રૉરશાખ કસોટી : વ્યક્તિત્વમાપન માટે વપરાતી એક પ્રક્ષેપણ-કસોટી. પ્રક્ષેપણકસોટીઓના વિવિધ પ્રકારોમાં સંપૂર્ણ સંદિગ્ધ અને અશાબ્દિક કસોટી તરીકે રૉરશાખ એકમાત્ર સર્વસ્વીકૃત કસોટી છે આ કસોટીની સામગ્રીમાં વપરાતાં 10 કાર્ડમાંથી પ્રત્યેક કાર્ડ શાહીનાં ધાબાંઓના અનિયમિત છતાં બંને બાજુ સમાન રીતે પ્રસરેલા આકારોને આધારે તૈયાર કરવામાં આવ્યું હોય છે. આ શાહીના ધાબામાં કોઈ અર્થ નીકળે તેવા આકારો હોતા નથી. તેમાં કોઈ અર્થ હોતો નથી. પણ જે વ્યક્તિ તેના પર પ્રતિક્રિયાઓ આપે છે, તે વ્યક્તિ એ આકારોને અર્થ આપે છે. અનિયમિત આકારમાં વ્યક્તિ પોતાને પરિચિત એવી વસ્તુઓનાં આકાર, કદ, રંગ વગેરેનું પ્રક્ષેપણ કરે છે. આથી જ આને પ્રક્ષેપણકસોટી કહેવાય છે. પ્રત્યેક કાર્ડ ઉદ્દીપક તરીકે રજૂ થાય છે અને ઉત્તર આપનાર વ્યક્તિ તે જોઈને તેને લગતી પ્રતિક્રિયા રજૂ કરે છે. આમાં કોઈ ઉત્તરો સાચા કે ખોટા હોતા નથી; પણ દરેક ઉત્તરનું ચોક્કસ નિદાનમૂલ્ય હોય છે. એના પરથી વ્યક્તિત્વમાપન થાય છે.

રૉરશાખનો મૂળ હેતુ વ્યક્તિત્વમાપન અને ચિકિત્સાત્મક અને ભેદલક્ષી નિદાન કરવાનો છે. વ્યક્તિના મનોવ્યાપારોનો ઊંડાણથી અભ્યાસ કરવા માટે રૉરશાખ કસોટી ખૂબ જ સંવેદનશીલ સાધન મનાય છે. સારા તાલીમ પામેલા અને અનુભવી મનોવૈજ્ઞાનિકો રૉરશાખ કસોટીના નિદાનમૂલ્યનો ઘણો ઉપયોગ કરી શકે છે.

આ કસોટી સ્વિસ મનશ્ચિકિત્સક હર્માન રૉરશાખે 1921માં પ્રગટ કરી તે અગાઉ પણ શાહીનાં ધાબાંનો ઉપયોગ કરવાના પ્રયત્નો થયા હતા. પ્રથમ બુદ્ધિ-કસોટી બતાવનાર મનોવૈજ્ઞાનિક બીનેએ 1895માં આ પ્રકારની કસોટીની જરૂરિયાત ઓળખીને તે બનાવવાનું સૂચન કર્યું હતું. કેટલાક મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિગત તફાવતો જાણવા પણ આ રીતે પ્રયત્ન કર્યો હતો. ડિયરબોર્ને શાહીનાં ધાબાંઓનો ઉપયોગ સ્મરણશક્તિ, પ્રતિક્રિયાસમય, વિચારપ્રક્રિયા વગેરે માપવા માટે કર્યો હતો. ઘણાબધા મનોવૈજ્ઞાનિકોએ બાળકોના મનોવ્યાપારોનો અભ્યાસ કરવા આ પદ્ધતિ વાપરી હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે. પણ શાહીનાં ધાબાંનો મોટાપાયે વ્યવસ્થિત ઉપયોગ કરીને કસોટી તૈયાર કરવાનું શ્રેય તો ડૉ. હર્માન રૉરશાખને ફાળે જ જાય છે. પ્રારંભમાં તેમણે અસંખ્ય આકારો પ્રાયોગિક કક્ષાએ તૈયાર કર્યા અને તેમાંથી પ્રાથમિક પ્રયત્નોમાં ચકાસણી કરી 60 કાર્ડ તૈયાર કર્યાં. બીજા તબક્કામાં સૌથી વધારે ઉદ્દીપનમૂલ્ય ધરાવતાં સૌથી વધુ પ્રતિક્રિયાઓ ધરાવતાં 10 કાર્ડ પસંદ કર્યાં. આ દસ કાર્ડ ઉપર 405 જેટલી વ્યક્તિઓની પ્રતિક્રિયાઓ એકઠી કરવામાં આવી, જેમાંની 117 વ્યક્તિઓ ‘નૉર્મલ’ અને બાકીની બધી કોઈક ને કોઈક પ્રકારની માનસિક તકલીફ અનુભવનારી હતી. આ બધાની પ્રતિક્રિયાભાત શોધવામાં આવી અને તેને આધારે નિર્ણાયક પ્રતિક્રિયાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તેની સામગ્રીનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને ઘટકોનો આંતરસંબંધ શોધવામાં આવ્યો. સામાન્ય પ્રતિક્રિયાઓ કરતાંય મૌલિક પ્રતિક્રિયાઓના વિશ્લેષણને મહત્ત્વ આપવામાં આવ્યું.

