં કાંકરા, પથ્થર વધુ હોય છે તેથી એની ફળદ્રુપતા ઓછી હોય છે. જમીનનો રંગ પ્રમાણમાં કથ્થઈ હોય છે. જિલ્લાના નદીકિનારાના વિસ્તારમાં પગથિયાંવાળાં ખેતરોમાં ખેતી થાય છે. મોટે ભાગે ડાંગર, જવ, ઘઉં, તેલીબિયાં, ફળફળાદિ અને શાકભાજી જ્યારે કઠોળમાં ચણા, મસૂર, સોયાબીન, રાઈ અને આદું-મરચા, વટાણાની ખેતી લેવાય છે. પહાડી ભાગોમાં થતા ઘાસને લીધે પશુપાલનપ્રવૃત્તિ પણ વિકસી છે. અહીં ગાય, ભેંસ, ઘેટાં, બકરાંનો તેમજ મરઘાં-બતકાંનો ઉછેર થાય છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 4,080 ચો.કિમી. છે. જ્યારે વસ્તી 6,18,931 (2011 મુજબ) છે. સેક્સ રેશિયો 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 1078 છે. સાક્ષરતાનું પ્રમાણ 75% જ્યારે પછાત વસ્તી અને આદિવાસી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 16.50% અને 0.14% છે. અહીં હિન્દુ અને મુસ્લિમ વસ્તીની ટકાવારી અનુક્રમે 98.53% અને 1.19% છે.  ભાષાના સંદર્ભમાં જોઈએ તો ગઢવાલી 90.48% , હિન્દી 5.99%, જુનસરી, નેપાલી વગેરે ભાષા બોલાય છે. મુખ્ય ભાષા ગઢવાલી છે.

ઇતિહાસ : ‘તેહરી’ શબ્દ ત્રિહરી (Trihari) ઉપરથી બન્યો હશે. જેમાં ત્રણ શબ્દ mansa (વિચાર), vacha (શબ્દ) અને karmana (કર્મ)નો અર્થ રહ્યો હશે. હિન્દી ભાષામાં Garh (કિલ્લો) થાય છે.

એક સમયે આ વિસ્તારમાં 48 સ્વતંત્ર રાજ્યો હતાં અને તેમના 48 કિલ્લાઓ હતા. આ બધાં નાનાં રજવાડાંઓને ભેગાં કરીને માલવા રાજાએ ગૌરવ તેવારી રાજ્ય બનાવ્યું. 915થી 1803 સુધી ‘ગઢવાલ રાજ્ય’ તરીકે રહ્યું. ગુરખાઓએ આ પ્રદેશ જીતી લીધો. તે સમયે અમરસિંગ થાપાનું વર્ચસ્વ વધુ હતું. 1814માં બ્રિટિશરોએ યુદ્ધ કરીને આ પ્રદેશ જીતી લીધો છે. તેઓએ કુમાઉ, દેહરાદૂન અને પૂર્વ ગઢવાલક્ષેત્રો ભેગાં કર્યાં. પશ્ચિમ ગઢવાલનો વિસ્તાર બ્રિટિશરોએ સુદર્શન શાહને પરત કર્યો. જે ‘તેહરી રિયાસત’ તરીકે ઓળખાયું. રાજા સુદર્શન શાહે તેહરીને પાટનગર તરીકે જાહેર કર્યું. 1949માં  તેહરી રિયાસત ઉત્તરપ્રદેશ સાથે ભળી ગયું. 1960માં રાજ્ય સરકારે એક તાલુકાને જુદો કર્યો તે ‘ઉત્તરકાશી’ તરીકે ઓળખાયો.

ન્યૂ તેહરી : તેહરી ગઢવાલ જિલ્લાનું પાટનગર ‘ન્યૂ તહેરી’ તરીકે ઓળખાય છે.

