અજિતનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં બીજા ક્રમના તીર્થંકર. ઇક્ષ્વાકુ વંશના વિનીતા નગરીના રાજા જિતશત્રુ અને તેની પત્ની વિજયાના પુત્ર અજિતનાથનો જન્મ મહા સુદ આઠમના રોજ થયો હતો. તેઓ ચૈત્ર સુદ પાંચમના રોજ નિર્વાણ પામ્યા હતા. અજિતનાથે ઘણા લાંબા સમય સુધી રાજ કર્યા બાદ ગૃહત્યાગ કરી 12 વર્ષ છૂપા વેશે વિહાર કર્યો અને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં ઉપદેશ આપવાનું શરૂ કર્યું હતું. હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિતમ્ (પર્વ-2, સર્ગ-3)માં જણાવ્યા અનુસાર અજિતનાથ ભગવાનની દેશનામાં સર્વપ્રથમવાર સૃષ્ટિવિજ્ઞાન પ્રગટ થયું હતું.

હેમન્તકુમાર શાહ