તે પછી વિશાળ સંખ્યામાં માનસિક રોગીઓ ઉપર અજમાયશ કરીને શોધવામાં આવ્યું કે જુદા જુદા પ્રકારના રોગીઓ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપે છે અને એક જ પ્રકારના રોગીઓની પ્રતિક્રિયાઓમાં ચોક્કસ પ્રકારની સમાનતા જોવા મળે છે. આ ઉપરથી અર્થઘટન અને નિદાન માટેની પદ્ધતિઓ તૈયાર કરવામાં આવી. તેનામાં રહેલી આ ભેદ પારખવાની શક્તિને આધારે રૉરશાખ કસોટીનું નિદાનમૂલ્ય અને ભેદક મૂલ્ય ઘણું ઊંચું હોવાનું જણાયું.

રૉરશાખની કસોટીથી બુદ્ધિમાપન, સર્જનશક્તિનું માપન, વિચારશક્તિ, પરિવર્તનક્ષમતા, સમાયોજન-શક્તિ, અચેતન પ્રેરણાઓ, અચેતન સંઘર્ષો, મનના સંવેદનશીલ વિસ્તારો, ચોક્કસ વિકાસના તબક્કામાં વ્યક્તિનું સ્થગિતીકરણ જેવી ઘણી બધી બાબતોનું માપન ‘નૉર્મલ’ વ્યક્તિઓ માટે પણ થાય છે. આ કસોટીની ખાસિયત એ છે કે શાહીના ડાઘાઓ જોઈને વ્યક્તિ પોતે પોતાના માટે જાણતી ન હોય તેવી તેની બાબતો પણ તેની પ્રતિક્રિયાઓમાં વ્યક્ત થાય છે. ઉત્તર આપતી વખતે વ્યક્તિને ખ્યાલ પણ નથી હોતો કે પોતે આપેલો ઉત્તરનો શો અર્થ થતો હશે. આથી જ વ્યક્તિત્વ-માપનની પ્રત્યક્ષ કસોટીઓ કરતાં આ અપ્રત્યક્ષ કસોટીઓ વ્યક્તિત્વના ઊંડાણને સમજવાનું મહત્વનું સાધન બની શકી છે.

હર્માન રૉરશાખ પાતાની આ કસોટીઓ પર ઘણું બધું કામ કરવા માગતા હતા. પણ આટલું કરવા માટે જ એમણે એટલું બધું કામ કર્યું હતું કે 30–32 વર્ષની વયે ટી.બી.ની બીમારીથી એમનું મૃત્યુ થયું.