ભૌગોલિક સ્થાન : આ જિલ્લામથક 30 38´ ઉ. અ. અને 78 48´ પૂ. રે. પર આવેલું છે. તેની વસ્તી 24,014 છે. આ શહેર સમુદ્રની સપાટીથી 1,750 મીટરની ઊંચાઈએ સ્થિત છે. આ શહેર  ખેતપેદાશોનું વ્યાપારી કેન્દ્ર છે.

આ શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ 34 સાથે સંકળાયેલ છે. આ સિવાય રાજ્યના ધોરી માર્ગો સાથે દહેરાદૂન, હૃષીકેશ અને તાલુકામથક તેમજ ગામડાઓ સાથે સંકળાયેલ છે. રાજ્ય પરિવહન બસો, ખાનગી બસો તેમજ ટૅક્સીઓની વ્યવસ્થા છે. આ શહેરની નજીક આવેલું રેલવેસ્ટેશન હૃષીકેશ રેલવેસ્ટેશન છે. આ શહેરથી હૃષીકેશ 71 કિમી. દૂર છે.  જ્યારે નજીકનું હવાઈ મથક દહેરાદૂન હવાઈ મથક છે, જે 76 કિમી. દૂર છે.

આ જિલ્લામાં શાળા–કૉલેજો આવેલી છે. જે રાજ્યના શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી છે. જાણીતી બે યુનિવર્સિટીઓ છે. હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી અને શ્રી દેવ સુમન ઉત્તરાખંડ યુનિવર્સિટી. ગવર્નમેન્ટ પી. જી. કૉલેજ, ફૉરેસ્ટરી અને ઍગ્રિકલ્ચર યુનિવર્સિટી, ગવર્નમેન્ટ પોલિટૅકનિક કૉલેજ, સંસ્કૃત મહાવિદ્યાલય અને ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ વગેરે છે.

પ્રવાસન સ્થળો : ધાર્મિક સ્થાનોમાં દેવી કુન્જાપુરી મંદિર, ચંદ્રબદાની મંદિર, શ્રી આદિનાથ દિગમ્બર જૈન મંદિર છે. મહાસાર તાલ (તળાવ), શેહસ્ત્રા તળાવ અને ખાટલીંગ હિમનદી છે. પર્વતારોહકો માટે પણ કેટલાંક સ્થળો આવેલાં છે. આ સિવાય તેહરી સરોવર, ડોબરા ચાન્તી બ્રિજ. આ બ્રિજ 440 મીટર લાંબો છે. નરેન્દ્રનગર પાસે ગંગા નદી અને દૂનની ખીણ જે પ્રવાસીઓને વધારે આકર્ષે છે. ઉત્તરાખંડ સરકારે કેટલાંક સ્થળો પ્રવાસીઓ માટે જોખમરૂપ હોવાથી ત્યાં પ્રવેશબંધી જાહેર કરી છે.

વસ્તી : આ શહેરમાં પુરુષોની સંખ્યા 65% અને સ્ત્રીઓની સંખ્યા 35% છે. સાક્ષરતાનું પ્રમાણ 78% છે. ગઢવાલી અને હિન્દી ભાષા વધુ બોલાય છે. સરકારી કાર્યાલયોમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે. આ નવા શહેરને 11 વિભાગોમાં વિભાજિત કરેલ છે. જૂનું તેહરી શહેર ભાગીરથી અને ભીલાન્ગા નદીના સંગમ સ્થળે આવેલું હતું. જે પહેલા ગણેશપ્રયાગ તરીકે ઓળખાતું હતું. તેહરી બંધનું નિર્માણ થતાં જૂનું તેહરી શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું. પરિણામે ત્યાં વસવાટ કરતા લોકોને સ્થળાંતર કરવું પડ્યું. આ બંધના નિર્માણનો વિરોધ થયો હતો. તે વખતે શ્રી એચ. એન. બહુગુણાએ ‘ચીપકો આંદોલન’નો પ્રારંભ કર્યો હતો. સ્થાનિક લોકોએ વૃક્ષો ન  કપાય તે માટે વૃક્ષોને વળગીને વિરોધ કર્યો હતો.

બીજલ પરમાર

નીતિન કોઠારી