આ જે કાંઈ કામ એમણે કર્યું હતું તે કામ તેમના અનુયાયીઓ અને દુનિયાના વિવિધ દેશોના મનોવૈજ્ઞાનિકોએ એટલું બધું આગળ વધાર્યું કે આજે રૉરશાખ એક કસોટી ન રહેતાં એક વ્યાપક સંશોધન અને નિદાન-ક્ષેત્ર બની ગયું છે. એક તરફ મનોવૈજ્ઞાનિક કસોટીકારો માપનના વસ્તુલક્ષી પાસા પર ભાર મૂકે છે અને રૉરશાખને આત્મલક્ષી પદ્ધતિ ગણી તે પ્રત્યે અસંતોષ બતાવે છે, તો બીજી તરફ ચિકિત્સકો આ કસોટીમાં એના આત્મલક્ષી પાસાને લીધે આવેલ માપનની સચ્ચાઈ અને ઊંડાણનો અનુભવ કરી એની પ્રશંસા કરે છે. ઘણા મનોવૈજ્ઞાનિકોએ આત્મલક્ષી પાસાની સારી બાજુના ફાયદા લઈ શકાય, છતાં માપનમાં વસ્તુલક્ષિતા જળવાઈ રહે તે જાતના સમન્વયકારી અભિગમોનો વિકાસ કર્યો છે.

પ્રતિક્રિયાઓ પરથી પ્રાપ્તાંકો તૈયાર કરીને તેનું અર્થઘટન કરવાની વિશિષ્ટ પદ્ધતિઓ વિકસાવાઈ છે અને આ પદ્ધતિઓનું મૂલ્યાંકન કરવા માટે સંશોધન થતું જ રહ્યું છે; નવા પ્રયોગો પણ થતા રહે છે. આ કસોટી પર જુદાં જુદાં સાંસ્કૃતિક જૂથો, વિવિધ વ્યાવસાયિકો, કલાકારો, લેખકો, રમતવીરો, નેતાઓ વગેરેને લગતી સમાન પ્રતિક્રિયાભાતના અભ્યાસો થયા છે. રૉરશાખ એ પુખ્ય વયનાંઓ માટેની જ કસોટી હોવા છતાં યેલ યુનિવર્સિટીની ગૅસેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં 1971થી ’74 સુધી 2 વર્ષથી 10 વર્ષનાં બાળકો, 10થી 16 વર્ષનાં તરુણો અને 70થી વધુ ઉંમરનાં વૃદ્ધોના અભ્યાસોને આધારે, ઉંમરને આધારે પ્રતિક્રિયાભાતમાં થતા ફેરફારોની વાસ્તવિક ચકાસણી કરવામાં આવી છે. આ અને આવા બીજા 15થી વધુ અભ્યાસોને આધારે રૉરશાખનાં સંખ્યાત્મક પરિમાણો પણ વિકસાવવામાં આવ્યાં છે.

આ કસોટીનું નિદાનમૂલ્ય અને વસ્તુલક્ષિતા જળવાઈ રહે તે માટે તેના ઉપયોગ ઉપર અને તેને લગતા સાહિત્યના પ્રકાશન ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. તેના ઉપયોગની બાબતમાં ઘણાં ઊંચાં અને કડક ધોરણોનો અમલ કરવામાં આવે છે. આ કસોટી વાપરવા માટે પર્યાપ્ત શૈક્ષણિક લાયકાત, વ્યાવસાયિક લાયકાત, તાલીમ અને મનોવૈજ્ઞાનિક પરિપક્વતા અને ‘નૉર્માલિટી’નાં ધોરણો નક્કી કરવામાં આવ્યાં છે.

અધૂરી તાલીમે કે તાલીમ વિના આ કસોટીને આડેધડે વાપરી શકાતી નથી. તેની ખરીદી માટે પણ ચોક્કસ ધોરણો છે અને લાઇસન્સ ધરાવતી વ્યક્તિઓને જ તે પ્રાપ્ત થઈ શકે છે. તેનાં દસ કાર્ડમાંથી માત્ર પહેલું એક જ કાર્ડ પુસ્તકોમાં પ્રકાશિત કરવાની મંજૂરી અપાઈ છે. માત્ર જોવા ખાતર કે રસ ખાતર બાકીનાં કાર્ડ પ્રાપ્ત થતાં નથી. તેનું સંકેતીકરણ, પ્રાપ્તાંકો ગણવાની કે અર્થઘટન કરવાની રીતો જાહેર કરવામાં આવતાં નથી. એને લગતાં સંશોધનો અને તારણો ચોક્કસ વ્યાવસાયિકોને માટે જ ઉપલબ્ધ થાય છે.

આ કસોટી સિગ્મંડ ફ્રૉઇડના અચેતન મનના સિદ્ધાંતના માળખા પર રચાયેલ હોઈ વ્યક્તિનાં અંગતમાં અંગત ઊંડાણો જાણવાની ક્ષમતા ધરાવે છે; તેથી જ તેના ઉપયોગની બાબતમાં કડક આચારસંહિતાનું પાલન કરવામાં આવે છે. તેને લગતું સંશોધન પણ કરકસરના સિદ્ધાંત પર ચાલે છે, અને નાછૂટકે જનસમુદાય માટે તેનો ઉપયોગ થાય છે.

જ્યારે પણ રૉરશાખ કસોટી વાપરવામાં આવે છે ત્યારે પ્રત્યક્ષ કસોટીથી મેળવેલી વિગતો સાથે તેનાં તારણો ચકાસવામાં આવે છે. જ્યાં સુધી પ્રત્યક્ષ કસોટીથી કે અન્ય પ્રક્ષેપણ-કસોટી કે અર્ધ-પ્રક્ષેપણ કસોટીથી નિદાન થઈ શકતું હોય ત્યાં સુધી રૉરશાખનો ઉપયોગ ટાળવામાં આવે છે. જ્યારે અન્ય કસોટી અપર્યાપ્ત નીવડે ત્યારે જ તેનો ઉપયોગ કરવાની ભલામણ વ્યાવસાયિકોને કરવામાં આવે છે. આ કસોટીનો ઉપયોગ જેટલો મર્યાદિત હોય તેટલી તેની નિદાનમૂલ્યને સાચવવાની ક્ષમતા જળવાઈ રહે છે.

અત્યારે રૉરશાખ કસોટીનાં પરિણામોને આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા વધારે ચોક્કસ અને પરિમાણાત્મક બનાવવામાં આવ્યાં છે. એક જ પ્રતિક્રિયા પરથી વિવિધ અર્થઘટનો કરવાની પદ્ધતિઓ વિકસી છે. સમયની સાથે સાથે થતાં સંશોધનોને પરિણામે રૉરશાખે આપેલા મૂલ્યનું મહત્વ અનેકગણું વધી રહ્યું છે.

રૉરશાખ કસોટી ખૂબ જ ખર્ચાળ પદ્ધતિ છે અને તેમાં તાલીમ પામેલા નિષ્ણાતો અલ્પ સંખ્યામાં હોવાથી તેની ફીનું ધોરણ ઘણું ઊંચું હોય છે. ભારતમાં આ કસોટી હજુ ભણવાભણાવવાના વિષય તરીકે જ રહી છે. તેના ચિકિત્સાત્મક ઉપયોગમાં જોઈએ એવું સ્તર સચવાતું નથી. તેના નિદાનમૂલ્યનો બહુ ઓછો ભાગ વપરાય છે. તેની તાલીમની પણ ખાસ વ્યવસ્થા નથી અને સાચા અર્થમાં તેના નિષ્ણાતો ગણ્યાગાંઠ્યા જ હોવાનું જણાય છે.

તેનો સીધો ઉપયોગ તો માત્ર નિષ્ણાતો જ કરી શકે; પણ તેને આધારે મેળવેલાં તારણોનો ઉપયોગ અત્યારે માનસચિકિત્સા, મનોવિજ્ઞાન સલાહકાર્ય ઉપરાંત નૃવંશશાસ્ત્ર, સંસ્કૃતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને સંચાલનશાસ્ત્રમાં તેમજ ફિલ્મો, સાહિત્ય અને કલાના ક્ષેત્રે પણ થાય છે.

નિદાન માટે અને વ્યક્તિત્વમાપન માટે શોધાયેલી આ કસોટી દર્દીની સારવાર દરમિયાન મૂલ્યાંકન કરવા માટે અને સુધારાનું પ્રમાણ જાણવા માટે થાય છે. આ ઉપરાંત કસોટી પર પ્રતિક્રિયા આપવાનો અનુભવ પોતે જ એક પ્રકારની સારવારનું કામ કરે છે. એટલે એક જ દરદીને વારંવાર આ કસોટી આપીને એને સારવારની પદ્ધતિ તરીકે વાપરવાનો અભિગમ પણ વધ્યો છે.

પ્રતીક્ષા રાવલ